અભિમન્યુ આખ્યાન/કડવું ૨૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૨૨

[અભિમન્યુની કથા ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરવાનું હોઈને કથાકાર પ્રેમાનંદ દ્યૂત, પાંડવોનું વનગમન વનવાસ, ગુપ્તવાસ વગેરે મહાભારતના પ્રસંગો અતિસંક્ષેપમાં સમેટી અભિમન્યુના પ્રસ્તુત કથાપ્રસંગ ઉપર આવે છે.

આ તેર વર્ષ અભિમન્યુએ મોસાળમાં વિતાવ્યાં. પાંડવો મત્સ્યદેશમાં છતા થયા. વિરાટરાજા તરફથી ઉત્તરાના લગ્નનો પ્રસ્તાવ મુકાતાં, યુધિષ્ઠિરે કૃષ્ણને ઉત્તરા-અભિમન્યુનો સંબંધ પસંદ પડે તો જાન જોડી લાવવાની વીનવણી કરતો પત્ર મોકલ્યો. કૃષ્ણ અભિમન્યુની જાન જોતરીને થોડે દિવસે મત્સ્યદેશ પહોંચ્યા.]


રાગ દેશાખ : ચાલ ટૂંકી


સંજય કહે : સાંભળ હો રાય, અભિમન્યુ તણો મહિમાય;
જે અભિમન બોલ્યો વિપરીત, તે વયણ વિઠ્ઠલે રાખ્યાં ચિત્ત.          ૧

કુંતાને ભેટ્યા કમળાપતિ, પછે પધાર્યા દ્વારામતી;
એક વાર પાંડવે કીધું અકૃત્ય, દુર્યોધન-શું રમિયા દ્યૂત.          ૨

હાર્યા રાજ્ય, ભર્યા ભંડાર, વસવું વન સંવત્સર બાર;
પાંચાળીશું ગયા વનવાસ, ત્યાં મળવા આવ્યા અવિનાશ.          ૩

પાંડવને ભેટ્યા જદુવીર, કહ્યું કષ્ટ, નયણાં ભરી નીર;
અભિમન-સુભદ્રાને આણું કરી, દ્વારકામાં આવ્યા શ્રીહરિ.          ૪

ભાણેજ ભાવ ભગવંતે ગણ્યો, પ્રદ્યુમ્ન સાથે વિદ્યા ભણ્યો;
તેર વરસ મોસાળે રહ્યો, સત્તરનો સૌભદ્રે થયો.          ૫

પાંડવના દિવસ પૂરણ થયા, એવે મત્સ્યદેશમાં પ્રગટ હવા;
રાય વિરાટે સ્તુતિ કરી, પાંડવશું વિનતી ઓચરી.          ૬

મેં કીધું મહા કૂડું કર્મ, જે પાસા-પ્રહારે પીડ્યા ધર્મ;
આ દ્રૌપદી સતી સુંદરી, તેને મેં કહી કિંકરી.          ૭

દૃુઃખે નિર્ગમ્યા દ્વાદશ માસ, પૃથ્વીપતિને મેં કીધા દાસ;
તે ભાર ઓશિંકળ કરો, ઉત્તરાકુંવરી મારી વરો. ઋણમુક્ત કરો          ૮

ભણાવી કીધી અટપટી, માટે પરણવા ઘટે કિરીટી;
કન્યાદાન લો ગાંડિવપાણ,’ ત્યારે પાર્થ બોલ્યો વાણ :          ૯

‘ભણાવી જેને પુત્રી કરી, તેને કેમ કહું સુંદરી?
ગુરુ ઇચ્છે શિષ્યાથી સંતાન, તો ઉદયાચળ ન ઊગે ભાણ.          ૧૦

અભિમન્યુ છે મારો બાળ, જેનો મામો શ્રીગોપાળ;
તેને પુત્રી આપો તમો, સગા વેવાઈ થઈએ અમો.’          ૧૧

સુણી સવ્યસાચીનાં વચન, મત્સ્યપતિનું હરખ્યું મન;
પછે યુધિષ્ઠિર કાગળ લખે, મોકલવા દ્વારિકા વિખે :          ૧૨

‘સ્વસ્તિ શ્રીપુરી દ્વારામતી, લક્ષણપૂરણ લક્ષ્મીપતિ;
ત્રિકમજી, ત્રિભુવનના ધણી, કૃપા કરો તેથી કરજો ઘણી.          ૧૩

લિખિતંગ પત્ર ધર્મનરેશ, અમો ઉદે થયા મત્સ્યને દેશ;
તમારી કરુણાની છે લહેર, વરસ ઊતર્યાં વિરાટને ઘેર.          ૧૪

મત્સ્યપતિને છે દીકરી, તે અભિમનને પરણાવા કરી;
જો તમોને ગમે ગોપાળ, તો કીજે એ વેવિશાળ.          ૧૫

જેવું હોય તેવું કહાવજો, જાન વિશેષ કરી લાવજો;
આખું ગામ તેડી કુશસ્થલી, જે હોય જાદવની મંડળી.          ૧૬

અભિમન્યુ છે તમારી પાસ, પરણવા લાવજો,અવિનાશ;
અમો બેસી રહ્યા તમ થકી, વહેલા પધારજો કમળાપતિ.’          ૧૭

પત્ર આપી વોળાવ્યો દાસ, ગયો જ્યાં હુતા અવિનાશ;
સભામાં જઈ ઊભો રહ્યો, બોલ એક કર જોડી કહ્યો.          ૧૮

‘હું આવ્યો પાંડવની વતી, આ કાગળ લીજે કમલાપતિ;’
એવું સાંભળી ઊઠ્યા હરિ, લેઈ પત્રિકા મસ્તક ધરી.          ૧૯

ઉકેલી જોયું શામળે, વાંચ્યું જ્યમ સરવ સાંભળે;
લખ્યાં વાયક પાંડવ તણાં, વહાલાં વિઠ્ઠલજીને ઘણાં.          ૨૦

સમાચાર સારો સાંભળ્યો, જે અભિમનનો વિવા’ મળ્યો;
આનંદ્યું દ્વારિકા ગામ, મનમાંહાં દુઃખ પામ્યા રામ.          ૨૧

જો પાંડવ થયા કુશળે છતા, તો કૌરવે ખાધી ખતા;
એટલો હરખ હૈડામાં હળ્યો, જે અભિમન્યુનો વિવા’મળ્યો.          ૨૨

પછે ઘરમાં ધાઈ સેવકી, વીનવિયાં રોહિણી-દેવકી;
માતાજી સાંભળિયે વાત, કુશળ છે પાંડવ પાંચે ભ્રાત.          ૨૩

મત્સ્યને મંદિર નષ્ટચર્યા કરી, પ્રગટ હવા તે પુરમાં ફરી;
વૈરાટને ઉત્તરા દીકરી, તે અભિમનને પરણાવવા કરી;          ૨૪

એવે આવ્યા હળધર ને હરિ, માતા પ્રત્યે વાણી ઓચરી;
‘જનુની! કેહ છે જે કિંકરી, તેહ વારતા નિશ્ચે ખરી.           ૨૫

વધૂ માત્ર કરો સાંતરી, ઓ બારણે વે’લ્યો જોતરી;’
એવું કહી વળ્યા ભગવાન, આવી તત્પર કીધી જાન.          ૨૬

ફરે જાંદરણી મોડામોડ, લેખે થાતી છપ્પન ક્રોડ;
અભિમનને પીઠી ચોળાય, મામીમાત્ર મંગળ ગાય.          ૨૭

દુંદુભિનાદ શબ્દ બહુ હોય, સાંતરાં થઈ ચાલ્યાં સર્વ કોય;
ઉગ્રસેન, વસુદેવ જ બેહ, નગર રાખવા મૂક્યા તેહ.          ૨૮

કોટિ જોધ મૂક્યા રખેવાળ, જાન લઈ ચાલ્યા શ્રીગોપાળ;
થોડે દહાડે પહોંતા મત્સ્યદેશ, તે વાત પુરમાં થઈ પ્રવેશ.          ૨૯

વલણ
પુર વિખે સમાચાર આવ્યા,જાન લાવ્યા હળધર-હરિ રે;
યુધિષ્ઠિર અતિ હર્ષ પામ્યા, સામૈયાની સામગ્રી કરી રે.          ૩૦