અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/`શયદા' /ન જાય ઘરમાં, ન બહાર આવે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ન જાય ઘરમાં, ન બહાર આવે

`શયદા'

જનારી રાત્રિ, જતાં ક્‌હેજે : સલૂણી એવી સવાર આવે;
કળી કળીમાં સુવાસ મ્હેકે, ફૂલો ફૂલોમાં બહાર આવે.

હૃદયમાં એવી રમે છે આશા, ફરીથી એવી બહાર આવે;
તમારી આંખે શરાબ છલકે, અમારી આંખે ખુમાર આવે.

વ્યથાને શું હું વિદાય આપું? વિરામના શું કરું વિચારો?
કરાર એવો કરી ગયાં છે — ન મારા દિલને કરાર આવે.

કિનારેથી તું કરી કિનારો, વમળમાં આવી ફસ્યો છે પોતે,
હવે સુકાની, ડરે શું કરવા? ભલે તુફાનો હજાર આવે!

ન ફૂટે ફણગા, ન છોડ થાયે, ન થાય કળીઓ, ન ફૂલ ખીલે;
ધરામાં એવી ધખે છે જ્વાળા, બળી મરે જો બહાર આવે.

વિચારવાળા વિચાર કરજો — વિચારવાની હું વાત કહું છું;
જીવનમાં એથી વિશેષ શું છે? વિચાર જાયે, વિચાર આવે.

તમારી મહેફિલની એ જ રંગત, તમારી મહેફિલની એ જ હલચલ;
હજાર બેસે, હજાર ઊઠે, હજાર જાયે, હજાર આવે.

હૃદયમાં કોની એ ઝંખના છે, નયન પ્રતીક્ષા કરે છે કોની?
ઊભો છે ‘શયદા’ ઉંબરમાં આવી, ન જાય ઘરમાં, ન બહાર આવે.

(ગુલઝારે શાયરી-૧, સંપા. કુલીન વોરા, ૧૯૬૧, પૃ. ૧૮)



`શયદા' • ન જાય ઘરમાં, ન બહાર આવે • સ્વરનિયોજન: અમર ભટ્ટ • સ્વર: અમર ભટ્ટ