પ્રતિપદા/નિજી સ્વર નોખી કવિતાની શોધ – અજયસિંહ ચૌહાણ

From Ekatra Wiki
Revision as of 10:25, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિજી સ્વર નોખી કવિતાની શોધ

અજયસિંહ ચૌહાણ

નવી પેઢીના, આવી રહેલા જૂજ અભ્યાસીઓમાંના એક સભાન, જવાબદાર અધ્યાપક. સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરના મહેનતુ અને કલાઓમાં રસ-રુચિ કેળવવા મથતા વિદ્યાર્થી તરીકે જાણીતા. કુશળ આયોજક-સંયોજક. મણિલાલ હ. પટેલના માર્ગદર્શનમાં ‘આધુનિકોત્તર ગુજરાતી કવિતા’ વિષય પર સંશોધન કરીને ગ્રંથ પ્રકાશિત કર્યો છે. નર્મદા પરિક્રમા તથા પ્રવાસમાં રસ. લલિત નિબંધો પર હાથ અજમાવી રહ્યા છે. અમૃતલાલ વેગડના નર્મદા પરિક્રમાના ગ્રંથો વિશે લઘુ અભ્યાસગ્રંથ પ્રગટ કર્યો છે. પ્રવાસ લેખોના એક સંપાદન ઉપરાંત ‘ગામ જવાની હઠ છોડી દે’ નામે (મ. હ. પટેલનાં) ચૂટેલાં કાવ્યોનું સંપાદન પણ પ્રગટ થયું છે. મેઘરજ સરકારી કૉલેજમાં અધ્યાપક તરીકે પ્રવૃત્ત છે. એન. એસ. પટેલ આટ્‌ર્સ કૉલેજના ઉપક્રમે અજયસિંહના નેતૃત્ત્વમાં અભ્યાસ શિબિરો, વ્યાખ્યાનો તથા અધિવેશનો યોજાયાં, સફળ રહ્યાં.

(રાજેશ પંડ્યા, સંજુ વાળા, ઉદયન ઠક્કર, તથા મનીષા જોષીની કવિતા વિશે)

પ્રતિપદા યોજિત અનુ-આધુનિક કવિતાના ઉત્સવમાં મારી આગલી બેઠકમાં રજૂ થયેલી કવિઓની એક આખી પેઢી છે. એ કવિઓ પછી લખતા થયેલા પણ સંવેદન અને રચનારીતિએ અનુ-આધુનિક કવિઓમાં રાજેશ પંડ્યા, સંજુ વાળા, મનીષા જોષી અને ઉદયન ઠક્કર મહત્ત્વનાં છે. આજે આ મંચ પરથી હવે તો જીવનની ઉત્તર અવસ્થાએ પહોંચેલા કવિઓની સાથે નવા અવાજ સાથે પોતાનું સ્થાન નિશ્ચિત કરી રહેલા આ કવિઓ પણ છે.

મારે જે ચાર કવિઓ વિશે વાત કરવાની છે એ ચારેયની કવિતાની મુદ્રા જુદી છે. રાજેશ પંડ્યાની કવિતા શરૂઆતના અતિ સંકુલ અછાંદસથી, કલ્પન શ્રેણીયુક્ત ઇન્દ્રિયગોચર સંવેદન અને પુરાકથા સંયોજિત દીર્ઘકાવ્ય સુધી વિસ્તરે છે. સંજુ વાળા પરંપરા-પ્રાપ્ત ભક્તિ-જ્ઞાન-ભજન સંસ્કારોનું ગૂંથન ગૂંથતા ગીત-ગઝલમાં અનેક પ્રયોગો સાથે ભાષા અને સ્વરૂપને સરાણે ચડાવે છે. મનીષા જોષી રતિ-ઝંખનાના સાહચર્યો પ્રિયપુરુષદ્વેષની આક્રમકતાથી શરૂ કરી ત્રીજા સંગ્રહ સુધી એક સમભાવપૂર્ણ તાટસ્થ્યથી નારીચેતના વ્યક્ત કરે છે. તો ઉદયન ઠક્કર વ્યંગ-વિડંબન દ્વારા માનવીય વેદનાઓ પ્રત્યક્ષ કરે છે. હવે જરા વિગતે આ ચારેય કવિઓની કવિતા પાસે જઈએ.

રાજેશ પંડ્યા

ગીત-ગઝલના ઘોંઘાટો વચ્ચે રાજેશ પંડ્યા ‘પૃથ્વીને આ છેડે’ (પ્ર. ૨૦૦૧)માં અછાંદસની કેડી પર ડગ માંડે છે. રાજેશ પંડ્યા અધ્યાપક છે, કાવ્યમર્મજ્ઞ છે. કાવ્યઆસ્વાદની અનેક કૂંચીઓ એમની પાસે છે. સમકાલીન અને પુરોગામી કવિઓની કવિતા વિશે તલસ્પર્શી-તટસ્થ નિરીક્ષણો સમયાંતરે એમની પાસેથી મળતા રહ્યાં છે. એટલે કવિ તરીકેની એક સંપ્રજ્ઞતાપૂર્વક એ કાવ્યસર્જન કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની શરૂઆતની કવિતામાં કલ્પનપ્રધાનતાએ આત્મ ઉત્ખનન છે. ‘અરીસો’ જેવા કાવ્યોમાં એ આ રીતે રજૂ થયું છે.

‘એક સુખ હોય છે પોતાના ચહેરાને જોવાનું
કંઈ સમજીએ તે પહેલા જ
સામે જોઈ સહેજ મલકી જતી આંખો
છેક નાભિ સુધી સંતોષનો શેરડો પાડી જતી હોય છે.’

અરીસામાં જોતા મોટાભાગના મનુષ્યમાં પ્રથમ તબક્કે એક સૂક્ષ્મ આત્મરતિનો ભાવ જાગે છે, જે આમ તો શરૂઆતના ઉપરછલ્લો તરંગ છે, પણ ‘મલકી જતી આંખો’ અને ‘છેક નાભિ સુધી સંતોષનો શેરડો’માં એ ભાવની સૂક્ષ્મતા પ્રમાણી શકાશે. પણ વાત અહીં અટકતી નથી પછી શરૂ થાય છે આત્મઉત્ખનન.

કાંઠે કાંઠે હારબંધ સરુવૃક્ષોનો તડકો
રખડી રખડી નદીમાં ભીંજાઈ લોહીઝાણ થઈ જાય છે
પછી કંટાળો વધુ ભારઝલ્લો બની જાય છે ત્યારે
ઉપરવાસ થયેલા વરસાદે પૂરમાં તણાઈ આવેલા
સાગના લંબઘન ટુકડાઓ જેવો ફુગાયેલો
શીલ શેવાળને કારણે હાથમાંથી સરકી જતો
તીવ્ર વાસથી મગજના કોષોને ધમરોળતો
અરીસો
એક કદરૂપું સત્ય હોય છે
ચહેરાના
સુંદર દંભથી શણગારાયેલ.

‘પૃથ્વીને આ છેડે’ની ‘પૃથ્વીને છેડે બેઠો છું’, ‘પવન પડી ગયો છે’ અને ‘રાત્રિ’ ગુચ્છના કાવ્યોને બાદ કરતા બીજા અનેક કાવ્યોમાં આધુનિક રીતિની પ્રબળ અસર છે. અતિ સંકુલતા આ રચનાઓમાં વિશેષ છે. બે વિરોધાભાસી પરિસ્થિતિ કે સંદર્ભો મૂકી સંવેદન પહોંચાડવું એ રાજેશ પંડ્યાની કાવ્યરીતિની એક મહત્ત્વની લાક્ષણિકતા છે. જુઓઃ

તમે મચ્છી ખાઓ કે ભાત
ચાહે માંસ ખાઓ
ચાહે ધાન્ય
જમીન પર કુદકે કુદકે દોડતી
મરધીની ટાંગ ખાઓ
કે પછી જમીનથી ઊંચે ઝળુંબતાં
લેલુંબ ફળ
ઈડાં ખાઓ કે બટાકા
બધુ પચી જાય
તમને એવી મજબૂત હોજરી મળી છે

આ વિરોધાભાસ દ્વારા જ બધું જ બધા માટે છે એ સંદર્ભ રચાય છે પણ સવાલ આપણા વિવેકનો છે કે આપણે શું પસંદ કરીએ છીએ? કાવ્યાન્તે યોજેલા પદવિન્યાસમાં કવિ બોલચાલની ભાષાનો પદવ્યુત્ક્રમ યોજી સાદા કહેવાયેલા વાક્યથી સંકેત રચે છે. કાવ્યલેખન પોતે જ કસોટીની વાત છે એ સંદર્ભ, ભાષા સાથેની સતત મથામણ ‘ચકલીઓ કે કવિતા’ અને ‘કાવ્યલેખન અનેક’ જેવા કાવ્યોમાં છે. ‘પૃથ્વીને આ છેડે’ પછી વિવિધ સામયિકોમાં છપાયેલી પણ ગ્રંથસ્થ થવી બાકી રચનાઓમાં રાજેશ પંડ્યાની રચનારીતિ અને સંવેદન વિશ્વનો નવો આયામ સિદ્ધ થાય છે. આ કાવ્યોમાં શરૂઆતની આધુનિકતાની છાંટ ઓગળી જાય છે. ‘જંગલ અને રણમાં, મિત્રો અને હું’, ‘રાત્રિસંસાર’, ‘સમુદ્રકાવ્યો’ એ રીતે મહત્ત્વના છે.

જંગલની ભાષા હું કદી સાંભળી શક્યો નથી
એમ રણનું મૌન પણ હું સમજી શક્યો નથી કદીય

જંગલ-રણ-મિત્રો અને કવિ(કાવ્યનાયક)નું સાયુજ્ય આ કાવ્યમાં રચાય છે. અંગત સંવેદનની સાથે વન અને રણની પ્રકૃતિ પણ ઉકલતી જાય છે. અહીં, એક રીતે તો અંગત સંવેદન-અભિવ્યક્તિ માટે કવિએ જંગલ અને રણનું વસ્તુગત સહસંબંધક યોજ્યું છે.

અંધારાના અનેક રૂપો આપણી કવિતામાં આલેખાયા છે પણ દરેક અંધારું જે તે કવિનું પોતીકું છે, પછી એ ખુશ્બુભર્યું હોય કે ઊંટ ભરીને આવતું. રાજેશ પંડ્યામાં ‘ખોબે ખોબે રાત ઉલેચું/ તોય તે ખૂટે નહિ/ અંધારું’માં અંધારાનું પ્રવાહી પરિમાણ પ્રગટે છે.

રાજેશ પંડ્યાની કવિતાનું બીજું એક મહત્ત્વનું પાસું છે નોખું સંવેદન. વિશ્વ વાસ્તવના સીમાડા ઓળંગીને કલ્પનાલોક-સ્વપ્નલોકની સફર. પણ એ આપણા આજના વાસ્તવ સાથે એટલી જ તંતોતંત જોડાયેલી છે. ‘રાત્રિસંસાર’ અને ‘સમુદ્રકાવ્યો’ એના સંવેદનને કારણે ગુજરાતી કવિતામાં અપૂર્વ છે.

એક રાતે
હું ગાઢ જંગલમાં ભૂલો પડ્યો
જેનું એક પણ ઝાડ
કપાયું નહોતું
ટેબલ તો દુરની વાત છે
હજી હોડી ય બનાવી નહોતી કોઈએ

આદિમ રાત, આદિમ જંગલ અને આદિમ અવસ્થા આ કાવ્યનું સંવેદન છે. કવિ અહીં પાછે પગલે બે પંક્તિમાં સદીઓ ઓગાળી નાખે છે. આજની સ્થિતિ-પરિસ્થિતિ સાથે કશુંક ગોઠતું નથી એની સાથેનો વૈચારિક અલગાવ સતત એમની કવિતામાં વ્યક્ત થયા કરે છે. ‘પૃથ્વીને આ છેડે’ની રાત્રિગુચ્છની રચનાઓમાં એના અંકનો પડેલાં છે. સંવેદન અને બાનીની તરેહોને કારણે ‘સમુદ્રકાવ્યો’ ગુજરાતીમાં કવિતામાં અનન્ય છે.

બધા કહે છે/ એક વખત અહીં દરિયો હતો/ થોડુંક ઊંડે ખોદો/
તો શંખ છીપલા મળી આવે/ થોડુંક વધુ ઊંડો ખોદો તો
પરવાળાં/ એમ ઊડેં ને ઊંડે ઊતરતા જાઓ/ તો દટાઈને
સચવાયેલી કંઈ કંઈ/ દરિયાઈ વસ્તુઓ મળી આવે અકબંધ/
ઘુઘટવાટ પણ મળી આવે કદાચ.

‘બધું જ મળે’ની સંભાવના-સંવેદનથી ચાલતા કાવ્યમાં છેલ્લે આવે છે ‘શું ન મળે’, ને એમ અંતે ચમત્કૃતિ સર્જાય છે. અહીં ‘કદાચ’ એવો સંભાવના વાચક શબ્દ મૂકીને કવિએ હકીકત અને કલ્પના વચ્ચેનું એક કાવ્યગત તાટસ્થ્ય પણ જાળવ્યું છે. આ બધા કાવ્યો ઉપરાંત ‘સુવર્ણમૃગ’(૨૦૧૩) રાજેશ પંડ્યાની મહત્ત્વની રચના છે. સમકાલીન સમયસંદર્ભ રજૂ કરવા માટે પુરાકથા મોટાભાગના ઉત્તમ કવિઓ માટે સક્ષમ માધ્યમ રહ્યું છે. રાજેશ પંડ્યા પણ આજના માણસની ભૌતિકતા તરફની દોટ, પર્યાવરણીય સંવેદનોને આ કાવ્યમાં મૂકે છે. રામ-સીતાના વનગમનથી કાવ્યની શરૂઆત થાય છે પણ પછી તરત જ પંચવટીમાં સીતાજી સુવર્ણમૃગ જુએ છે એ પ્રસંગ નિરૂપી દે છે. કવિ કથાની સાથે વર્ણનમાં પણ કવિપ્રતિભાના સંકેતો છે. વર્ણન દ્વારા પંચવટીનું સૌંદર્યમય ચિત્ર ઉભું થાય છે. જુઓ

‘વાડની વચાળ રૂડી મઢુલી રચાવી
વાવ્યા આંગણાંમાં અમરા ને ડમરા
જૂઈ ને ચમેલી ચંપો મઘમઘ થાય
એની ગંધથી ખેંચાય વનભમરા

તો કાવ્યાન્તે આવતી પંક્તિઓ

આપણી લાલસા ભોળા જીવનો લે ભોગ
ભોગલાલસાથી ભોગવાતા આપણે હોજી
બેય રે બાજુથી વેરે કરવત એમ
પછી ઇંધણા ઓરાઈ જાતાં તાપણે હોજી

માં ભૌતિકતા તરફની દોડ પણ સૂચવાય છે. ભોગં ન ભુક્તા વયમેવ ભુક્તા.... – એ સુભાષિત-ઉક્તિના અનુસર્જનરૂપે આ પંક્તિઓ રચાઈ છે. તો હરણ સાથેના યુદ્ધ વર્ણનમાં રમેશ પારેખના ‘લાખા સરખી વાર્તા’ (સમડી સાથેના યુદ્ધવર્ણન)ની અભિવ્યક્તિરીતિ સાથેની સમાંતરતા ચકાસવા જેવી છે. પરંપરિત દેશી વિષયાનુરૂપ બાની, ચુુસ્ત પ્રાસયોજના અને અંતે આવતા કરૂણ દ્વારા રચના સમકાલીન સમયની ધ્યાનપાત્ર રચના બને છે. પોતાની અભિવ્યક્તિરીતિને બદલતા આ કવિની કવિતામાં આસપાસના પર્યાવરણીય સંદર્ભો વિશેષ સભાનતાપૂર્વક અનએ નિસ્બત પૂર્વક આલેખાયા છે. ભૌતિકતા તરફની દોડ, ટૅકનોલૉજીનું આક્રમણ અને મૂલ્યહ્રાસ તીવ્ર સ્વરે કાવ્યતત્વની શરતે એમની કવિતામાં વ્યક્ત થયા છે. આપણી આસપાસથી જે રીતે ઝાડ-પંખી-પશુઓનો વિનાશ થઈ રહ્યો છે એનો એક તીવ્ર અપરાધબોધ ‘ઝાડ’ વિશેના કાવ્યોમાં છે. આ સર્વ કવિતાઓ રાજેશ પંડ્યાને અનુ-આધુનિક સમયની બીજી પેઢીના અગ્રગણ્ય કવિ ઠેરવે છે.

સંજુ વાળા

અનુ-આધુનિક કવિતાનું એક મહત્ત્વનું લક્ષણ પરંપરા સાથેનું અનુસંધાન છે, પછી એ મધ્યકાલીન જ્ઞાન પરંપરા-ભજન પરંપરા હોય, પદ્યવાર્તા હોય કે અર્વાચીન ગીત-ગઝલ-ખંડકાવ્ય હોય. આ બધામાં હરીશ મીનાશ્રુ, દલપત પઢિયાર અને સંજુ વાળા સંત પરંપરા સાથે અનુસંધાન ધરાવે છે. આમ તો બધાના મૂળ તત્ત્વ-સત્ત્વની પરંપરામાં છે. આમ છતાં ભાવ-ભાષા-રચનારીતિ ત્રણેયની નોખી. સંજુ વાળા પાસેથી અત્યાર સુધી કંઈક કશુંક/ અથવા તો (૧૯૯૦), કિલ્લેબંધી (૨૦૦૦), રાગાધીનમ્‌ (૨૦૦૭) અને કવિતા નામે સંજીવની (૨૦૧૪) એમ ચાર સંગ્રહ મળે છે. સંજુ વાળા પોતાની અરૂઢ શૈલીના ગીત-ગઝલને કારણે આ સમયના ધ્યાનપાત્ર કવિ છે. ગળચટ્ટા ભાવોની આ કવિ પરેજી પાળે છે. એમના ગીતોના ઉઘાડ અને વિષયો જુદા છે. જુઓઃ

સુખ તમાકુ ચાવ્યાનું કાંઈ રગરગમાં વહેતું રે
તાર તાર રણઝણવું ત્રમ્‌... ત્રમ્‌...
આંખ ખૂલી ગઈ ત્રીજી
જોયું’ને અણજોયું ચારે કોર થપાટો વીંઝી
અંગૂઠાનું જોમ છેક પરભવમાં પેઠું રે...

ઉડાઉ શૈલીમાં હળવાશથી અસ્તિત્વની વાત અહીં થઈ છે. તો ‘રાત રસાળે’, ‘અસમંજસનું ગીત’, ‘કેસરભીની હથેળીમાં’, ‘પરોઢિયાનો વીંછી’માં રતિરાગના તીવ્ર સંવેદનો છે.

‘ઊઈ...મા, ડંખ્યો પરોઢિયાનો વીંછી...
મનમાની અંધારાનો ભરડો છૂટ્યો
હોઠ ઉપર એક
ચીસ ડૂબી ગઈ તીખી...

મનમાન્યા સાથે રાત્રિના રતિસુખ પછીની સવારનું અહીં આલેખન થયું છે. તો

સુમસામ સન્નાટો પહેરી લખલખતું ચોધાર બલમજી
શ્વેત ધુમાડો ઓઢી ઊજવું ફળફળતો તહેવાર બલમજી
સેંથીના ખાલીપે ફૂટી તીક્ષ્ણ ચળકતી ધાર બલમજી

અરૂઢ રીતે મરણ સંવેદનને વ્યક્ત કરે છે. અહીં લોકબાનીના વિનિયોગ અને કલ્પન નાવીન્યથી આખી વાત કરુણગર્ભ બની છે. જે સેંથીમાં રંગ ઉભરાતા એ હવે તીક્ષ્ણ ચળકતી ધાર જેવી થઈ છે એ કલ્પન સંવેદનને વળ ચડાવે છે. ગીત કવિઓની ઉત્તમ પરંપરા સંજુ વાળા માટે જેમ પ્રેરણા છે એમ પડકાર પણ છે. પુરોગામીઓથી પોતાની એક જુદી કેડી કંડારવી એ કોઈપણ મહત્ત્વના કવિ માટે પડકાર હોય છે. પોતાની કેડી શોધવાની મથામણમાંથી જ સંજુ વાળા નાજુક નાયિકાના મુગ્ધભાવો, કા’ન-ગોપી કે કમ્પ્યુટર જેવા વિષયો કે કેફી લય તરફ ન જતાં પોતાના ગીતને અરૂઢ વિષયો અને અગેય લયની નજીક લઈ જાય છે. જુઓઃ

વાત આમ નિમ્નસ્તર, સમાચારલક્ષી
સામે ઘરનંબર સત્તરનાં અંધારે રોજ નવું ઊતરતું પક્ષી
આખ્ખી સોસાયટીને અત્તરના ફાયામાં ફેરવી દે એવા કૈં ઠાઠ

ગીતને અગેય બનાવવા સંજુ વાળા મનહર, કટાવ, સવૈયા જેવા છંદોની મદદ લે છે. ગળથૂથીમાં મળેલા ભજન સંસ્કારના કારણે તત્ત્વ-સત્ત્વ પરંપરા તરફનો ઝોક પણ એમની કવિતામાં સંકુલ પરિમાણો પ્રગટાવે છે. ભજન પરંપરામાં આવતી અવળવાણી-વિરોધાભાસનો સંજુ વાળાએ પોતાના કાવ્યોમાં બખૂબી વિનિયોગ કર્યો છે.

‘વીતરણી વહેતા જળકાંઠે
બેઠા સુખસંગતમાં
નહીં પરાયું કોઈ અહીં કે
નહીં કોઈ અંગતમાં.’

આવા તો અનેક ગીતોના ઉદાહરણ સંજુ વાળાની કવિતામાંથી આપી શકાય. ગઝલમાં પણ માધ્યમ સાથે એમણે મથામણો કરી છે. સાંપ્રત સમયમાં થોકબંધ ઉતરતી ગઝલોના વિષયો અને સીધા-સપાટ આલેખનોથી એ દૂર રહ્યાં છે. લાંબી બહેરની ગઝલ, ટૂંકી બહેરની ગઝલથી માંડી અ-નિયંત્રિત ગઝલ સુધીની અનેક સ્વરૂપગત તરેહો એમણે અપનાવી છે. જુઓઃ

ઓગળે દૃશ્યો બધાં ધુમ્મસ
બની
શ્વાસ મધ્યેની તિરાડો વિસ્તરો
હજી
ક્યાં હશે તું? ત્યાં? અહીં?
ચોતરફ ઘૂમી-ઘૂમી-ઘૂમી નજર
પાછી વળી
આ અચાનક શિલ્પના ઉચ્ચાર
થી દ્રવી ભાષા નવી

અહીં સ્વરૂપ સાથેની છેડછાડ છે પણ કાવ્યત્વ અળપાય નહીં એનો કવિએ બરોબર ખ્યાલ રાખ્યો છે. સંજુ વાળાની કટેલીક ગઝલો આપણને સીધા સટ પસાર થવા દેતી નથી ત્યાં થોભવું પડે છે. લાગણી અને વિચાર બન્નેને સરાણે ચડાવા પડે છે. જેમકેઃ

ભીતરથી આરંભાઈને પહોંચાડે પાછાં ભીતરે
અનહદ, અલૌકિક, આગવું પ્રસ્થાન ક્યાંથી લાવીએ?

ગીત-ગઝલ ઉપરાંત સંજુ વાળા પાસેથી ‘કિલ્લેબંધી’ નામનો અછાંદસ કાવ્યોનો સંગ્રહ મળે છે, પણ આ કવિને ગીત-ગઝલ જ વધુ માફક આવ્યાં છે. આપણી લોકોક્તિઓ-કહેવતોમાં એકાદ શબ્દફેરથી એ નવો જ અર્થ નીપજાવે છે. જમકેઃ ‘એક ઝાલું ત્યાં તેર વછૂટે’. ઘણી વખત એ નવા નવા શબ્દો નીપજાવે છે જેમકે ‘અક્ષરિયત’ અને એમ ભાષા ઘડે છે. સંજુ વાળાના કેટલાંક ગીતોમાં એક અંતરા સાથે બીજા અંતરાના ભાવનું સાયુજ્ય નથી રચાતું, જાણે કે બે જુદા ગીતોના ભાવ એક લય-પ્રાસમાં મુકાયા હોય એમ લાગે. લખ્યું એટલું બધું જ છપાવી દેવું અને અતિ લેખન એ આ કવિના ભવિષ્ય માટે એક ભયસ્થાન છે. આમ છતાં ગીતોની ઉફરી રચનારીતિ, પોતાની ભાષા ઘડવાની મથામણ, સંકુલ વિષય-સંવેદનને કારણે એ આ સમયના ધ્યાનપાત્ર કવિ છે.

ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કર પાસેથી ‘એકાવન’ (૧૯૮૭) અને ‘સેલ્લારા’ (૨૦૦૩) એમ બે કાવ્યસંગ્રહો મળે છે. પછીથી ‘એકાવન’ના કેટલાંક ચૂંટેલા અને ‘સેલ્લારા’ના સમગ્ર કાવ્યો મળીને ‘ઉદયન ઠક્કરનાં ચૂંટેલાં કાવ્યો’નો સંગ્રહ (૨૦૧૨) પ્રગટ થયો છે. વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉદયન ઠક્કરની કવિતામાં વ્યંગ અને વિડંબન દ્વારા માનવીય વેદનાઓ સમુચિત રીતે રજૂ થઈ છે. બ્લેક હ્યુમર એ એમની કવિતાનું મહત્ત્વનું પાસું છે. ‘અદલાબદલી’ કાવ્યમાં હળવી શૈલીમાં વાત આ રીતે રજૂ થાય છે.

સ્વદેશી ખાદીના પહેરણનું એક જ દુઃખ
ઇસ્ત્રી સાથે પણ
અસહકાર કરે...
... એક વાર ધોબીમાં આપેલું, તે બદલાઈ ગયું.
ટાઢે પાણીએ ખસ ગઈ.
... ધોબી, તેં તો જિંદગી બદલી નાખી
રામની અને આ રમતારામની.

કાવ્ય માત્ર અહીં અટકતું નથી પણ બદલાઈને આવેલા ઝાકમઝાળ ઝભ્ભા સાથે વ્યક્તિત્વ પણ કેવું બદલાતું જાય છે એ વાત નિહિત છે. એટલે એક રીતે ઝભ્ભાના પ્રતીકે નાયકનું થતું વિકારી રૂપાંતર કેન્દ્રસ્થાને છે.

મરણ આમ તો માનવીય દર્શનનો મહત્ત્વનો વિષય રહ્યું છે. પણ આધુનિક યુગનાં સાહિત્યમાં મરણેચ્છા અથવા મૃત્યુચિંતન વધારે તીવ્ર રીતે વ્યક્ત થયું. ઉદયન ઠક્કર ‘મરવું’ કાવ્યમાં એમની એ જ કટાક્ષ શૈલીમાં મનુષ્યના જન્મની સાથે જ જન્મના મરણની આડીઅવળી ચાલોને મૂકે છે.

કોઈએ કહ્યું છે;

માણસ જન્મે ત્યારે તેનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
મરણ સાથે,
આમ કહેનારનો સંકેત મરણની સુંદરતા તરફ હશે?
કે લગ્નની ભયંકરતા તરફ?

ઉદયન ઠક્કરનાં કાવ્યોમાં એક પ્રકારની સરળતા છે પણ એ સરળતા છેતરામણી છે કારણ કે સરળતાની પાછળ સૂક્ષ્મ નિરીક્ષણ હોય છે જીવન અને જગતનું. સપાટી પરના વ્યંગની પછવાડે હોય છે વેદનાની આછી લકીર. આમ છતાં ઘણીવાર એ સ્થૂળ શબ્દ રમતમાં સરી પડે છે. ‘પ્રશ્નપત્ર’ કે ‘ટચૂકડી જા.xખ.’ જેવાં કાવ્યો એનાં હાથવગાં ઉદાહરણો છે.

ઉદયન ઠક્કરના કાવ્યોની એક મહત્ત્વની વિશેષતા છે અભિવ્યક્તિના જુદા જુદા તરીકાઓ. એ દુહા-સોરઠા કે મુક્તક લખે છે તો સાથે જ છંદોબદ્ધ-છંદવૈવિધ્યવાળી દીર્ઘ રચનાઓ પણ કરે છે. ગીત-ગઝલની સાથે અછાંદસમાં પણ અભિવ્યક્ત થાય છે. એમના કેટલાંક કાવ્યોમાં એક સાથે અનેક ભાષાગત સ્તરો છે. ‘સેલ્લારા’માં પૃથ્વી પર થયેલા તાનાશાહો, આસપાસના રોજબરોજના સામાન્ય અને વૈશ્વિક પ્રશ્નો, ઇતિહાસના સંદર્ભોને જોડી આકાશમાં સેલ્લારા મારતી સમળી મૂકે છે. ‘છતાં/ આકાશમાં/ સમળી/ સેલ્લારા/ લે/ છે/ સેલ્લારા/ પીંછુંય / ફરકાવ્યા/ વિના.’ એટલે કે ઉપરોક્ત બધી જ સમસ્યાઓ હોવા છતાં આપણું તો રુવાડુંય ફરકતું નથી એ તીવ્ર સમયબોધ પણ આ કાવ્યનો વિશેષ છે.

વિડંબન પ્રગટે છે વિરોધાભાષોમાંથી ને માટે ઉદયન ઠક્કરની ગઝલોમાં પણ વિરોધાભાસો દ્વારા સંવેદન પ્રગટે છે.

‘આપના જે મનમાં છે એજ મારા મનમાં છે
દાખલા તરીકે કંઈ એવું;
પર્વતથી કેડીઓ ઓછી કરીને પછી ચરણોથી
ભાગીએ તો કેવું?

અથવા

ઘુઘવાટોથી ન આવ્યો હાથમાં
કેવો ઝિલાઈ ગયો, નિરાંતમાં

દુહા જેવા લઘુ સ્વરૂપમાં પણ એમનો વ્યંગ જ પ્રધાનપણે હોય છે.

બીજું સાજણ શું લખું? લખું એક ફરિયાદ
ક્યારે આવી હેડકી? તે ય ન આવે યાદ

અથવા

લઈ રસાલો રૂપનો, કન્યા મંદિર જાય
‘ઓહો! દર્શન થઈ ગયાં!’ બોલે જાદવરાય

આ બધી રચનાઓમાં ‘ગરુડપુરાણ’ ઉદયન ઠક્કરની મહત્ત્વની રચના છે. નરકમંડલમ્‌, અંજારવર્ણનમ્‌, ભચાઉવર્ણનમ્‌, રાપરવર્ણનમ્‌, વિષ્ણુમોચનમ્‌, કર્ણાવતીવર્ણનમ્‌, ભૂજવર્ણનમ્‌, સ્વર્ગલોકવર્ણનમ્‌, અને અંતે શ્રવણફલમ્‌ એમ નવ વિભાગોમાં વહેંચાયેલું આ છંદોબદ્ધ કાવ્ય છે. અનુષ્ટુપ, મંદાક્રાન્તા જેવાં છંદોમાં ગરુડપુરાણમાં આવતા કથન-વર્ણનની શૈલીએ કચ્છના ધરતીકંપની સાથે જોડાયેલા અનેક દુઃખદ પ્રસંગો આલેખાયા છે. ગરુડપુરાણ વાંચતા ભટ્ટજી અને શ્રોતાની વચ્ચે ચાલતા કટાક્ષો, વિષ્ણુજી અને ગરુડજીના સંવાદોમાં નરકની સાથે ભૂકંપને કારણે પૃથ્વીલોક પર જ સર્જાયેલું નરક સામસામે મુકાય છે. મોતનો મલાજો મૂકી, મૂએલાંઓના કાન-હાથ કાપી સોનું લૂંટતાં લોકોની ઘટના અને એવી બીજી અનેક ઘટનાઓના સંદર્ભો અહીં છે.

‘કાગડા-કૂતરાઓને તક નાહક આપવી
નિષ્ઠાવાન જુઓ ઊભા, રાજ્યના કર્મચારીઓ
એકના હાથમાં ઝોલી, ઝોલીમાં કેવું સાચવ્યું
સોનાના કંકણોસોતું કુમળું કાંડું કોઈનું’

આમ કાવ્યના અનેક સ્વરૂપોમાં લખતા હોવા છતાં ઉદયન ઠક્કરની કવિતાનો મુખ્ય સૂર તો છે વ્યંગ-વિડંબન દ્વારા પ્રગટતી વેદનાનો. આસપાસની કુરૂપતાઓને એ બહુધા કાવ્યવિષય બનાવે છે ને એમ પોતાના સમકાલીનોથી નોખા પડે છે.

મનીષા જોષી

વીસમી સદીના નવમા દાયકાની શરૂઆતથી આપણે ત્યાં નારી-દલિત ચેતનાઓ પ્રબળ રૂપે પ્રગટી. અત્યાર સુધી નારી વતી બીજાઓએ લખ્યું પણ હવે એ પોતે પોતાના વિશે લખતી થઈ અને એમ આપણાં સાહિત્યમાં એક નવું પરિમાણ ઉમેરાયું. એ સંદર્ભે જે કેટલાક નારી અવાજો પ્રગટ્યા જેમાં નારી પોતાના પ્રત્યે, પોતાના દેહ પ્રત્યે, પોતાની સંવેદનાઓ પ્રત્યે જાગૃત થઈ અને હિંમતપૂર્વક એને આલેખતી થઈ, એમાં મનીષા જોષી મહત્ત્વનાં કવયિત્રી છે. એમના પ્રથમ સંગ્રહ ‘કંદરા’(૧૯૯૬)માં રતિ આવેગ, પુરુષ ઝંખના, પુરુષ દ્વેષ, વિદ્રોહ કાવ્યરૂપ પામ્યા છે. સ્ત્રીના અસ્તિત્વ સાથે જોડાયેલાં કેટલાંક અતિ સૂક્ષ્મ સંવેદનો ગુજરાતી કવિતામાં પહેલીવાર આ સંગ્રહમાં મળે છે. જેમકે રજસ્વલા થતાં નારીના દેહમાં ફેરફારની સાથે આવતી પોતાના શરીર પ્રત્યેની સભાનતા અને રતિઝંખના સંકુલ રીતે રજૂ થઈ છે. જેમકેઃ

હું હમણાં જ નાહી છું.
માથા પર પાણી રેડ્યું ને એ
સેંથા પરથી થઈને વાળ,
ખભા, નિતંબ, કમર અને
પીઠ, હથેળી, ઘૂંટણ પરથી ટપકે છે.
જો, જો, પેલો કાળો નાગ!
શંકરના ગળેથી ઊતરીને
દૂધની ધારાઓ વચ્ચેથી માર્ગ કરતો
ક્યાં જઈને વીંટળાઈ વળ્યો છે
પીળા કરેણને!

એમની બહુ જાણીતી રચના ‘ગોઝારી વાવ’માં પ્રિયજન દ્વેષનું એક જુદું જ રૂપ ગુજરાતી કવિતામાં અનન્ય છે.

‘હાં, હાં, એ માણસ જીવે છે હજી,
એના ઘરમાં, સુખેથી
પણ મરી ગયો છે એ મારા માટે,
અને એટલે જ હું રોજ એના નવા નવા
મૃત્યુની કલ્પના કરું છું.

અનેક પ્રકારે પ્રિયજનના મૃત્યુની કલ્પના કરતાં કરતાં કાવ્યનાયિકા કહે છેઃ

રોજ રાત્રે યમરાજ આવે છે
પેલા કાળમુખા પાડા પર બેસીને
કરગરે છે, એને લઈ જવા માટે.
પણ હું રજા નથી આપતી.

કાવ્યાન્તે એ પ્રિયજનના મૃત્યુની યમને પરવાનગી આપતી નથી એની પાછળ પુરુષદ્વેષ તો છે જ, પણ સાથેસાથે મનમાં ઊંડે ઊંડે એ પુરુષની ઝંખના પણ છે એ સંદર્ભ તો ઊભો જ રહે છે. વળી આ કાવ્યનો તંતુ વિપર્યાસપૂર્વક સાવિત્રી સાથે જોડાય છે. ‘વાળની ગૂંચ’ કાવ્યમાં અદમ્ય પુરુષઝંખના આ રીતે વ્યક્ત થઈ છે.

સોનાની વેણીથી મારા વાળ સજાવતા
સુંદર, શાશ્વત નરેશો ક્યારેય
વાળમાંથી ગૂંચ નથી ઉકેલી શકતા
તું રક્તપીતિયો રોગી હોય તો પણ આવ.

મનીષા જોષીના ‘કંદરા’ પછીના ‘કંસારાબજાર’ (૨૦૦૧) સંગ્રહમાં રતિ, માતૃત્વ, સ્વ અને પર વચ્ચેનો સંઘર્ષ કેન્દ્રમાં છે. પહેલા સંગ્રહમાં રહેલો પુરુષ દ્વેષ હવે સંયત બન્યો છે. પણ રતિઝંખના હજી પણ એટલી જ પ્રબળ રીતે આલેખાઈ છે. ‘હું અને મારા કપડાં’, ‘ઓસીકાની ખોળ’, ‘સહશયન’ એના ઉદાહરણો છે. અશ્વ, નાગ, જાસૂદનું ફૂલ એ કામેચ્છાના પ્રતીક બનીને ઘણીવાર મનીષા જોષીની કવિતામાં પ્રયોજાયા છે. આ સંગ્રહની અંતિમ રચના ‘કંસારા બજાર’માં વાસણ અને જીવનનું સાયુજ્ય રચાયું છે. તો આજ કાવ્યમાં મનીષા જોષીના પછીના સંગ્રહ ‘કંદમૂળ’ (૨૦૧૩)ની દિશાના સંકેત પણ પડેલા છે. ‘કંસારા બજાર’માં વસ્તુઓ સાથેનું અદૃશ્ય જગત છે તો ‘કંદમૂળ’માં વીગત સાથેનો લગાવ અને મૂળમાંથી ઊખડવાની પીડા છે. વતન કચ્છ અને પિતા સાથેના સંવેદનો આ સંગ્રહના કાવ્યોની મહત્ત્વની ધરી છે. પ્રથમ રુદન કાવ્યમાંઃ

કોઈ એક દેશના, કોઈ એક ગામના,
કોઈ ઘરમાં, કોઈ એક મધરાતે,
મે કર્યું હશે,
એક હળવું
પ્રથમ રુદન

માં મૂળ સાથેનો અનુબંધ છે તો ‘ગાંધીધામની ટ્રેન’માં પિતા સાથેના સ્મૃતિ સાહચર્યો છે. ‘સંવનન’ જેવા કાવ્યમાં પ્રકૃતિ અને પ્રતિકૃતિ માટે નર અને માદાનો સંયોગ સીલ-ફ્લેમિગોના આલંબન દ્વારા વ્યક્ત થયો છે. ‘કસબામાં’ કાવ્યમાં કલ્પનાના સાહચર્યો દ્વારા હિંસકતાની પડછે રતિની આક્રમકતા વ્યક્ત થઈ છે.

‘મારી ઝૂંપડીના ઓટલા પર સૂતેલી હું,
કલ્પના કરી રહી છું એ વાઘની.
કેવો કદાવર હશે એ?
એના શક્તિશાળી પંજાથી
એ મને પકડમાં લેશે,
મારા પગ ખેંચીને ઢસડી જશે જંગલમાં....’

મનીષા જોષીનું નારી-સંવેદન બહુધા વૈયક્તિક સંવેદન છે. એ નારી સમૂહની ચેતના નથી. એમનો એવો આશય પણ નથી. ને આમ છતાં એમની કવિતા ગુજરાતી નારીવાચક કવિતાનો એક મહત્ત્વનો સૂર છે. નારીના અંગત સંવેદનો, શરીર પ્રત્યેની એની સભાનતા, શરૂઆતની કવિતામાં તીવ્રરૂપે આવતો પુરુષ-દ્વેષ, પ્રબળ રતિઝંખના અને પછીના સંગ્રહોમાં આવતો એક પ્રકારનો સમભાવ, વીગત અને વર્તમાનના સાહચર્યો, ઘર-વતનનો વિચ્છેદ એમ અનેક રૂપો મનીષા જોષીની કવિતામાં નિરૂપાયા છે, જે એમને અનુ-આધુનિક સમયનાં નોખી મુદ્રા પ્રગટાવનારા કવયિત્રીનું સ્થાન અપાવે છે.
૦૦૦

પ્રતિપદાની તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૪ રવિવારની ચતુર્થ બેઠક : ઉમાશંકર કવિસંગતિમાં અપાયેલું વ્યાખ્યાન.