સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મણિલાલ ન. દ્વિવેદી/ખરી સત્યભક્તિ

From Ekatra Wiki
Revision as of 05:52, 5 June 2021 by ArtiMudra (talk | contribs) (Created page with "{{Poem2Open}} {{space}} કારભાર કરનારો જાણે છે કે, હું એક કારભારું ડહોળું છું માટે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

          કારભાર કરનારો જાણે છે કે, હું એક કારભારું ડહોળું છું માટે કશી વાત મારાથી અગમ્ય હોય જ કેમ? વિદ્યાવિલાસીઓ જાણે છે કે, અમે અતિશ્રમે જે જ્ઞાન મેળવ્યું છે તેને ખોટું કહે જ કોણ? પંથ-પ્રવર્તકો જાણે છે કે, અમે ઠાવકું મોઢું રાખી “અહંબ્રહ્મ” કહીએ છીએ તેનો ઇન્કાર કરનાર કોણ? પણ એક વ્યવહારવાળો તમામ વ્યવહારનાં સત્ય સમજી જ શકવો જોઈએ, એવો નિયમ નથી. કુંભાર ઘણો ચતુર હોય તો ઘડા પારખી જાણે, માટે તરવારની ધાર વિશે પણ તેનો અભિપ્રાય ખરો જ હોવો જોઈએ, એમ નથી. પોતપોતાના ધંધાનું સંપૂર્ણ સત્યરૂપ જ્ઞાન હોવું એ જ મુશ્કેલ છે, એટલું જ ખરેખર હાથ થઈ શકતું નથી, તો તે ઉપરાંત વળી પારકાની વાત ડહોળવા જવી એ કેવું અશક્ય છે! ત્યારે કોઈ એમ પૂછશે કે તો શું કોઈએ કોઈનું વચન માનવું જ નહીં? કોઈ ગુરુ કરવો જ નહીં? પણ માણસનો ખરો ગુરુ એનું મન અને એની આંખ જ છે. સત્યને ગુરુ નથી, ને ચેલાયે નથી. ખરા ગુરુ તો તે જ કે જે સત્ય માટે પ્રાણ આપે, છતાં સત્ય ગમે ત્યાંથી પણ ગ્રહણ કરવા તત્પર રહે. જેણે એમ જ ઠરાવ્યું કે સત્ય તે આટલું જ ને બીજું બધું અસત્ય, જેના જ્ઞાનની તિજોરી ભરાઈ ચૂકી છે, તેવા તો સંસારને દુખમય કરનારા નીવડે છે. પોતાને જે નિશ્ચય થાય તે સર્વદા સમજાવવો, એ પરમધર્મ છે. પણ તેમ કરતાં એ નિશ્ચય ઉપર કોઈ પણ તરફથી વિશેષ અજવાળું પડે તેવો સંભવ અટકાવવા માટે તેને પેટીમાં પૂરી રાખી તે જ બધા પાસે ખરો મનાવવો, એ તો પશુબુદ્ધિ જ છે. સત્યને માટે જે માણસ પ્રાણ આપવા પણ તૈયાર હોય, તેને ઘટે છે કે તેણે એ સત્ય સમજવામાં અન્યે બતાવેલી પોતાની ખામી પણ સહન કરવી; એ જ ખરું પ્રાણાર્પણ છે, ખરી સત્યભક્તિ છે.

[‘આપણું ચિંતનાત્મક નિબંધ-સાહિત્ય’ પુસ્તક]