પ્રથમ પુરુષ એકવચન/હું કોણ?

From Ekatra Wiki
Revision as of 11:35, 6 July 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હું કોણ?| સુરેશ જોષી}} {{Poem2Open}} ઘણી વાર વિચાર કરું છું, તો મનમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હું કોણ?

સુરેશ જોષી

ઘણી વાર વિચાર કરું છું, તો મનમાં પ્રશ્ન થાય છે કે જેને વારે વારે ‘હું’ કહીને બીજાને ઓળખાવવાનો પ્રયત્ન કરું છું તે શું છે? આ સમાજમાં એ ‘હું’ની વ્યાખ્યા બાંધવાનો મને સર્વાધિકાર મળ્યો છે ખરો? દરેક સમ્બન્ધ આ’હું’ના નિશ્ચિત ખ્યાલમાં પરિણામકારી ફેરફાર નથી લાવી દેતો? હું જે કરું છું તે જ માત્ર નહિ, પણ હું જે કરતો નથી તેથી પણ એ ‘હું’ની વ્યાખ્યા બદલાતી રહેતી નથી? આવી, અનેક નિમિત્તે બદલાયા કરતી વ્યાખ્યાઓને યાદ રાખીને પોતાની જાત સાથે વારે વારે તાળો મેળવ્યા કરવાનો ઉદ્યમ કેવો તો થકવી નાખનારો હોય છે!

જે આત્મા ‘અંગુષ્ઠમાત્ર’ છે તેને મેં જોયો નથી, કારણ કે દેખાવાનો એનો સ્વભાવ જ નથી. વિટ્ગેનસ્ટાઇને તો કહ્યું જ છે ને કે માનવશરીર જ માનવ આત્માની શ્રેષ્ઠ છબિ છે! જ્હોન હેયન્સ નામના કવિએ માનવીની જુદી જ વ્યાખ્યા આપી છે; એને ગમે તેના બદલામાં ગિરવે મૂકી શકાય છે. પગાર ચૂકવતાં પહેલાં જ કાપી લેવામાં આવતી રકમની જેમ સરકાર એને, એની જાણ કર્યા વિના, ખણ્ડિત કરી શકે છે. પત્ની જે નામ દઈને એને બોલાવે છે તે નામ સાથે એનો સમ્બન્ધ બંધાયો હોતો નથી. એનો જે જવાબ વાળે છે તે પોતે છે એવું લાગતું નથી. બાળક કોઈ વાર, હાથમાં કોલસો આવી જાય છે તે ભીંત પર થોડાક લસરકાથી માણસનું ચિત્ર દોરી નાંખે છે. તે શું ‘હું’ છું? ના, જો પ્રામાણિકપણે કહેવું હોય તો એમ જ કહેવું પડે કે ‘હું’ મને ઓળખતો નથી. મારો આકાર ગમે તે હોઈ શકે. કોઈ વાર વૃક્ષની જેમ સીધો હું જમીનમાંથી જ ઊગી નીકળું છું. તો કોઈ વાર જળની જેમ વહેતો થઈ જાઉં છું. કોઈ વાર હું મને નક્કરપણે સ્પર્શથી અનુભવવાને ઉત્સુક થઈ જાઉં છું. ત્યારે જ ‘હું’ મને બાષ્પીભૂત થઈને ઊડી જતો જોઈ રહું છું. કોઈ વાર ઝાકળના જેવો હું સ્પર્શભંગુર બની જઉં છું તો કોઈ વાર અવિરત ફરી રહેલા યુગચક્રના આંકાને ઝીલનાર શિલા બની રહું છું. સરકારના મનમાં આવે છે ત્યારે એ મારું નામ એમના કોષ્ટકમાંથી ભૂંસી નાખે છે. કોઈક વાર મારા નામ પર કોઈક કાળું પોતું ફેરવી દે છે, તો કોઈક વાર ઇતિહાસમાં સોનેરી અક્ષરે મારું નામ કોતરવાની મને લાલચ આપવામાં આવે છે! કોઈ વાર છાપાંમાં બે ઈંચની હેડલાઇનના પર મને ઊભો કરી દેવામાં આવે છે તો કોઈક વાર ગુમ થયેલાઓની યાદીમાં મારું નામ મૂકી દેવામાં આવે છે!

મારી સાથેની મારી સંતાકૂકડીની રમત યોજીને મને ઈશ્વરે એવો તો લીલાવશ બનાવી દીધો છે કે હવે ઈશ્વરને અનેક પ્રશ્નો પૂછીને પજવવાનો મને સમય જ નથી મળતો! કોઈ વાર સમયનું ચક્ર મારા મગજમાં ક્યાંક ખોટકાઈને ઊભું રહી જાય છે. ત્યારે હું ચારેય યુગની બહાર ફંગોળાઈ જાઉં છું. કોઈક વાર છાપરું અને ચાર દીવાલવાળા સુરક્ષિત ઘર વચ્ચેથી હું ગુરુત્વાકર્ષણમાંથી મુક્ત થઈને એકાએક અવકાશયાત્રીની જેમ અવકાશમાં તરતો થઈ જાઉં છું!

મારી પીઠ પર બધી બદલાતી સરકારોના સહીસિક્કા છે, મારા કપાળમાં અત્યાર સુધીમાં મેં ઓળંગેલી સરહદોની છાપ છે. મારી આંખોમાં જુગ જુગ જૂની વેદનાના સાગરમાં સૂર્યચન્દ્ર તર્યા કરે છે. મારાં ચરણ સદા મહાયાત્રાએ પ્રસ્થાન કરી ચૂક્યાં હોય છે. આ બધાંમાંથી જે કાંઈ પાછળ અવશેષમાં રહે છે તેના ભંગારમાંથી વળી સમાજ મને ઘડવાનો ઉદ્યમ કરે છે. વળી એના પર પ્રમાણભૂતતાના સહીસિક્કા કરાવવાનો વિધિ કરવો પડે છે. જન્મ્યાનો દાખલો સરકાર આપે નહિ ત્યાં સુધી હું જન્મ્યો છતાં જન્મ્યો ન ગણાઉં અને મર્યાનું પ્રમાણપત્ર પણ સરકારી રાહે મળે નહીં ત્યાં સુધી મૃત્યુલોકમાં જવાનું બારણુંય કોણ મારે માટે ખોલે?

આથી જ તો મેં જોયું છે કે ઘણા લોકો પોતાના અંગત વ્યક્તિવાચક નામથી વેગળા રહીને જીવે છે. એઓ મરણિયાં બનીને અંગત ભાષાનો ત્યાગ કરે છે. પૂરી બિનંગતતા સિદ્ધ કરવી એ જ એમનાં જીવનનો ચરમ પુરુષાર્થ બની રહે છે. એ લોકો જાહેર હવામાં જ જીવી શકે છે. છાપાંની ભાષાથી પોતાની ભાષાને બહુ છેટે એઓ રાખતા નથી. સુખદુ:ખની વ્યાખ્યા પણ એઓ અધિકારીઓ પાસે કરાવી લીધા પછી જ એને ભોગવે છે. આથી ઘણી વાર મને વળગેલા આ ‘હું’નું જાહેરમાં લિલામ કરવા ઉશ્કેરાઈ જાઉં છું. પણ ખરીદનાર તરીકે જો છૂપા વેશે ઈશ્વર જ આવીને ઊભો રહ્યો હોય તો!

11-12-77