સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/મજૂરીનો મોભો

From Ekatra Wiki
Revision as of 12:13, 28 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


હિંદુસ્તાનમાં આખરે કોઈ સવાલ હોય તો તે ગરીબીનો છે. અને આ દેશની પેદાશ વધ્યા વિના તેનો ઉકેલ નથી. પણ આજે સમાજમાં જે બે ભાગ પડી ગયા છે તે કાયમ રહેશે, તો પેદાશમાં ગમે તેટલો વધારો થવા છતાં ગરીબીના સવાલનો ઉકેલ આવવાનો નથી. આ દેશમાં કેટલાક લોકો વધારે પડતું કામ કરે છે, એમને તે લાચારીથી કરવું પડે છે અને છતાં એમને પૂરતું ખાવાપીવાનું મળતું નથી. એથી ઊલટું, બીજા લોકો થોડીઘણી સેવા કરતા હશે ખરા, તેમ છતાં જેને પેદાશનું કામ કહેવાય તેમાં એ લોકો પડેલા ન ગણાય. એટલું જ નહીં, મહેનત-મજૂરીના કામને એ લોકો હલકું માને છે. તે એટલે સુધી કે જેના વિના સમાજને ચાલે નહીં એવા સારાં સારાં કામ કરનારને આપણે નીચ ગણીએ છીએ. કારીગરોને આપણે નીચા ગણ્યા, મજૂરોને હલકા ગણ્યા, ખેડૂતોને આપણે નીચા માન્યા; ને જે મહેનત-મજૂરી કરતા નથી તેમને આપણે ઊંચા માન્યા! આ જ કારણે હિંદુસ્તાન નીચે પડ્યું છે. પ્રોફેસર અને વિદ્યાર્થી, ન્યાયાધીશ ને વકીલ, વેપારી ને ભણેલાગણેલા જે બધા પોતાના દેશનું કલ્યાણ કરવા ઇચ્છે છે તે પોતાના હાથ વડે કંઈક કામ કરે — ઘરમાં ઘંટી ફેરવે, સૂતર કાંતે, કંઈ ને કંઈ પેદા કરે, તો જ આ ભેદ મટી શકે. આપણામાંનો એક એક માણસ કોઈ પણ પ્રકારની મજૂરી કરવા માંડે, તો આપણાં મગજ પણ ચોખ્ખાં થશે. આ વાત હું મારા પોતાના અનુભવ પરથી કહું છું. રોજના કલાકો સુધી મેં મજૂરીનું કામ કરેલું છે, અને એથી મારી વિચાર કરવાની શક્તિ વધી છે. હું ચોક્કસ માનું છું કે મેં મજૂરીનું કામ ન કર્યું હોત અને ખાલી વિચારો જ કર્યા હોત, તો આજે જેવા સ્પષ્ટ વિચારો હું કરી શકું છું તે ન કરી શકત. ન્યાયાધીશ જો રોજ કલાકેક કાંઈક મજૂરીનું કામ કરશે — કોદાળીથી જમીન ખોદશે, લાકડાં ફાડશે, ઘંટી પર દળશે કે રેંટિયાથી કાંતશે — તો તેના ચુકાદા વધારે સાચા નીવડશે. આ રીતે ચાલવાથી આપણા મગજને થાક લાગતો નથી. આમ કરવાથી દેશમાં પેદાશ વધશે એટલું જ નહીં, આપણે ત્યાં મજૂરીનો મોભો પણ વધશે; મજૂરી કરવાવાળા લોકો આજે હલકા ગણાય છે તે ઊંચા આવશે. કબીર વણકર થઈને વણતા હતા, તે વખતે વણકરોનો જે મોભો હતો તે આજે ક્યાં છે? રોહીદાસ ચમારનું કામ કરતા, તે વખતે ચમારની જે પ્રતિષ્ઠા હતી તે આજે ક્યાં છે? નામદેવ દરજીનું કામ કરતા, તે જમાનામાં દરજીની જે ઇજ્જત હતી તે આજે ક્યાં છે? કૃષ્ણ ભગવાન ખેતરોમાં મજૂરી કરતા અને ગાયો ચારતા. ત્યારે ખેડૂત અને ગોવાળનું જે સ્થાન હતું તે આજે ક્યાં છે? મહમ્મદ પેગંબર હાથ વડે મજૂરી કરતા. આપણા જેટલા સંતો થઈ ગયા છે તે બધા યે કોઈ ને કોઈ મજૂરીનું કામ કરતા.