પ્રતિપદા/સંપાદકીય

From Ekatra Wiki
Revision as of 09:11, 7 September 2021 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
સંપાદકીય


આધુનિકતાના ઓછાયામાંથી તદ્દન મુક્ત બનીને અનુ-આધુનિક કવિતા પોતાની આગવી ઓળખ પ્રગટાવી શકી છે અનુ-આધુનિક કવિઓએ પોતાને કહેવું છે એ જ, પોતાના જેવું જ લખવાનો આગ્રહ રાખ્યો. માનવીય અને વૈશ્વિક સંવેદનાઓને આ કવિઓએ પોતીકી ભાષામાં અભિવ્યક્તિ આપી છે, આ ગાળાની કવિતામાં વિષય વૈવિધ્ય અને સ્વરૂપ વૈવિધ્ય પણ એટલું જ છે, આવી વિવિધતા ધરાવતી કવિતા વિશે થવી જોઈએ એટલી અને એવી ચર્ચા સમકાલીનો દ્વારા થઈ નથી એવો સૂર પણ સતત પ્રગટતો રહ્યો છે. કવિતા લખાય, વધુને વધુ વંચાય, સંગોષ્ઠીઓ યોજાય, કાવ્યપાઠ થાય અને તેના અવલોકનો થાય એ કવિતા અને ભાવક બન્નેના લાભમાં છે. આવી પરિસ્થિતિમાં અમારી એન. એસ. પટેલ આટ્‌ર્સ કૉલેજ, આણંદમાં કવિશ્રી હરીશ મીનાશ્રુ સંકલ્પિત-પ્રાયોજિત ‘પ્રતિપદા’-અનુ-આધુનિક કવિતાનો ઉત્સવ તારીખ ૨૦, ૨૧ સપ્ટેમ્બર ૨૦૧૪ના રોજ યોજાયેલો. આ કાવ્યોત્સવ એટલા માટે પણ અભૂતપૂર્વ હતો કે તેમાં ૧૭(સત્તર) કવિઓએ તેમને સોંપાયેલી ત્રીસ મિનિટમાં પોતાની રચનાઓનું પઠન કરવાનું હતું. આ રચનાઓની પસંદગી પણ એમની પોતાની હતી. આ સત્તર કવિઓની કવિતાને ચાર વિવેચકો મૂલવે એવી યોજના ઘડાયેલી એટલે એક બેઠકમાં ચાર કવિઓ કવિતા વાંચે અને એ ચારેય વિષે એક અધિકારી વિવેચક વાત કરે તેવો ઉપક્રમ હતો. પ્રસ્તુત સંપાદનમાં જે-તે કવિએ વાંચેલી તેમની રચનાઓમાંથી કેટલીક રચનાઓ પસંદ કરી છે. પૂર્વ યોજના પ્રમાણે ચાર વિવેચકોના અભ્યાસલેખો પણ અહીં મૂક્યાં છે. અનુ-આધુનિક કવિતાના મર્મ સમજાવતો ‘અનુ-આધુનિક કવિતાઃ ઓળખનો આલેખ’ એવો મણિલાલ હ. પટેલનો અભ્યાસલેખ આરંભે મૂક્યો છે. અમારે ત્યાં અભ્યાસ કરતા એમ.એ. ગુજરાતી (ફોક એન્ડ ઈંડિજીનસ સ્ટડીઝ)ના વિદ્યાર્થીઓ અનુ-આધુનિકયુગના મહત્ત્વના કવિઓની પસંદગીની રચનાઓનો અભ્યાસ કરી રહ્યા છે, આ કાવ્યપાઠ યોજવાનું નક્કી થયું ત્યારથી અમારા મનમાં નિશ્ચિત હતું કે અમારા વિદ્યાર્થીઓ માટે તેમના અભ્યાસક્રમમાં મૂકી શકાય તેવું અનુ-આધુનિક કવિતાનું પુસ્તક આ કાર્યક્રમ બાદ સંપાદિત કરવું. હરીશ મીનાશ્રુએ પહેલેથી જ આ કામ અમારી સંસ્થા ઉપાડી લે તેવો ભાવ વ્યક્ત કરેલો. પુસ્તકનું પ્રકાશન અમારા ‘ફોક એન્ડ ઈંડિજીનસ સ્ટડીઝ’ - લોક અને દેશજ વિદ્યાકીય અભ્યાસશાખા દ્વારા થાય એ માટેનો પ્રસ્તાવ અમારા આચાર્યશ્રી ડૉ. મોહન પટેલ પાસે મૂક્યો. તેમણે હંમેશની જેમ, વિના વિલંબે, સંસ્થાગત જવાબદારીના એક ભાગરૂપે ‘પ્રતિપદા અનુ-આધુનિક કવિતા અને કાવ્યવિમર્શ’ને પ્રકાશિત કરવાની સહર્ષ પરવાનગી આપી. કાવ્યોની પસંદગીથી માંડીને પુસ્તકના લે-આઉટ સુધીની કાળજી લેતાં હરીશ મીનાશ્રુ અને મણિલાલ હ. પટેલનુુંં પરામર્શન અમને સાંપડ્યું છે તેનો આનંદ છે. અનુ-આધુનિક કવિતાનું આ સંપાદન અમારા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ઉપયોગી નીવડશે એમાં બે-મત નથી તો વળી, સાથે સાથે અનુ-આધુનિક કવિતાને સમજવા માંગતા અભ્યાસીઓ માટે પણ લાભદાયી બની રહેશે એવી ઊંડી શ્રદ્ધા છે. – પ્રશાંત પટેલ
– યોગેશ પટેલ