અભિમન્યુ આખ્યાન/મધ્યકાલીન સાહિત્યનો વિશેષ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
મધ્યકાલીન સાહિત્યનો વિશેષ

ગુજરાતીનો મધ્યકાળ એટલે અંગ્રેજ પ્રજા અને એમની સંસ્કૃતિનો સંપર્ક આપણને થયો એ પહેલાંનો – લગભગ ૧૮મી સદી પહેલાંનો સમય. માનવસમાજનું રૂપ તો ત્યારે પણ આનંદ અને દુખ, રાગ અને દ્વેષ, ઉદારતા અને સંકુચિતતા, વેર અને મૈત્રી – એવાં વૃત્તિ અને વ્યવહારોેવાળું હતું. પરંતુ આવા માનવજીવન પર ધર્મનો પણ એક વ્યાપક પ્રભાવ હતો. અનેક સાધુ-સંતો, કથાકારો-કીર્તનકારો તરફથી પણ પ્રજાને ઈશ્વરભક્તિના સંસ્કારોનું પોષણ મળતું હતું. પદ-ભજન-કીર્તન-આરતીનાં ગાન તથા પુરાણીઓની કથાઓનું શ્રવણ લોકોના જીવનનો, એમનાં સુખ-શાંતિ-શ્રદ્ધાનો મહત્ત્વનો ભાગ હતાં. પ્રાચીન સંસ્કૃતિના વારસારૂપ પંથો-સંપ્રદાયો પણ હતાં – શૈવ, વૈષ્ણવ, જૈન, ઈસ્લામ, વગેરે. પરંતુ દરેક પોતપોતાનો ધર્મ પાળે એવો સમ-ભાવ હતો એ સમય ગુજરાતી ભાષામાં નરસિંહ અને મીરાં, પ્રેમાનંદ અને અખો, સમયસુંદર અને રવિસાહેબ, શામળ અને દયારામ, સહજાનંદી સાધુ-કવિઓ અને મુસ્લિમ-ખોજા કવિઓ, દલિતવર્ગી કવિઓ અને સ્ત્રી કવિઓથી રળિયાત હતો. આશરે ૧૪મી-૧૫મી સદીથી ૧૯મી સદીની અધવચ સુધી એ પ્રવાહ વહેતો રહ્યો. આ ભક્ત કવિઓએ નર્યું ભક્તિગાન કે કથાગાન કર્યું ન હતું, એમને કવિતા અને કથાની પૂર્વકાલીન-તત્કાલીન પરંપરાઓનો તેમ જ સંસ્કૃત સાહિત્યની પરંપરાઓનો પણ પરોક્ષ ને ક્યાંક સીધો પરિચય અને સમજ હતાં. પોતાનું વિશિષ્ટ કવિકૌશલ પણ હતું. એથી બહુ તેજસ્વી અને પ્રતિભાશાળી સર્જકો એ સમયે પણ થયા જ છે. –શ્રે.