અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/ગયાં વર્ષો —

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ગયાં વર્ષો —

ઉમાશંકર જોશી

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો!
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.

ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં  :
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!

(સમગ્ર કવિતા, પૃ. ૫૭૫-૫૭૬)




આસ્વાદ: અવનિનું અમૃત – હરીન્દ્ર દવે

વ્યાકરણમાં આપણે ત્રણ કાળ શીખીએ છીએઃ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ. કહેવાય છે કે આપણે જીવીએ છીએ એ વર્તમાનકાળ છે, પણ વર્તમાનમાં કોણ જીવી શકે છે? ક્ષણના બિંદુ પર ચરણને સ્થિર રાખવાનો પ્રયત્ન કરો ત્યાં તો એ ક્ષણ સરી જાય છે. માણસ કૈંક જીવે છે ભૂતકાળમાં, કૈંક ભવિષ્યકાળમાં.

અહીં કવિ સાંપ્રતના બિંદુ પર ઊભા છે. પણ મનન કરે છે જે ગયાં એ વરસોનું; અને રહ્યાં એ વરસો પર મીટ માંડે છે. માત્ર ગયાં વરસોની વાત હોત તો એને સ્વપ્નસેવીની તરંગલીલા પણ લેખી શકાત, પરંતુ બંને સમયગાળાને આવરે છે એટલે જ આ કવિ સાંપ્રતની ક્ષણ પરથી વાત કરી શક્યા છે.

કવિતા આ જાદુ કરી શકે છે. પાર્થિવ જીવનમાં ક્ષણ પર હજી પગ સ્થિર થાય, ન થાય ત્યાં તો એ સરી જાય છે. જીવન સતત ભવિષ્યમાંથી ભૂતકાળ તરફ ગતિ કરે છે, વર્તમાનના બિંદુ પર અટક્યા વિના. પરંતુ કવિતા વર્તમાનની ક્ષણને શાશ્વતિમાં મૂકી દે છે.

શાશ્વતિમાં મુકાયેલી વર્તમાનની ક્ષણ પરથી આ ઉદ્ગાર પ્રકટ્યો છેઃ આ ક્ષણ પર ઊભા રહી જે વહી ગયું છે એની વાત કવિ કહે છે. વિગત પર દૃષ્ટિ કરીએ છીએ ત્યારે ઘણી વાર આપણને આશ્ચર્ય થાય છે — આ બધું આપણી આસપાસ બની ગયું? હજી થોડાં વરસો પહેલાં જે નાનકડો શિશુ હતો, એ જ આ બધી ઘટમાળમાંથી પસાર થઈ ગયો? જાણે નિદ્રામાં ચાલ્યા હોઈએ એવું એ લાગે છે.

સૌ પ્રથમ યાદ આવે છે સંચિત સુખની ક્ષણો. સમય જખમોને રુધાવે છે, રસને ઉત્કટ બનાવે છે. જગતની મધુરપોમાંથી રસ ચૂસી આપણે સકળ સૌહાર્દનો એક મધપૂડો તો રચીએ જ છીએ. આ ક્ષણે જ તમને યાદ આવેછે એ ક્ષણો — જ્યારે તમને અણધાર્યો જ કોઈકનો સમભાવ મળ્યો હોય, હૃદય ભાંગી પડે એવી અવસ્થામાં કોઈકના વાત્સલ્યે તમને ઉગારી લીધા હોય, અથવા ચરણ લપસી પડે ત્યારે કોઈએ ખભા પર નાજુક હાથ મૂકી તમને સંભાળી લીધા હોય? આવી ક્ષણો આપણને સૌને મળે છે. એ ક્ષણોનો મધુપુટ આપણે રચ્યો હોય છે.

મધપૂડાની વાત કરો અને એના ડંખથી બચવા માગો એ કેમ ચાલે? અહીં આ જગતમાં પણ સુખ મેળવવું હોય તો દુઃખનાં પગથિયાં પર પગ મૂકવા જ પડે છે. કેટકેટલાં વિષ જીરવવાં પડે છે, કેટકેટલી વિષમતાઓ વચ્ચે માર્ગ કરવો પડે છે!

ગયાં વરસોના ડંખ અને મધુરસ સાથે આપણે રહ્યાં વરસોની યાત્રા આરંભીએ છીએ. અંતિમ પૃથક્કરણમાં સુખ અને દુઃખ બંને માયા છે. તમે કઈ માયા પસંદ કરશો? આ ‘દુષ્ટ’ દુનિયા છે એમ કહીને ચાલો, એટલે થયું. કશુંયે શુભ નહિ દેખાય, પણ દુનિયા દુષ્ટ શા માટે લાગે છે? આપણે માત્ર આપણી જાતને ઠીકઠાક કરવાની હોય છે, પરંતુ એ ભૂલીને આપણે તો આખી દુનિયાને ગોઠવવા નીકળી પડીએ છીએ. દુનિયા શા માટે આપણે ઇચ્છીએ એમ ગોઠવાય? અને એટલે જ દુનિયા દુષ્ટ લાગે છે. ‘હું’ પદનો હિમાલય મસ્તક પર હોય ત્યારે તો તમે ભગવાનને પણ નમી નથી શકતા. તમે ‘હું’ કાઢી નાખો તો હળવાફૂલ જેવા થઈ શકો. એ ક્ષણે તમારી સિવાય પણ બીજું કંઈક છે. જે તમારા જીવનને ઇચ્છો તો સભર બનાવવા તત્પર છે એનો ખ્યાલ આવે છે. મૃદુલ તડકો, દક્ષિણ હવાથી માંડીને સંસ્કૃતિના ઉદય અને અસ્તમાં ચાલતી પરમ ઋતુની લીલા સુધીના બધા જ સ્તરો પરથી આપણે આવકાર પામીએ છીએ.

અહીં કવિ અમૃતને આકંઠ પીવા ઇચ્છે છે, પણ આ કયું અમૃત? અવનીનું અમૃત એ કહે છે, પણ આગળ કશું કહેતા નથીઃ કારણ કે અમૃત એ પ્રત્યેક માટે સાપેક્ષ વસ્તુ છે. છતાં આખરે અમૃત એટલે માત્ર અમૃત જ. એનું અક્ષયપાત્ર આપણા સૌ પાસે છે અને કવિ આ અમૃત આકંઠ પીને આપણા સૌ વતી જ કહે છે કે હું અવનીનું અમૃત લઈને આવ્યો છું. (કવિ અને કવિતા)



આસ્વાદ: ‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં–’ : લાગણીઓના નિર્ધારિત દબાવની રચનાઓ — ચન્દ્રકાન્ત ટોપીવાળા

‘ગયાં વર્ષો’ અને ‘રહ્યાં વર્ષો તેમાં–’ ઉમાશંકર જોશીનાં એમની જન્મતિથિએ, એક જ દિવસે, લખાયેલાં બે સૉનેટ છે. આ બંને કવિએ ‘અડધે રસ્તે કાઢેલા જીવનના સરવૈયા રૂપ’ સૉનેટ તરીકે ઓળખાવ્યાં છે. આ અંગેનું કાવ્યમૂલ્યાંકન આપતાં કવિએ લખ્યું છે કે સમગ્ર ગુજરાતી કવિતા સંચય માટે કોઈ એમને પાંચ કાવ્યકૃતિઓ પસંદ કરી આપવાની વિનંતી કરે તો ‘મંગલ શબ્દ’ ‘નિશીથ’ ‘છિન્નભિન્ન છું’ ઉપરાંત આ બે સૉનેટ પર એમની પસંદગી ઊતરે. આ સોનેટોમાં: કવિની મનુજપ્રીતિ આર્ષ વાણી રૂપે પ્રગટે છે એવું ધીરુભાઈ ઠાકરને લાગ્યું છે. અને રમેશ જાનીએ અહીં એક શ્રેષ્ઠ કાવ્યમય અભિવ્યક્તિ જોઈ છે. તો, આ બે સૉનેટો કવિની ભાવચિંતનમુદ્રાને અત્યંત સુરેખપણે ઊપસાવે છે. એવો સુરેશ દલાલનો અભિપ્રાય છે. આમ, કવિનો અને અન્યોનો આ બે સૉનેટ પરત્વેનો અભિગમ સ્પષ્ટ છે.

મૂળે તો શિખરિણીને આંતર આત્મકથાત્મક પ્રદીર્ઘ રચનામાં રેલાવા દેવાનો આશય હતો પરંતુ તેથી સૉનેટ આકારની સઘનતાનો લાભ કવિ પોતે ખોઈ બેસત – કવિની કેફિયત મહત્ત્વની છે. સાથે સાથે કવિની બીજી કેફિયત પણ ધ્યાન લેવા જેવી છે. કવિની રચનાઓ માનવ અસ્તિત્વના અને માનવસંવિદના જુદાં જુદાં પહેલુંઓને સાકાર કરવા મથે છે. પરંતુ એ દરેકમાં કૃતિની આંતર જરૂરિયાતો પ્રમાણે થયેલા નાદતત્ત્વના આગવા પ્રયોગ એ કવિની દૃષ્ટિએ સર્વસામાન્ય તત્ત્વ છે. વાત સાચી છે કે સૌન્દર્યો અને મનુજપ્રણય અંગેનું વિષયવસ્તુ આ કવિની રચનાઓમાં પહેલેથી પુનરાવર્તિત થતું આવ્યું છે. પછી, ‘નખી સરોવર ઉપર શરત્ પૂણિમા’માં ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’ની સૌન્દર્યતૃષા હોય, ‘ભલે શૃંગો ઊંચા’માં ‘અવનિતલ વાસો મુજ રહો’ની યા ‘સપ્તપર્ણી’માં ‘ગુહા નહિ પરંતુ લોક તુજની પરીક્ષા ખરે’ની મનુજતુષા હોય, કે ‘કુંજ ઉરની’માં ‘મને વ્હાલી વ્હાલી કુદરત ઘણી કિન્તુ અમૃતે/મનુષ્યે છાયેલી પ્રિયતર મને કુંજ ઉરની’ની, ‘કાલિદાસ’માં ‘…તોયે સકલ અમૃતાવી જગતને / તમે દીધું…’ની, ‘કવિધર્મ’માં ‘પદો મનુઉરોમિનાં અમૃત સારવ્યાં છો રચે’ની અમૃતતૃષા હોય, સૌન્દર્યતૃષા મનુજતૃષા અને અમૃતતૃષા જેવા એના એ જ પુનરાવર્તિત અને સ્થિર થઈ ગયેલા વિચારોને આ સૉનેટો સ્પર્શે છે. આથી કાવ્યસપાટી નીચે લાગણીઓના અનિર્ધારિત દબાવને બદલે નિર્ધારિત દબાવ અવશિષ્ટ રહે છે. વળી, સહેતુક ખંડિત કથનની કશુંક વ્યંજિત કરવાને બદલે અખંડિત કથનોથી કવિની આ રચનાઓમાં તીવ્ર લાગણીનો અનુભવ થતો નથી, આથી લાગે છે કે જીવન અને કવિતા અહીં જુદા છે. કવિ પોતાની અંગત કવિતામાં સામાજિક વિષય વસ્તુ સાથે સંકલિત થાય છે અને મનુષ્યનિસ્બતને અગ્રપ્રસ્તુતિ આપે છે. અલબત્ત કવિની મનુષ્યનિસ્બત ખુલ્લી હોવા કરતાં અને પ્રતીતિ પર પહોંચતા હોવા કરતાં પૂર્વનિર્ણિત હોય, બંધ હોય જાણે કે સ્ટુડિયોમાં તૈયાર કરી હોય એવી લાગવાનો સંભવ પણ વિશેષ છે.

છતાં. આ સૉનેટોમાં પુનરાવર્તિત વિષયવસ્તુ પરત્વેનું કવિન પુનર્કાર્ય (Reworking) મહત્ત્વનું નથી. મહત્ત્વનું છે કસબ અને નિયંત્રણ સહિત નાદસંપતિ દ્વારા વિષયવસ્તુને પ્રકાશિત કરવાનું શહૂર. આથી ચિંતન અને સૌન્દર્ય વચ્ચે આશયલક્ષી અર્થ (intentive meaning) અને સર્જનલક્ષી અર્થ (inventive meaning) વચ્ચે એક તણાવ જન્મ્યો છે. આ સંદર્ભમાં જોહ્‌ન એશબેરીના ‘કાવ્ય એટલે શું?’ (What is poetry) કાવ્યની કેટલીક પંક્તિઓ સ્મરણમાં આવે છે: “સુન્દર કલ્પનો? આ કાવ્યમાં છે તેમ વિચારોને અવગણવાનો પ્રયત્ન? પણ આપણે વિચારો ભણી પાછા વળીએ છીએ જેમ આપણી ઇપ્સિત પ્રિયાને છોડી પત્ની તરફ પાછા વળીએ” બરાબર આવો જ ખેલ આ સૉનેટમાં પણ થયો છે. ચિંતન અને કલ્પનનું દ્વન્દ્ર અહીં કળી શકાય,

આ બે સંગી સૉનેટો (Companion Sonnets)માં એક પ્રકારનું સાતત્ય છે. અતીત અને અનામત વર્તમાનની કોઈ એક ક્ષણ પર મુકાયાં છે. ગયેલા સમયનું મૂલ્યાંકન અને રહેલા સમય અંગેનો અહીં સંકલ્પ છે પરંતુ મૂલ્યાંકન અને સંકલ્પ વચ્ચે, જીવનના પશ્ચાદવર્તી કે અગ્રવર્તી દર્શન વચ્ચે કોઈ વિરોધ નથી. કોઈ નિષેધાત્મક સૂર નથી. કારણ બંનેમાં એક વિધાયક તત્ત્વની હાજરી છે અને તે પ્રણય. પહેલા સૉનેટનો ‘પ્રણયભર’ (ભરપૂર પ્રણય) વિરોધો અને વિષમતાનો છેદ ઉડાડે છે. બીજા સૉનટનો ‘આકંઠ પ્રણય’ અવનિના અમૃતમાં પરિણમે છે. પ્રણય અતીતથી વર્તમાનનો ચાલક છે અને પ્રણય જ વર્તમાનથી ભવિષ્યનો પણ ચાલક છે. કવિનો આ ‘પ્રણય’ મનુષ્યજાતિ સુધી વિસ્તરેલો છે અને કવિની દૃઢ માન્યતા, સ્થાપિત શ્રદ્ધા અને નિર્ધારિત લાગણીનો વાહક છે, કસબથી સૉનેટોમાં એ કઈ રીતે વણાયો છે એ જોવું રસપ્રદ બનશે. પહેલું સૉનેટ લઈએ:

‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં
ગયાં સ્વપ્નોલ્લાસે મૃદુ કરુણહાસે વિરમિયાં!’

પહેલી પંક્તિના પ્રારંભમાં, અંતમાં અને ફરી બીજી પંક્તિના પ્રારંભમાં ‘ગયાં’નું આવર્તન દૃઢપણે અતીતમાં સ્થાપિત કરે છે. ‘કેમ જ’માં ‘જ’ પરનો ભાગ ખબર ન રહી હોવાની પ્રતીતિને એકદમ વળ આપે છે. અતીતમાં જીવવાની સાહજિકતા અને તાલબદ્ધતા પડેલી છે. ‘સ્વપ્નોલ્લાસે મૃદુ કરુણહાસે’નો આંતરયમક તરત એ તાલબદ્ધતાને ઉઠાવે છે. પછી…

‘ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો.
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જપ ક્ષણ દે
સ્ફુર્યો કાર્યે કાવ્યે જગમધુરપ પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપટ અવિશ્રાન્ત વિકસ્યો
અહો હૈયું! જેણે જિવતર તણો પંથ જ રસ્યો’

સ્મિતમય / ભયભર્યો; ભારેલો / જે પ્રણયભર; કાર્યે/કાવ્યે, મધુરપો/ પી / પદપદે, અવિશ્રાન્ત વિલસ્યો – સુધી તાલબદ્ધતા પ્રસરે છે. આખો જિવતરનો પંથ આ તાલબદ્ધ કદમથી જાણે કે કપાઈ ગયો! ‘કેમ જ’નો ‘એમ જ’ને મળતો સંવાદ એકદમ સાર્થક છે પરંતુ આ બેને મળતો ‘પંથ જ’માં ‘જ’ પૂરકતાની કામગીરી સિવાય કોઈ કામગીરી બજાવતો નથી—નકામી અડચણ ઊભી કરે છે. પરંતુ સૉનેટનો બીજો ખંડ–ષટ્ક—બે નિષેધોના સાર્થક બળથી ઊઘડ્યો છે:

‘ન કે નાવ્યાં માર્ગે વિષ, વિષમ ઓથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુ ય સજીવન થયાં’

‘વિષ’માંથી ફૂટતો હોય તેઓ જ બાજુનો ‘વિષમ’ શબ્દ નાદની સ્ફૂર્તિનું ઉદાહરણ છે. સૉનેટના પૂર્વાર્ધની તાલબદ્ધતાની સામે આ ‘ષટ્ક’માં વિરોધની તરેહ પ્રમાણવા જેવી છે. ‘વિષ/વિષમ ઓથાર/અદયાઅસત સંયોગોની’ સામે ‘સંજીવની’ છે. કંટક સામે કુસુમ છે, તિરસ્કાર સામે ગૂઢ કરુણા છે. પણ નામ પાડ્યા વગર પ્રણયની વ્યંજના આપતો કો ‘સંકેત’ આ બધાનું-વિરોધોનું-શમન કરે છે:

‘બન્યાં કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા
તિરસ્કારોમાં યે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા’

અંતે અતીતની માત્રા સતત પ્રેરક બળ કવિ ચીંધે છે:

‘પડે દૃષ્ટે, ડૂબે કદિક શિવનાં શૃંગ અરુણાં
રહ્યો ઝંખી ને ના ખબર વરસો કેમ જ ગયાં’

‘શિવનાં શૃંગ’માં ‘શિવ’ એટલે ‘કૈલાસપતિ’ અને ‘શિવ’ એટલે ‘કલ્યાણ’ મૂર્ત અને અમૂર્તના સમન્વય સાથે કવિએ ઉપસાવેલાં આ શૃંગ દુષ્પ્રાપ્ય છે. અમૂર્ત અને મૂર્તને રેણ કરી દેતા ‘અરુણા’ વિશેષણની ગુંજાશ ઓછી નથી. આવાં દુષ્પ્રાપ્ય શૃંગો ક્યારેક દૃષ્ટિએ પડે છે. ક્યારેય ડૂબી જાય છે, અદૃશ્ય થાય છે પણ દુષ્પ્રાપ્ય માટે જ કવિ એને ઝંખી રહે છે. અને આ ઝંખનામાં જ અતીત અંતે વર્તમાન ક્ષણ સુધી આવી પહોંચે છે. અલબત્ત, શરૂનાં ‘વર્ષો’ અંતે ‘વરસો’માં પલટાઈ જાય એમાં છંદની માગ પકડાઈ જાય છે. એક જ શબ્દના આ વિવર્તો સાભિપ્રાય નથી.

જે વર્તમાન ક્ષણ પર પહેલું સૉનેટ આવી પહોંચ્યું છે એ ક્ષણથી બીજા સૉનેટનો આરંભ છે. ‘ગયાં’ની સામે ‘રહ્યાં’નો સમય–પટ ખૂલે છે, પ્રણયનો તંતુ ચાલુ છે. પરંતુ શિવનું સ્થાન ભવિષ્યની યાત્રામાં સૌંદર્ય લે છે અને તેથી બીજા સૉનેટની શરૂની ત્રણ પંક્તિ પ્રણયના તંતુને ચાલુ રાખીને પણ વિકાસશીલ સાતત્ય સૂચવે છે.

‘રહ્યાં વર્ષે તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વ્હીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહિયાં;

‘હૃદયભર’, તરત જ, પહેલા સૉનેટના ‘પ્રણયભર’નું, સાહચર્ય ખેંચી લાવે છે. ‘સૌન્દર્યો પી ઉરઝરણ ગાશે પછી આપમેળે’નું કવિનું ઘૂંટાતું જીવનસૂત્ર અહીં પંક્તિઓમાં વિસ્તરી ચૂક્યું છે. અહીંનું ‘સખ્ય’ પહેલા સૉનેટના ‘સોહાર્દ’ની સમાન્તરતા પર મૂકાયું છે. બે સૉનેટોમાં અહીં એક જ જગ્યાએ નાનો નિષેધાત્મક સૂર છે: ‘વ્હીલે મુખ ફેર રખે’, પહેલા સૉનેટમાં જાતની સામે જગત મુકાયું નથી. પ્રણયનું તત્ત્વ જગતની બધી વિષમતાને હરી લે છે. અહીં એ જ પ્રણયની સમજને ખપમાં લઈ કવિ ‘દુષ્ટ’ દુનિયા સામે સંરક્ષણનું કવચ શોધે છે. જાત અને જગતનાં લક્ષણોને વિરોધાવે છે, પરંતુ આ પાંચ પંક્તિઓ જુઓ:

‘નથી તારે માટે થઈ જ, નિરમી ‘દુષ્ટ’ દુનિયા,
—અહો નાનારંગી અજબ દુનિયા છે સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જય લપટી!
વિસારી હું ને જો વરતું, વરતે તું મધુરવી’

કલાપી અને ઉમાશંકર એકબીજાની સરસાઈ કરતાં હોય એવું લાગ્યા વિના રહે નહિ. અનવધાનમાં કલાપીની પદાવલિ પ્રવેશી ગયેલી સ્પષ્ટ જોઈ શકાય છે. ‘જાઉં પલટી’ અને ‘જાય લપટી’ની સમાનતરતા નખશીખ ઉમાશંકરીય છે પરંતુ ‘નથી તારે મારે થઈ જ નિરમી દુષ્ટ દુનિયા’ કે ‘અહંગર્તામાં હા પગ’ કે ‘અજબ દુનિયા, શે સમજવી?’માં કલાપીના ઓળા ઊતરી આવ્યા છે. પુરોગામી કવિની પદાવલિનો આ સહેતુક ઉલ્લેખ નથી. અનવધાનની ક્ષણોમાં પ્રવેશેલો પુરોગામી કવિનો કાવ્ય સંસ્કાર છે.

આ પછી; ‘અહંલોપની સામે આખું જગત કવિમાં ઠલવાવો તલપાપડ છે:

‘મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ, હવા,
દિશાઓનાં હાસો ગિરિવર તણાં શૃંગ ગરવાં;’

૧૯૩૫માં ‘કુંજ ઉરની’ સૉનેટમાં લખાયેલી ‘મને આમંત્રે સૌ પ્રણયગ્રહવા વિશ્વ-ફુલનો’ જેવી અમૂર્ત પંક્તિનો અહીં મૂર્તવિસ્તાર છે ‘મને આમંત્રે સૌ’માંનો “સૌ’નો સર્વસામાન્ય લહેકો અહીં મૃદુલ તડકાના લાડવાચક ‘ઓ’માં રૂપાન્તરિત થયો છે. પહેલા સૉનેટના અમૂર્ત શિવનાં શૃંગ હવે ‘ગિરિવર તણાં શૃંગ’માં મૂર્ત છે. કવિ દિવસથી રાત્રિમાં આગળ વધે છે:

‘નિશા ખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે’

‘નિશાખૂણે’ હૈયે’ એટલે કે નિશાનો ખૂણો એ જ હૈયું– નિશાહૈયે એમ લઈશું? ના, કવિતા ભીતર બાહ્યને અજવાળે એવું આ સ્થાન છે. નિશાખૂણે અને હૈયે સંવેદનનું આ ઘનીભૂત રૂપ છે. આ ઘનીભૂત રૂપ પછીની પંક્તિ સર્વસામાન્ય તૈયાર વિચારસૂત્રમાં ખેંચાઈ ગઈ છે:

‘જનોત્કર્ષે-હાસે પરમ ઋતલીલા અભિરમે’

કુદરતથી મનુષ્ય સુધી પહોંચેલી આ સૉનેટની યાત્રા અને ભવિષ્યનું એક આદર્શ કાલ્પનિક ચિત્ર આંખ સામે ખડું કરે છે:

‘બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’

અત્યારની વર્તમાનની ક્ષણ પરથી ભવિષ્યની કોઈ વર્તમાનની ક્ષણનો આ તરંગબુટ્ટો છે, આ બે પંક્તિ વચ્ચે કવિની રૂપાન્તર પ્રક્રિયા નિહિત છે. ‘આકંઠ પ્રણય’ એ અવનિનું અમૃત નથી, પરન્તુ ‘આ કંઠ પ્રણય’ પછી જે કવિતા જન્મે એ કવિતા તે અવનિનું અમૃત છે. ‘પ્રણય’ અને ‘અમૃત’ વચ્ચે ‘કવિતા’ની પ્રક્રિયાને કવિએ વ્યંજિત રાખી છે. અને વ્રજ વહાલું રે વૈકુંઠ નથી જાવું’ની જેમ ભુવનોની સામે કવિએ અવનિને તોળી છે. અહીં અવનિના અમૃતનું માહાત્મ્ય છે. પીવાની ક્રિયાની તીવ્રતાને દર્શાવવા ‘આકંઠ પ્રણય’નું કવિકૌશલ નજીકથી જોવા જેવું છે:

‘બધો પી આકંઠ પ્રણય.’

શિખરિણીના છઠ્ઠા સ્થાને લઘુ ગોઠવી સાતમાં સ્થાનના સંયુક્તાક્ષરથી એને ગુરુ બનાવવાની ક્રિયામાં ‘આકંઠ’ અને ‘પ્રણય’ વચ્ચે શિખરિણીનો દૃઢ યતિ લોપ થાય તો થાય છે–અને લયનું જે સાતત્ય જળવાય છે એ દ્વારા પીવાની ક્રિયાને અતૂટ પ્રગટ કરી શકાઈ છે.

ઉમાશંકરની લાક્ષણિકતાઓ અને મર્યાદાઓ સહિતની આ બે રચના એમના કવિકૌશલનો ઠીક ઠીક આવિષ્કાર દર્શાવે છે.

(વિવેચનનો વિભાજિત પટ)