સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/પ્રહ્લાદ પારેખ/વિદાય

From Ekatra Wiki
Revision as of 12:54, 3 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "<poem> કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે, અને નયનપંથનું અવર વિશ્વ તુ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે;
પરંતુ ગગનાંગણે, અવનિમાં અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.
પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં,
અનેક જગતો રચી સ્વપનમાં, વળી ભાંગિયાં;
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં,
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.
મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.
છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.


[‘આજ અંધાર ખુશબોભર્યો લાગતો’ પુસ્તક]