અરણ્યરુદન/સાહિત્યમાં આધુનિકતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સાહિત્યમાં આધુનિકતા

સુરેશ જોષી

જુદા જુદા ગાળાની સાહિત્યપ્રવૃત્તિની વિશિષ્ટતાનાં લક્ષણ બાંધવાના પ્રયત્નો સાહિત્યના ઇતિહાસમાં થતા રહે છે. કોઈ વાર એને માટે રચનારીતિનું આગવાપણું ચીંધી બતાવવામાં આવે છે, તો કોઈ વાર જીવન પ્રત્યેના અભિગમની વિશિષ્ટતાને આધારે એનું નામ પાડવામાં આવે છે. આવી સંજ્ઞાઓ કેટલે અંશે સર્જનાત્મક પરિસ્થિતિની સંકુલતા અને સમૃદ્ધિને આવરી લઈ શકે છે તેના પર એની સાભિપ્રાયતા અવલમ્બીને રહે છે, આવી એક સંજ્ઞા આધુનિકતા છે.

આમ તો સાહિત્ય સાથે સમ્બન્ધ ધરાવતી કોઈ પણ સંજ્ઞાની વ્યાખ્યા બાંધવી એ લગભગ અશક્ય કાર્ય છે. કાવ્યની જ વ્યાખ્યાઓ જોતાં આ હકીકતની ખાતરી થશે. આધુનિકતા વિષે મુશ્કેલી કંઈક વિશેષ છે, કારણ કે આપણે એની નજીક હોઈએ છીએ. આથી પૂરતા પ્રમાણમાં નિલિર્પ્ત રહી શકતા નથી અને આપણે સાચા પરિપ્રેક્ષ્યમાં જોવામાં આથી અન્તરાય ઊભો થાય છે. આધુનિક હોવાનો દાવો ઘણા સમકાલીન લેખકો જોરશોરથી કરતા હોય છે. પરમ્પરાનો ખાતમો બોલાવી દેવાની વાત ભારે અભિનિવેશથી થતી હોય છે, તો સાથે સાથે પરમ્પરાનિષ્ઠ વર્ગના લોકો એમ કહેતા રહે છે કે કશું નવું થયું નથી; નોંધપાત્ર કશું પરિવર્તન થયું નથી.

અર્વાચીન સાહિત્યના ઇતિહાસમાં જોઈએ તો નર્મદે અનેક ક્ષેત્રમાં નવાં પ્રસ્થાન કર્યાની વાત થઈ. પછી નરસિંહરાવ અથવા બાલાશંકરે અર્વાચીન કવિતાનો સાચો પ્રારમ્ભ કર્યો એમ કહેવાયું. પછીથી બ.ક.ઠાકોરનાં નવા પ્રસ્થાનની વાત થઈ. પછી તો નવાં પ્રસ્થાનો કંઈક તેજ રફતારથી થવા લાગ્યાં. આજે તો રે મઠના કવિબન્ધુઓએ કરેલું પ્રસ્થાન પણ ગઈ કાલનું ગણાવા લાગ્યું છે. અમેરિકન વિવેચક સ્પિયર્સે કહ્યું છે: ‘Nothing is so stale as yesterday’s modernism.’ તો બીજી બાજુથી આપણા ગાંધીયુગના કવિઓના એક પ્રતિનિધિ મનસુખલાલ ઝવેરી કહે છે કે હજી ગાંધીયુગ જ ચાલી રહ્યો છે. બહુ બહુ તો તમે એને અનુગાંધીયુગ કહી શકો.

ત્યારે આ આધુનિકતા શું છે? એને વિષે એના પ્રચારકોએ એવો તો ઘોંઘાટ મચાવી મૂક્યો છે, એ શબ્દ એવો તો જાહેરખબરિયો અને છાપાળવો બની ગયો છે કે એ શબ્દ વાપરતાં આપણને સંકોચ થાય છે. દરેક ગાળાના સાહિત્યને એના સમયની એક આગવી flavour હોય છે. એમાં જ એની આધુનિકતા રહેલી છે એમ કહેવાથી કામ સરી જવું નથી.

આધુનિકતાનો સમ્બન્ધ ‘present and recent times’ સાથે રહ્યો છે એવું ‘modern’ સંજ્ઞાનો અર્થ આપતાં Oxford English Dictionary કહે છે. છતાં આધુનિક એટલે નવું કે હમણાંનું એવો અર્થ કરીશું તો એના અર્થને સીમિત કરવા જેવું થશે. જે obsolete કે outmoded નથી તે modern છે એવી negative વ્યાખ્યા આપવાથી પણ શો અર્થ સરશે? સમકાલીન અને આધુનિક વચ્ચે પણ ભેદ કરવાનો રહેશે. સમકાલીનમાં સમયનો નિર્દેશ છે. સમકાલીન કેટલાક લેખકો મધ્યકાલીન માનસ ધરાવીને લખતા દેખાશે. એઓ આપણા સમયમાં છે એ તો એક અકસ્માત છે. આપણાથી સમયની દૃષ્ટિએ છેડે હોય એવો કવિ પણ આધુનિક હોઈ શકે. આ અર્થમાં બોદલેર, કાલિદાસ, રિલ્કે આધુનિક છે. આધુનિકતાના કેટલાક અંશો ક્ષણજીવી, પ્રાસંગિક હોય છે તો કેટલાક શાશ્વત અને અપરિવર્તનશીલ હોય છે એવું બોદલેરે કહેલું. જોરશોરથી આધુનિક કહેવડાવનારું સાહિત્ય કેટલીક વાર કશા મૂલ્યનું નથી હોતું તે હમણાં બહાર પડતાં કેટલાંક ફરફરિયાંમાં છપાતી કવિતા જોતાં સાચું લાગશે.

આધુનિકતાનાં લક્ષણો વિશે વિરોધાભાસ દેખાય છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ નવી કવિતા વિશે ફરિયાદ કરેલી તે એની શ્રદ્ધાહીનતા માટે, સૌન્દર્ય અને શુભ પરત્વેની એની ઉદાસીનતા માટે. આધુનિકતામાં આન્તરિક અરાજકતાનાં જાળાં ગૂંચવવાની પ્રવૃત્તિ છે એવી પણ ફરિયાદ થયેલી. હવે કવિ એ બધાંમાંથી છૂટીને અનેક પ્રકારની કેળવેલી બાઘાઈ અને અવિદગ્ધતાને સ્વીકારતો દેખાય છે. પોતાના અહમ્ સાથેનું જે વળગણ હતું તેની હવે એ પોતે જ એકરારરૂપ ઉક્તિઓમાં વિડમ્બના કરતો દેખાય છે. કવિતા હવે open અને naked થવા મથે છે. એથી એને શિષ્ટતાની કે એવાતેવા કશાની ઝાઝી છોછ નથી. પણ વિષ્ણુપ્રસાદે જે કવિતા સામે ફરિયાદ કરી તે તો નિરંજન અને હસમુખ વગેરેની કવિતા હતી. નિરંજન તો પોતાને ‘માનવતાના મજનુ’ તરીકે ઓળખાવે છે. પણ એમાં રહેલી કહેવાતી બૌદ્ધિકતાને કારણે જ ‘રમણીયતા’ કે ‘લયલીનતા’નો અભાવ વિષ્ણુપ્રસાદને વરતાયો હતો. હવે તો કહેવાતી પરમ્પરા કે ઇતિહાસને લાંબા ગાળા સુધી લંબાવવાનું વલણ નથી. કોઈ પણ હિલચાલ પાંચ વર્ષના ગાળાથી વધારે આયુષ્ય ભોગવતી નથી. ‘56-57નાં ગાળામાં કવિતાની નવી ધારા શરૂ થઈ. અછાન્દસ રચનાઓ, ઇન્દ્રિયવ્યત્યયો, કલ્પનોનો ખડકલો – આ બધું બધે દેખાવા લાગ્યું. એ ગયું, વળી છન્દોબદ્ધ, પ્રાસયુક્ત રચનાઓ શરૂ થઈ. બીજરૂપ આવર્તનોનો ઉપયોગ થવા લાગ્યો. એ પણ હવે ગયું લાગે છે. એને સ્થાને ગેય રચનાઓ અને ગઝલો દેખાવા લાગી છે. વળી દીર્ઘ રચનાઓ પણ થવા લાગી. એ ધારા પણ હવે દેખાતી નથી. ઇતિહાસ કે પરમ્પરા એ તૂત છે અને એની ચર્ચા અપ્રસ્તુત છે એમ પણ કહેવાવા લાગ્યું. આવું વલણ જ આધુનિકતાનું વ્યાવર્તક લક્ષણ ગણાવા લાગ્યું.

આધુનિકતા સાથે તર્કપૂત જીવનદૃષ્ટિ, સંસ્કૃતિનિષ્ઠા, ઉદારતા, સહિષ્ણુતાને પણ કેટલાક સાંકળે છે. એમાં કશી વસ્તુને કેવળ કોઈ શાસ્ત્રવાક્ય હોવાને કારણે પ્રમાણભૂત ગણી લેવામાં આવતી નથી. આ પ્રકારની રૂઢ માન્યતાઓ સામે એમાં વિરોધ હોય છે. છીછરા વિચારકો, મૌલિક ચિન્તનનું નર્યું દારિદ્ય્ર દાખવતા કહેવાતા બૌદ્ધિકો ઉપરછલ્લા આશાવાદનું શરણું લેતા હોય છે. એમને હજી માનવપ્રયત્નની પૂર્ણતામાં ભોળી શ્રદ્ધા છે. સમયના લંબાતા તન્તુ સાથે વિકાસનો તન્તુ પણ લમ્બાતો જ જાય છે એવું એઓ માને છે. આવી આધુનિકતા અમુક જૂથનો જ ઇજારો છે એવું પણ માનવામાં આવતું દેખાય છે.

ભૂતકાળ સાથેની વિચ્છિન્નતા, પરમ્પરાની પકડમાંથી વૃત્તિ, કહેવાતાં સ્થાપિત હિતો સામે વિદ્રોહ, આધુનિકતા – પછી તે ગમે તે પ્રકારની હોય – નું એક અનિવાર્ય લક્ષણ બની ગયું છે. આના પરિણામે કોઈક વાર મુક્તિ, છુટકારાનો આનન્દ, રૂઢિની જડતાના પાશનું છેદન, વાસી મૂલ્યો અને વિધિનિષેધોનો ઉચ્છેદ – આ રૂપે દેખાય છે પણ કોઈ વાર મૂળમાંથી ઊખડી જવું, વારસો ખોઈ બેસવો, જીવનનો અર્થ ખોઈ બેસવો – એવી લાગણી પણ પ્રવર્તતી દેખાય છે. કદાચ આ લક્ષણો થોડેવત્તે અંશે સાથે સાથે પણ રહેતાં હોય છે.

આધુનિકોનો તરવરાટ, એમની મૂતિર્ભંજકતા, આગલી પેઢીએ સ્વીકારેલાં મૂલ્યોની વિડમ્બના – આ તરત દેખાઈ આવે એવી રીતે એમના બહાર પાડવામાં આવતા ખરીતાઓમાં અને એ ખરીતાઓના નિદર્શન રૂપે રચાઈ હોય એવી લાગતી કૃતિઓમાં જોવામાં આવે છે. વિરોધાભાસ જેવું લાગે છતાં આધુનિકતા પણ untraditional એવી tradition ઊભી કરે છે. ઇતિહાસના ક્રમને તોડવો, એમાંથી છટકી જવું એવી એની ાચિર્ગૈૌહ પડી જાય છે. પોતાને કશો ઐતિહાસિક પાઠ ભજવવાનો છે એવી સભાનતા આધુનિકતાના પુરસ્કર્તાઓમાં હોય છે. ઇતિહાસથી છૂટવા માટે પણ એણે ઇતિહાસ વિશેની સભાનતા કેળવવી પડે છે.

આ આધુનિકતા સાથે ઘણું ખરું nihilismને પણ સાંકળવામાં આવે છે. આથી આપણે ત્યાં પણ સાહિત્યની નવી ધારા શૂન્યવાદી છે એવી ચર્ચા ઊભી થઈ છે. સ્થાપિત મૂલ્યો, સમાજ, સંસ્કૃતિ આ બધાંની સખત પકડમાંથી છૂટીને કેવળ વ્યવધાનરહિત અનુભવને વશ વર્તવું એવું વલણ એમાં દેખાય છે. એમાં પણ બુદ્ધિનિર્ભરતાનો વિરોધ થતો હોય છે. જગતમાં જે છે તે બુદ્ધિથી સમજાઈ જાય એવું છે એમ માનવાની જરૂર નથી. અપરોક્ષ અનુભવ એ જ સાચી વસ્તુ છે. બુદ્ધિના વિરોધ લેખે irrationalની અભિનિવેશપૂર્વક પ્રતિષ્ઠા પણ કરવામાં આવે છે. આમ છતાં બુદ્ધિમત્તામાંથી જન્મતાં કેટલાંક લક્ષણોને એમાં નથી આવકારવામાં આવતાં એવું નથી. એમાં વ્યંગ, બૌદ્ધિક કુતૂહલ, સંદેહવૃત્તિ પણ હોય છે. આ સાથે કેટલાંક રોમેન્ટિક વલણોનું મિશ્રણ પણ જોવામાં આવે છે. ઉદ્રેક, ઉત્કટતા, પટુ સંવેદનશીલતા આધુનિકોમાં પણ આવકાર પામતાં જોવામાં આવે છે, આપણે વિષાદભર્યા કરુણ એવા જમાનામાં જીવી રહ્યા છીએ એવી સભાનતા એમાં પ્રકટ થતી હોય છે. રૂપરચના અને ટેકનિક વિશેના અખતરા સામે ઘણી વાર એઓ અણગમો પ્રગટ કરતા હોય છે. આ આધુનિકતા મરી પરવારી છે એવું થોડા જ વખતમાં કહેવાવા માંડે છે, પણ તરત જ નવી આધુનિકતાની ઘોષણા પણ કરવામાં આવે છે.

આધુનિકતા અને રોમેન્ટિક વલણ વચ્ચેનો સમ્બન્ધ કંઈક વિલક્ષણ પ્રકારનો લાગે છે. કોઈ વાર રોમેન્ટિક લાગણીવેડા, ધૂંધળાપણું, શિથિલતા – આ બધાંનો આધુનિકો વિરોધ કરે છે. તો કોઈ વાર વ્યવસ્થાના નામ સામે પણ એ બળવો પોકારે છે, અરાજકતાને પુરસ્કારે છે. ભાષા પરત્વે પણ વિધ્વંસક વૃત્તિ કેળવે છે. કહેવાતી વાસ્તવિકતાથી એ પીઠ ફેરવી દે છે, જાણી કરીને નિરર્થક એવા સ્વપ્નતરંગની સૃષ્ટિ ઊભી કરે છે. કળાકાર એ સૃષ્ટિથી હડધૂત થયેલો, તિરસ્કૃત થયેલો, વેગળો પડી ગયેલો દ્રષ્ટા છે, કશીક સંમોહિની શક્તિ ધરાવનારો ઇલમી છે એવું મનાતું પણ જોવામાં આવે છે. એ જે પ્રતીકો કે કલ્પનો વાપરે છે તેમાં એ જાદુઈ શક્તિનું આરોપણ કરે છે. એ ઘણી વાર પોતાના આગવા કાવ્યશાસ્ત્રની પણ ઘોષણા કરે છે. Hulmeએ એના ‘Speculations’માં વીસમી સદીના એક વ્યાવર્તક લક્ષણ લેખે discontinuities પરત્વેના આગ્રહને ગણાવ્યો હતો. આ જાતની કેળવેલી વિચ્છિન્નતા સાથે સંકળાયેલા વિષાદને પણ સ્વીકારવાનો રહે જ છે. એલિયટે પણ કહ્યું હતું ‘I can connect Nothing with nothing’. જીવવિજ્ઞાનીઓએ mutationની ચર્ચા કરી, geneticsને સ્વતન્ત્ર વિજ્ઞાનનું સ્થાન મળ્યું. પ્લેન્કની ક્વોન્ટમ વિચારણા અસ્તિત્વમાં આવી. એણે ભૌતિક પદાર્થ અને ગતિ અથવા શક્તિ વચ્ચે રહેલી પાયાની વિચ્છિન્નતાને પ્રકટ કરી. હાઇઝેનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાન્ત પણ અસ્તિત્વમાં આવ્યો. આ સાથે આઇન્સ્ટાઈનનો સાપેક્ષતાવાદ પણ ભળ્યો. બર્ગસોં જેવા ફિલસૂફે સમય વિશેની અભિજ્ઞતાને નવું રૂપ આપ્યું. સિનેમા વડે પણ એક પછી એક નવી પ્રતીતિ ઊભી થઈ. સ્થિર અને જુદી જુદી છબિઓને ગતિ આપીને જોવાથી સળંગસૂત્ર ગતિની ભ્રાન્તિ ઊભી કરી શકાઈ.

આ વિચ્છિન્નતાના સિદ્ધાન્તનો વિનિયોગ આધુનિકતા પરત્વે અમેરિકી વિવેચક મોનરો સ્પિયર્સે આ પ્રમાણે કરી બતાવ્યો. આ વિચ્છિન્નતાને એમણે ચાર ભાગમાં વહેંચી નાખી છે; આધ્યાત્મિક, રસકીય, વાઙ્મયીન, સામયિક.

આધ્યાત્મિક વિચ્છિન્નતાનાં લક્ષણો, એ સંજ્ઞાનો ઉપયોગ કર્યા વિના Hulmeએ આપ્યાં જ છે. પ્રાકૃતિક વિશ્વ અને માનવીય વિશ્વ વચ્ચે ન સાધી શકાય તેવો ભેદ છે. એ વિશ્વ સાથે આપણાં નૈતિક કે ધામિર્ક મૂલ્યોનો કશો સમ્બન્ધ હોય તેવું લાગતું નથી. આ પાયાની હકીકતને સ્વીકારીએ તો જ ‘આધુનિક’ મનોવૃત્તિએ જે સમજવી અશક્ય જ છે એવી ઘણી બધી વસ્તુઓના મર્મને ફરીથી પામવાનું શક્ય બને. એમર્સને પણ ‘law for man’ અને ‘law for thing’ને જુદા ગણેલા. એમાંથી નવા માનવતાવાદની ભૂમિકા રચાયેલી. ભૌતિક અને આધ્યાત્મિક ક્ષેત્ર વચ્ચેની વિચ્છિન્નતા પણ આ ઉપપત્તિને આધારે સિદ્ધ થઈ જાય છે. એક બાજુથી પ્રકૃતિવાદનું અને બીજી બાજુથી બુદ્ધિવાદનું વર્ચસ્ વિસ્તરતું હતું તેની સાથે આ મૂળભૂત વિચ્છિન્નતાના સિદ્ધાન્તને ધરવામાં આવ્યો.

આ જ રીતે સાહિત્ય અને જીવનના સમ્બન્ધ પરત્વે પણ આવી જ વિચ્છિન્નતા છે એવું દૃઢપણે કહેવાવા લાગ્યું. સાહિત્ય જીવનનું પ્રતિબિમ્બ પાડે છે, સાહિત્ય જીવનનું અનુકરણ કરે છે કે પછી આગળ જઈને સાહિત્ય દર્પણ નથી પણ દીપ છે એવું કહેવાતું આપણે સાંભળતા આવ્યા છીએ. ઓસ્કાર વાઇલ્ડ જેવાએ તો આ સમ્બન્ધનો વ્યતિરેક કરીને એમ પણ કહ્યું કે જીવન જ કળાનું અનુકરણ કરે છે. આ વાત શરૂ કરી એડગર એલન પોએ, એનાથી પ્રભાવિત થઈને બોદલેરે આધુનિકતાને પોતાના કાવ્યસર્જન દ્વારા મૂર્ત રૂપ આપ્યું. નૈતિક ઉચ્ચગ્રાહ, જડભરતપણું રસવૃત્તિને કુણ્ઠિત કરતાં હતાં. આને સામે અન્તિમે જઈને બોદલેરે dandyને સાહિત્યક્ષેત્રમાં અવતાર્યો. ત્યાર પછી એની પ્રતિક્રિયા જોવામાં આવી. પ્રખ્યાત વિવેચક આઇ.એ.રિચર્ડ્ઝે રસાનુભવને વ્યવહાર-અનુભવથી જુદો પાડવાની કશી જરૂર જોઈ નહિ. એણે એવી વાતને phantom aesthetic state કહીને હસી કાઢી. આમ તો ટી.એસ.એલિયટે પણ એમ કહેલું કે કવિ કોઈ ઓલિયો કે mysterious outcast નથી. એ કદાચ બેંકનો કારકુન પણ હોય. એમને મતે વિચ્છિન્નતા તો એક આત્યન્તિક સ્થિતિ થઈ. સર્જનાત્મક સાહિત્યમાં selective continuity હોઈ શકે. જાહેરખબર અને એવા બીજા mass mediaનો ભોગ બનતો પૃથક્જન કેવળ નિષ્ક્રિય હોઈ શકે, પણ કવિતાનો વાચક તો એમાં સરખે અંશે સહભાગી થવાનો હકદાર હોય છે. પણ કળામાં રસકીય દૃષ્ટિએ જોતાં વાસ્તવિકતા સાથેની વિચ્છિન્નતા નહિ તો વિભિન્નતા તો હોય જ છે, અને વિભિન્નતા જ સાહિત્યનું વ્યાવર્તક તત્ત્વ બની રહે છે. આ જાતની વાસ્તવિક સૃષ્ટિને સમાન્તર એવી નિયતિકૃત નિયમરહિતા સર્જકની સૃષ્ટિ જ આ aesthetic discontinuityનું મૂર્ત રૂપ બની રહે છે. ઓડેને આ વિધાન એની કવિતામાં આ રૂપે મૂક્યું છે: ‘Art is not life and cannot be a midwife to society.’

જેને વાઙ્મયીન વિચ્છિન્નતા કહીએ તેને રસકીય વિચ્છિન્નતા જોડે સમ્બન્ધ છે. ગદ્યને પદ્યના કરતાં એનું આગવું ઋત છે. એમાં ગદ્યમાં હોય છે તે પ્રકારના પદ વચ્ચેના સમ્બન્ધો હોતા નથી, એમાં કલ્પનોનો વિન્યાસ હોય છે અને તે પણ કશી સમજૂતી કે ટીકાટિપ્પણ વિનાનો. એની સંરચનામાં કેવળ બૌદ્ધિક સ્તર જ નહીં પણ અસમ્પ્રજ્ઞાત ચેતનાનું સ્તર પણ ક્રિયાશીલ બનતું હોય છે. એમાં principle of randomness જ કામ કરતો હોય એવું લાગે છે. કાવ્યમાં વિધાન નથી હોતું પણ એઝરા પાઉંડ જે અર્થમાં drama સંજ્ઞાને પ્રયોજે છે તે અર્થમાં નાટ્યતત્ત્વ રહ્યું હોય છે. એમાં વિચાર કે લાગણીઓ વિશે વિધાનો થતાં નથી પણ એને સામસામાં નાટ્યાત્મકરૂપે મૂર્ત કરવામાં આવે છે. આથી ઉત્કટતાભર્યો એક સળંગ સંસ્કાર આપણા ચિત્ત ઉપર પડે છે. પણ આમ છતાં એમાં કશું અસમ્બદ્ધ કે વિશૃંખલ હોતું નથી. ટી.એસ.એલિયટે અન્યત્ર કહ્યું છે તેમ ‘logic of imagination’ અને ‘logic of concepts’ બે જુદી જુદી વસ્તુઓ છે. કાવ્યમાં શબ્દવિન્યાસના આગવાપણા પર મુકાતો ભાર તે આ પ્રકારની વિચ્છિન્નતાનું વ્યાવર્તક લક્ષણ બની રહે છે. આને કારણે જ આમ તો અનેક પ્રકારનું વૈવિધ્ય દાખવતી અર્વાચીન કવિતા અમુક ચોક્કસ લક્ષણ ધરાવતી હોય છે. તર્કશાસ્ત્રીઓ અને વૈયાકરણો જેને ઇષ્ટ વિન્યાસ ગણે છે તેથી જુદો જ વિન્યાસ કવિતામાં ઇષ્ટ લેખાય છે. ભાષા સાથેનો આ પ્રગલ્ભપણે થતો વ્યવહાર આધુનિકતા સાથે સંકળાયેલી પ્રયોગશીલતાની સીમાને વિસ્તારવામાં કારણભૂત બન્યો છે. જોકે કોઈ ને કોઈ પ્રકારની પ્રયોગશીલતા દરેક જમાનામાં દેખાતી તો રહે જ છે. આથી જ આધુનિકતાનું લક્ષણ techniqueના પ્રયોગો છે એમ કહેવું કદાચ સર્વથા સ્વીકાર્ય નહિ બને.

સમયની દૃષ્ટિએ જે વિચ્છિન્નતા છે તેનો સાહિત્યમાં પ્રભાવ છેલ્લાં પચાસેક વર્ષથી દેખાવા લાગ્યો છે. આઇન્સ્ટાઈનની ‘time-space convertibility’ની મહત્ત્વની વિચારણા, બર્ગસોંની ફિલસૂફી – આની અસરને કારણે તથા મનોવિજ્ઞાનના કેટલાક સિદ્ધાન્તોને પરિણામે સમય વિશેની અભિજ્ઞતાનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. કાળની સીધી રેખાની ગતિને બદલે અનેક કેન્દ્રીય કાળનું આલેખન concentric વર્તુળની જેમ થતું પણ જોવામાં આવે છે. આથી સર્જનાત્મક ગદ્યમાં પણ અન્વય બદલાતો જાય છે. કલ્પનોના telescopingની સાથે એવી સમાન્તર રચના ગદ્યમાં પણ થતી આવે છે.

આમ તો દરેક વર્તમાન એની આગળના ભૂતકાળથી જુદો પડે જ છે, પણ વીસમી સદી એની આગળના ભૂતકાળથી વિશેષ કરીને નિરાળી હોય એવું લાગે છે. આગલી સદી સાથેની સભાનતાપૂર્વકની વિરોધની લાગણી જોવામાં આવે છે, યુદ્ધો, એમાં રહેલી સંહારકતા, એનાં પરિણામો – આથી માનવીય સમ્બન્ધોની ભૂમિકા બદલાતી રહે છે. સરમુખત્યારશાહીમાં વ્યક્તિત્વનો લોપ કરીને જીવતાં માનવીઓ આમ સમૂહમાં જીવતાં હોવા છતાં એમની વચ્ચેના કશા સમ્બન્ધની કડી ન રહી હોવાથી ભારે એકલવાયાપણું અનુભવતાં હોય છે. લોકશાહીમાં આગવી વ્યક્તિનાં મૂલ્યો બહુ જળવાય એવું વાતાવરણ રહેતું નથી.

આધુનિકતાનો જુવાળ પશ્ચિમમાંથી અહીં આવ્યો એમ પણ કેટલાક કહે છે. એક અર્થમાં એ વાત સાચી છે કારણ કે હવે આ પ્રકારના વિનિમય શક્ય અને ત્વરિત બન્યા છે. દૃશ્ય કળાઓમાં થતાં રહેલાં પરિવર્તનોનો પ્રભાવ આપણે ત્યાં સાહિત્યકળા પર એટલો બધો પરિણામકારી નીવડ્યો નથી. છતાં એ વિશેની સૈદ્ધાન્તિક ચર્ચા હવે કંઈક સમજપૂર્વક થતી રહી છે. આની અસર સાહિત્યવિવેચન પર પડે છે. આમાંથી ઊપસી આવતાં કેટલાંક લક્ષણો સર્જનાત્મક પરિસ્થિતિ પર અસર પાડે છે. આ રીતે સર્રિયાલિઝમ, દાદાઇઝમ, ક્યુબિઝમનો પ્રભાવ કવિતા પર પડ્યાની વાત થતી જોવામાં આવે છે. કેટલાક કવિઓ સર્રિયલ કે ક્યુબિસ્ટ હોવાનો પોતાના તરફથી દાવો કરે છે. એ સમ્પ્રદાયના કળાકારોને અનુસરીને આપણા કવિઓ કે કવિઓનાં જૂથ ખરીતાઓ કંઈક ઉગ્ર, વિડમ્બનાત્મક ભાષામાં બહાર પાડે છે. આના જ એક ભાગ રૂપે અલ્પજીવી અનિયતકાલિકો પ્રકટ થતાં રહે છે. આવાં little magazines અમુક કવિજૂથ તરફથી પ્રકટ કરવામાં આવે છે. એમાં જૂથે સ્વીકારેલી નીતિ કેટલીક વાર કાવ્યરચનાનું પણ નિર્ણાયક તત્ત્વ બની રહે એવી પરિસ્થિતિ ઊભી થતી જોવામાં આવી છે. લલિત કળામાં historical catastrophism ચર્ચાના કેન્દ્રસ્થાને રહેલું દેખાય છે. આપણે ત્યાં પણ આપણા જમાનાની કઠિનતાઓ, વિડમ્બણાઓ પર ભાર મૂકવામાં આવે છે. દરેક જમાનામાં કળાને બર્બરતા, અસભ્યતા, હૃદયજડતા, ભૌતિકતા સામે ઝૂઝવાનું રહે જ છે. Absurdની ફિલસૂફીનો પ્રભાવ પણ અલ્પ પ્રમાણમાં આપણે ત્યાં દેખાયો છે, પણ એવી દાર્શનિક પીઠિકા અહીં વ્યવસ્થિત રીતે ખડી કરી શકાઈ નથી, આથી એનાં કેટલાંક બાહ્ય લક્ષણો જાળવી રાખવા પૂરતો જ આપણો એની સાથેનો સમ્બન્ધ રહ્યો છે. આમ કરવામાં anti-art, anti-poetry સુધી પહોંચી જનારા અન્તિમવાદીઓ આપણે ત્યાં ખાસ જોવામાં આવ્યા નથી. એક આધુનિકતાનો તબક્કો પૂરો થાય પછી બીજી આધુનિકતા શરૂ થાય છે ને ત્યારે જ આગલી આધુનિકતાનાં લક્ષણો બાંધી આપવાનું શક્ય બને છે.

ઓગસ્ટ, 1971