પરિષદ-પ્રમુખનાં ભાષણો/૪૦

From Ekatra Wiki
Revision as of 07:07, 28 February 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
શ્રી ધીરુભાઈ ઠાકર
ચાલીસમા અધિવેશનના પ્રમુખ
શ્રી ધીરુભાઈ ઠાકર

• વિવેચક, સંશોધક, સંપાદક અને નાટ્યવિદ ધીરુભાઈ ઠાકરનો જન્મ ૨૭ જૂન, ૧૯૧૮ના રોજ કોડીનારમાં થયેલો. પિતા તલાટી હતા અને વાચનના શોખીન હતા. માતા ધાર્મિક વૃત્તિનાં હતાં. ઘરમાં ધર્મ અને વિદ્યાસંસ્કારનું વાતાવરણ હતું. ધીરુભાઈ ઉપર આ વાતાવરણની અસર પડેલી. તેમણે પ્રાથમિક શિક્ષણ કોડીનાર અને ચાણસ્મામાં લીધેલું. માધ્યમિક શિક્ષણ ચાણસ્મામાં અને સિદ્ધપુરમાં થયેલું. ૧૯૩૮માં ‘ઓગણીસમી સદીની પશ્ચિમ ભારતની ધાર્મિક પ્રવૃત્તિઓ’ વિષય પર નિબંધ લખ્યો અને મુંબઈ યુનિવર્સિટીનું ‘નારાયણ મહાદેવ પરમાનંદ પારિતોષિક’ મેળવ્યું. ૧૯૩૯માં મુખ્ય ગુજરાતી અને સંસ્કૃત સાથે બી.એ. થયા અને ૧૯૪૧માં એમ.એ. થયા. ૧૯૪૦થી ૧૯૭૮ સુધી તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજ, ઇસ્માઇલ યુસુફ તથા અમદાવાદની ગુજરાત કૉલેજ અને મોડાસા કૉલેજમાં અધ્યાપકની કામગીરી કરી. ધીરુભાઈએ ૧૯૪૨માં ‘ગણધરવાદ’ અને ૧૯૪૭માં ‘નિહ્‌નવવાદ’ નામના પ્રાકૃત-સંસ્કૃત ગ્રંથોના અંગ્રેજીમાં અનુવાદ કર્યા ત્યારથી તેમના લેખનનો પ્રારંભ થયો ગણાય. તેમણે જયંતિ દલાલના ‘રેખા’માં ‘દૃષ્ટિક્ષેપ’ શીર્ષકથી ગ્રંથાવલોકનો લખેલાં. તેમણે વિવેચન, અનુવાદ અને સંપાદન ક્ષેત્રે પણ મહત્ત્વનું કાર્ય કર્યું છે. ૧૯૫૩માં મણિલાલ નભુભાઈ દ્વિવેદીના જીવન અને સાહિત્યના સંશોધનાત્મક અધ્યયનના ફલસ્વરૂપે ‘મણિલાલ નભુભાઈ : સાહિત્યસાધના’ એ વિષયમાં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ધીરુભાઈ ઠાકરે મણિલાલ દ્વિવેદીના સાહિત્યના જતન-સંપાદનની પણ સરસ કામગીરી કરી છે. ‘મણિલાલની વિચારધારા’, ‘મણિલાલના ત્રણ લેખો’, ‘કાન્તા’, ‘નૃસિંહાવતાર’, ‘આત્મનિમજ્જન’, ‘પ્રાણવિનિમય’ અને ‘મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃત્તાંત’ વગેરે ગ્રંથો તેમણે આપ્યા છે. ધીરુભાઈ ઠાકરે પંડિતયુગના સમર્થ સર્જક-સાક્ષર-ચિંતક મણિલાલ નભુભાઈની પ્રતિભાનું દર્શન કરાવ્યું છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ઘણા સાહિત્યકારોના હાથે લખવાના સત્પ્રયત્નો થયા છે. જેમાં કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી, કનૈયાલાલ મુનશી, વિજયરાય વૈદ્ય, અનંતરાય રાવળ, રમેશ ત્રિવેદી, બહેચરભાઈ પટેલ વગેરેએ પણ એ દિશામાં કાર્ય કર્યું છે. ધીરુભાઈ ઠાકરે પણ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ આપ્યો છે. તેની અનેક આવૃત્તિઓ થઈ છે. ગુજરાતી સાહિત્યના ધીરુભાઈના ઊંડો, વ્યાપક અને નિષ્ઠાભર્યો અધ્યયનનો તે સબળ સંકેત આપે છે. ‘રસ અને રુચિ’, ‘સાંપ્રત સાહિત્ય’, ‘પ્રતિભાવ’, ‘વિક્ષેપ’, ‘વિભાવિતમ્’, ‘મણિલાલ નભુભાઈ’, ‘Manilal Dvivedi’, ‘નાટ્યકળા’, ‘અભિજ્ઞાન’, ‘શબ્દ અને સંસ્કૃતિ’ – પુસ્તકોમાંથી વિવેચક ધીરુભાઈની છબી ઊપસી આવે છે. તેમાં સાહિત્યકારો, સાહિત્યકૃતિઓ, સાહિત્યપ્રકારો, સાહિત્યિક મુદ્દાઓ અને સમસ્યાઓને અનુલક્ષીને વિવેચનલેખો લખાયા છે. તેમનું ઉપનામ સવ્યસાચી. એ ઉપનામથી ‘ગુજરાત સમાચાર’ દૈનિકમાં ‘સાહિત્ય અને સંસ્કાર’ નામની કૉલમ લખતા હતા. એના દ્વારા ‘રંગ કસુંબી’, ‘દ્રષ્ટા અને સ્રષ્ટા’, ‘શબ્દમાધુરી’, ‘સંસ્કારમાધુરી’, ‘સત્સંગમાધુરી’ અને ‘અંગત-બિનંગત’ જેવા ગ્રંથો પ્રાપ્ત થયા. ધીરુભાઈએ ઇંગ્લૅન્ડ-યુરોપ અને અમેરિકાનો પ્રવાસ કરેલો. તે પ્રવાસની માહિતી ‘સફર સો દિવસની’ પુસ્તકમાંથી સાંપડે છે. ધીરુભાઈએ મણિલાલના જીવનને આલેખતું ‘ઊંચો પર્વત, ઊંડી ખીણ’ નાટક આપ્યું છે. તો ‘બે બાળનાટકો’ પણ તેમણે લખેલું ઉત્તમ પુસ્તક છે. તેમની કલમ જીવનચરિત્ર-આલેખનમાં પણ ચાલી છે. ‘મણિલાલ નભુભાઈ : જીવનરંગ’માં મણિલાલનું જીવનચરિત્ર છે. તો ‘પરંપરા અને પ્રગતિ’માં શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું જીવનચરિત્ર છે. ‘સ્મરણમાધુરી’માં તેમણે સંસ્મરણો લખ્યાં છે. ‘સમાજલક્ષી મનોવિજ્ઞાન’, ‘ગૌતમબુદ્ધ’ તેમણે કરેલા અનુવાદો છે. ‘કરુણપ્રશસ્તિ કાવ્યો’, ‘મારી હકીકત’, ‘આપણાં ખંડકાવ્યો’, ‘ચંદ્રહાસ આખ્યાન’, ‘કાવ્યસંચય-૨’ તેમણે કરેલાં સંપાદનો છે. ગુજરાતી શિષ્ટ સાહિત્યિક સામયિકોની સૂચિ ધરાવતા ગ્રંથો પણ તેમણે આપ્યા છે. ધીરુભાઈએ પ્રાકૃત-સંસ્કૃતના ગ્રંથોનો અંગ્રેજી અનુવાદ કર્યો છે. ૧૯૪૨માં તેમણે ‘ગણધરવાદ’ અને ૧૯૪૭માં ‘નિહ્‌નવવાદ’ નામે અનુવાદના પુસ્તકો આપ્યાં. જેમાં ‘સુદર્શન અને પ્રિયંવદા’, ‘જ્ઞાનસુધા’ અને ‘સમાલોચક’ને ગણાવી શકાય. તેમણે ‘અભિનેય નાટકો’ની સૂચિનું પણ મહત્ત્વનું પુસ્તક આપ્યું છે. મ.ન. દ્વિવેદીના સમગ્ર સાહિત્યને આવરી લેતા ગ્રંથો ૧ થી ૮ ભાગમાં તેમણે સંપાદન કરી આપ્યા છે. ગુજરાતી ભાષામાં વિશ્વકોશ પ્રથમ વાર તૈયાર થયો અને તેના ૨૫ ગ્રંથો પ્રકાશિત થઈ ગયા છે. તેના પ્રમુખ સંપાદક તેઓ છે. તેમને ગુજરાત સાહિત્ય અકાદમીનો ગૌરવ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય સભાનો રણજિતરામ સુવર્ણચંદ્રક, વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર, વિદ્યા વિકાસ ટ્રસ્ટનો સારસ્વત પુરસ્કાર એનાયત થયા છે. તેમણે ૧૯૫૬ થી ૧૯૭૧ સુધી અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માટેની નાટ્યતાલીમ શિબિરનું સંચાલન કરેલું. રૂપક સંઘ નામની નાટ્યસંસ્થાના સ્થાપક, ગુજરાત લેખક મિલનના મંત્રી, ગુજરાતીના અધ્યાપક સંઘના પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદના ત્રીસમા અધિવેશનના વિવેચન વિભાગના પ્રમુખ થયેલા. ગુજરાતી સાહિત્ય : એકવીસમી સદીનાં પરિબળો અને પડકારો ગુજરાતની આ સર્વોચ્ચ સાહિત્યસંસ્થાના પ્રમુખ તરીકે મારી સર્વાનુમતે વરણી કરવા બદલ હું આપનો અંતરથી આભાર માનું છું. ગોવર્ધનરામ, ગાંધીજી, મુનશી અને ઉમાશંકર જેવા મનીષીઓની પંગતમાં બેસવાની મારી યોગ્યતા નથી; પણ તેમને ચરણે બેસીને, સાહિત્યરસિકોનો પ્રેમ અને સદ્‌ભાવપૂર્ણ સહકાર મેળવીને, પ્રમુખપદની જવાબદારી અદા કરી શકીશ એવી શ્રદ્ધા સાથે અહીં ઉપસ્થિત છું. વિસનગર સાથે મારે જૂનો સ્નેહસંબંધ છે. કૉલેજમાં ભણતો ત્યારે રજાઓમાં અમે કેટલાક મિત્રો અહીં આવતા; અમારા એક મિત્રે સિદ્ધપુરથી અહીં આવીને બાલમંદિર શરૂ કર્યું હતું. તેમના દ્વારા સ્વ. સાંકળચંદભાઈ પટેલનો પરિચય થયેલો. સમાજસેવા ઉપરાંત સાહિત્ય, શિક્ષણ અને નાટકની પ્રવૃત્તિઓ ચાલતી. જયશંકરભાઈ (‘સુંદરી’) નિવૃત્ત થઈને વિસનગર રહેતા હતા. એક વાર જયશંકરભાઈએ દુર્ગેશ શુક્લનું નાટક અહીંના કાર્યકર્તાઓ પાસે ભજવાવેલું. તેમાં સાંકળચંદ પણ ઊતરેલા. ૧૯૪૨ની લડત દરમ્યાન ગોવિંદરાવ ઉત્રાણકરને ગોળી વાગી (અને પાછળથી તે શહીદ થયા) તે દિવસે હું અહીં હતો. આઝાદીની લડતમાં સમાજસુધારા અને સહકારનાં ક્ષેત્રોમાં તથા શિક્ષણ અને સંસ્કારની પ્રવૃત્તિઓમાં પણ ઉત્તર ગુજરાતમાં વિસનગર હંમેશાં આગળ રહ્યું છે. વિસનગરની પ્રજામાં રાજકીય જાગૃતિ ઉપરાંત એક પ્રકારની સાંસ્કારિક સભાનતા (awareness) છે. જેને લીધે લોકહિતનાં કામોમાં સૌ સાથે મળીને પુરુષાર્થ કરે છે. આધુનિક વિસનગરના શિલ્પી સાંકળચંદ પટેલમાં સમર્પણભાવે ઉદ્યમ કરવાની અને વિવિધ સેવાકાર્યોમાં આગેવાની લઈ, અનેકોને એમાં જોતરીને, લીધેલું કામ પાર પાડવાની અજબ ધગશ, હિંમત અને સૂઝ હતી. ગુજરાતી સાહિત્ય ઉપર આ ચાર ચોપડી ભણેલા વ્યવહારપુરુષનો મોટો ઉપકાર છે. છેલ્લાં ચૌદ વર્ષથી અમદાવાદમાં ગુજરાતી વિશ્વકોશ તૈયાર કરવાની પ્રવૃત્તિ ચાલે છે તેના પાયામાં સાંકળચંદભાઈની સહાય અને પ્રેરણા રહેલી છે. હવે તેમનું કામ શ્રી ભોળાભાઈ અને શાન્તાબહેન સંભાળે છે. ગુજરાતી સાહિત્ય પરિષદનું અધિવેશન આવા ઉત્તમ સાંસ્કારિક માહોલ ધરાવતા કેન્દ્રમાં ભરાય છે તે આનંદપ્રદ સુયોગ ગણાય. ૨ અમદાવાદની યંગમેન્સ યુનિયન નામની સંસ્થાને ઉપક્રમે ૧૮૯૭ના ઉનાળામાં કવિશ્રી ન્હાનાલાલે ‘આપણું વર્તમાન કર્તવ્ય’ એ વિષય પર વ્યાખ્યાન આપેલું તે ન્હાનાલાલનો પ્રથમ ગદ્યલેખ હતો. તેમ એ સંસ્થાએ યોજેલો પ્રથમ કાર્યક્રમ હતો. રણજિતરામના પ્રયાસથી ૧૯૦૩ના જાન્યુઆરીમાં યંગમેન્સ યુનિયનમાંથી સોશિયલ ઍન્ડ લિટરરી ઍસોસિયેશન થયું. એ જ વર્ષના એપ્રિલ માસમાં તેમાંથી ગુજરાત સાહિત્ય સભા જન્મી. આ સંસ્થાએ ગુર્જર સાક્ષર જયન્તીઓ ઊજવવા ઉપરાંત ૧૯૦૫માં પ્રથમ ગુજરાતી સાહિત્ય પરિષદ ભરી હતી. તેના પ્રમુખ તરીકે ગોવર્ધનરામ ત્રિપાઠીની વરણી થયેલી. તેમણે વાવેલા બીજમાંથી આજે સાહિત્ય પરિષદ વટવૃક્ષ રૂપે ફાલી છે. પરિષદના પ્રણેતા રણજિતરામના મનમાં પરદેશમાં ભરાતી ‘ઓરિયેન્ટલ કૉંગ્રેસ’ના જેવી સાહિત્યના વિવિધ પ્રશ્નોની વ્યવસ્થિત છણાવટ કરનાર વિદ્વત્‌મંડળીની સ્થાપના કરવાનો ખ્યાલ હતો. તે વખતે તેમની નજર સમક્ષ બંગ પરિષદ, નાગરી પ્રચારિણી સભા અને તમિળ સાહિત્ય સભા જેવાં મંડળો પણ હતાં. ગોવર્ધનરામે તેનો પ્રારંભ સાહિત્યચર્ચામાં વરતાતા ‘તાલબન્ધ’ અને ‘તાલભંગ’નો નિર્દેશ કરીને ગુજરાતી સાહિત્યનાં ૧૮૫૦ સુધીનાં પાંચ પર્વોના પરિચયરૂપ વક્તવ્યથી કરેલો. રણજિતરામે સાહિત્ય પરિષદને ‘ગુજરાતના સાર્વજનિક જીવનની પહેલી મોટી પ્રવૃત્તિ’ તરીકે ગણાવીને “તેનું કર્તવ્ય પ્રજામાં નવીન પણ વિરલ spirit જગાવવાનો છે; … જ્ઞાનના સર્વ પ્રદેશ ગુજરાતીઓ માટે ખુલ્લા કરી જગતના ઇતિહાસમાં તેઓ ઉચ્ચસ્થાન મેળવે એવી મહત્ત્વાકાંક્ષા એમનામાં ઉત્તેજવાની છે” – એમ તેની સ્થાપના વખતે સ્પષ્ટતા કરી હતી. પરિષદનું સુકાન ૧૯૧૭ સુધી રણજિતરામના હાથમાં હતું. પછી તે રમણભાઈ નીલકંઠ અને આનંદશંકર ધ્રુવના હાથમાં આવ્યું. ૧૯૨૮થી ૧૯૫૫ સુધી તેનો વહીવટ કનૈયાલાલ મુનશીના હાથમાં રહ્યો. ગુજરાતના સાંસ્કારિક પ્રભાવની ઝાંખી કરાવવાનો પ્રયત્ન તેમણે પોતાનાં ત્રણેય (૧૯૩૭, ૧૯૪૯, ૧૯૫૫) પ્રમુખીય વ્યાખ્યાનોમાં કરેલો જોવા મળે છે. મુનશીની પહેલાં (૧૯૩૬) ગાંધીજી પરિષદના પ્રમુખ હતા. તેમણે સાહિત્યને ગ્રામજનતાની અભિમુખ કરવાનો અનુરોધ કર્યો હતો. શેગાંવનાં હાડપિંજરોનો નિર્દેશ કરીને પીડિતોની વ્યથાને લક્ષમાં રાખવાની શીખ આપતી વખતે તેમને ગળે ડૂમો ભરાઈ ગયો હતો. કોશિયો પણ સમજે તેવું – માનવતાની મહેકવાળું, વિશાળ હૃદયનો સ્પર્શ કરાવતું – સાહિત્ય સર્જવાની તેમણે હિમાયત કરેલી. બીજી બાજુ પોતે ‘ડેમૉક્રૅટ’ હોવા છતાં, સાહિત્ય પરિષદ જેવી સંસ્થા ‘ડેમૉક્રસી’ના બધા નિયમો પાળી ન શકે, અને એવા ધોરણે સાહિત્યસંસ્થા ચલાવવામાં આવે તો ‘મૉબૉક્રસી’ થાય એમ પણ ગાંધીજીએ કહ્યું હતું. ૧૯૫૫માં ઉમાશંકર જોશી, યશવંત શુક્લ, જયંતિ દલાલ અને બીજા યુવાન સાહિત્યકારોએ પરિષદના એકહથ્થુ સંચાલનનો વિરોધ કરીને મુનશી પાસેથી તેનો વહીવટ સંભાળી લીધો. નવું બંધારણ ઘડાયું. તેના નિયમ મુજબ લોકશાહી ઢબે આજે તેનું સંચાલન થાય છે. તેમાં ‘વ્યક્તિ નહિ પણ સાહિત્યને અગ્રસ્થાન આપવાનો’ આગ્રહ રખાય છે. છેલ્લા બેઅઢી દાયકા દરમ્યાન ગુજરાતી સાહિત્ય પરિષદે નોંધપાત્ર પ્રગતિ કરી છે. પરિષદનું પોતાનું મકાન અમદાવાદમાં આશ્રમરોડ પર સાબરમતીને કિનારે બંધાયું છે. જેમાં કાર્યાલય ઉપરાંત ગ્રંથાલય, સ્વાધ્યાયમંદિર, વ્યાખ્યાનખંડો, નાનકડું થિયેટર અને અતિથિગૃહ વગેરેનો સમાવેશ થાય છે. ક. લા. સ્વાધ્યાયમંદિરમાં અનુસ્નાતક તેમજ અન્ય નિમિત્તે અધ્યયન-સંશોધનનું કેન્દ્ર ચાલે છે. પરિષદ તરફથી ગુજરાતી સાહિત્યકોશ ત્રણ ખંડમાં પ્રગટ થયો છે. ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ તૈયાર થઈ રહ્યો છે. તે ઉપરાંત વિવિધ પ્રકારના સાહિત્યસર્જનને ઉત્તેજન મળે તે માટે મળેલાં ભંડોળોમાંથી દર વર્ષે સંખ્યાબંધ પારિતોષિકો અપાય છે. પરિષદ તરફથી માસિક મુખપત્ર ‘પરબ’ પ્રગટ થાય છે. વચ્ચે કેટલોક સમય ‘ભાષાવિમર્શ’ ત્રૈમાસિક પણ ચલાવેલું. પ્રસંગોપાત્ત, તેને ઉપક્રમે પ્રકાશનપ્રવૃત્તિ પણ ચાલતી રહેલી છે. ગુજરાતમાં અને ગુજરાત બહાર વિવિધ સ્થળોએ પરિષદનાં સંમેલનો અને જ્ઞાનસત્રોનું આયોજન થતું હોવાથી તે તે સ્થળે ગુજરાતી સાહિત્યની હવા જામતાં પ્રજાને ગુજરાતની અસ્મિતાનો સ્પર્શ થતો રહે છે. ગ્રંથગોષ્ઠિ, પરિસંવાદ, કાવ્યપઠન, ગદ્યપાઠ, આસ્વાદ, પ્રશ્નોત્તરી, મુલાકાત – એમ અનેક પ્રકારના સાહિત્યિક કાર્યક્રમો પરિષદને ઉપક્રમે બારેમાસ ચાલે છે. તેથી સર્જન-વિવેચન-ભાવનાનું પોષણ-સંવર્ધન થતું રહે છે. સર્જન માટેની પ્રતિભા ઉત્પન્ન કરી શકાતી નથી. તે ઈશ્વરદત્ત છે, સહજસિદ્ધ હોય છે; પરંતુ પ્રતિભાના ઉદ્દીપનનો, તેના બીજની યોગ્ય માવજતનો પ્રબંધ જરૂર થઈ શકે. પરિષદની ઉપર ગણાવેલી પ્રવૃત્તિઓ સાહિત્યપદાર્થને ચળકતો રાખવાના પ્રયત્નરૂપ છે એમ કહી શકાય. તેનાથી આગળ જઈને પરિષદ નીચે ઉલ્લેખેલી કેટલીક પ્રવૃત્તિઓ પણ હાથ પર લઈ શકે : (૧) સાહિત્ય પરિષદનું કામ ગુજરાતની અસ્મિતાની જાળવણીનું છે. આપણે ત્યાં સાહિત્યિક પ્રવૃત્તિ કરતી નાનીમોટી અનેક સંસ્થાઓ છે; કલા અને સંસ્કૃતિનો વિકાસ લક્ષતાં કેન્દ્રો ચાલે છે; સાતઆઠ યુનિવર્સિટીઓ છે; પરંતુ રણજિતરામ જેના અવતારરૂપ ગણાયેલ તે ગુજરાતની અસ્મિતાનો સર્વતોમુખ પ્રાદુર્ભાવ દર્શાવે તેવું अस्मिताभवन બંધાવાનું બાકી છે; જ્યાં પગ મૂકતાં જ ગુજરાતના સાંસ્કૃતિક વ્યક્તિત્વની ઓળખ થઈ જાય; જ્યાં ગુજરાતનાં સાહિત્ય, સંસ્કૃતિ, ઇતિહાસ, લોકકલા વગેરેને લગતી અદ્યતન અને અધિકૃત માહિતી તત્કાળ ઉપલબ્ધ થાય; જ્યાં વિવિધ પ્રકારનાં અને સ્તરનાં સ્વાધ્યાય-સંશોધનનાં કામ ચાલતાં હોય; જ્યાં ગુર્જર સાહિત્ય અને સંસ્કૃતિની પરંપરાને જીવંત કરતી નાટ્ય, નૃત્ય, સંગીત આદિ મંચનકલાઓથી ધબકતું કેન્દ્ર હોય; જ્યાં પ્રથમ પંક્તિનું સાંસ્કૃતિક સંગ્રહાલય હોય અને સૌથી વિશેષ તો, ગુજરાતી ભાષામાં છપાયેલાં તમામ પુસ્તકો અને અપ્રગટ સાહિત્યની હસ્તપ્રતો જ્યાં સંગૃહીત હોય. પરિષદ તરફથી સાહિત્ય, કલા અને સંસ્કૃતિની માવજત કરતાં આ પ્રકારનાં સંસ્કારકેન્દ્રો મહારાષ્ટ્ર અને બંગાળની જેમ ગુજરાતમાં પણ મહત્ત્વનાં સ્થળોએ સ્થાપી શકાય. (૨) ગુજરાતની તમામ સાહિત્યિક સંસ્થાઓનું સંકલન ગુજરાતી સાહિત્ય પરિષદને આગળ કરીને – કેન્દ્રમાં રાખીને – થઈ શકે. સૌ સાહિત્યપ્રેમીઓ અને સંસ્થાઓ સાહિત્યના ઉત્કર્ષનો કાર્યક્રમ સાથે મળીને ઘડે ને અમલમાં મૂકે. (૩) ગુજરાતી સાહિત્યની શ્રેષ્ઠ ગણાતી કૃતિઓનું અંગ્રેજીમાં ભાષાંતર કરવાનું કામ પ્રકલ્પ (project) તરીકે હાથ ધરીને ગુજરાતી સાહિત્યની સંપત્તિ બીજી ભાષાઓમાં જલદી સુલભ થાય એવી વ્યવસ્થા કરવામાં આવે. (૪) તમામ શિષ્ટમાન્ય સાહિત્યકારોનાં અદ્યતન અને પ્રમાણભૂત ચરિત્રો રચાવીને પ્રસિદ્ધ કરવામાં આવે. (૫) કવિતા, નાટક, નવલકથા, ટૂંકી વાર્તા, નિબંધ અને ચરિત્ર એ દરેક સાહિત્યપ્રકારનો, સ્વરૂપ અને વિકાસનું વિગતે નિરૂપણ કરતો, અધિકૃત ગ્રંથ અલગ તૈયાર કરાવાય. (૬) ગુજરાતી ભાષામાં સાહિત્યશાસ્ત્રનું વિશદ નિરૂપણ કરતા વિવિધ પ્રકાર અને અભિગમ ધરાવતા મૌલિક મીમાંસાગ્રંથો ઉપલબ્ધ થાય એવું પ્રયોજન કરવામાં આવે. (૭) અધ્યયન-સંશોધનને ઉપકારક જ્ઞાનસાધનો તૈયાર કરવા માટે ખાસ પ્રબંધ કરવામાં આવે. પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કોશ અને સૂચિનું કેટલુંક કામ થયું છે; પણ વિષયવાર પરિભાષાકોશ, સંસ્કૃતિકોશ, નાટ્યકોશ, મીમાંસાકોશ વગેરે ઉપરાંત સાહિત્યિક સામયિકોમાં દટાયેલી સામગ્રીની સંદર્ભસૂચિઓ વ્યવસ્થિત ધોરણે તૈયાર કરવાનો ઉપક્રમ પરિષદ દ્વારા હાથ ધરી શકાય. આ પ્રકારનાં કાર્યો પરિષદ દ્વારા ચાલતા સંસોધનકેન્દ્રમાં અગ્રતાક્રમે તૈયાર થઈ શકે. તે માટે જે તે ક્ષેત્રના શ્રેષ્ઠ વિદ્વાનોનો સક્રિય સહકાર ઉપલબ્ધ થાય. ગુજરાતના ઉત્તમ કોટીના વિદ્વાનોની સેવાનો લાભ પરિષદને સતત મળ્યા કરે એ આદર્શ સ્થિતિ છે. પરિષદની સ્થાપના વખતે ‘સાહિત્યનો બને તેટલો બહોળો વિસ્તાર કરવો અને તેને લોકપ્રિય કરવું’ એવો ઉદ્દેશ રજૂ થયેલો. અહીં ‘વિસ્તાર’ એટલે વિપુલતા નહિ પણ વિશાળતા – વ્યાપકતા – સર્વના હૃદયને સ્પર્શે તેવી સર્વજનીનતા – universality – એવો અર્થ અભિપ્રેત છે. લોકપ્રિયતા એટલે લોકરુચિને સંસ્કારે તેવો ગુણ, વાચક અને લેખક વચ્ચે આનંદનો સેતુ બાંધી આપે તેવું – દૃષ્ટિનો ક્ષિતિજવિસ્તાર સાધી આપે તેવું સાહિત્ય અભીષ્ટ છે. ઉચ્ચ ગુણવત્તા ધરાવતું વિપુલ સાહિત્ય વિશાળ લોકસમુદાયમાં વહેતું થાય તે માટે આપણો પ્રયત્ન હોવો જોઈએ એમ હું સમજું છું. સાહિત્યનો ઉત્કર્ષ સર્જક અને ભાવકના સંયુક્ત પુરુષાર્થથી થાય છે. સર્જક અને તેની કૃતિ ઉપરાંત સમાજ અને ભાવક પણ સાહિત્યનિર્માણમાં સામેલ હોય છે. આસપાસના જીવનના પરિવેશથી જાગેલી સર્જકની સંવેદના શબ્દ રૂપે ભાવકની ચેતના સાથે એકાત્મતા સાધીને આનંદપર્યવસાયી અનુભવ રૂપે મૂર્ત થાય છે. એટલે સર્જક ઇચ્છે કે ન ઇચ્છે. સાહિત્યસર્જનમાં કર્તા ઉપરાંત સમાજ અને ભાવકની ઓછીવત્તી સંડોવણી (involvement) અનિવાર્ય બને છે. ગુજરાતી સાહિત્યમાં તેનું દૃષ્ટાન્ત આધુનિકો અને અનુઆધુનિકોનું વલણ ગણાવી શકાય. સમાજથી દૂર રહીને, એકદંડિયા મહેલમાં બેસીને, કવિતા, વાર્તા કે નવલકથા રચતા આધુનિકવાદી સર્જકોની કૃતિઓ લોકસમુદાય સુધી તો ઠીક, પણ સુજ્ઞ સાહિત્યરસિકો સુધી પણ પહોંચી શકી નહિ. તેની પ્રતિક્રિયા રૂપે હોય તેમ, અનુઆધુનિકો, અને આધુનિકોમાંના પણ કેટલાક, પછીથી લોકાભિમુખ સર્જનો લઈને આવે છે. જીવનની નક્કર વાસ્તવિકતા તેમના કવનનો મુખ્ય વિષય બને છે. આ ઉપરથી એમ કહી શકાય કે લોકપ્રિયતા કે તેનો અભાવ ઉચ્ચ કોટીના સર્જનનો માનદંડ નથી; પણ ઉદાત્ત લોકગમ્ય કલાનું નિર્માણ ઉચ્ચ કોટીના સર્જનનું એક મહત્ત્વનું લક્ષ્ય કે લક્ષણ બની શકે છે. સર્જક સમાજાભિમુખ બને તે આવશ્યક છે તો સમાજ સાહિત્યાભિમુખ બને તે પણ એટલું જ આવશ્યક છે. સમાજની સાહિત્યિક રુચિ ઘડાય અને સર્જકને સહૃદય ભાવકનો સબળ પ્રતિભાવ પ્રાપ્ત થતો રહે તે સામાજિક સ્વાસ્થ્યની નિશાની છે. એમ કહેવાય છે કે બંગાળી અને મરાઠી પ્રજાને મુકાબલે ગુજરાતી પ્રજાની સાહિત્ય પ્રત્યે અભિરુચિ ઓછી છે. સાહિત્યિક ગુણવત્તાવાળાં પુસ્તકો કે સામયિકો ખરીદવાનો રસ સરેરાશ ગુજરાતીને ઓછો હોય છે; જોકે સસ્તું મનોરંજન પૂરું પાડતાં વાર્તાનાં પુસ્તકો કે સામયિકો પાછળ તે ખર્ચ કરે છે. કેટલીક વાર એને તેનું વ્યસન જેવું વળગણ પણ રહે છે. પરિણામે સત્ત્વહીન સાહિત્યની માગ વધતાં નિકૃષ્ટ કોટીના સાહિત્યનું ઉત્પાદન વધતું જાય છે અને શિષ્ટ સાહિત્યને યોગ્ય પ્રમાણમાં ઉત્તેજન મળતું નથી. નાનકડા સંસ્કારી વર્ગ પૂરતો જ તેવા સાહિત્યનો ફેલાવો સીમિત રહે છે. એવું જ ગુજરાતી નાટકોની બાબતમાં છે. ગલગલિયાં કરતાં નાટકો મહિનાઓ સુધી ચાલે ને ઉત્તમ અભિનય અને વિશિષ્ટ નિર્માણ-દિગ્દર્શનના નમૂનારૂપ શિષ્ટ ગંભીર નાટકોની ઉપેક્ષા સેવાય! આ વિષમ પરિસ્થિતિની અસર કલાકૃતિની ગુણવત્તા પર અને તેનાથીયે વિશેષ સમગ્ર પ્રજાની સાંસ્કૃતિક અસ્મિતા પર પડે છે. ગુજરાતી પ્રજા આ વિષચક્રમાંથી વહેલી તકે બહાર આવે તે જરૂરનું છે. ૩ નવી આવી રહેલી એકવીસમી સદીને આવકારવા માટે દુનિયામાં ચોતરફ ઉત્સાહ અને ઉત્સુકતા પ્રગટ થઈ રહ્યાં છે. નવો સૈકો કે સહસ્રાબ્દ શરૂ થવાની સાથે જ એકાએક રાતોરાત ફેરફાર થવાનો નથી. પણ છેલ્લા બેત્રણ દસકા દરમ્યાન સર્વ ક્ષેત્રે જોવા મળતાં પરિવર્તનોએ દુનિયાના દરેક દેશના લોકોને નવા સહસ્રાબ્દ(millennium)ના ચહેરામહોરા વિશે વિવિધ પ્રકારનાં અનુમાનો કરવા પ્રેર્યા છે અને તેને અંગે નાનીમોટી ગણતરીઓ પણ થવા લાગી છે. એકવીસમી સદી અને ત્રીજી સહસ્રાબ્દી ઈ. સ. ૨૦૦૦થી શરૂ થશે કે ૨૦૦૧થી એ વિશે પણ વિવાદ ચાલ્યો છે. ખગોળશાસ્ત્રીઓના અધિકૃત અભિપ્રાય મુજબ તે ૨૦૦૧ના જાન્યુઆરીની પહેલી તારીખથી શરૂ થાય છે. કમ્પ્યૂટરની વ્યવસ્થાને લક્ષમાં રાખીને પશ્ચિમના દેશોમાં ઈ. સ. ૨૦૦૦થી નવા સૈકાને આવકારવાની તૈયારી થઈ રહી છે. નવા ‘મિલેનિયમ’ની ઉજવણીના અંગ રૂપે ‘ગિનેસ બુક : ૨૦૦૦’ તો પ્રગટ પણ થઈ ચૂકી છે. ગુજરાત રાજ્યે ૩૧ ડિસેમ્બર, ૧૯૯૯ની મધરાતથી નવા સહસ્રાબ્દ માટેના સ્વાગતોત્સવની ઉજવણી માટે એક કરોડ રૂપિયા ફાળવ્યા છે. વર્તમાનપત્રોએ વિવિધરંગી પૂર્તિઓ પ્રગટ કરીને નવી સદીને ધામધૂમથી વધાવવાનું શરૂ કરી દીધું છે. આ પરિસ્થિતિમાં થોડા દિવસ બાદ શરૂ થનાર એકવીસમી સદીનાં પરિબળો અને ગુજરાતી સાહિત્ય સમક્ષ તેને કારણે ઊભા થનાર પડકારોનો વિચાર અત્યારે કરી લઈએ તો તે અસ્થાને નહિ લાગે. વિશ્વના ફલક ઉપર વૈજ્ઞાનિક સંશોધનોએ એવી હરણફાળ ભરી છે કે આગામી સૈકામાં માણસની જીવનશૈલી અને પ્રવૃત્તિમાં આમૂલ ફેરફાર થઈ જશે એમ સ્પષ્ટ દેખાય છે. આ ફેરફાર માનવસમાજની સુખસગવડમાં વૃદ્ધિ કરનારો હશે તો બીજી તરફ તેના અસ્તિત્વને ભૂંસી નાખે તેવાં ભયંકર પરિણામો લાવનારો નીવડવાનો સંભવ પણ છે. થોડાંક દૃષ્ટાન્તો લઈએ. સુપરસોનિક વિમાનો, પ્રતિજૈવિક (antibiotic) ઔષધો, કૃત્રિમ (synthetic) રેસાઓનાં વસ્ત્રો, વીજાણુમાધ્યમો, અવકાશ-ઉપગ્રહો, માનવીના મગજ કરતાં ત્વરિત પ્રતિભાવ આપતું અને વ્યવહારની અટપટી ગૂંચોને આંખના પલકારમાં ઉકેલી આપતું કમ્પ્યૂટર, માનવીની અવેજીમાં બધી ફરજ બજાવતો યંત્રમાનવ (robot) : આ બધી આજે તુરત નજરે ચડે એવી સિદ્ધિઓ છે. આ શોધોનું જમા પાસું એ છે કે વિજ્ઞાન અનેક રોગો પર કાબૂ મેળવી શક્યું છે, તેથી માણસનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. એકવીસમી સદીમાં શરીરને ઘરડું થતું અટકાવવાનોયે પ્રયોગ થશે. વિજ્ઞાન वृद्धत्वं जरसा विना એ ઉક્તિ પણ કદાચ ચરિતાર્થ કરી બતાવશે. આવતા સૈકામાં કેટલાક અસાધારણ ફેરફાર થવાના છે. તેના મૂળમાં જ્ઞાનવિસ્ફોટ રહેલો વરતાશે. એલ્વિન ટોફલરે તેના પુસ્તક ‘ફ્યૂચર શૉક’માં કહેલું કે “માહિતીરૂપ જ્ઞાન એ જ શક્તિ બનશે. જેને તે વહેલું પ્રાપ્ત થશે તે શક્તિશાળી બનશે” તે સાચું પડતું રહ્યું છે. માહિતીતંત્ર (information technology)માં થયેલાં નવાં નવાં સંશોધનોએ આખી માનવજાતને એકકેન્દ્ર કરી દીધી છે. દુનિયા જાણે કે નાની બની ગઈ છે. પૃથ્વીના એક છેડે બનતી ઘટના થોડીક ક્ષણોમાં જ બીજા છેડે પહોંચી જાય છે; એટલું જ નહિ, તેના પ્રતિભાવો વિવિધ દિશાઓમાંથી તત્કાળ ઉપલબ્ધ થઈ જાય છે. તેને લીધે વિભિન્ન સમાજો, સમુદાયો, સંસ્કૃતિઓ અને સાંસ્કારિક પ્રણાલીઓ વચ્ચેનું આદાન-પ્રદાન ઝડપી અને ઘનિષ્ઠ બન્યું છે. ધર્મ, સમાજ, શિક્ષણ, સાહિત્ય, કલા અર્થકારણ, રાજકારણ, વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન વગેરે ક્ષેત્રોના વિકાસની ક્ષિતિજો વિસ્તરીને એકબીજીમાં એકાકાર થતી દેખાય છે. જ્ઞાન-વિજ્ઞાનના આ અદ્‌ભુત મિલન-મિશ્રણમાંથી એક અનોખી વિશ્વસંસ્કૃતિ આકાર લઈ રહી છે. આ વિશિષ્ટ વૈશ્વિકીકરણે (globalization) વાણિજ્ય-વેપાર માટે દેશદેશનાં દ્વાર ખોલી આપ્યાં તો બીજી તરફ ભાષા, દેશ, કોમ કે રંગ અંગેના રાગદ્વેષ નહિ છોડી શકેલો આજનો માનવી ન ઇચ્છે તોપણ ‘વિશ્વમાનવી’ બની ચૂક્યો છે. કવિશ્રી ઉમાશંકરે ગાંધીયુગના સંદર્ભમાં ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ જે ભાવનાથી કહેલું તેનાથી જુદા જ ભાવસંદર્ભમાં, આજનો માનવી પૃથ્વીના પટ પર પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાના હેતુથી, વખાનો માર્યો, ‘વિશ્વમાનવી’ બન્યો છે. તેણે જીવવું હશે તો આસપાસની સૃષ્ટિ અને સંકુલ દુનિયાની જાણકારી મેળવ્યા વિના છૂટકો નથી. એટલે તેને રેડિયો, ટેલિવિઝન, ઉપગ્રહ, વર્તમાનપત્ર અને વિશ્વકોશ જેવાં સાધનોનો આશ્રય લઈને દોડતી દુનિયા સાથે ‘તાલ સે કદમ’ મિલાવવા પડે છે. દરેક સમાજની પ્રગતિ, સમૃદ્ધિ અને સંસ્કૃતિનું માપ તેની જ્ઞાનસજ્જતા અને ઉપલબ્ધ જ્ઞાનસાધનોની વિપુલતા પરથી નીકળે છે. શિક્ષણની આ પ્રક્રિયા સંસ્કારી સમાજમાં સતત ચાલતી હોય છે. વિજ્ઞાનની દોડમાં ભારત અને ગુજરાત પાછળ પડે તેમ નથી. પ્રસિદ્ધ ભારતીય વિજ્ઞાની ડૉ. અબ્દુલ કલામ અને ડૉ. વી. એસ. રાજન્ તેમના પુસ્તક ‘ઇન્ડિયા ૨૦૨૦ : એ વિઝન ફૉર ધ ન્યૂ મિલેનિયમ’માં દર્શાવે છે કે બે દશકામાં ભારત પ્રથમ હરોળનું રાષ્ટ્ર બની શકશે. દુનિયાના ઘણા દેશો માનતા હતા કે વસ્તીવિસ્ફોટને કારણે ભારત કૃષિક્ષેત્રે કદી સ્વાવલંબી થઈ શકશે નહિ, તેના હાથમાં સદાય ભિક્ષાપાત્ર રહેવાનું છે; પરંતુ ભારતે હરિયાળી ક્રાન્તિ કરીને આ માન્યતાને ખોટી પાડી છે. અવકાશક્ષેત્રે પણ તેણે કરેલી પ્રગતિ અસાધારણ છે. તેમાં ડૉ. વિક્રમ સારાભાઈ અને ‘ઇસરો’ સંસ્થાનું અપ્રતિમ પ્રદાન છે જ. જૈવ રાસાયણિક પદાર્થ (DNA) વિશે શેફીલ્ડ યુનિવર્સિટીના ડૉ. ક્રિસ હન્ટર સંશોધન કરી રહ્યા છે. તેમાં તેમને સફળતા મળશે તો અસાધ્ય ગણાતા કૅન્સરના રોગને કદાચ નાથી શકાશે. બીજી મહત્ત્વની ઘટના તે અર્ધમાનવ-અર્ધયંત્રની શોધ છે. પ્રો. કેવિન ડૉરવિકે ડાબા હાથમાં સિલિકન ચિપનું રોપણ કરાવ્યું. તેઓ ટૅક્‌નૉલૉજીની મદદથી માણસનું સામર્થ્ય વધારીને તેને અતિમાનવ (superhuman) બનાવવા ઇચ્છે છે. તે માટે સેન્સર-પ્રયુક્તિનો ઉપયોગ કરીને તેઓ સંદેશાવ્યવહારની ટૅક્‌નૉલૉજીમાં મોટી ક્રાન્તિ સર્જવા માગે છે. તેનાથી માણસ-માણસ અને માણસ-યંત્ર વચ્ચે તત્ક્ષણ સંદેશાવ્યવહાર થશે. ભવિષ્યમાં કમ્પ્યૂટરનું રોપણ થતાં અને ચેતાતંત્રના ‘વિચારો’ કમ્પ્યૂટર સાથે જોડાતાં ચેતાતંત્રનો કમ્પ્યૂટર પર અકુંશ આવશે. તેની સહાયથી ઘેર બેઠાં બૅંકમાંના પોતાના ખાતાની રકમ જોવા મળશે. આ યોજનાનો વિકાસ થતાં પ્રત્યક્ષ વાતચીત જેવો વ્યવહાર ઊભો થશે અને મોબાઇલ ફોનનો ઉપયોગ નામશેષ થશે એમ તદ્વિદોનું માનવું છે. પછી તો તમારે બદલે તમારી મોટરકાર ઘેર રસોઇયાને સંદેશો આપશે કે તમે ઘેર પહોંચો ત્યાં સુધીમાં રસોઈ તૈયાર રાખે! ફ્રીજ દૂધવાળાને દૂધના પાત્રમાં દૂધ રેડવાની સૂચના આપશે! ગમે ત્યાંથી ગમે તે કામ માટે સૂચના આપી શકાય એવી સગવડ આવતાં પાંચ વર્ષમાં માહિતીતંત્ર દ્વારા ઉપલબ્ધ થઈ ચૂકી હશે. વનસ્પતિમાં કલમ રોપીને મૂળ છોડના સમજનીનકો (clones) પેદા કરાય છે. હવે એવું પ્રાણીસૃષ્ટિમાં શક્ય બન્યું છે. માર્ચ ૧૯૯૭માં સ્કૉટલૅન્ડના રોમેલિન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ એડિનબરોના ડૉ. કે. એચ. એચ. કૅમ્પબેલ અને તેમના સાથીદારોએ કરેલા પ્રયોગથી ‘ડૉલી’ નામની એક ઘેટી જન્મી. આ ઘેટી તેની માતાની સમજનીનક છે. તેનાં છ સમજનીનકો ઉત્પન્ન કરવામાં વિજ્ઞાનીઓ સફળ થયા છે. હવે એકીસાથે જુદી જુદી ભ્રૂણપોષી (surrogate) માતાઓના શરીરમાં એક જ માદાના શરીરમાંથી મેળવેલ ગર્ભના વિકાસ વડે સંતાનો મેળવી શકાય છે. આવા પ્રયોગ વડે, ઓછા ખર્ચે વધુ દૂધ આપતી ગાય, લગભગ રોજ ઈંડાં આપતી મરઘી અને ઉત્તમ ઊન આપતી ઘેટી જેવાં પશુઓનું ઉત્પાદન એકસાથે મોટી સંખ્યામાં મેળવવું શક્ય બન્યું છે. પ્રાણીઓની જેમ સમજનીનીકરણ (cloning) વડે માનવીનું બહુલીકરણ પણ થઈ શકે તેમ છે. તેનાથી સંતાનવિહોણી મહિલાઓ સંતાન પ્રાપ્ત કરી શકશે. વળી માનવસમાજમાં આ સંશોધન મોટો ગૂંચવાડો ઊભો કરે તેવી પણ શક્યતા છે. પ્રશ્ન એ થશે કે આ રીતે અવતરેલ માનવીનું સમાજમાં શું સ્થાન હશે? યુરોપ-અમેરિકામાં તે બાબતે ભારે ઊહાપોહ શરૂ થઈ ગયો છે. કેટલાક દેશો સમજનીનીકરણ પર કાયદાથી પ્રતિબંધ લાવવાનું વિચારે છે. કેમ કે આ શોધનો લાભ લઈને ભવિષ્યમાં નોબેલ પુરસ્કારના વિજેતાઓ, કુશળ સંગીતકારો અને ખેલાડીઓનાં સમજનીનકો બજારમાં વેચાતાં થઈ શકે! ખૂબીની વાત એ છે કે તેની જાણકારી ખુદ પ્રજનકને પણ કદાચ ન હોય! એક જ પ્રકારના ગુનેગારો અને દુષ્ટોની જમાત પણ આ જ સાધનપ્રક્રિયાથી ઊભી થવાનું જોખમ રહેલું છે. અગાઉ નિર્દેશેલ ‘ફ્યૂચર શૉક’ પુસ્તકમાં એલ્વિન ટૉફલરે ત્વરિત ગતિએ બદલાતી રહેલી જીવનશૈલીમાં શી રીતે ગોઠવાવું – આઘાત કે આંચકા ઝીલી લેવાની શક્તિ કેવી રીતે કેળવવી – તેનું માર્ગદર્શન આપ્યું છે. સામાજિક અને મનોવૈજ્ઞાનિક પરિબળોની વચ્ચે સર્વ ક્ષેત્રે સધાતા પરિવર્તનની ગતિ, તેનો વેગ, તેની અસર, તેનાં ભયસ્થાનો વગેરે સૂચવતા આંકડા ટૉફલરે આપ્યા છે. દા. ત. ૧૮૫૦માં દસ લાખ કે તેથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની સંખ્યા માત્ર ૪ હતી, જે ૧૯૦૦માં ૧૯ અને ૧૯૬૦માં ૧૪૧ થઈ. ૧૮૨૫માં વરાળ-ઊર્જાથી દોડતા ચાલક યંત્રની ગતિ કલાકના ૨૭ કિમી. જેટલી હતી તે વધતાં વધતાં ૧૯૬૦માં રૉકેટ-વિમાન ૬,૨૪૦ કિમી.ની ઝડપે દોડવા લાગ્યું અને અવકાશયાનમાં પ્રવાસ કરનાર કલાકના ૨૭,૧૮૦ કિમી.ની ઝડપે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. ઈ. સ. ૧૫૦૦ની પહેલાં દર વર્ષે આશરે ૧૦૦૦ પુસ્તકો પ્રગટ થતાં, વીસમી સદીના સાતમા દાયકામાં આ સંખ્યા દરરોજની થઈ છે. ટૉફલરે ૧૯૭૦ સુધીના આંકડા આપ્યા છે. આજે એમાં અનેકગણો વધારો થયો છે. આ ઝડપી પરિવર્તનની પર્યાવરણીય અસર ઝીલવાની ક્ષમતા કેળવવા માટે ટૉફલરે અનુકૂલન સિદ્ધાંત (theory of adaptation) ઉપસાવ્યો છે. આંધળું અનુકરણ કે આંધળો વિરોધ કર્યા વગર રચનાત્મક અભિગમ અપનાવીને સાર્વત્રિક સંતુલન જાળવી રાખવાની તેણે હિમાયત કરી છે. શ્રીમદ્‌ભગવદ્‌ગીતાએ બુદ્ધિ અને હૃદયની સમતોલતા સાચવવાનો બોધ કર્યો જ છે. ભવિષ્યમાં ખેલાનાર ન્યૂક્લિયર યુદ્ધમાં થનાર બૉંબમારાથી ૫૦ કરોડ લોકો માર્યા જશે અને તેને પરિણામે સર્જાતા ન્યૂક્લિયર શિયાળાને કારણે દુષ્કાળ પડતાં ચાર અબજ માણસો ભૂખે મરી જશે એવી પણ વિજ્ઞાનીઓની આગાહી છે. આવતી સદીમાં ન્યૂક્લિયર શસ્ત્રોનું વિકરાળ સ્વરૂપ ચાલુ સદી દરમ્યાન થયેલી હીરોશીમા અને નાગાસાકીની ખુવારી કરતાં પણ વધુ ભયંકર હશે. આજે ચાલી રહેલી પરમાણુશસ્ત્રોની સ્પર્ધા રાજકીય તણાવને રોકવામાં મદદરૂપ થશે કે કેમ એ પ્રશ્ન છે. આ ભયસ્થાન પ્રત્યે આપણા ‘યુગમૂર્તિ’ નવલકથાકાર રમણલાલ દેસાઈએ પચાસ વર્ષ પહેલાં ‘પ્રલય’ નવલકથા લખીને ધ્યાન દોર્યું હતું. તેમણે ભવિષ્ય ભાખેલું કે ૨૧મી સદીમાં (ઈ. સ. ૨૦૦૬ની સાલમાં) જગત બે ધરીમાં વહેંચાઈ જશે : એક મુત્સદ્દીઓની ધરી અને બીજી વિજ્ઞાનીઓની. નવલકથામાં આ બે ધરીઓ વચ્ચે ભીષણ જંગ ખેલાતો બતાવ્યો છે. પરમાણુશસ્ત્રોનો પ્રયોગ છતાં છેવટે બેમાંથી એકેય પક્ષનો એક પણ માણસ જીવતો રહેતો નથી. ૨૧મી સદીમાં આવા ભીષણ જંગને જોઈને ઝાડ પર બેઠેલો વાનર કદાચ બોલશે : “પાડ પ્રભુનો કે હું ઉત્ક્રાન્તિક્રમમાંથી છટકી ગયો. નહિ તો મારી અને મારા જાતભાઈઓની આ જ વલે થાત!” પ્રબળ ગતિએ આગળ વધી રહેલા વિજ્ઞાનની મદદથી મનુષ્યસમાજને અકલ્પ્ય સુખસગવડો પ્રાપ્ત થશે. સ્વયંસંચાલિત યંત્રો માણસનું બધું કામ ઉપાડી લેશે. તેને પરિણામે દરેક રાષ્ટ્રની સમૃદ્ધિ અને પ્રગતિ વૃદ્ધિ પામતી જશે. પણ વિજ્ઞાને વિકસાવેલાં ઘાતક શસ્ત્રો મનુષ્યે આ બધી પ્રગતિનો લાભ લેવા દેશે કે તેનું અસ્તિત્વ જ પૃથ્વીના પટ પરથી ભૂંસી નાખશે એવો પ્રશ્ન વારંવાર ઉપસ્થિત થાય છે. માણસ અને યંત્રની વચ્ચે પ્રભુત્વ સ્થાપવાની સ્પર્ધા ચાલતી હોય એમ લાગે છે. યંત્ર માનવીના મગજની નીપજ છે. માનવમગજ કરતાં તે વધુ વિચક્ષણ પુરવાર થાય તો જોખમ અનેકગણું વધી જાય. એવા બલિષ્ઠ યંત્રનો લાભ લશ્કર, રાજકારણીઓ, ધંધાદારીઓ અને આતંકવાદીઓ લેતા થઈ જાય. પછી તો યંત્ર કહે તેમ માણસે કરવું પડે. ૨૦૫૦ સુધીમાં યંત્ર જ સર્વોપરી સત્તા બનશે એવી દહેશત કેટલાક રાખે છે. એવું થાય તો હાલ પશુની સ્થિતિ છે તેવી જ માણસની થવાનો સંભવ ઊભો થાય. કદાચ આ જોખમને ધ્યાનમાં રાખીને જ યંત્રનું આધિપત્ય અટકાવવા વિજ્ઞાનીઓ માણસના સામર્થ્યની વૃદ્ધિ ઇલેક્ટ્રૉનિક ધોરણે કરવા તત્પર થયા છે. વિધેયાત્મક અભિગમથી શોધ કરનાર વિજ્ઞાની માનવતાનો મહિમા કર્યા વિના રહેતો નથી. વિખ્યાત બ્રિટિશ વિજ્ઞાની સ્ટીફન હૉકિંગ ચેતાશુષ્કન(motor neuron disease – MND)ના રોગથી પીડાય છે. કમરની નીચેનો ભાગ સુકાઈ ગયો હોવાથી તે વ્હીલચૅરમાં બેસીને ફરે છે અને સંશોધનનું કામ અવિરત ચલાવી રહેલ છે. તેમણે ‘એ બ્રીફ હિસ્ટરી ઑવ્ ટાઇમ’ નામનું અદ્‌ભુત પુસ્તક લખ્યું છે. સમયનો ઇતિહાસ આલેખતાં તે બ્રહ્માંડવિજ્ઞાન(cosmology)ની સીમાઓને આંબવા મથે છે. માનવી, ઈશ્વર અને બ્રહ્માંડ પરત્વે તેઓ અનેક કુતૂહલભર્યા પ્રશ્નો ઊભા કરે છે, જે છેવટે ઈશ્વરના અસ્તિત્વ ભણી લઈ જાય છે. તેમણે મોટી વાત એ કરી કે “માણસના અસ્તિત્વને કારણે વિશ્વ જેવું છે તેવું દેખાય છે.” તેમણે સ્થાપેલા આ માનવ-કેન્દ્રિત સિદ્ધાન્ત (anthropic principle) અનુસાર વિશ્વની સર્વ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં માનવ છે. માનવ છે માટે તમામ ઘટનાઓનો અર્થ છે એમ તેમણે દર્શાવ્યું છે. આગામી વર્ષોમાં નવઉદારતાવાદ (neoliberalism), નવફાસીવાદ અને બજારુ તાકાતનું વર્ચસ્ સ્થપાશે એમ હાલની પરિસ્થિતિ પરથી નિષ્ણાતોએ તારણ કાઢેલું છે. વૈશ્વિક સ્તર પર મૂડીવાદીઓના ઉદારતાવાદનું નવે સ્વરૂપે અવતરણ થઈ રહ્યું છે. તેને ‘નવઉદારતાવાદ’ નામ આપ્યું છે. ઇંગ્લૅન્ડ અને અમેરિકામાં ખાનગીકરણ (privatization)ને પ્રવેશ મળી ચૂક્યો છે. ધીમે ધીમે આ ખાનગીકરણ દુનિયાના જુદા જુદા દેશો પર કબજો જમાવતું જાય છે. ભારતમાં અર્થતંત્રની સાથે વીમાક્ષેત્ર વિદેશી બહુરાષ્ટ્રીય કંપનીઓ માટે ખુલ્લું મુકાશે અને વિદેશી પત્રો તથા વીજાણુ-માધ્યમોને ભારતમાં પૂરેપૂરા માલિકીહક મળશે ત્યારે રૂપર્ડ મરડોક અને ટેડ ટર્નરનો ભારતના અર્થકારણ પર પૂરો પ્રભાવ સ્થપાયો હશે. સામ્યવાદ નિષ્ફળ ગયો છે, સમાજવાદનો ધ્વંસ થઈ રહ્યો છે, મૂડીવાદી કલ્યાણકારી રાષ્ટ્રની પૂર્વધારણા અર્થહીન સાબિત થઈ છે એટલે નવઉદારતાવાદનો કોઈ વિકલ્પ નથી એમ મનાવવાનો હિત ધરાવતાં તત્ત્વો પ્રયત્ન કરે છે. આ પૂર્વધારણાને અદ્યાપિ પર્યંત કોઈએ પડકારી નથી. તે પરથી લાગે છે કે આવતા બેત્રણ દાયકા સુધી તો કમ-સે-કમ તેનો પ્રભાવ રહેશે. આવતાં સો વર્ષ દરમ્યાન દેશ દેશ વચ્ચેના ભૌગોલિક સીમાડા નામના રહ્યા હશે. અવકાશયાત્રા ઘણી વધી ગઈ હશે. ગ્રહો સુધીનો વાહનવ્યવહાર ચાલુ થઈ ગયો હશે. અવકાશમાં માનવ-વસાહત સ્થપાઈ હશે અને હૉટેલો ચાલતી હશે. અત્યાધુનિક કમ્પ્યૂટર શોધાયું હશે, જે દરેક દેશનાં વહીવટ, વેપારવાણિજ્ય, ઉદ્યોગ, શિક્ષણ, સાહિત્ય એમ તમામ ક્ષેત્રોમાં છૂટથી વપરાતું થઈ ગયું હશે. અને તેને પરિણામે જીવનરીતિ, સમાજવ્યવસ્થા, વહીવટ અને સંશોધનમાં જબ્બર ફેરફાર થયેલો જોવા મળશે, ભૌતિક વિજ્ઞાનના ક્ષેત્રમાં અસાધારણ ક્રાન્તિ દેખાશે. જનીનોના વિષયમાં સંશોધન થતાં માણસના વંશવિસ્તાર અને આયુષ્ય પરત્વે નવી શક્યતાઓ ઊભી થશે; સાહિત્ય અને અન્ય લલિતકલાઓના વિકાસમાં યંત્ર અને તંત્રનાં સંશોધનો મહત્ત્વનો ભાગ ભજવશે. સમાજ અને રાજકારણ પર માધ્યમો(media)નો પ્રભાવ સતત રહેશે. માહિતીની ઘેલછા એટલી હદે વધશે કે માહિતીપ્રસાર પરત્વે વિવેક સચવાશે નહિ. કુત્સિત દૃશ્યો અને સમાચારોનું પ્રસારણ કરવાની સ્પર્ધા થશે. ૪ “સમય એ જ રચે છે બળાબળ” એમ ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ના એક પ્રકરણના આરંભે કહ્યું છે તેની સચોટ પ્રતીતિ આવતા યુગમાં થશે. ‘ઝડપ’ એ નવા જમાનાના લોકોનો જીવનમંત્ર બન્યો હશે. માણસને બધું જ ત્વરિત – instant – જોઈશે. સમયના તીવ્ર ભાન સાથે તે જીવે છે; કેમ કે મૃત્યુનો ભય તેના પર તોળાઈ રહ્યો છે. ‘શાંતિ’ અને ‘નિરાંત’ તેના શબ્દકોશમાં જ રહેશે. આ કાલબુદ્ધિ મનુષ્ય સમયની સામે યુદ્ધે ચડ્યો હોય એમ પોતાના જીવનપથ પર દોડી રહ્યો છે. દોડવા માટે દુનિયા આખીના દરવાજા તેની આગળ ખૂલી ગયા હશે, પણ તે ક્યાં જઈ રહ્યો છે તેનો ખુદ તેનેય ખ્યાલ નહિ હોય! પ્રશ્નો અને પડકારોનું ફલક વિસ્તરશે. આજનો માનવી બધાંની સંનિકટ મુકાયો હોવા છતાં સમાજથી પોતે વિખૂટો પડી ગયો હોય એવું અનુભવે છે; પછી તે અનુભવ વધુ દુઃખદ બનશે. વીસમી સદીમાં સંયુક્ત કુટુંબની પ્રથા તૂટી રહી છે. એકવીસમી સદીમાં તે પ્રથા ઇતિહાસમાં સ્થાન પામીને લુપ્ત થઈ ગઈ હશે અને વ્યક્તિવાદ વધુ વકર્યો હશે. લગ્નની સંસ્થા છિન્નભિન્ન થઈ ગઈ હશે. વિશ્વનાગરિક બનવા છતાં માનવી ધર્મ, જ્ઞાતિ કે સંપ્રદાયના વાડામાંથી બહાર નીકળી શકતો નથી. લોકહિતની વાત કરે છે, પણ સ્વકેન્દ્રી વલણ છોડી શકતો નથી. આમ, અનેક વિસંવાદો વચ્ચે આજનો માણસ જીવી રહ્યો છે. આવતી સદીમાં આ વિસંવાદો કદાચ વધશે. પ્રજા તરીકે આપણી સંવેદના બુઠ્ઠી થઈ ગઈ હોય એમ લાગે છે. સહૃદય ભાવક અને સંવેદનશીલ વાચક લગભગ અદૃશ્ય થઈ ગયેલા જણાય છે. ઊર્મિતંત્રને હચમચાવે તેવું લખાણ હોય, પણ તે ન તો લોકોને સ્પર્શે છે કે ન તો ભાવકને હલાવી શકે છે. આગલી કોઈ સદીએ નહિ જોયો હોય એવો ભીષણ માનવસંહાર વીસમી સદીએ જોયો છે. બે વિશ્વયુદ્ધ થયાં. મોટાં રાષ્ટ્રો ઠંડા યુદ્ધમાં વ્યસ્ત રહીને ઘાતક અસ્ત્રો મેળવવાની સ્પર્ધા કરતાં રહ્યાં. શાંતિની શોધના ઓઠા નીચે યુદ્ધની તૈયારી થતી રહી. આ બધાંની વચ્ચે સામાન્ય માનવીની હાલત કરુણ બની. દરરોજ સંખ્યાબંધ માણસો રહેંસાય છે. અકસ્માત, આત્મહત્યા અને આતંકને કારણે થતી સંખ્યાબંધ મૃત્યુઘટનાઓ વિશે વર્તમાનપત્રો વિસ્તારથી માહિતી આપે છે. દહેજને કારણે અપમૃત્યુના બનાવો સો વર્ષ પહેલાં બનતા તેમ આજે પણ બને છે. ચારે કોર ભ્રષ્ટાચાર, ભય અને ત્રાસનું વાતાવરણ જોવા મળે છે. આ બધાંનો કોઈ ધ્યાનપાત્ર પ્રતિભાવ ન તો પ્રજા આપે છે કે ન તો સાહિત્યકારો. મોટા હત્યાકાંડને જે લાચારી કે જડતાથી લોકસમૂહ મૂક બનીને જોઈ રહે છે, તેવું જ તેનું પ્રતિબિંબ ઝીલતા સાહિત્યનુંય બન્યું છે. માણસ જાણે કે તેના અસ્તિત્વના કોચલામાં ઠૂંઠવાઈને ભરાઈ રહ્યો છે. એકવીસમી સદીના માનવીમાં સંવેદનશીલતાનો પારો શૂન્યથી નીચે ગયેલો જોવા મળે તો નવાઈ નહિ! આ અને આવાં અનેક પરિબળો આવતા સૈકાના સાહિત્ય પર પ્રભાવ પાડશે. વર્તમાનપત્રો અને વીજાણુ-માધ્યમોની સીધી અસર પડશે. ટૂંકી વાર્તા અને નવલકથા પીરસવાનું કામ દૈનિકો કરે છે. તેને કારણે ધારાવાહી નવલકથાનો પ્રસાર વધ્યો છે. કાવ્યાસ્વાદ અને ગ્રંથાવલોકન તેમજ ચરિત્રલેખો પણ દૈનિકોમાં કટાર રૂપે નિયમિત પ્રગટ થાય છે. અણુકાવ્ય, લઘુકથા, હાસ્યનિબંધ, કટાક્ષકથા એમ અનેક પ્રકારો વર્તમાનપત્રને અનુષંગે વિકસ્યા છે. તેનો વિશેષ પ્રસાર આવતાં વર્ષોમાં થશે. નવા યુગની જરૂરિયાત મુજબ તેમાં નવાં સ્વરૂપોનો ઉમેરો થવાની પણ સંભાવના છે. વિજ્ઞાન અને ટૅક્‌નૉલોજીના પ્રભાવ નીચે પદ્ય કરતાં ગદ્ય રચનાઓ વધુ પ્રમાણમાં મળવાનો સંભવ છે. તેમાં વિજ્ઞાનકથાનું પ્રાચુર્ય જોવા મળશે. વિજ્ઞાનની ચમત્કારિક શોધોએ લેખકના ચિત્તને એટલું જકડી રાખ્યું હશે કે જુલે વર્ન, એચ. જી. વેલ્સ કે એવા બીજા સમર્થ લેખકોની યાદ આપે તેવી, અવકાશયાનો પરમાણુશસ્ત્રો જનીનો સમજનીનકો વગેરેનો સમાવેશ કરતી ઉત્તમ વિજ્ઞાનવાર્તાઓ રચાશે. નવી પેઢીની તે માટેની માગ ઉત્તરોત્તર વધતી જશે. તેમાં બૌદ્ધિક વ્યાયામ વિશેષ હશે. ઊર્મિતત્ત્વ પ્રમાણમાં ઓછું ને ઓછું થતું રહેશે. ઊંડાણ ઓછું અને બાહ્ય વિસ્તાર વિશેષ જોવા મળે એમ પણ બને. કથનાત્મક (narrative) કૃતિઓ લખવા અને કહેવાનો પ્રચાર વિશેષ હશે. જીવનના સંઘર્ષ અને ઝડપથી થતાં પરિવર્તનોની વચ્ચે કવિને લાંબા ફલક પર લખવાની એકાગ્રતા કે ધૃતિ ભાગ્યે જ રહેશે. એટલે ગીત, ગઝલ, મુક્તક કે હાઇકુ જેવાં લઘુ રૂપોનો પ્રયોગ ચાલુ રહેવાનો સંભવ છે. નવાં પરિબળો વચ્ચે અભિવ્યક્તિની નવી છટાવાળી શૈલી પણ પ્રયોજાતી જોવા મળશે. સ્વભાષામાં બોલવા-લખવાનું ઓછું થવાથી અંગ્રેજીના મિશ્રણવાળી ગુજરાતી ખીલી રહી છે તેનો પ્રચાર પછી વધતો જશે. આગામી વર્ષોમાં સર્જકોનું વલણ વિજ્ઞાન ઉપરાંત ઇતિહાસ અને ચરિત્ર પ્રત્યે ઝૂકેલું જણાશે. વીસમી સદીની અનુઆધુનિક સેરનું સાતત્ય તેમાં પ્રતીત થશે. નવાં માધ્યમો અને પલટાતા વિચારપ્રવાહોની પરંપરામાં બેસે તેવાં વાર્તા-નવલકથા અને નાટકો ખાસ ધ્યાન ખેંચશે. તેમાં વિષય અને સ્વરૂપનું પુષ્કળ વૈવિધ્ય જોવા મળશે. મનોરંજનના સાધન તરીકે વીજાણુ-માધ્યમોની સ્પર્ધામાં સાહિત્યે ઊતરવું પડશે. એકવીસમી સદીમાં ટેલિવિઝનને કારણે નાટક અને રંગભૂમિનો વિકાસ રૂંધાઈ જશે એવો ભય સેવાય છે. પરંતુ ટેલિવિઝનના કાર્યક્રમોથી કંટાળીને કલારસિકો નાટક તરફ આકર્ષયા વિના રહેશે નહિ એમ લાગે છે. નાટકમાં માનવશરીરના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ રસસંક્રમણ થાય છે. વિજ્ઞાપનના વિક્ષેપોથી ભરપૂર દૂરદર્શનના પ્રાયોજિત કાર્યક્રમોને મુકાબલે આ નાટકો ઉચ્ચ કોટીના આનંદનો અનુભવ કરાવશે. દૃશ્યસજાવટમાં યંત્રનો પ્રભાવ દેખાશે; પણ વાચિક અને આંગિક અભિનયનું આકર્ષણ વિશેષ રહેશે. અનેક દિવસો સુધી જેની ભજવણી ચાલુ રહે તેવાં લાંબાં નાટકો – ટેલિવિઝનની સિરિયલની સ્પર્ધામાં – લખવાના મહત્ત્વાકાંક્ષી પ્રયોગો નહિ થાય એવું ન કહીએ. પણ મુખ્યત્વે ટૂંકાં એકાંકીઓનો એ જમાનો હશે. છેલ્લા બે દાયકામાં બે ડઝન જેટલાં લાંબાં મૌલિક અભિનેય નાટકો આપણને મળ્યાં છે તે પરથી આશા બંધાય છે કે આવતી સદી દરમ્યાન ગુજરાતી નાટકની અછત દૂર થશે. તેને અનુષંગે ગુજરાતીમાં પ્રાદેશિક પરંપરાની રંગભૂમિ વિકસશે અને ગુજરાતની સ્વકીય કહેવાય તેવી તળપદી શૈલીનાં નાટકો મનોરંજનના સાધન તરીકે તેમ કળાના પ્રકાર તરીકે વિશેષ ધ્યાન ખેંચશે. એમ કહેવાય છે કે નવાં દૃશ્યશ્રાવ્ય માધ્યમો શિક્ષણનું મુખ્ય સાધન બની રહેશે, તેથી શિક્ષકની જરૂર નહિ પડે એ ભ્રમ દૂર કરવાની જરૂર છે. વિદ્યાર્થીની પાસે માહિતીનો ઢગલો કરવામાં આવે, પણ જ્યાં સુધી વિવેકપુરઃસર તાર્કિક ક્રમમાં તેની ગોઠવણી કરીને શિક્ષક તેને સમજાવે નહિ ત્યાં સુધી માહિતીનું જ્ઞાનમાં રૂપાન્તર થઈ શકે નહિ. વિદ્યાર્થીના વ્યક્તિત્વને ખીલવનાર, તેની સુષુપ્ત શક્તિઓ ઓળખીને બહાર લાવનાર તો શિક્ષક જ છે. શિક્ષકે ટકી રહેવું હશે તો સજ્જતા અને નિષ્ઠા વધારવી જ પડશે. બીજો એક ભય પુસ્તક વિશે સેવવામાં આવે છે. કમ્પ્યૂટર આવતાં ઇન્ટરનેટ, વેબસાઇટ અને સીડીરોમ જેવાં સાધનો પુસ્તકની ગરજ સારે તેમ છે એટલે પુસ્તકની ખપત હવે પછીનાં વર્ષોમાં ખાસ રહેશે નહિ એમ કેટલાકનું માનવું છે. પરંતુ અભ્યાસ અને સંશોધન માટે પુસ્તકનો ખપ પડવાનો જ છે. કવિતા, નિબંધ કે વાર્તા કૅસેટ પરથી સાંભળવામાં આનંદ આવે; પરંતુ એકાંતમાં વાચન દ્વારા કવિતાનો આસ્વાદ લેવો કે મનન કરવું તેનો આનંદ અનોખો હોય છે તે, અનુભવે સમજાશે, જ્ઞાનમાત્રનો સ્વાભાવિક સ્રોત પુસ્તક જ રહેશે. કમ્પ્યૂટર બધાં ક્ષેત્રોમાં છવાઈ ગયું છે અને હવે પછી પણ છવાયેલું રહેશે. કમ્પ્યૂટરને માણસ જે સામગ્રી (data) ખવરાવશે તેને આધારે અને તેટલા પ્રમાણમાં તે ઉપયોગી બનશે. માણસે તૈયાર કરેલ સૉફ્ટવેર પ્રમાણે કમ્પ્યૂટર સેવા આપે છે. એટલે છેવટે તો માણસનું મગજ અને તેની ચેતનાનો આવિષ્કાર જ્ઞાન-વિજ્ઞાનના સ્રોત રૂપે કામ કરે છે એ ભૂલવું ન જોઈએ. સાહિત્ય માનવચેતનાનો સીધો આવિષ્કાર છે. વિષય, સ્વરૂપ, અને શૈલી પરત્વે એકવીસમી સદીનાં પરિબળો ગુજરાતી સાહિત્ય પર પ્રભાવ પાડ્યા વિના રહેશે નહિ. વીસમી સદીમાં પણ એમ જ બન્યું હતું ને? ગાંધી, ટાગોર અને શ્રીઅરવિંદ જેવી વિભૂતિઓ ઉપરાંત સ્વાતંત્ર્ય-આંદોલનો, સંઘર્ષો, યુદ્ધો અને માનવસંહારો વીસમી સદીએ જોયાં, તેનાં પ્રભાવ-પ્રતિનિધાન ગુજરાતી સાહિત્યમાં જોવા મળે છે. એકવીસમી સદીનો ફાળ એને મુકાબલે કેવો હશે તે તો સમય જ કહેશે; પરંતુ એક વાત નિશ્ચિત છે કે યંત્ર અને તંત્રની ભીંસમાં આવેલો માણસ વાણીનો આશ્રય લઈને જીવનનો આનંદ ટકાવી રાખવા મથામણ કરશે અને તે પછીની પેઢીઓને માટે પથદર્શક નીવડશે. બીજી બાજુ સત્તાના લોભને વશ થઈને માણસનું યુદ્ધખોર માનસ વકરશે તો પૃથ્વીના પટ પર અભૂતપૂર્વ વિનાશનું તાંડવ ખેલાશે. ૫ પરસ્પર વિરોધી અને વિસંગત લાગે તેવાં પરિબળોની વચ્ચે ગુજરાતી ભાષા અને સાહિત્યે એકવીસમી સદીમાં આગળ વધવાનું થશે. એ પરિબળો સાહિત્ય માટે સર્જનસામગ્રી પૂરી પાડશે. ભાષાના વિકાસમાં તે ખાતરની ગરજ સારશે. સામાજિક, રાજકીય અને વૈજ્ઞાનિક પરિવર્તનોને આધાર કે સામગ્રી રૂપે લઈને આવતી સદીમાં સુદીર્ઘ ચિરસ્મરણીય સર્જનકૃતિ મોટા ફલક પર રચાય એ બનવાજોગ છે. એમ થશે તો ગુજરાતી સાહિત્યના વિકાસનો એ મહત્ત્વનો સીમાસ્તંભ ગણાશે. તે નિમિત્તે ભાષાનું અનેક આયામોમાં ખેડાણ થયું હશે. ગુજરાતી ભાષામાં નવી વિભાવના, સમસ્યા, પરિસ્થિતિ કે વિચારધારાને યથાર્થ ઝીલવા અને પ્રગટ કરવાની પૂરેપૂરી ક્ષમતા છે. શરત એટલી કે તેનું પ્રેમપૂર્વક જતન અને ચીવટપૂર્વક પરિશીલન કરવું જોઈએ. भाषा रक्षति रक्षिता પ્રજાનાં સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્કર્ષનો આધાર સ્વભાષા છે, તેને માટેનો અનુરાગ છે, તેનું ખેડાણ કરવાની હોંશ છે, તેની શુદ્ધિ માટેની કાળજી છે. અસ્મિતાની ઓળખ સ્વભાષા કરાવે છે. તેની અદબ જાળવીએ અને તેના શિસ્તનું બરાબર પાલન કરીએ તો તે ન્યાલ કરી દે છે. ભાષા કામધેનું છે. માગો તે રંગ અને રસ નિષ્પન્ન કરી આપે તેવી અંતર્હિત શક્તિ તેનામાં છે. જમાને જમાને માનવચૈતન્યનો આવિષ્કાર શબ્દ રૂપે નવાં નવાં સ્વરૂપ ધારણ કરે છે. વ્યક્તિના ચૈતન્યનો એ અંશ સમષ્ટિના ચૈતન્ય રૂપે ઝિલાય અને ફેલાય છે તે ભાષાની આ ગૂઢ શક્તિને પ્રતાપે. ભાષા અગ્નિ છે. તેના સ્ફુલિંગનો નાનકડો ઝબકાર રામાયણ રચે અને ભડકો થાય તો મહાભારત પણ રચાય. ભાષા ભાષાશાસ્ત્રીઓ કે વ્યાકરણકારો રચતા નથી. લોકો રચે છે. રૂઢ વર્ણમાલા તે ભાષા નથી. એ તો સાધનમાત્ર છે. સાધ્ય તો, ડૉ. ચૉમ્સ્કી કહે છે તેમ, દરેકના મગજમાં રહેલું હોય છે. જો એમ ન હોત તો ત્રણ વર્ષનું બાળક પોતાની જરૂરિયાત મુજબ આસપાસમાંથી શબ્દો મેળવીને બોલવા લાગે છે એ ન બનત. અત્યંત સહજ રીતે આ પ્રક્રિયા દરેક વ્યક્તિના ઉછેર અને વિકાસમાં ચાલતી હોય છે. ભાષાને લિપિ સાથે બાહ્ય સંબંધ છે. વ્યક્તિની ચેતના સાથે – સાંસ્કૃતિક ચેતના સાથે તેને આંતરસંબંધ હોય છે. ભાષાનો વિકાસ જ્ઞાનસામગ્રી અને જ્ઞાનસાધનો ઉપરાંત રોજિંદા વ્યવહારને નિમિત્તે ઉમેરાતાં શબ્દો ને લઢણોને સંદર્ભે થતો રહે છે. તે વખતે સ્વભાષાનો મુક્તપણે ઉપયોગ કરવાનું વલણ ઉપકારક થાય છે. ગુજરાતીને સ્થાને અંગ્રેજી કે ઇતર ભાષાના શબ્દો જેમ જેમ વધુ વપરાતા જાય તેમ તેમ ગુજરાતી શબ્દો વપરાશમાંથી લુપ્ત થતા જાય છે. નવી પેઢી તળપદા ગુજરાતી શબ્દોની દૂર ખસતી જાય છે. આ શબ્દપ્રયોગો પર અસ્મિતાની છાપ અંકિત થયેલી હોય છે. વખત જતાં આવા અનેક શબ્દપ્રયોગો લુપ્ત થતાં લાંબે ગાળે ભાષા સત્ત્વહીન થઈને ઘસાઈ જવાનો સંભવ રહેલો છે. આજે ગુજરાતી ભાષા પર આ પ્રકારનું આક્રમણ બે રીતે ચાલી રહ્યું છે. (૧) ઘરમાં, બહાર બધે અંગ્રેજીનો ઉપયોગ થાય છે. (૨) અંગ્રેજી માધ્યમ દ્વારા શિક્ષણ અપાય છે. પરદેશમાં વસતા ગુજરાતીઓ ઘરમાં પણ અંગ્રેજી બોલવાનો આગ્રહ રાખે છે. તેથી ઊછરતી પેઢી સ્વભાષા અને સ્વસંસ્કારનો સ્પર્શ પામતી નથી. દેખાદેખીથી અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થાપવાની ઘેલછા ગુજરાતનાં શહેરો ઉપરાંત ગામડાં સુધી પહોંચી છે. તેને લીધે પરિસ્થિતિ વધુ બગડી છે. ઘરમાં તદ્દન ગ્રામીણ ભાષા બોલાતી હોય અને શાળામાં અંગ્રેજી બોલવાનો મહાવરો પાડવા માટે શિક્ષક ભાંગીતૂટી અંગ્રેજીમાં વાર્તા કહે છે. ઘેર આવીને બાળક માબાપને વાર્તા કહેતી વખતે ‘પછી લાયન પોંણી પીવા માટે રિવરને કાંઠે આયો’ એમ બોલે. ઊછરતી પેઢીની આવી અતોભ્રષ્ટઃ તતોભ્રષ્ટઃ જેવી અવદશા કરવી એ ક્રૂર મશ્કરી નથી શું? અન્ય ભાષાની અવગણના કર્યા વગર સ્વભાષાનું પ્રેમપૂર્વક જતન કરી શકાય છે. અંગ્રેજી આંતરરાષ્ટ્રીય વ્યવહાર અને જ્ઞાનકૌશલ્યની વૃદ્ધિ માટેનું સબળ અને કસાયેલું વાહન છે. તેના પર પ્રભુત્વ મેળવવા માટે શિક્ષણક્રમમાં યોગ્ય કક્ષાએ અન્ય ભાષા તરીકેનું તેનું સઘન શિક્ષણ ફરજિયાત અપાય તે ઇષ્ટ છે; પરંતુ આપણે ત્યાં પાયાથી ટોચ સુધી તેનું અધકચરું શિક્ષણ અપાય છે, તેથી ‘બાવાનાં બેય બગડે’ એવો ઘાટ રચાયો છે. તેની વિપરીત અસર સાહિત્ય પર પડે તે દેખીતું છે. શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રે ચાલતી આ પ્રકારની અતંત્રતાને કારણે કટોકટી ઊભી થઈ છે. તે દૂર કરવાના બે ઉપાય છે : એક, સ્વભાષા વધુ ને વધુ ખેડાતી રહે; બધા જ વિષયોનાં અધ્યયન-અધ્યાપન અને ચર્ચાવિચારણા સ્વભાષામાં થતાં રહે. બીજું, તમામ વિષયોના માહિતીસ્રોતરૂપ ગ્રંથો તેમજ વિવિધ પ્રકારના કોશો જેવાં જ્ઞાનસાધનો સ્વભાષામાં ઉપલબ્ધ થતાં રહે. ગુજરાતી ભાષાને સદ્‌ભાગ્યે સંસ્કૃત જેવી સઘન (compact) અને સમૃદ્ધ શબ્દકોશ ધરાવતી ભાષાનું પીઠબળ મળેલું છે. પરિભાષા ઊભી કરવામાં તેનો બહોળો ઉપયોગ થઈ શકે તેમ છે. ભાષા સાહિત્યને સમૃદ્ધ કરે છે તો સાહિત્ય ભાષાને પળોટીને ધારદાર અને તેજસ્વી બનાવે છે. ગોવર્ધનરામે ‘સરસ્વતીચંદ્ર’ રચીને ગુજરાતી ભાષામાં સંસારના સર્વ રંગ પૂરી બતાવ્યા છે. ગુર્જરીના મુખ પર લલિતકોમલ અને મધુર તેમજ કઠોર અને બલિષ્ઠ ભાવ ઉપસાવતી રેખાઓ દોરી આપીને તેમણે તેનું દેશભરમાં માગ મુકાવે તેવું તેજસ્વી વ્યક્તિત્વ ઘડી આપ્યું. ગાંધીજીએ ગુજરાતી ભાષાને સત્ય અને અહિંસાના સૌમ્ય પણ સચોટ, લડાયક વાહન તરીકે પ્રયોજી બતાવી. મુનશીએ તેને સચેત, સમુજ્જ્વલ, ગતિશીલ મુદ્રા અર્પી. ન્હાનાલાલે તેમાં કલ્પનાના અવનવા રંગ પૂરીને ઉત્કટ ભાવકક્ષાએ પ્રવર્તતા અલંકારમંડિત કથનનું આકર્ષક વાહન બનાવી. આ મહારથીઓનાં લખાણોએ ગુજરાતી ભાષાને દુનિયાના નકશા પર મૂકી આપી છે. ગુજરાતી હવે બિચારી–બાપડી રહી નથી. સ્વભાષા માટેનું મમત્વ ભાષા અને ભાષક બંનેનો ઉત્કર્ષ કરે છે. મને ખાતરી છે કે સમાજ અને સાહિત્યસર્જકોના સંયુક્ત પ્રયાસથી આવતાં સો વર્ષમાં ગુજરાતી ભાષા અને સાહિત્યનો સર્વતોમુખી વિકાસ સધાશે અને વીસમી સદીની સિદ્ધિઓ ઝાંખી પડે તેવી અદ્‌ભુત સિદ્ધિઓ ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે જોવા મળશે. ગુજરાતની અસ્મિતાના પ્રથમ પ્રહરી કવિ નર્મદની માફક આપણે પણ ગાઈએ કે તે રંગ થકી પણ અધિક સરસ રંગ થશે સત્વરે, માત! જય જય ગરવી ગુજરાત!