ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અનેકસંધાનકાવ્ય

Revision as of 09:53, 19 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


અનેકસંધાનકાવ્ય : શબ્દાર્થોની બહુલતાને કારણે, એક અક્ષર પણ અનેકાર્થને વ્યંજિત કરે છે એ કારણે અને સમાસોનો વિગ્રહ અનેક રીતે શક્ય હોય છે એ કારણે સંસ્કૃત ભાષા વિશિષ્ટ છે. ક્યારેક ભાષાના આવા સમૃદ્ધ વારસા સાથે સંસ્કૃત કવિ એની કૃતિને બૌદ્ધિક મનોયત્નમાં ફેરવી નાખી ભાષાના અર્થવૈવિધ્યને ખપમાં લે છે. આ પ્રકારની ઇચ્છામાંથી રચાતા સાહિત્યપ્રકારને અનેકસંધાનકાવ્ય કહેવાય છે. આ સ્વરૂપમાં એક કરતાં વધુ કથાઓ સંયોજિત કરાયેલી હોય છે. ધનંજયના ‘રાઘવપાંડવીય’ નામક દ્વિસંધાનકાવ્યમાં ૧૮મા સર્ગનો પ્રત્યેક શ્લોક રામાયણ અને મહાભારતની કથાને એકસાથે લાગુ પડે છે. એ રીતે પંચસંધાનકાવ્ય, સપ્તસંધાનકાવ્ય અને શતસંધાનકાવ્ય પણ લખાયાં છે. ચં.ટો.