અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૪. અશક્યાકાંક્ષા?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આત્માનાં ખંડેર સૉનેટમાલા: ૪. અશક્યાકાંક્ષા?

ઉમાશંકર જોશી

મહત્ત્વાકાંક્ષાનાં વિવિધવરણાં મેઘધનુની
છટા ફેલે ચક્ષુ રીઝવી, પજવી આત્મબળને.
તરે દૃષ્ટિ સામે કણ થકી થયા મેરુ દ્યુતિના,
પૂરે સાક્ષી કૂડી અફર ઇતિહાસે સ્મૃતિ ભરી.
વિશાળે નાનોશો જગફલક ઈસ્કંદર ઘૂમ્યો,
અને બાળે વેશે તખતતખતે બાબર રમ્યો;
ખરી વેળાની ગૈ ફરજ બજવી જોન કુમળી,
યુવાનીમાં શામ્યું પણ વિઘન ના કીટ્સ-ઉરને.

શ્વસે મારે હૈયે પણ તણખ તે ચેતન તણી,
સરી જે સૃષ્ટિની પ્રથમ પલકે, જે જળચરો
વનોની સૃષ્ટિ ને ગિરિ ગિરિ ભમંતાં પશુગણો
તણા પ્રાણે વ્હેતી, યુગ યુગ ક્રમે વેગથી ધપી,
પ્રકાશી અંતે જે મનુજ રૂપમાં ઉત્ક્રમવતી.
વિકાસીને આગે પ્રગટ બનું પ્રજ્ઞાપુરુષ હું.

મુંબઈ, ૨-૯-૧૯૩૫