સોરઠી બહારવટિયા ભાગ-1/3. બાવા વાળો

From Ekatra Wiki
Revision as of 06:55, 20 May 2022 by KhyatiJoshi (talk | contribs)
Jump to navigation Jump to search
બાવા વાળો

[સન 1820ની આસપાસ]

ચ્ચા રાનીંગ વાલા! માગ લે.” “બીજું કાંઈ ન જોવે, મહારાજ, ફક્ત શેર માટીની ઝંખના છે.” પાવડી ઉપર કપાળ ફેરવીને અવધૂતે ધ્યાન ધર્યું, દસમે દ્વારે જીવ ચડાવીને જોઈ વળ્યા, પછી સમાધિ ઉતારીને બોલ્યા : “તેરા લલાટમેં પુત્ર નહિ હે, બેટા!” “તો જેવાં મારાં નસીબ અને જેવાં જોગીનાં વચન! મહાત્માનાં બોલ્યાં મિથ્યા થાય, હાથીના દંતશૂળ પેટમાં પેસે, એ આજ સુધી નહોતું જોયું, બાપુ! મારું ખોરડું મહાપાપિયું છે, એટલે વંશ રાખવાની આશાએ તો મેં તમને જાંબુડું ગામ અરપણ કરી દીધું. પણ મારાં પાપનો પાર નહિ આવ્યો હોય!” જોગી ઘમસાણનાથ આ સાંભળીને શરમિંદા બની ગયા. આખરે પોતાના શિર પરથી આ કરજનું પાપ ઉતારવા માટે મરવાનો જ નિશ્ચય કરીને એ બોલ્યા : “અચ્છા, ભાઈ! તેરે ઘર પુત્ર આવેગા. બરાબર નવ મહિના પીછે; લલાટમેં વિભૂતિકા તિલક હોય તો સમઝના કે શંકરને દીયા. અઠાવીસ [1] વર્ષકા આયુષ્ય રહેગા. નામ ‘બાવા’ રખના.” એટલું બોલીને જાંબુડા ગામના ભોંયરામાં મહારાજ [2] ઘમસાણનાથે જીવતાં સમાત લીધી. લોકવાયકા એવી છે કે પોતાનો જીવ પોતે લુંઘિયાના કાઠી રાણીંગ વાળાને ઘેર કાઠિયાણીના ઉદરમાં મેલ્યો અને બાઈને દિવસ ચડવા લાગ્યા. નવ મહિને દીકરાનો જન્મ થયો. જન્મતાં જ બાળકને કપાળે ભભૂતનું તિલક દેખાયું. ફુઈએ ‘ઓળીઝોળી’ કરીને બાવો નામ પાડ્યું. રાણીંગ વાળાએ ઘમસાણનાથની જગ્યામાં વધુ જમીન દીધી; દીકરો આવ્યા પછી થોડે વર્ષે ગીરના ધણી રાણીંગ વાળાની દશા પલટી. મૂળ વીસાવદર અને ચેલણા પરગણાનાં ચોરાશી ગામ ઘેર કરવામાં બે જણાનો હાથ હતો : બાવા વાળાના વડવાનો અને હરસૂરકા કાઠી માત્રા વાળાના બાપનો; પણ બેયની વચ્ચે વેરનાં બી વવાયેલાં. બાંટવાના દરબારે બેય વચ્ચે દા’ સળગાવેલો, એમાં બાવાના બાપ રાણીંગે બધો મુલક ઘેર કરી માત્રાને બહારવટે કાઢેલો. માત્રાની આવરદા બહારવટું ખેડતાં પૂરી થઈ ગયેલી. ત્યાં તો બીજી બાજુ એજન્સીની છાવણી ઊતરી, જમીનના સીમાડા નક્કી કરવા નીકળેલા બાકર (કર્નલ વૉકર) સાહેબના હાથમાં વીસાવદરનો મામલો પણ મુકાયો. અને એમાં એણે રાણીંગ વાળાના હાથમાંથી તમામ ગામ આંચકીને માત્રા વાળાના દીકરા હરસૂર વાળાને સોંપી દીધાં. રાણીંગ વાળો બહારવટે નીકળ્યો, અને થોડાં વર્ષે બાવાને નાનો મૂકીને મરી ગયો. પણ મરણટાણે આઠ વરસના દીકરા પાસે પાણી મુકાવતો ગયો કે “બેટા! જો મારા પેટનો હો તો બાપની જમીન પાછી મેળવ્યા વગર જંપીશ નહિ.[3]” આજે સુડાવડ ગામમાં કારજ છે. પહેલી પાંતે (પંગતે) રોટલા ખાઈને બાર વરસનો બાવા વાળો સુડાવડને ચોરે લોમા ધાધલ નામના અમીરના ખોળામાં બપોરે નીંદર કરે છે. માથે લાંબાલાંબા કાનશિયા જટા જેવા વીખરાઈ પડ્યા છે. મુખની કાન્તિ પણ કોઈ ભેખધારીને ભજે તેવી ઝળહળે છે. કારજમાં જેતપુરનો કાઠી દાયરો પણ હાજર છે. “કાં, કાકા!” જેતપુરના દરબાર મૂળુ વાળાએ દેવા વાળાને આંગળી દેખાડીને કહ્યું : “જટા મોકળી મેલીને બાવો સૂતો છે. જોયો ને?” કાકા દેવા વાળાએ ડોકું ધુણાવ્યું : “હા, બાવો! સાચોસાચ બાવો! ફુઈએ બરાબર નામ જોઈને આપ્યું છે હો! બાવો ખરો, મોટા મઠનો બાવો!” “અને આ બાવો લુંઘિયાનાં રાજ કરશે? એ કરતાં તો ખપ્પર લઈને માગી ખાય તો શું ખોટું?” “દરબાર!” સનાળીના કશિયાભાઈ ચારણથી ન રહેવાતાં એ બોલ્યા : “બાવો ખપ્પર લેશે નહિ, પણ બીજા કંઈકને ખપ્પર લેવરાવશે, એ ભૂલતા નહિ. મલક આખાને બાવો લોટ મંગાવશે.”[4] જુવાનીમાં આવતાં જ બાવે બહારવટું આદર્યું : એક જેતપુરના દરબાર મૂળુ વાળા સામે : કેમ કે એણે વાઘણિયા ગામમાં બાવા વાળાના બાપની જમીનનો ભાગ દબાવ્યો હતો, અને બીજું, વીસાવદરના હરસૂરકા કાઠીઓની સામે. ઝાકાઝીક! ઝાકાઝીક! ઝાકાઝીક! બાવા વાળાની તરવાર ફરવા માંડી. ‘હરસૂરકા વંશને રહેવા દઉં તો મારું નામ બાવો નહિ’, એવી પ્રતિજ્ઞા લઈને બાવો પંદર-સોળ વરસની ઉંમરે તો હરસૂરકાનાં લીલાં માથાં વાઢવા લાગ્યો. એને બિરદાવવા ચારણોએ આવા દુહા રચ્યા :

મેં જાણ્યું રાણીંગ મૂવે, રેઢાં રે’શે રાજ,
(ત્યાં તો) ઉપાડી ધર આજ, બમણી ત્રમણી બાવલે. [1]
સૂંઠ જ સવા શેર, ખાધેલ તો વેળા ખત્રી,
ઘોડે કરિયલ ઘેર, બાપ રાણીંગ જ્યું બાવલા! [2]
વાઢ્યા અમરેલી વળા, ખાંતે લાડરખાન,
લખ વોરે લોબાન, બાંય નો વોરે બાવલા.[3]
વાળા વાઘણિયા તણો, રતી યે ન લીધો રેસ,
દેવા વાળાનો દેસ, બાળી દીધો તેં બાવલા! [4]
માથું મેંદરડા તણું, ભાંગ્યું ભાયાણા,
તુંથી રાણ તણા, બીએ જેતાણું બાવલા! [5]
ગળકે કામન ગોંખડે, રંગભીની મધરાત,
ઓચિંતાને આવશે, ભડ બાવો પરભાત. [6]
પરભાત આવે નત્ય ત્રાડ પાડે,
ગણ જીત ત્રંબાળુ તિયાં ગડે,
ઘણમૂલા કંથ આવો ઘડીએ,
ગળકે કામન ગોંખડીએ. [7]
ખાવિંદ વન્યાનું ખોરડું, ધણ્યને ખાવા ધાય,
પ્રીતમ બાવે પાડિયા, કુંજાં જીં કરલાય. [8]
કુંજ સમી ધણ્ય સાદ કરે,
ઘણમૂલા કંથ તું આવ્ય ઘરે,
રંગ રેલ ધણી તળમાં રિયો,
થંભ ભાંગ્યો ને ખોરડ ઝેર થિયો. [9]

બાવાના નામનો એટલો બધો ત્રાસ પડી ગયો અને એક પછી એક હરસૂરકાનાં ગામડાં ધબેડાતાં ગયાં.

સવારને પહોરે સૂરજ મા’રાજ કોર કાઢે અને સાંજે મા’રાજ મેર બેસે, એ બેય ટાણે બાવા વાળો ઘોડેથી ઊતરી જતો અને ઘીના દીવાની જ્યોત પ્રગટાવી સૂરજ સન્મુખ માળા કરતો. ચાહે તેવી સંકડામણમાં પણ એણે વ્રત ભાંગ્યું નહોતું. એક વખતે પોતે ખુમાણ પંથકમાંથી લૂંટ કરીને ચાલ્યો આવે છે. વાંસે વાર વહી આવે છે. બંદૂકોના ચંભા વાંસેથી છૂટતા આવે છે. એમાં આડી શેલ નામની વખંભર નદી આવી. નદીની ભેખડમાં ઊતરતાં જ સૂરજ ઊગીને સમા થયા એટલે બાવા વાળાએ ઘોડેથી ઊતરી જ્યોતની તૈયારી કરી હાથમાં માળા ઉપાડી. “અરે, આપા બાવા!” સાથીઓ કહે છે : “આ સમંદરનાં મોજાં જેવી વાર વહી આવે છે, અને અટાણે માળા કરવાનું ટાણું નથી, માટે ગરમાં જઈને કાલે સવારે બેય દિવસના જાપ હારે કરજો.” “એ ના બા, પૂજા કાંઈ છંડાય? તમારી મરજી હોય તો તમે હાલી નીકળો. હું હમણાં જ વાંસોવાંસ આવીને તમને આંબી લઉં છું. બાકી માળા તો મારાથી નહિ મેલાય.” કહેવાય છે કે એના સતને પ્રતાપે વાર આડે માર્ગે ઊતરી ગઈ. અને બાવા વાળાએ માળા પૂરી કર્યા પછી જ આગળ ડગલું દીધું. ચલાળા ગામમાં તે વખતે દાના ભગતની વેળા ચાલે છે. આપો દાનો કાઠીઓના પીર કહેવાતા. ઠેકાણે ઠેકાણે એના પરચાની વાતો થતી. દાના મહારાજને તો ત્રણ ભુવનની સૂઝે છે : દલ્લીમાં ઘોડાં દોડતાં હોય એ દાનો પીર નજરોનજર ભાળે છે; એની આંતરડી દુભાય તો માણસનું ધનોતપનોત નીકળી જાય; અને એનો આત્મા રીઝે તો નસીબ આડેથી પાંદડું ઊડી જાય : એવી વાતો કાઠિયાવાડમાં પ્રસિદ્ધ હતી. દાના ભગતની કરણી પણ ભારી ઊંચી કહેવાતી. ગરના એક ગામડામાં ભરવાડની એક છોકરીનું માથું કીડે ખદબદતું હતું, વેદનાનો પાર નહોતો. તેમાંથી પાસપરુને તથા કીડાને દાના ભગતે [5] ત્રણ વાર પોતાની જીભેથી ચાટી લઈને એ છોકરીનો રોગ મટાડ્યો હતો. એવા અવતારી પુરુષને ખોળે જઈને યુવાન બાવા વાળાએ માથું નાખી દીધું. હાથ જોડીને એણે ભગતને મર્મનું વચન ચોડ્યું : “બાપુ! જો જગ્યામાં દિવેલની તૂટ પડતી હોય તો હું માગો એટલું મોકલતો જાઉં.” “કાં બાપ, અવળાં વેણ શીદ કાઢછ?” “ત્યારે શું કરું? મેંથી આ ધોડાધોડમાં રોજ બે ટાણાં દિવેલ સાથે રાખીને દીવા કરવાની કડાકૂટ થાતી નથી. વાંસે રાજ-રજવાડાની ગિસ્તું ગોતતી ફરે છે; એટલે હવે મારો દીવો આંહીં જ કરતા જાવ.” “બાવા વાળા! એટલા સારુ જગ્યાને આળ કાં દે, બાપ? જા, કોડિયામાં વાટ મેલીને સૂરજ સામે ધરજે. તારા દીવામાં દિવેલ પણ સૂરજ પૂરશે અને જ્યોત પણ સૂરજ પેટાવશે. જાપ કરતાં આળસવું નહિ. જ્યાં સુધી જાપ કરીશ ત્યાં સુધી વાર તને વીંટીને ચાલશે તોય નહિ ભાળે.” “અને, બાપુ, મારું મૉત?” “જ્યોત ન થાય ત્યારે જાણજે કે તારે માથે ઘાત છે — બાકી તો દેવળવાળો જાણે, બાપ! હું કાંઈ ભગવાનનો દીકરો થોડો છું? પણ સતને માર્ગે રે’જે!”

સોરઠી ગીરની અંદર, ધ્રાફડ નદીને કિનારે, વેકરિયા અને વીસાવદર ગામની વચ્ચે ‘જમીનો ધડો’ નામે ઓળખાતો એક નાનો ડુંગર છે. એ જગ્યા ઉપર દાતારની જગ્યા પાસે એક ગામડું વસાવીને બાવા વાળાએ રહેઠાણ કર્યું હતું. પડખે જ ઘાટી ઝાડીથી ભરેલી ગીર હોવાથી બહારવટિયાને સંતાવાની સુગમતા પડતી. ગીર તો માનું પેટ ગણાય છે. બાવા વાળાના દેહમાં જુવાનીનાં તેજ કિરણો કાઢી રહ્યાં છે. એની રૂડપ જાણે કે શરીરમાં સમાતી નથી. પણ પોતે બહારવટાના પંથે ઊભો છે, અને આપા દાનાનું દીધેલ માદળિયું બાંધે છે. પોતાના હાથમાં રેઢી જ્યોત થાય છે. એટલાં બિરદ માથે લઈ ફરનાર પુરુષની નાડી લગરીકે એબ ખમે નહિ. એ રીતે બહારવટિયો જુવાનીને ચારે કોરથી દબાવીને વર્તે છે. પરણેલ છે, પણ કાઠિયાણી ચલાળે આપા દાનાની પાસે જ રહે છે. [6] “ભણેં માત્રા!” ભોજા માંગાણીએ વાત છેડી : “ઘમસાણનાથજીએ આની આવરદા કેટલી ભણી છે, ખબર છે ને?” “હા, ભોજા, અઠાવીસ વરસની.” “દીવો ઓલવાતાં કાંઈ વાર લાગશે?” “ના. અઠાવીસ વરસ તો કાલ સવારે પૂરાં થાશે.” “પછી એના વંશમાં અંધારું થઈ જાશે ને?” “તો તો મહાપ્રાછત લાગ્યું દેખાય.” “તો પછી આઈને ચલાળે ન બેસારી રખાય.” માત્રો સમજી ગયો. બાવા વાળાને પૂછશું તો ના પાડશે એમ માનીને છાનોમાનો અસવારને ચલાળે રવાના કર્યો. બીજે દિવસે દીવે વાટ્યો ચડ્યા પહેલાં તો ‘આઈ’ને લઈને અસવાર જમીના ધડા ભેળો થઈ ગયો. રાત પડી. અધરાતે દાયરો વીંખાયો. સહુની પથારી વચ્ચે પોતાની પથારી ન જોવાથી બાવા વાળાએ પૂછ્યું : “મારી પથારી ક્યાં?” “આજની તમારી પથારી ઓરડે છે, બાવા વાળા!” બાવા વાળો સમજી ગયો. એને કોઈએ જાણ નહોતી કરી. અચાનક મેળાપ થતાં એને હેતના ને હરખના હિલોળા ચડશે, એમ સહુના અંતરમાં આશા હતી. કાઠિયાણી પણ પરણ્યા પછી કંથને આજ ઘણે વરસે મળવાનું છે એવા કોડથી જીમી ને મલીરની નવીનકોર સુગંધ દેતી જોડ્ય ધારણ કરીને જમરખ દીવડે પોતાના સાવજશૂરા કંથની વાટ જોવે છે. પતિરાજના પોરસ થકી ફૂલતા દેહ ઉપર ચૂડલીઓ તૂટુંતૂટું થાય છે. દાયરામાંથી ઊઠીને અધરાતે બાવા વાળો ઓરડે આવ્યો. રંગભીના ઓરડામાં રાજવણને બેઠેલી ભાળતાં જ અચંબો ઊપડ્યો. “તું ક્યાંથી?” જરાય મોં મલકાવ્યા વગર પૂછ્યું. “તમારી તેડાવી.” ભોળુડી સ્ત્રી હજુ હસે છે. “મેં તેડાવેલી? ના! કોની સાથે આવી?” “તમારા કાઠી સાથે.” ત્યાં તો બાવા વાળાનાં રૂંવાડાં બેઠાં થઈ ગયાં. એની આંખોમાં દેવતા મેલાણો. “તું મારી અસ્ત્રી! પરપુરુષ સાથે હાલી આવી? બહુ અધીરાઈ હતી?” “દરબાર, અધીરાઈ ન હોય? ધણીને મળવાની અધીરાઈ ન હોય? મેં શું પાપ કર્યું?” બાવા વાળાની જીભે માઝા મૂકી. “કાઠી! કાઠી!” આઈની કાયા કંપવા માંડી. “બસ કરી જાઓ. આ શું બોલો છો! સાવજ તરણાં ચાવે છે? દરબાર! આટલો બધો વહેમ…!” બાવા વાળાએ તરવાર ખેંચી. “ઓહોહો! દાતરડાની બીક દેખાડો છો? આ લ્યો.” એમ કહેતી કાઠિયાણી ગરદન ઝુકાવીને ઊભી રહી. દયાવિહોણા બહારવટિયાએ અબળાની ગરદન પર ઝાટકો ચોડ્યો. જે ગળામાં પિયુજીની મીઠી ભુજા પડવાની હતી ત્યાં તરવાર પડી અને ઘડી-બે ઘડીમાં તો એનો જીવ જતો રહ્યો. અત્યારે એ બાઈની ચૂંદડી ને એનો મોડિયો ખડકાળા નામના ગામમાં પૂજાય છે. બાવા વાળાથી થાતાં તો થઈ ગયું, પણ પછી તો એની રીસ ઊતરી. કાઠિયાણીનું નિર્દોષ મોં એની નજરમાં રમવા માંડ્યું અને પસ્તાવો ઊપડ્યો. અંતરમાં ઝાળો ઊઠી. ક્યાંયે જંપ નથી વળતો. આંખે અખંડ આંસુડાં ઝરે છે. એણે બોલવુંચાલવું પણ બંધ કરી નાખ્યું છે. “બાવા વાળા!” એના સાથીઓ સમજાવવા લાગ્યા : “હવે ચીંથરાં શું ફાડછ? ઓરતો થાતો હોય તો પ્રભુની માળા ફેરવ્ય, પણ માણસ કાં મટી જા?” તોયે બાવા વાળાને શાંતિ વળી નહિ. છાનોમાનો નીકળીને એ ગોપનાથ પહોંચ્યો. દરિયામાં સ્નાન કરીને મંદિરમાં જઈને ઊભો રહ્યો. તરવાર કાઢીને એણે દેવની પ્રતિમાજી સમક્ષ કમળપૂજા ખાવાની તૈયારી કરી. ચોધારાં આંસુડાં ચાલ્યાં જાય છે અને સ્ત્રીહત્યાના પાપનો પોતે વિલાપ કરે છે. તે વખતે નાગરવ ગિયડ નામના ચારણે એનો હાથ ઝાલીને ઓચિંતી તરવાર ઝૂંટવી લીધી. “નાગરવ ભા! મને મરવા દે,” બાવા વાળાએ તરવાર પાછી માગી. “બાવા વાળા! બેય કાં બગાડ્ય? પેટ તરવાર નાખ્યે અસ્ત્રી-હત્યા ઊતરશે એમ માનછ? મરીને ભૂત સરજીશ, બાવા વાળા! અને શાંતિનો છાંટોય નહિ જડે. માટે આદર્યાં કામ પૂરાં કર, અને સંસારમાં રહીને પાપ ભસમ થાય એવી પ્રભુભક્તિ કર.” એમ ફોસલાવીને બાવા વાળાને પાછો લઈ ગયા, અને એને ફરી વાર પરણાવ્યો.

“કાંઈ વાવડ?” “હા સાહેબ, નાંદીવેલે ડુંગરે.” “કેટલા માણસ?” “દસ જ. રાતોરાત પહોંચીને ફૂંકી મારવા જોવે. નીકર સવાર ઊગ્યે હાથ આવી રહ્યો.” ગીરના જંગલમાં બાવા વાળાને જેર કરવા ગાયકવાડ સરકારના બંદર ખાતાનો સાહેબ, જેનું નામ ગ્રાંટ હતું તે, પોતાની ટુકડી લઈને ભટકી રહ્યો છે. એક રાતે બાતમીદારે એને બાવા વાળો તુળશીશ્યામની પડખેના શંકરના પોઠિયાના આકારના ભયંકર નાંદીવેલા ડુંગરમાં રાત રહ્યાની બાતમી પહોંચાડી અને સાહેબે દારૂગોળા લાદીને સાંઢિયો વહેતો કર્યો. રાતોરાત એની ટુકડી નાંદીવેલા માથે લપાઈને ચડી ગઈ. બંદૂકદારો બંદૂકો લઈને ગોઠવાઈ ગયા. અને દારૂગોળાનો ઢગલો થાય કે તરત બંદૂકો ધરબીને સામી ખોપમાં બેઠેલ બહારવટિયાને ઉડાવી મૂકવાની વાટ જોવા લાગ્યા. મોંસૂઝણું થઈ જવા આવ્યું છે. બાવા વાળાને કંઈ ખબર નથી. એ તો પોતાની રોજની રીતે પથારીમાંથી ઊઠીને પ્રથમ આપા દાનાની સ્તુતિ કરી રહ્યો છે. અને એના રહેઠાણને માથે જ સાંઢિયા ઉપરથી કોથળા ઉતારીને નીચે પાથરેલ બૂંગણ ઉપર ગ્રાંટસાહેબના બરકંદાજો દારૂ ઠલવી રહ્યા છે. એક જ ઘડીનું મોડું થાય તો તો બહારવટિયાને જીવવાની બારી જ ન રહે. પણ ત્યાં એકાએક અકસ્માત બન્યો. લોકો ભાખે છે કે જે ઘડીએ નાંદીવેલા પર બાવા વાળાએ દાનાની સ્તુતિ કરી, તે જ ઘડીએ ચલાળા ગામમાં દાના ભગતે દાનાની જગ્યામાં સગડીની પાસે બેઠાંબેઠાં, એક ચીપિયા વતી સગડીની અંદરથી એક ધગધગતો તિખારો ઉપાડી બીજી બાજુ મેલ્યો, ને મેલતાંમેલતાં પોતે બોલ્યા કે “હવે મેલ્યને એમાં ટાંડી!” ‘હવે મેલ્યને એમાં ટાંડી!’ એ વેણ આંહીં આપા દાનાના મોંમાંથી પડ્યું, અને નાંદીવેલાને માથે જાણે કે એ વાણીનો અમલ થયો હોય તેમ, દારૂ પાથરતાં પાથરતાં એક બરકંદાજની બંદૂકની સળગતી જામગરી દારૂમાં અડી ગઈ. અડકતાં તો બૂંગણમાં પડેલો ગંજાવર ઢગલો સળગી ઊઠ્યો. હ ડ ડ ડ! દા લાગ્યો અને સાહેબની ટુકડીનાં માણસેમાણસ જીવતાં ને જીવતાં સળગીને ભડથાં થઈ ગયાં. “આ શો ગજબ?” આ ભડકા ને આ ભડાકા શેના!” “આ બોકાસાં કોનાં!” એમ બોલતા જેવા બહારવટિયા બહાર નીકળ્યા તેવો દારૂખાનાનો દાવાનળ દીઠો. ડુંગરાની ખોપો થરથરી ગઈ અને ગંધકના ગોટેગોટ ધુમાડામાં એકબીજાનાં મોં ન દેખાય એવી આંધી પથરાઈ ગઈ. બહારવટિયા બાવરા બનીને ડુંગરામાં દોડાદોડ કરવા લાગ્યા. જાણે ડુંગરાને કોઈએ પોલો કરીને અંદર દારૂખાનું ભર્યું હોય એવી ધણેણાટીથી ભાગતા ભેરુબંધોને જુવાન બાવા વાળાએ ત્યાં ને ત્યાં સ્થિર ઊભા રહીને પડકાર કર્યો : “સૂરજનાં પોતરાં ભાગતાં લાજતાં નથી, બા?” “બાવા વાળા! ભૂંડે મૉતે મરવું? જીવતાં હશું તો નામાં કામાં થઈ શકાશે. પણ ભીંત હેઠળ શીદ કચરાઈ મરવું?” “એ બા, કાઠીભાઈ ભાગે તોય ભડનો દીકરો! એવું બોલવું બહારવટિયાના મોંમાં ન શોભે. જીવતર વહાલું હોય ઈ ભલે ભાગી નીકળે. મારાથી તો નહિ ખસાય.” ભોંઠા પડીને કાઠીઓ ઊભા રહ્યા અને થોડીવારમાં ધુમાડો વીંખાયો કે તુરત જ બહારવટિયાએ ગ્રાંટસાહેબને ઘોડે ચડીને ભાગતો દીઠો. “એલા, ટોપીવાળો જાય.” “એને બરછીએ દ્યો! ઝટ પરોવી લ્યો!” “ના બા, કોઈ ઘા કરશો મા. દોડો, ઘોડાં ભેળાં કરીને જીવતો ઝાલો. સાહેબ મર્યો લાખનો, પણ જીવતો સવા લાખનો.” એવું બોલીને બાવા વાળાએ પોતાની ઘોડીને પાટીએ ચડાવી. સાહેબના વેલર ઘોડાની પાછળ હરણ ખોડાં કરે એવા વેગથી મૃત્યુલોકના વિમાન જેવી કાઠિયાવાડી ઘોડીએ દોટ કાઢી અને થોડુંક છેટું રહ્યું એટલે બાવા વાળાએ હાકલ કરી : “હવે થંભી જાજે, સાહેબ, નીકર હમણાં ભાલે પરોવી લીધો સમજજે.” લગામ ખેંચીને ગ્રાન્ટે પોતાનો ઘોડો રોક્યો. સામે જુએ તો બાવા વાળાની આંગળીઓના ટેરવા ઉપર બરછી સુદર્શનચક્ર જેવી ઝડપે ચક્કરચક્કર ફરી રહી છે. બાવે બીજો પડકારો કર્યો : “સાહેબ! તારાં હથિયાર નાખી દે ધરતી માથે. નીકર આ છૂટે એટલી વાર લાગશે. અને હમણાં ટીલડીમાં ચોંટી જાણજે.” સાહેબે આ કાળસ્વરૂપને દેખી શાણપણ વાપર્યું. પોતાનાં હથિયાર હેઠે નાખી દઈ, પોતે માથેથી ટોપી ઉતારી, બાવા વાળાની સામે મલકાતે મોંએ ડગલાં દીધાં. “રામ રામ! બાવા વાલા. રામ રામ!” કહીને ચતુર ગોરાએ પોતાનો હાથ લંબાવ્યો. સાહેબ લોકોના હથેળી-મિલાપના રિવાજ ન જાણનાર બહારવટિયાએ, કાઠીની રીત મુજબ, પોતાનો હાથ લંબાવી સાહેબને ખભે લગાવ્યો અને પછી કહ્યું કે “સાહેબ, તમે મારા કેદી છો.” “અચ્છા, બાવા વાલા, કાઠિયાવાડના બહારવટિયાની ખાનદાનીનો મને ઇતબાર છે. તેં મને જીતેલ છે, એટલે લડાઈના કાનૂન પ્રમાણે હું તારો કેદી જ છું.” “સાહેબ, તમારું નામ શું?” “ગ્રાંટ.” “ઘંટ? ઠીક ઘંટસાહેબ, તમારો ઘોડો મોઢા આગળ કરો અને ચાલો અમારે ઉતારે.” સાહેબ આગળ અને બાવા વાળો પાછળ એમ બંને ચાલ્યા. બહારવટિયાનાં સોનાનાં સિંહાસનો સરખા ગીરના સેંકડો ડુંગરાઓ અને ગાળાઓ ઓળંગતો ઓળંગતો ગ્રાંટસાહેબ ગીરની સાયબી વચ્ચે આ જુવાન કાઠીનું રાજપાટ નીરખે છે. ત્યાં તો જૈતો વેગડ, લોમો ધાધલ ને ભોજો માંગાણી પણ ભેળા થઈ ગયા. છેટેથી સાહેબને અને બાવા વાળાને ભાળતાં જ ભોજાએ ચસકો કર્યો : “બાવા વાળા, ટૂંકું કરવું’તું ને!” “થાય નહિ, બા. ઘંટસાહેબે હથિયાર છોડી દીધાં. પછી એનું રુંવાડુંય ખાંડું ન થાય. સૂરજ સાંખે નહિ.” “ત્યારે હવે?” “હવે જ્યાં આપણે ત્યાં સાહેબ.” “પણ એના ખાવાપીવાનું શું? ઈ તો સુંવાળું માણસ ગણાય. બાદશાહી બગીચાનું ફૂલ.” “એમાં બીજો ઉપાય નથી. આપણે ખાશું તે સાહેબ ખાશે. બા’રવટાં કાંઈ દીકરાનાં લગન થોડાં છે?” સાહેબ તો સમજતા હતા કે સોરઠનો બહારવટિયો કોણ જાણે કેવીય સાયબીમાં મહાલતો હશે. પણ સાંજ પડતાં જ સાહેબનો ભ્રમ ભાંગી ગયો. પથરાનાં ઓશીકાં, ધૂળની પથારી, બાજરાના ધીંગા રોટલાનાં ભોજન અને આ ડુંગરેથી પેલે ડુંગરે, સળગતા બપોરે કે સૂસવતા શિયાળાની અધરાતે, ઉઘાડા આભ નીચે ઉતારા. સાહેબને ગર લાગી. તાવ લાગુ પડ્યો. રોજરોજ બહારવટિયાની સાથે જ ઘોડા તગડીતગડીને સાહેબની કાયા તૂટી પડી. એની નસો ખેંચાવા લાગી. રાત-દિવસ એને કોઈ વાતચીત કરવાનું સ્થળ ન મળે. બહારવટિયા દારૂ પીને કલ્લોલ કરતા હોય ત્યારે પોતે તાવથી પીડાતો સૂનમૂન પડ્યો રહે, અને પોતાના છુટકારાની ઘડી પણ ક્યારે આવશે એ વાતનો ક્યાંય તાગ ન આવે. મૉતનાં પરિયાણ મંડાયાં માનીને ગ્રાંટે ગીરની નિર્જનતા વચ્ચે પોતાનાં બાળબચ્ચાંનાં અને પોતાની વહાલી મઢમનાં વસમાં સંભારણાં અનુભવવા માંડ્યાં. એક દિવસ ધાણી ફૂટે એવા બળબળતા તાવમાં પડ્યાં પડ્યાં બેહાલ થઈ ગયેલા સાહેબે ડુંગરાની ગાળીની અંદર બહારવટિયાને નીચે પ્રમાણે વાત કરતા સાંભળ્યા : “બાવા વાળા, સાહેબને પકડીને તો તેં સાપ બાંડો કર્યો છે.” “હોય બા, થાતાં થઈ ગયું.” “આપા બાવા વાળા, આખી કાઠિયાવાડને ધમરોળી નાખત તોય કોઈની ભે’ નહોતી. પણ આ તો ગોરાને માથે આપણો હાથ પડ્યો. એના એક ગોરા સાટુ રાણી સરકાર પોતાનું આખું રાજપાટ ડૂલ કરી નાખે. ઈ જાણ છ ને?” “જાણું છું.” “અને આ ગરને ઝાડવેઝાડવે ગોરો ચોકી કરવા આવશે, હો!” “હો!” “બાવા વાળા, જોછ ને? સાહેબને ઝાલ્યા પછી આજ સુધી આપણાં ઘોડાંના પાખર નથી ઊતર્યા, કે નથી આપણાં બખતર ઊતર્યાં, નથી એકેય રાત નીંદર કરી. હવે તો ડિલના કટકા થઈ ગયા છે અને આ માંદાને ઉપાડવો પડે છે.” “ત્યારે હવે તો શું કરવું, ભાઈ ભોજા!” “બીજું શું? એનું ટૂંકું કરી નાખીએ.” સાંભળીને સાહેબને અંગે પરસેવો વળી ગયો. બાવા વાળાએ જવાબ દીધો કે “ભાઈ, એમાં ડહાપણ નહિ કે’વાય. સાહેબને માર્યા ભેળી તો આખી વલ્યાત આંહીં ઊતરી સમજજો. અને જીવતો રાખશું તો કોક દી વષ્ટિ કરીને સરકાર આપણું બા’રવટું પાર પડાવશે. માટે સ્વારથની ગણતરીએ મરાય નહિ. બાકી તો હવે તમે કહો તેમ કરીએ.” જુવાન બાવા વાળાની આવી શાણી શિખામણ સાંભળીને મોટા મોટા તમામ અમીરોને ગળે ઘૂંટડો ઊતરી ગયો અને સાહેબ ઉપર જાપ્તો રાખીને બહારવટું ખેડાવા લાગ્યું. ગોરા ટોપીવાળાઓની જે વખતે ગામડેગામડે ફૅ ફાટતી, તેવા વખતમાં બાવા વાળાની આવી ગજબની છાતી સાંભળીને કીર્તિના દુહા જોડાવા લાગ્યા કે —

  1. કોઈ ત્રેવીસ વર્ષની આવરદા બતાવે છે.
  2. કોઈ કહે છે કે ઘમસાણનાથે પોતે નહિ, પણ એમના એક ચેલાએ સમાત લીધી.
  3. જુઓ પરિશિષ્ટ 1
  4. જુઓ પરિશિષ્ટ 2.
  5. દાના ભગતના સંપૂર્ણ વૃત્તાંત માટે જુઓ આ લેખકનું પુસ્તક ‘સોરઠી સંતો’.
  6. એમ કહેવાય છે કે કાઠિયાણી પોતાને પિયર ખડકાળા ગામે જ રહેતાં. એક વાર રાતે બાવા વાળાએ ખડકાળા ગામને પાદર મુકામ નાખીને બાઈને તેડાવેલાં. બાઈએ જવાબ વાળેલો કે “દરબારને કહેજો કે મારાથી ન અવાય. અમે સ્ત્રીજાત તો લીલો સાંઠો કહેવાઈએ. વખત છે ને દેવનો કોપ થાય, તો દુનિયા વાતું કરશે કે ધણી તો બિચારો પથરાનાં ઓશીકાં કરીને બા’રવટાં ખેડે છે, અને બાયડી ઘેર છોકરાં જણે છે! આવું થાય તો મારે અફીણ ઘોળવું પડે. માટે દરબારને કહેજો કે ઉઘાડેછોગ તેડાવીને ભેળી રાખવી હોય તો જ તેડાવજો!”