સોરઠી બહારવટિયા ભાગ-1/નિવેદન

From Ekatra Wiki
Revision as of 13:06, 23 May 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
નિવેદન


ભાગ 1


આવૃત્તિ પહેલી

પાંચ જ બહારવટિયાનાં આ વૃત્તાંતો છે. પાછળ એવાં ને એથી ચડિયાતાં બીજાં પંદર ચાલ્યાં આવે છે. પાઠકો આટલી વિગતોને સારી પેઠે પચાવી લ્યે; ત્યાં સમગ્ર બહારવટા-યુગની મીમાંસા કરતો એક પ્રવેશક પણ રજૂ થઈ જશે. ‘રસધાર’માં જોગીદાસ ખુમાણ, સંઘજી કાવેઠિયો, અભો સોરઠિયો, હીપો ખુમાણ, વરજાંગ ધાધલ વગેરે — એમ છૂટક છૂટક બહારવટિયા આલેખાતા આવ્યા છે. પરંતુ આમાં તો સાંગોપાંગ સંગ્રહની દૃષ્ટિ છે. તમામ બહારવટિયાની — અને એ પણ તેઓની કાળી-ઊજળી બંને બાજુની, મળી શકે તેટલા તમામ ઘટના-પ્રસંગોની, માત્ર પ્રશસ્તિની જ નહિ પણ સાથોસાથ નિંદ્ય ચારિત્ર્યદોષોની પણ — રજૂઆત કરવાનો આશય છે. માટે જ ‘રસધાર’ની રંગખિલાવટ ‘બહારવટિયા’માં મર્યાદિત દેખાશે. ભવિષ્યના કોઈ ઇતિહાસકારને માટે આ એક માર્ગદર્શન રચાય છે. રાજસત્તાઓનાં દફતરોમાં ફક્ત એકપક્ષી — ને તે પણ નજીવો જ ઇતિહાસ છે. લોકકંઠની પરંપરામાં બહુરંગી ને છલોછલ ઇતિહાસ છે. પ્રજા માર ખાતી, લૂંટાતી, પીડાતી, છતાં લૂંટારાઓની જવાંમર્દી ન વીસરતી. એ હત્યારાઓની નેકી પર આફરીન હતી. બહારવટિયાની કતલ એને મન સ્વાભાવિક હતી. પણ એ કતલના હાર્દમાં રહેલી વિલક્ષણ ધર્મનીતિ એની દૃષ્ટિમાં જાદુ આંજતી. માટે પ્રજાની એ મહત્તાની ચિરંજીવી મુખનોંધ રાખી લીધી. એ છતાં, આ કંઠસ્થ હકીકતોની ઐતિહાસિકતાને પણ મર્યાદા છે ખરી. એ લોકમુખની કથાઓ જુદી પણ છે. દૃષ્ટાંત દાખલ : ભીમા જતની માશૂક નન્નુનું અસ્તિત્વ ભાઈથી રાચયુરાનું કલ્પિત નથી, પણ વિશ્વાસપાત્ર લોકોક્તિ જ છે. તેમ તે પાત્રનો મને મળેલો ઇન્કાર પણ વિશ્વાસપાત્ર લોકોક્તિ જ છે. એવું બીજાં ઘણાંનું સમજવું, ઉપરાંત વીરપૂજક પ્રજાએ અનિષ્ટ વાતોને ઓછી સંઘરી હશે એમ પણ દીસે છે. સત્યાસત્ય નક્કી કરવા આજે સાધન પણ નથી રહ્યું, એટલી એની ઐતિહાસિકતા ઓછી. પણ આ બધું પ્રકટ કરવાથી અસત્ય હશે તે આપોઆપ લોકો જ આંગળી ચીંધાડીને બતાવી દેશે. ઇતિહાસની છણાવટ થશે. ભલે ઐતિહાસિકતા ઓછી રહી, લોકોની કલ્પના કદાચ હોય; તો એ બતાવે છે કે લોકોની કલ્પના કેવા આદર્શોને વંદન કરતી હતી. લોકો પવિત્રતાના પૂજક હતા. એ લોક-આદર્શ લગભગ તમામ બહારવટિયાની વાર્તામાં સ્પષ્ટ ભાખે છે કે જ્યારે જ્યારે બહારવટિયો નેકીને માર્ગેથી લપટ્યો છે ત્યારે ત્યારે જ એનો નાશ થયો છે. દેવતાઓની ગેબી સહાયતાની માન્યતા પણ એ જ કથા કહે છે. આટલું સ્મરણમાં રાખીએ કે બહારવટાનો ખરો યુગ અઢારમી સદીના અસ્ત સમયથી આરંભાયો, આખી ઓગણીસમી સદી ઉપર પથરાઈ રહ્યો, ને વીસમી સદીની પહેલી વીસીમાં જ ખલાસ થઈ ગયો. એનો છેલ્લો પ્રતિનિધિ રામ વાળો હતો. તે પછી રહી છે ફક્ત ચોરી ને લૂંટફાટ. કોઈ એને બહારવટું ન કહેજો. એ નર્યા ચોરડાકુઓને આ સંગ્રહમાં સ્થાન નથી. બહારવટાં-નીતિનો છેલ્લો ને ઓલવાતા દીવાની ઉજ્જ્વલ જ્યોત સરખો નેકીદાર પુરોહિત રામ વાળો જ આ સંગ્રહનો સ્તંભ બનશે. ભાઈશ્રી [રવિશંકર] રાવળે આલેખેલાં આ પુસ્તકનાં શોભા-ચિત્રો કોઈ બહારવટિયાની તસવીરો નથી, પણ પ્રત્યેકના ચરિત્રમાંથી ઊઠતા પ્રધાન ધ્વનિનાં દ્યોતક કલ્પના-ચિત્રો જ છે. છેલ્લાં બે ચિત્રો બદલ ‘બાલમિત્ર’ના તંત્રીજીનો ઋણી છું.

સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિર : 18-11-’27 ઝવેરચંદ મેઘાણી

[આવૃત્તિ બીજી]

‘બહારવટિયા’નાં વૃત્તાંતો પર તરેહ તરેહના તર્કો થઈ રહેલા છે. મને પૂછવામાં આવે છે કે શું લોકોને બહારવટે ચડાવવા છે? પુસ્તકની સચોટ અસર વિશે પણ ભાતભાતનાં કારણો કલ્પાય છે, કોઈ કહે છે કે એના વાચન દ્વારા કતલ અને બદલો લેવાની બાલવાસનાઓ તૃપ્ત થાય છે, તેથી જ યુવકો એના પર આફરીન છે! કોઈ કહે છે કે અંગ્રેજ અધિકારીઓની દુર્દશાનાં જે ચિત્રો આવે છે તે નિહાળવામાં પ્રજાનો અંગ્રેજી રાજ પ્રતિનો સ્વાભાવિક અણગમો સંતોષાય છે તે માટે પ્રજા પ્રેમથી વાંચે છે! વગેરે વગેરે. આવી કોઈ કલ્પનાના ઘોડા છૂટા ન મૂકવા સહુને મારી વિનંતી છે. કેમ કે હજુ તો અઢી-ત્રણ ગણો ઇતિહાસ બાકી છે અને મારો સવિસ્તર પ્રવેશક હજુ પાછળ છે. મારો હેતુ રાજદ્વારી નથી, સાહિત્યકીય છે; હું તો રાજસત્તા જેને કેવળ ‘હરામખોરો’ શબ્દથી પતાવે છે અને બીજી બાજુથી અમુક વર્ગ જેને દેવતુલ્ય બતાવે છે, એવા કાઠિયાવાડી બહારવટિયા વિશેનો વિવેકપૂર્વકનો વિચાર કરવાની સામગ્રી પૂરી પાડી રહ્યો છું. હું તો બહારવટિયાની વીરતા સામે અંગ્રેજોની જવાંમર્દી પણ આલેખી રહ્યો છું. પરંતુ કિનકેઈડ સાહેબ જેવા અનુભવી અને ઇતિહાસ-રસિક ‘સિવિલિયને’ પણ પોતાના અમલદારી દૃષ્ટિબિંદુને વશ બની જઈ ‘આઉટલૉઝ ઑફ કાઠિયાવાડ’ નામના પુસ્તકમાં કાઠિયાવાડી બહારવટિયાનું ઉપરછલ્લું અને પામર ચિત્ર આંક્યું છે, તે તથા તેના જેવાં અન્ય એકપક્ષી ચિત્રોની પ્રામાણિકતા જૂઠી પડવાની પણ હું જરૂર સમજું છું. વળી, મારો આશય માત્ર બહારવટિયાનો જ નહિ, પણ એ પ્રત્યેકની આસપાસ જિવાયેલા લોકજીવનનો ઇતિહાસ પણ અજવાળે આણવાનો છે. વિશેષ તો મારો ભવિષ્યનો પ્રવેશક બોલશે. અને હજુ તો જોગીદાસ, જેસો-વેજો, રામ વાળો, જોધો માણેક વગેરે બહારવટિયા બાકી છે. પ્રથમાવૃત્તિમાં અધૂરી રહી ગયેલી એક ફરજ બજાવી લઉં. આ વાતોના સંશોધનમાં ભીમા જતના કુટુંબી ભાઈશ્રી રાણા આલા મલેકે મને સારી મદદ કરી છે. એ બહાદુર ભાઈએ કાઠિયાવાડ એજન્સી પોલીસમાં બહારવટિયાનો પીછો લેનાર બાહોશ અધિકારી તરીકેની ઊંચી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. અત્યારે એ ભાઈ જામનગર રાજ્યના ફોજદાર છે. જૂના કાળની મર્દાનગીનો, પડછંદ દેખાવડી શારીરિક સંપત્તિનો અને નેકીનો એ જોવા જેવો નમૂનો છે. એમનો હું આભારી છું. બીજા મદદગાર તે અકાળા ગામના રહેવાસી શ્રી વાલજી ઠક્કર છે. ઝીણી દૃષ્ટિ અને ઠાવકી વાણીમાં વિવેકભર્યું આબાદ વર્ણન કરવાની એમની શૈલી મને ઘણી ગમી છે. તે ઉપરાંત ભાઈશ્રી ગગુભાઈની હેતભરી અને કીમતી સહાય તો અવારનવાર મળતી જ રહે છે.

24-1-’28 ઝવેરચંદ મેઘાણી

[આવૃત્તિ છઠ્ઠી]

આ પુસ્તકની ચોથી ને પાંચમી આવૃત્તિઓ આંહીં ખાતે મારી ગેરહાજરીમાં (મારા મુંબઈવાસ દરમિયાન) થઈ ગઈ હોવાથી તેમાં જરૂરી સુધારા કરવા પામ્યો નહોતો. આ વખતે ‘બાવા વાળા’ના વૃત્તાંતમાં ઇતિહાસમાં અજવાળું પાડે તેવાં ત્રણેક ચારણી બિરદ-ગીતો પહેલી જ વાર ઉમેરાય છે. મારા સંશોધનમાં એ હાથ લાગેલાં, પણ નોટબુકમાં જ રહી ગયેલાં. વાચકોએ આ પુસ્તકની બાર હજાર પ્રતો આજ દિન સુધીમાં ઉઠાવી છે, તે ગુજરાતી વાચકવર્ગ વિસ્તરવા લાગ્યો છે તેની પણ એક એંધાણી છે.

રાણપુર : 25-9-’41 ઝ. મે.