અભિમન્યુ આખ્યાન/કૃતિપરિચય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૃતિ-પરિચય : અભિમન્યુ-આખ્યાન

અભિમન્યુવિષયક ગુજરાતી આખ્યાન-પરંપરામાં ‘અભિમન્યુ આખ્યાન’ એ કવિ પ્રેમાનંદની નોંધપાત્ર કૃતિ છે. એમાં ત્રણ કથાપ્રસંગોની ગૂંથણી, ૧૭ રાગ, ૩૬ ચાલનો નિર્દેશ અને ૫૧ કડવાં છે. પ્રથમ ૨૦ કડવાં અભિમન્યુના જન્મ સુધીની કથા કહેવામાં લીધાં છે, અહીં અભિમન્યુના અહિલોચન અસુર તરીકેના પૂર્વભવનું વૃત્તાંત, કૃષ્ણની કપટલીલા, સ્ત્રીસ્વભાવની લાક્ષણિકતાઓ અને અહિલોચનકથા અને અભિમન્યુ-જન્મ એમ દ્વિદલ પ્રસંગ આલેખાયાં છે. પછીનાં બે કડવાં અભિમન્યુના લગ્ન પ્રસંગને આપ્યાં છે. ૨૩મા કડવા પછી આ આખ્યાન મહાભારતપ્રસિદ્ધ યુદ્ધકથા તરફ વળે છે, આ બીજો ખંડ વિવિધ ભાતવાળી કથાનો પરિચય કરાવે છે. કાવ્યના ત્રીજા ખંડમાં આપણને યુદ્ધકથાનો પ્રત્યક્ષ પરિચય મળે છે. કડવાં ૩૯ થી ૪૯માં વીરરસને કેન્દ્રમાં રાખી વાતાવરણમાં કરુણ અને અન્ય રસોની છાયા પ્રસારતી આ કોઠાયુદ્ધની કથા વિગતે વર્ણવાઈ છે અને અભિમન્યુના મૃત્યુ સાથે એનો અંત આવે છે. ૫૦મા કડવામાં અર્જુન જયદ્રથનો વધ કરવાની પ્રતિજ્ઞા કરેે છે. એ પ્રતિજ્ઞા, કૃષ્ણની કુશળતાથી, અર્જુન પૂરી કરે છે, અને જયદ્રથનું મસ્તક છેદેે છે. કવિએ પરિવારભાવ, વાત્સલ્યભાવ જેવા અને અન્ય તળપદા ભાવો ગૂંથી લીધા છે. કૃષ્ણના અભિમન્યુ પ્રત્યેના વેરનો તંતુ અહીં અનેક પ્રસંગોથી બહેલાવીને રજૂ થયો છે. એમાં કૃષ્ણનું ચરિત્ર એમના કપટ-ચાતુર્યને કારણે હીણું લાગે જ્યારે અભિમન્યુનું ચરિત્ર એના નિર્વ્યાજ વીરત્વને કારણે ગૌરવવંતું લાગે છે. કવિ દ્વારા અહીં લગ્ન, પ્રસૂતિ, મોસાળું, સામૈયું વગેરે પ્રસંગોના ગુજરાતી વ્યવહારોના ચિત્રણને પણ અવકાશ મળ્યો છે. અહિલોચન અને શુક્રાચાર્યવેષી કૃષ્ણના મિલનપ્રસંગને પ્રેમાનંદ અસાધારણ નાટ્યાત્મકતાથી ખીલાવી/મલાવીને મૂક્યો છે તો કૃષ્ણએ સુભદ્રાને સાચવવા આપેલી પેટીમાં શું છે તે જાણવા ઉત્સુક ભાભીઓનાં વિચાર-વર્તનના નર્મમર્મપૂર્ણ આલેખનમાં એમની જનસ્વભાવની ઊંડી સૂઝ પ્રગટ થાય છે. દિવ્ય શાસ્ત્રાસ્ત્રોથી ખેલાતા યુદ્ધમાં અદ્ભુત તો છે જ પણ ત્યાં તે વીરરસને અધિક પ્રભાવક બનાવવામાં મદદરૂપ થાય છે. યુદ્ધપ્રસંગો રૂઢ શૈલીએ વર્ણવાયા છે, પરંતુ કૌરવ સૈન્ય વચ્ચે ફસાયેલા અને છેવટે મૃત્યુને વરતા કિશોરવીર અભિમન્યુનું "બહુ પારધીએ પોપટ વીંધ્યો" અને "ભાંગ્યો ચંપાનો છોડ" વગેરે ઉપમાદિ અલંકારોથી લાક્ષણિક ચિત્રણ રજૂ કરી આપવામાં પ્રેમાનંદને મળેલી સફળતા ધ્યાન ખેંચે એવી છે. સાતમા કોઠાનું જ્ઞાન અધૂરું રાખવા છતાં, દ્રૌપદી પાસે ભાણેજને શાપ દેવડાવ્યા છતાં, કુંતીના રક્ષાકવચને ઉતરાવી નાખવા છતાં, અભિમન્યુને પરાક્રમી થતો કૃષ્ણ રોકી શક્યા નથી. બીજી બાજુ, કૌરવોના છલ ઉપરાંત ઉત્તરા-અભિમન્યુનો રણભૂમિ વચ્ચેનો એકમાત્ર અને અંતિમ સમાગમ-વિરહ પણ વીર અભિમન્યુના મૃત્યુને વીર સાથે કરુણનો સ્પર્શ આપે છે. ‘અભિમન્યુ આખ્યાન’ એની પ્રારંભની કૃતિ હોવા છતાં પ્રેમાનંદની ઘડતી આવતી કલાદ્રષ્ટિનો પરિચય આપતી સક્ષમ રચના છે. —ભરત ખેની