સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્યારેલાલ નય્યર/સમાજવાદી વિદ્યાર્થીઓને —

From Ekatra Wiki
Revision as of 11:53, 3 June 2021 by ArtiMudra (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          ગાંધીજી બિહારમાં હતા ત્યારે પોતાને સમાજવાદીઓ તરીકે ઓળખાવતા પંદરેક વિદ્યાર્થીઓ તેમને મળવા આવેલા. એ સોમવાર હતો ને ગાંધીજી મૌન પાળતા હતા, તેથી વિદ્યાર્થીઓના સવાલના જવાબ કાગળના કાપલા પર લખીને તેઓ આપતા હતા. તેમણે લખ્યું, શરીરશ્રમ પ્રત્યેનો અણગમો અને આળસ તજવાં, એ સમાજવાદની દિશાનું પહેલું પગલું છે. “હવે મને કહો, તમારા પૈકીના કેટલાને ઘેર નોકરો છે?” અકંદરે, તે દરેકને ઘેર ઓછામાં ઓછો એક નોકર હોવાનું તેમણે કબૂલ કર્યું. એટલે ગાંધીજીએ પૂછ્યું, “અને તમે બીજાઓ પાસે તમારી ગુલામી કરાવતા હોવા છતાં તમારી જાતને સમાજવાદી કહેવડાવો છો? એ તો વિચિત્રા પ્રકારનો સમાજવાદ કહેવાય! તમે મારી વાત સાંભળો, તો હું તો એમ કહું કે કોઈ પણ વાદની માથાકૂટમાં તમે ન પડો. હા, અભ્યાસ દરેક વાદનો કરો. તમે જે કાંઈ વાંચો તે બરાબર સમજો, તેના પર વિચાર કરો, અને તેમાંથી જે કાંઈ તમારે ગળે ઊતરે તેનો જાતે અમલ કરવાનો પ્રયત્ન કરો. પણ ભગવાનને ખાતર, કોઈ અમુક વાદ સ્થાપવા તૈયાર ન થઈ જતા. તમારા હાથપગનો ઉપયોગ કરતાં શીખવું, એ સમાજવાદના અમલની દિશાનું પ્રથમ પગલું છે. સમાજમાંથી શોષણ અને હિંસા નિર્મૂળ કરવાનો એ જ એકમાત્રા ને અચૂક રસ્તો છે. આપણી આસપાસ ભૂખમરો ને બેકારી હોય, ઊંચ-નીચના ભેદ હોય, ત્યાં સુધી સમાજવાદની વાતો કરવાનો આપણને કશો જ હક નથી.” પછીથી ગાંધીજીએ વહેવારુ સમાજવાદનો કાર્યક્રમ તેમને માટે લખી આપ્યો : (૧) સવારે ઊઠીને તમારી પથારી સંકેલી લો, (૨) નાસ્તો તૈયાર કરવા અને પીરસવામાં મદદ કરો, (૩) ઘરનું વાસીદું કાઢવામાં મદદ કરો, (૪) પોતાનાં કપડાં જાતે જ ધોઈ લો, (૫) વાસણ માંજવામાં પોતાનાં મા-બહેનોને મદદ કરો, (૬) તમારે જરૂરી કપડાં મેળવવા માટે દરરોજ કાંતો, (૭) તમારાં પુસ્તકો ને કાગળિયાં વ્યવસ્થિત રાખો અને (૮) પચાસ રૂ.ની મોંઘી ઇન્ડિપેનને બદલે બે આનાની ટાંક વાપરો. છેલ્લે ગાંધીજીએ કહ્યું કે સમાજવાદનો ઉપદેશ કરવાને તમે આ રીતે સમાજવાદનો અમલ કરવા માંડશો, તો તમારી આસપાસ સમાજવાદી સમાજ નિર્માણ કરી શકશો. “પછી તમારે કોઈને સમાજવાદી બનાવવાની જરૂર નહીં રહે; તમારું દૃષ્ટાંત જ એ કામ કરશે. અને વિશેષ તો એ કે લાંબા કાળથી હાડમારી વેઠતાં આવેલાં તમારાં માબાપને એથી રાહત મળશે. તમે એમને માટે બોજારૂપ મટી જશો.”

પછીને વરસે દિલ્હીમાં તેમને મળવા આવેલા બે સાધુઓને પણ ગાંધીજીએ શરીરશ્રમનો મહિમા સમજાવેલો : “આપણા સમાજનું માનસિક, શારીરિક તેમજ નૈતિક અધઃપતન થયું છે તેનાં મૂળ, શરીરશ્રમને આપણે હલકો ગણ્યો છે એ હકીકતમાં રહેલાં છે.” માનવજાતની સેવા માટે સંસારનો ત્યાગ કરીને દેશમાં ફરતા રહેતા અને સામાન્ય લોકોમાં આધ્યાત્મિક જ્ઞાનનો ફેલાવો કરતા સાધુઓ તો આપણા પ્રાચીન શાણપણના જ્ઞાનકોશ સમા હતા. પરંતુ બીજી અનેક પ્રાચીન સંસ્થાઓની જેમ, સાધુસંસ્થાની પણ અવનતિ થવા પામી. સાધુઓ આળસનો રોટલો ખાઈને તાગડધિન્ના કરવા લાગ્યા. ગાંધીજીએ એમને કહ્યું કે, “બીજાઓના પરિશ્રમને ભોગે બેફિકરાઈનું જીવન ગાળનારાઓ આખા સમાજને નીતિભ્રષ્ટ કરે છે. માટે જાતે શરીરશ્રમ કરીને તથા આમજનતા પાસે તે કરાવીને તમે સમાજની સેવા કરી શકશો.”

(અનુ. મણિભાઈ દેસાઈ)


[‘મહાત્મા ગાંધી : પૂર્ણાહુતિ’ પુસ્તક]