ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રસ્થાન

From Ekatra Wiki
Revision as of 08:42, 28 November 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રસ્થાન : રણછોડજી કે. મિસ્ત્રી અને છોટાલાલ શાહે જનજાગૃત્તિ અને સમાજોત્કર્ષ માટે રામનારાયણ વિશ્વનાથ પાઠકની અવૈતનિક સંપાદકીય સેવા-સહાય દ્વારા, ૧૯૨૬માં અમદાવાદથી પ્રકાશિત કરેલું માસિક. રા.વિ. પાઠકના અવસાન પછી રણછોડજી મિસ્ત્રી અને એમના અવસાન પછી નટુભાઈ મિસ્ત્રીએ સંપાદન સંભાળેલું. ‘દૃષ્ટિપૂતં ન્યસેત્પાદમ્’ ધ્યાનમંત્ર ધરાવતા આ માસિકના તંત્રીએ પ્રથમ અંકના આમુખમાં સામયિકના પ્રકાશનનો આશય સ્પષ્ટ કરતાં લખ્યું હતું : ‘સમાજનાં ઘણાંખરાં અનિષ્ટો તો માત્ર સમજવાથી જ નાબૂદ થઈ જાય છે...સાહિત્યથી જે શક્ય હોય તે અને જેટલું થઈ શકે તેટલું કરવા ‘પ્રસ્થાન’ ઉમેદ રાખે છે.’ ગાંધીયુગના કાવ્યગુરુ નીવડેલા રા.વિ.પાઠકનાં સાહિત્યસર્જનોનું નિમિત્ત બનનારા ‘પ્રસ્થાન’માં નવલકથા સિવાયનાં સાહિત્યસ્વરૂપોની કૃતિઓ ઉપરાંત તંત્રીનોંધ, જ્ઞાનગોચરી, સ્વૈરવિહાર, લોકચર્યા, ચર્ચાપત્ર, વિચારસંક્રમણ અને રોજનીશી જેવા સ્થાયી વિભાગોમાં સ્વરાજ-સાધના, અર્થશાસ્ત્ર, ઉદ્યોગવાણિજ્ય, ઇતિહાસ, ખેતીવિદ્યા, કેળવણી અને લલિતકલાઓ જેવા જીવનલક્ષી વિષયોની ચિંતનસભર વાચનસામગ્રી પ્રસિદ્ધ થઈ છે. ર.ર.દ.