સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/સ્વામી આનંદ/બેડો પાર!

From Ekatra Wiki
Revision as of 07:48, 30 September 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


પ્રભુના રાજમાં પેઠેલા ભક્તો પ્રભુને પહોંચવાનો સરળ માર્ગ દુનિયા આખીને ઝટ દેખાડી દઈને પ્રભુરાજ્યની વસ્તી વધારવાનું વિચારવા લાગ્યા, ત્યારે સેતાન ફિકરમાં પડી ગયો. એક ભોળો શંભુ એને રસ્તે મળ્યો. તેને જોઈને સેતાનને યુક્તિ સૂઝી. ભગતને કહે : “ભક્તરાજ! તમારા લોકનાં ભજનભક્તિ જોઈને હું તો મુગ્ધ થઈ ગયો છું. મને એની લગની લાગી છે. હવે તો મારા જેવી લગની બધી દુનિયાને લગાડો, એટલે બેડો પાર. ભગવાનની ભક્તિ એ તો એટલું બધું સાદું સત્ય છે કે દુનિયાને ઝીલતાં વાર લાગવાની નથી.” ભગત : “સત્ત વચન અને વાણી. દુનિયાનાં માણસમાત્રા સુધી એ સાદું સત્ય કેવી રીતે પહોંચાડી દેવું, એની જ ગોઠવણ આજકાલ અમે લોકો વિચારી રહ્યા છીએ. અમારા આવતા સમૈયામાં એ ચર્ચાશે.” સેતાન : “એ તો સહેલું છે. આ વસમા કળિકાળમાં સંઘ, સંગઠન એ એક જ શક્તિ છે, એક જ રાજમાર્ગ છે. બસ, સત્યનું સંગઠન કરો!” ભગત : “ભલું સૂચવ્યું. અમે તેમ જ કરીશું.” સેતાન : “ધન્ય ભક્તરાજ! સ્વર્ગની એસેમ્બ્લીમાં આપના શુભ સંકલ્પનો જય થાઓ. પણ હવે ઝટ કરજો. મારા જેવા કેટલાય સંસારી જીવો આપ સૌના ભક્તિરસમાં ભાગીદાર બની પ્રભુચરણે લીન થવા તલપાપડ છે. માટે સંસારભરમાં સંગઠનનું જાળું પાથરી દઈએ. ભક્તોના સંઘો રચાય, પૂરી શિસ્ત જળવાય અને કરતાલ-એકતારા સાથે પ્રભુનામના જયઘોષ કરતી તેમની પલટનોની પલટનો સ્વર્ગરાજ્યમાં દાખલ થવા વૈકુંઠના ફાટક પર ખડી થઈ જાય, એવું કરો... એકલદોકલ કે રેઢું કોઈને રહેવા જ ન દો. પછી સેતાનની શી મગદૂર છે કે કોઈને ભમાવે?” ભગતનો ચહેરો ખીલી ઊઠ્યો. અને તે દિવસથી સંસારમાં સત્યની ઘોર ખોદાઈ!