અભિમન્યુ આખ્યાન/કડવું ૪૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૪૪
[ત્રીજે કોઠે અયોધ્યાના મહારાજા બૃહદેશ્વરને હણીને આખો વ્યૂહ તારોતાર કરી અભિમન્યુ ચોથે કોઠે પ્રવેશ્યો.]


રાગ સારંગી

નાઠા કૌરવ વ્યૂહ માંહેથી, દુર્યોધન અતિ ખીજે;
કાકા સાથે કિરીટી-કુંવર, આવ્યો કોઠે ત્રીજે.          ૧

‘છે કો યોદ્ધો આણે સમે, જે શત્રુને આવતો હાંકે?
બે ઘટી ખોટી કરે, કો જઈને અડકે નાકે’.          ૨

ત્યારે અયોધ્યાનો મહા રાજા, બૃહદશ્વ એવું નામ;
દશ સહસ્ર યોદ્ધા સાથે ચાલ્યો, રાયને કરી પ્રણામ.           ૩

બીજા યોદ્ધા સહુ રથ ઉપર, પોતે હાથીએ ચઢિયો;
અભિમન્યુ આવ્યો ગાજીને, તે વાઘની પેરે વઢિયો.          ૪

એકે વારે સર્વ સંઘાતે, દસ સહસ્ર આયુધ છૂટે;
એકધા, દશધા, શતધા, સહસ્રધા ગણતાં ન ખૂટે.          ૫

આકાશ ત્યાં આવરી લીધું, થયું અંધારું ઘોર;
અભિમન્યુને વીંટી લીધો, કરે સઘળા શોર.          ૬

ત્યારે અમરાદિકે વિચાર્યું, ‘કુંવરનો થયો નાશ’;
ભીમાદિકને કર્ણે ખાળ્યા, કો નથી એની પાસ.          ૭

દસ સહસ્ર બાણ અભિમન્યે મૂક્યાં, અંતર આણી રીસ;
એકે વાર અયુત યોદ્ધાનાં એણે છેદ્યાં શીશ.          ૮

ગજ ઉપર બેઠો બૃહદશ્વ, એને ચોટલો ઝાલ્યો સુભટે,
ખડ્ગ-ઘાએ શીશ છેદ્યું, કૌરવ ગયા અધરવટે.          ૯

ભાંગ્યું દળ કૌરવ તણું, પાર્થ-પુત્રના મારે;
કર્ણ રહ્યો ત્યારે ખસીને, વ્યૂહ કીધો તારાતારે.          ૧૦

વલણ
કીધા તારાતાર કૌરવ, પાંડવ કરે કલ્લોલ રે;
અભિમન્યુ આવ્યો ચોથે કોઠે, રીસે રાતો રાતોચોળ રે.          ૧૧