અન્વેષણા/૧૬. ભોજરાજાનું સરસ્વતીસદન...

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ભોજરાજાનું સરસ્વતીસદન



ભારતના ઇતિહાસમાં અને ભારતીય જનશ્રુતિમાં માળવાના વિદ્યાવિલાસી અને પરાક્રમી રાજા ભોજનું નામ અમર છે. યુદ્ધવિદ્યા, રાજ્યશાસ્ત્ર, સ્થાપત્ય, કલા અને સાહિત્ય—એ સર્વ ક્ષેત્રોમાં ભોજનું પ્રદાન વિશિષ્ટ છે. એની ઉદારતા અને દાનશૂરતા મધ્યકાલીન ઇતિહાસમાં અજોડ છે તથા તેના એ ગુણોની પ્રશંસા મધ્યકાળના સંસ્કૃત અને તદુત્થ ભાષાઓના સાહિત્યમાં તેમ જ કિંવદન્તીમાં સર્વત્ર છે. માળવાના પરમારોની ઉદયપુર-પ્રશસ્તિમાં ભોજરાજા વિષે કહ્યું છે—

साधित विहितं दत्तं ज्ञातं तद्यन्न केनचित् ।
किमन्यत् कविराजस्य श्रीभोजस्य प्रशस्यते ॥

[અર્થાત્ તેમણે જે સાધ્યું, વિધિપૂર્વક આચર્યું, આપ્યું અને જાણ્યું તે બીજા કોઈથી થઈ શકયું નથી. કવિરાજ ભોજની આથી વિશેષ શી પ્રશંસા હોય?] પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં ખેડાયેલી, વિદ્યાની અનેક શાખાઓના ગ્રન્થો ભોજના નામે ચડેલા છે. એ પૈકી, નિદાન કેટલાકનું કર્તૃત્વ ભોજનું હશે એમ માનવું વધારે પડતું નથી. ભોજે ‘સરસ્વતીકંઠાભરણ’ નામે અલંકારગ્રન્થ અને ‘સરસ્વતીકંઠાભરણ’ નામે વ્યાકરણ રચ્યાં હતાં તેમ પોતાની રાજધાની ધારાનગરીમાં તેણે ‘ સરસ્વતીસદન’ વિદ્યાલય બાંધ્યું હતું, જે એની પોતાની તેમજ એના કવિપંડિતોની પ્રવૃત્તિનું કેન્દ્ર હતું. એ ઐતિહાસિક સ્થાનનું દર્શન કરવાની તક મને થોડા સમય પહેલાં જ મળી. ગયા ફેબ્રુઆરી માસમાં ન્યુ દિલ્હીમાં સાહિત્ય અકાદમીની બેઠકમાં હાજરી આપ્યા પછી મધ્ય ભારતમાં પંદરેક દિવસનો પ્રવાસ મેં કર્યો. ગ્વાલિયરની જીવાજી યુનિવર્સિટીમાં એક વ્યાખ્યાન આપી, ઝાંસી, સાંચી, ભોપાલ, ઉજ્જૈન અને ઇન્દોર થઈ ૐકારેશ્વર અને માંધાતા જઈ ફરી ઇન્દોર આવીને મંડપદુર્ગ—માંડુની ઊડતી મુલાકાત લીધી. અને ત્યાંથી પાછા વળતાં ધાર (મુંજ અને ભોજની ધારાનગરી)માં થોડા કલાક રોકાયો. તે સમયે, ભોજની ચિરંજીવ જ્ઞાનભક્તિના સ્મારકરૂપ સરસ્વતીસદન જોયું. ધાર એ ભૂતપૂર્વ ધાર રાજ્યનું પાટનગર છે અને ચાળીસ હજારની વસતીનું નાનું શહેર છે, અને કોઈ પણ રેલવે સ્ટેશનથી પચાસ માઈલ કરતાં વધારે દૂર આવેલુ હોઈ નગરજીવનની ધમાલથી પ્રમાણમાં મુક્ત છે. ધારમાં, હિન્દુ યુગમાં મુખ્ય સ્મારકો ત્રણ છે. ધારનો જૂનો કિલ્લો ભોજે બંધાવેલો ગણાય છે. દક્ષિણના ચૌલુક્યો અને ચેદિના ગાંગેયદેવ કલચૂરિ ઉપરના ભોજના વિજયના સ્મારક રૂપે બંધાયેલા મન્દિરનું પાછળથી રૂપાન્તર થયું છે. એની બહાર, એ સ્મારકના ભાગરૂપ એક જૂનો લોહસ્તંભ (લાટ) ત્રણ ટુકડામાં પડેલો છે. તેથી એ લાટ મસ્જિદ તરીકે ઓળખાય છે. ભોજનું સરસ્વતીસદન પણ મસ્જિદરૂપે ફેરવાયું હોવા છતાં ધારની હિન્દુ વસતીમાં તે પરાપૂર્વથી ‘ભોજશાલા’ તરીકે ઓળખાય છે. જોકે સન ૧૯૫૧માં જવાહરલાલ નહેરુએ આ સ્થાનની મુલાકાત લીધી ત્યાર પછી તે આર્કિયોલોજી ખાતાના કબજામાં છે. એની બાજુમાં કમાલ મૌલાની મસ્જિદ અને કબ્રસ્તાન છે. પાસેનો કૂવો જેનું જૂનું નામ ‘સરસ્વીકૂપ’ છે તે ‘અક્કલકૂઈ ’ નામે ઓળખાય છે. આ સરસ્વતીસદન (જેને મદન કવિતી ‘પારિજાતકમંજરી’ નાટિકામાં શારદાસદ્મ કહેવામાં આવ્યું છે) પૂર્વાભિમુખ વિશાળ મહાલય છે. મુખ્ય દ્વારથી બરાબર સામે છેડે, ગભારાની જગ્યાએ સરસ્વતીની મૂર્તિનું સ્થાન અત્યારે ખાલી છે. એ મૂર્તિ લગભગ મનુષ્યપ્રમાણ હોવી જોઈએ એમ એ ખાલી સ્થાન ઉપરથી અનુમાન થાય છે. એ મૂર્તિ લંડનના બ્રિટિશ મ્યૂઝિયમમાં સચવાયેલી છે અને તે વિષેના સચિત્ર લેખ પૌરસ્ત્ય-વિશેષતઃ ભારતીય કલાવિષયક અંગ્રેજી સામયિક ‘રૂપમ્’ના જાન્યુઆરી ૧૯૨૪ના અંકમાં છપાયો છે. સને ૧૯૫૬માં હું એકાદ માસ લંડનમાં હતો ત્યારે અદ્ભુત સૌન્દર્યમયી આ મૂર્તિનું દર્શન બ્રિટિશ મ્યૂઝિયમના ભારતીય કલાસંગ્રહમાં મેં કર્યું હતું; ‘રૂપમ્'માં છપાયેલી એની છબિ પણ ઉત્કૃષ્ટ કોટિની છે. મુખ્ય મૂર્તિના સ્થાન આગળની આરસની કમાન મુસલમાની સમયની છે. સરસ્વતીના સ્થાનકની ડાખી બાજુએ, સહેજ ઊંચે ગોખલામાં ગણેશની મૂર્તિ હોવી જોઈએ. એની આકૃતિ તદ્દન ઘસી નાખેલી છે, પણ ત્રીસેક ફૂટ દૂર સામે ખુલ્લામાંથી જોતાં સૂંઢ લંબોદર આદિનો સ્પષ્ટ અણસાર જણાય છે. ભોજનો રાજ્યકાળ અંદાજે ઈ. સ.૯૯૯થી ૧૦૫૪ સુધીનો છે. સરસ્વતીસદનમાં સરસ્વતીની ઉપર્યુક્ત મૂર્તિની પ્રતિષ્ઠા, એની નીચેના શિલાલેખ અનુસાર સં. ૧૦૯૧ (ઈ. સ. ૧૦૩૫)માં થઈ હતી. એ ઉપરથી સ્પષ્ટ છે કે ભોજની જાહોજહાલી પરાકાષ્ઠાએ પહોંચી હતી તે સમયે સરસ્વતીસદન બંધાયું હતું. સરસ્વતીસદનના મુખ્ય દ્વારની સામે અને અંદર બન્ને બાજુએ સુશોભિત થાંભલાવાળી પડાળી છે, એની ઉપર અગાસી છે. અગાઉ ત્યાં શું હશે એ અત્યારે કહેવું મુશ્કેલ છે. વચમાં ખુલ્લો ચોક છે. એના કેન્દ્રમાં હોજ છે, જે મૂળ સરસ્વતીસદનનો હોમકુંડ ગણાય છે. મસ્જિદરૂપે ફેરવાયેલાં સર્વ હિન્દુ અને જૈન સ્થાપત્યોમાં જોવામાં આવે છે તેમ અહીં પણ મનુષ્ય અને પશુપક્ષીની શિલ્પકૃતિઓ કાળજીપૂર્વક ઘસી નાખવ!માં આવી છે, તોપણ કોઈ ખૂણે- ખાંચરે નાનકડી આકૃતિઓ બચી ગઈ છે અને તે મૂળ સ્થાનકની ગવાહી પૂરે છે. ઈ.સ ૧૦૩૫માં સરસ્વતીસદનની સ્થાપના ભોજરાજે કરી ત્યારથી ત્યાંની પ્રવૃત્તિઓને માળવાના પરમાર રાજાઓ તરફથી વિધિસર પોષણ અને ઉત્તેજન મળતાં રહ્યાં એ નિશ્ચિત છે. કાતંત્ર વ્યાકરણ અનુસાર વિદ્યાર્થીઓને સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ કરાવવા માટેના, સબંધમય બે યંત્રો સદનના થાંભલા ઉપર કોતરાયેલા છે. (ગુજરાત, રાજસ્થાન અને માળવામાં એ કાળે સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ કાતંત્ર અનુસાર થતો. આચાર્ય હેમચન્દ્રનું વ્યાકરણ રચાયા પછી એ પ્રદેશોમાં મુખ્યત્વે જૈનોમાં, કાતંત્રનું સ્થાન સિદ્ધહૈમ વ્યાકરણે લીધું.) એ સાથેના એ શિલાલેખોમાંના એકમાં માળવાના રાજા ઉદયાદિત્ય (ઈ.સ. ૧૦૬૦-૧૦૮૭)નું અને બીજામાં નરવર્મા (ઈ. સ. ૧૦૯૪–૧૧૩૩)નું નામ છે. સરસ્વતીસદન એ કોઈ સામાન્ય પાઠશાળા નહોતી, પણ વિદ્યાલય હોવા ઉપરાંત દેશવિદેશથી આવતા વિદ્વાનો અને પંડિતોનું તેમ જ ધારાનગરીના વિદ્યાપ્રિય નાગરિકોનું તે મિલનસ્થાન હતું એ અનુમાનથી સમજાય એવું છે, તોપણ એનો સ્પષ્ટ પુરાવો રાજગુરુ મદન કવિની ‘પારિજાતમંજરી' નાટિકામાંથી મળી રહે છે. 'પારિજાતમંજરી’ નાટિકા માળવાના રાજા અર્જુનવર્મા (ઈ.સ. ૧૨૧૧–૧૨૧૭)ની પ્રશસ્તિરૂપે છે. સંસ્કૃત નાટિકામાં ચાર અંક હોય. એ શિલાપટ્ટિકાઓ ઉપર -પ્રત્યેક પટ્ટિકા ઉપર બે એ પ્રમાણે –એના ચાર અંકો કોતરીને સરસ્વતીસદનની ભીંતમાં ચોઢવામાં આવ્યા હતા. સરસ્વતીસદનનું મસ્જિદમાં પરિવર્તન થયા પછી એમાંની એક પટ્ટિકા મસ્જિદના મહેરાબની ભીંતમાં ચણી લેવાઈ હતી, ત્યાંથી અલગ કરીને મુખ્યદ્વારની અંદરના ભાગમાં, ડાબી બાજુએ દીવાલમાં સુરક્ષિત રીતે થોડાં વર્ષ પહેલાં બેસાડવામાં આવી છે તથા તે ઉપર કાચનાં બારણાં સાથેની ફ્રેમ કરવામાં આવી છે, એ પટ્ટિકામાં પૂરા બે અંક છે. એમાંની લેખનરીતિ અને ઉટ્ટંકનપદ્ધતિ ગુજરાતના તત્કાલીન શિલાલેખો સાથે પૂરેપૂરી મળતી છે એ બતાવે છે કે ગુજરાત અને માળવાના રાજકર્તાઓ વચ્ચે લગભગ સતત વિગ્રહની સ્થિતિ હોવા છતાં બંને પ્રદેશમાં શિક્ષણપદ્ધતિ અને કલા કારીગીરીની પ્રણાલીઓની એકરૂપતા હતી. ત્રીજા અને ચોથા અંકવાળી બીજી પટ્ટિકાનો પત્તો નથી, પણ મસ્જિદની ફરસબંધીમાં અનેક સ્થળે કાળા આરસના, લેખયુક્ત નાના ટુકડાઓ ઠેરઠેર ચણાયેલા છે તે એ જ પટ્ટિકામાંથી હશે એવું અનુમાન થાય છે. સંભવ છે કે સરસ્વતીસદનમાં શિલાપટ્ટિકાઓ ઉપર કોતરાયેલી આ નાટિકાનો ઉપયોગ કાવ્યસાહિત્યના વિષયમાં પાઠ્યપુસ્તિકા તરીકે પણ થતો હોય. એના ઉપલબ્ધ બે અંકનું સંપાદન અને પ્રકાશન જર્મન વિદ્વાન પ્રો. હુલ્ઝે કર્યું છે (‘એપિગ્રાફિયા ઇન્ડિકા,' પુ. ૮, પૃ. ૯૬–૧૨૨) અને ત્યાર પછી તેમણે અલગ પુસ્તિકારૂપે પણ એ પ્રગટ કર્યું છે (લિપઝિંગ, ૧૯૦૩). પ્રારંભમાં જ અર્જુનવર્માને ભોજના અવતાર તરીકે કવિ ઉત્પ્રેક્ષે છે અને ‘શિલાયુગલ' ઉપર તેના ગુણવર્ણનની આ નાટિકા કોતરાતી હોવાનો નિર્દેશ કરે છે—

अत्र कथंचिदलिखिते श्रुतिलेह्यं लिख्यते शिलायुगले ।
भोजस्यैव गुणोर्जितमर्जुनमूर्त्याऽवतीर्णस्य ॥१॥

વળી સકલ દિગંતરોરોમાંથી આવેલા અનેક ત્રૈવિદ્ય સહૃદય કલાકોવિદ અને રસિક કવિઓથી સંકુલ શારદાદેવીના સદ્મમાં વસંતોત્સવ પ્રસંગે તે ભજવાઈ હોવાનું પણ સૂત્રધારના મુખે કહેવાયું છે–

प्रिये आदिष्टोऽस्मि तत्रभवत्या परिषदा यथाऽद्य त्वयाऽस्मिन्नेव चैत्रपर्वणि (चतु)रशीतिचतुःपथसुरसदनप्रधाने धारापुरीयुवतिगारमुक्तास्रजो जगज्जडतांधकारशातन -शरच्चंद्रिकायाः सारदादेव्याः सद्मनि सकलदिगंतरोपागतानेकत्रैविद्यसहृदय कलाकोविदरसिकसुकविसंकुले गौडान्वय- गंगापुलिनरा [जहं] सस्य [गंगाध] रायणे [मर्दनस्य रा] जगुरो: कृतिरभिनवा समस्तसामाजिकमधुव्रतानंदमकरंदप्रपा पारिजातमंजरीत्यपराख्या विजयश्रीर्नाम नाटिका नाटयितव्या ।

નાટિકાનો નાયક અર્જુનવર્મા પોતે છે, અને નાયિકા ‘ગુર્જરપતિ જયસિંહ’ની પુત્રી છે. પર્વ પર્વત (સંભવત: પાવાગઢ)ની ઉપત્યકામાં થયેલા યુદ્ધમાં અર્જુનવર્મા જયસિંહને હરાવે છે; જયસિંહ પલાયન કરી જાય છે. તે સમયે હાથી ઉપર બેઠેલા ધનુર્ધારી અર્જુનવર્માના વક્ષસ્થળ ઉપર વિસ્મિત દેવોએ કુસુમવૃષ્ટિમાં એક પારિજાતમંજરી પડે છે અને તુરત જ એક રૂપવતી તરુણી બની જાય છે. એ તરુણી તે જયસિંહની પુત્રી વિજયશ્રી છે. કુસુમાકર નામે, પોતાના ઉદ્યાનાધિકારી કંચુકીને રાજા એની સોંપણી કરે છે. વિજયશ્રી અને અર્જુનવર્માના પ્રણયનું નિરૂપણ એ બાકીની નાટિકાનો વિષય છે. રાણી સર્વકલા એમાં વિઘ્નરૂપ થાય છે અને વિજયશ્રી હૃદયભગ્ન બને છે ત્યાં નાટિકાનો બીજો અંક પૂરો થાય છે. બાકીના બે અંકમાં (જે ઉપલબ્ધ નથી) અન્યાન્ય પ્રસંગોને અંતે અર્જુનવર્મા અને વિજયશ્રીનું લગ્ન નિરૂપાયું હશે એમ સહેલાઈથી કલ્પી શકાય છે.*[1]

‘પારિજાતમંજરી’ની પ્રસ્તાવનામાં કહ્યું છે તેમ, મદનકવિ ગૌડકુળનો હતો અને ગંગાધરના વંશમાં થયેલો હતો. અન્ય સાધનોમાંથી જણાય છે કે કવિતા અને સાહિત્યનું શિક્ષણ તેણે જૈન પંડિત આશાધર પાસે મેળવ્યું હતું અને પોતાની નિપુણતા બદલ ‘બાલસરસ્વતી'નું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. અર્જુનવર્માના સમયમાં તે રાજગુરુની પદવીએ પહોંચ્યો હતો. અર્જુનવર્માના રાજ્યકાળના ત્રણ સંસ્કૃત લેખોની રચના મદને કરેલી છે. અર્જુનવર્મામાં પોતે પણ એના પુરોગામી ભોજની જેમ એક સહૃદય ગ્રન્થકાર હતો. ‘અમરુશતક’ ઉપર તેણે રચેલી ટીકા ‘રસિકસંજીવની’ જાણીતી છે તથા અનેકવાર છપાયેલી છે. એ ટીકામાં મદનના કેટલાક શ્લોકો ઉદ્ધૃત થયેલા છે. અર્જુનવર્માનાં સુભાષિતો જહ્લણની ‘સૂક્તિમુક્તાવલિ’ અને વલ્લભદેવની ‘સુભાષિતાવલિ’માં તથા મદનનાં સુભાષિતો ‘સૂક્તિમુક્તાવલિ’ માં લેવાયાં છે. સરસ્વતીસદનમાં ઈ. સ. ૧૦૩૫માં સરસ્વતીની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ ત્યારથી માંડી અર્જુનવર્માના રાજ્યકાળ સુધી એટલે કે આશરે બસો વર્ષ સુધી ત્યાંની પ્રવૃત્તિઓને રાજ્યનો પ્રત્યક્ષ આશ્રય મળતો હતો એના સ્પષ્ટ પુરાવા છે. એ પછી, ઈ. સ. ૧૩૦૯- બાદ તુરતમાં માળવાના પરમાર રાજ્યનો નાશ થયો ત્યાં સુધી એ આશ્રય ચાલુ રહ્યો હશે એમ અનુમાન કરવું યોગ્ય છે. વિ. સં. ૧૨૯૨ (ઈ.સ. ૧૨૩૬)માં સિદ્ધરાજ જયસિંહે માળવાના રાજા યશોવર્માને હરાવીને ધારાનગરીમાં વિજયપ્રવેશ કર્યો. ગુજરાતની વિદ્યાપ્રવૃત્તિમાં સિદ્ધરાજના સમયથી વિશેષ ભરતી આવી એનું એક મુખ્ય કારણ અવન્તિના પાટનગરનું અને ભોજના સરસ્વતી ભંડાર—પુસ્તકાલયનું સિદ્ધરાજે કરેલુ દર્શન હતું. એ સરસ્વતી ભંડાર ક્યાં હશે? ભોજના રાજમહેલમાં હશે કે સરસ્વતીસદનમાં ? આવા નામાંકિત શારદાસદ્મ સાથે પુસ્તકાલય તો હોવું જોઈએ.

તે આ જ મકાનમાં હશે કે અન્યત્ર? આ મકાનમાં હોય તો ક્યાં? મકાનની વર્તમાન સ્થિતિમાં આ પ્રશ્નોના કોઈ ઉત્તર આપી શકાય એમ નથી. પરંતુ વિદ્યાધામ અવન્તિનો અને તેના કેન્દ્રરૂપ સરસ્વતીસદનનો કંઈક આદર્શ ચિત્તમાં રાખીને સિદ્ધરાજે પાટણમાં સહસ્ત્રલિંગ સરોવરની આસપાસ વિવિધ વિદ્યાનુ શિક્ષણ આપતા વિદ્યામઠો સ્થાપ્યા હતા એમાં શંકા નથી. ગુજરાતના પાટનગરના હૃદયભાગમાં, દેવગૃહસંકુલ એક વિશાળ સરોવરના કિનારે સ્થપાયેલા અને વિકસેલા વિદ્યાનગરની ભવ્યતા ભોજના સરસ્વતીસદન કરતાં વિશેષ હતી એ પણ એટલું જ ચોક્કસ છે. સરસ્વતીસદન જોતાં જોતાં પાટણમાંના આવા જ એક સ્થાપત્યનું મને સ્મરણ થયું, અને તે હાલના પાટણની પશ્ચિમે કનસડા દરવાજા બહાર આવેલા હેમચન્દ્રાચાર્યનો ઉપાશ્રય. એ સ્થાન પીર મુખ્તમશાહની દરગાહ તરીકે ઓળખાય છે, પરંતુ જૈન કે હિન્દુ સ્થાપત્યનું એ રૂપાન્તર છે એ સ્પષ્ટ છે. પાટણની પ્રજા એને પરાપૂર્વથી હેમચન્દ્રાચાર્યના ઉપાશ્રય તરીકે ઓળખે છે અને આવી બાબતમાં અનુશ્રુતિને આધારભૂત નહિ ગણવાનું કોઈ કારણ નથી. પાટણની જૂની રાજગઢીની પાસે આવેલું હેમચન્દ્રાચાર્યનું નિવાસસ્થાન એ મહાન સારસ્વત અને તેમના શિષ્યમંડળને કારણે એક વિશિષ્ટ વિદ્યાલય તેમ જ સાહિત્યસર્જન અને વિદ્ગાગોષ્ટિનુ ધામ બન્યું હતું. ભોજના સરસ્વતીસદનનું દર્શન એ મધ્ય ભારતના મારા પ્રવાસનો પર્યાપ્ત પુરસ્કાર હતો. સંતોષ અને ગ્લાનિના મિશ્ર ભાવો સાથે એ શારદામન્દિરની મેં વિદાય લીધી. સંતોષ એટલા માટે કે મધ્યકાલીન ભારતના સાંસ્કૃતિક ઇતિહાસનાં મૂલ સાધનોમાં જ્યાંના વિદ્યાવિનોદો વિષે ઘણું વાંચ્યું હતું તે મન્દિરની ભૂમિ ઉપર વિચરવાનો રોમાંચ અનુભવી શકાયો, ગ્લાનિ એની વર્તમાન દશાથી થઈ. પરંતુ ઉજ્જનથી મોટર માર્ગે ॐકારેશ્વર, ઇન્દોર, માંડુ અને ધાર થઈને ગોધરા આવતાં ગુજરાત અને માળવાના ઇતિહાસનું જે સંયોજન ચિત્તમાં થયું તે અનેક પુસ્તકોના કેવળ વાચનથી ન થઈ શકયું હોત.

[‘બુદ્ધિપ્રકાશ,' જૂન ૧૯૬૬ ]


  1. * ખાસ કરીને ઐતિહાસિક અને અર્ધ- ઐતિહાસિક નાટકની નાયિકાને લોકોત્તર કે અતિમાનુષ પાત્ર તરીકે નિરૂપવાની સંસ્કૃત કાવ્ય-નાટકકારોની પ્રાણાલીને અહીં ઉલ્લેખ કરવો જોઈએ. એનાં બે જ ઉદાહરણ અહીં આપું. ‘કર્ણસુન્દરી’ નાટિકાની નાયિકા મયણલ્લાને એના કર્તા બિહ્લણે વિદ્યાધરી બનાવી છે. ગુજરાતના રાજા કુમારપાલે સપાદલક્ષના રાજા અર્ણોઁરાજ ઉપર વિજય મેળવ્યો એ ઇતિવૃત્ત વર્ણવતા નાટક, દેવચંદ્રકૃત ‘ચંન્દ્રલેખાવિજયપ્રકરણ'ની નાયિકા ચંદ્રલેખા વિદ્યાધરી છે. અર્ણોરાજની બહેન જહ્લણાદેવી, જેની સાથે એ વિજય પછી કુમારપાલનું લગ્ન થયું હતું, તે જ આ ચંદ્રલેખા વિદ્યાધરી છે. ‘પારિજાતમંજરી'ની નાયિકા વિજયશ્રી તે ગુર્જરપતિ જયસિંહની પુત્રી છે એ તો સ્પષ્ટ છે. જયસિંહે વિજયી શત્રુને પોતાની પુત્રી પરણાવી હોય અથવા સૈન્યોના અવરકંદમાં અંતઃપુરની સ્ત્રીઓ સાથે તે પરહેજ થઈ હોય.
    ગુર્જરપતિ જયસિંહ કોણ એ પણ આ સન્દર્ભમાં એક મહત્ત્વનો પ્રશ્ન છે.માળવામાં અર્જુનવર્માનું રાજ્ય હતું તે સમયે ગુજરાતનો રાજા ભીમદેવ બીજો અથવા ભોળો ભીમ (ઈ.સ. ૧૧૭૯–૧૨૪૨) હતો. તેને કેટલાક ઉત્કીર્ણ' લેખોમાં ‘અભિનવ સિદ્ધરાજ' કહેવામાં આવ્યો છે, તેથી ગુર્જરપતિ જયસિંહ તે આ ‘અભિનવ સિદ્ધરાજ' (જયસિંહ) એવો એક વિદ્વાને તર્ક કર્યો છે. પણ એ દૂરાકૃષ્ટ લાગે છે. જયંતસિહ કે જયસિંહ નામે કોઈ સામંત ભોળા ભીમદેવના સમયની ગુજરાતના રાજ્યશાસનની શિથિલ દશાનો લાભ લઈ કેટલોક સમય પાટણનો મહારાજાધિરાજ બન્યો હતો અને તેણે ભૂમિદાન પણ આપ્યું હતું. તે પણ પોતાને ‘અભિનવ સિદ્ધરાજ' કહે છે. તેનું એક જ દાનપત્ર સં. ૧૨૮૦ (ઈ.સ. ૧૨૩૪)નું મળે છે; એમાં તત્કાલીન ગુર્જરપતિ તરીકે તેનું નામ જયંતસિહ છે અને છેલ્લે હસ્તાક્ષર श्रीमज्जयसिंहदेवस्य એ પ્રમાણે છે.
    (‘ગુજરાતના ઐતિહાસિક લેખો,’ ભાગ ૨, લેખાંક ૧૬૫) એટલે ‘પારિતમંજરી’માં નિર્દિષ્ટ ' -જયસિંહ તે જ આ જયસિંહદેવ કે જયંતિસંહ એમ માનવું યોગ્ય છે. પણ એમાં એક મુશ્કેલી છે. જયસિંહનું દાનપત્ર ઈ.સ. ૧૨૩૪નું છે, જ્યારે અર્જુનવર્માનો રાજ્યકાલ તો ઈ.સ. ૧૨૧૭ માં સમાપ્ત જ થઈ ગયો હતો. પરન્તુ પ્રસ્તુત દાનપત્ર ઉપરથી આપણે જો એમ માનીએ કે કેવળ ૧૨૩૪ના વર્ષમાં જ જયસિંહ સત્તા ઉપર હતો તો એ તાર્કિક દૃષ્ટિએ ઉચિત નથી. ઈ.સ. ૧૨૦૯ પહેલાં અર્જુનનવર્માના પિતા સુભટવર્માએ ગુજરાત પર આક્રમણ કરી આતંક વર્તાવી મૂકયો હતો. તે સમયે પ્રવર્તેલા વૈરાજ્યમાં જયસિંહે સત્તા કબજે કરી હોય, વળી ગુમાવી હોય, ફરી કબજે કરી હોય અને માળવા સાથેનો વિગ્રહ ચાલુ રાખ્યો હોય. સુભટવર્માની જેમ અર્જુનવર્મા ગુજરાતની સરહદમાં પ્રવેશી શકયો નહિ એ જયિસંહને આભારી હોય. પ્રશસ્તિપ્રધાન નાટિકા ‘પારિજાતમંજરી' જયસિંહનો પરાજય વર્ણવે છે, છતાં અર્જુનવર્મા ગુજરાતમાં પ્રવેશ્યાનો અણસાર પણ એમાં નથી એ સૂચક છે. અર્જુનવર્માના સં. ૧૨૭૨(ઈ. સ. ૧૨૧૬)ના એક દાનપત્રમાં (એ દાનપત્રનો રચયિતા પણ રાજગુરુ મદન છે ) ગુર્જરપતિના પરાજયનો નીચે પ્રમાણે ઉલ્લેખ છે-

    बाललीलाहवे यस्य जयसिंहे पलायिते ।
    दिक्पालहासव्याजेन यशो दिक्षु विजृम्भितम् ॥
    (‘જર્નલ એફ ધી અમેરિકા એરિયેન્ટલ સોસાયટી, પુ. ૭, પૃ. ૨૬)

    અહીં પણ શત્રુરાજાનો જયસિંહ એવો સ્પષ્ટ નામનિર્દેશ છે. આ બંને દાખલામાં ભોળા ભીમદેવને જયસિંહ કહેવામાં આવ્યો હશે એમ માનવું વધારે પડતું છે. નાટિકા અને દાનપત્ર બંનેનો સમકાલીન પુરાવો ‘ગુર્જરપતિ જયસિંહ'ના અભિજ્ઞાન પરત્વે અસંદિગ્ધ છે.