ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનિયતવ્યાપાર

Revision as of 09:45, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનિયતવ્યાપાર(Free play) : અર્થના ‘અનિયતવ્યાપાર’ અંગેનો વિચાર ઝાક દેરિદાએ પહેલવહેલો જોન હોપકિન્સ યુનિવસિર્ટીમાં સંરચનાવાદ પર યોજાયેલા પરિસંવાદમાં રજૂ કર્યો. વિરચનમાં સંકેતોની વ્યવસ્થાપૂર્ણ ભાષાએ ઉપસ્થિત એવા સંકેતકોને અનુપસ્થિત એવા સંકેતિતોની અવેજીઓના શાશ્વત અનિયત વ્યાપારમાં ધકેલવાના છે. એટલે કે કૃતિની કહેવાતી ચોક્કસતા અને નિશ્ચિતતાની ભૂમિથી કૃતિના અર્થને કોઈ કેન્દ્ર વગર છૂટો મૂકવાનો છે. દેરિદાએ સોસ્યૂરના સંકેતોના વ્યતિરેકની વાત સ્વીકારીને સંકેતોના વ્યાક્ષેપ પર ભાર મૂક્યો, એની સાથે કૃતિત્વની અનિર્ણિતતા ઉદ્ઘાટિત થઈ છે અને અર્થનું અતલ પ્રગટ થયું છે. આ જ કારણે દેરિદા અર્થના અનિયતવ્યાપારને ઉપસ્થિતિનું વિદારણ (disruption in presence) કહે છે. Template:Righr