અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ઉમાશંકર જોશી/દળણાના દાણા

From Ekatra Foundation
Jump to navigation Jump to search


દળણાના દાણા

ઉમાશંકર જોશી

ખરા બપોર ચઢ્યે દાણા રે કાઢવા
ઊંડી કોઠીમાં ડોશી પેઠાં રે લોલ.
કોઠીમાં પેઠાં ને બૂંધે જઈ બેઠાં,
ભૂંસી-લૂછીને દાણા કાઢ્યા રે લોલ.
સાઠ સાઠ વર્ષ લગી કોઠી રે ઠાલવી
પેટની કોઠી ના ભરાણી રે લોલ.
સૂંડલી ભરીને ડોશી આવ્યાં આંગણિયે,
દળણાના દાણા સૂકવ્યા રે લોલ.
સૂકવીને ડોશી ચૂલામાં પેઠાં,
થપાશે માંડ એક ઢેબરું રે લોલ.

આંગણે ઊગેલો ગલકીનો વેલો,
મહીંથી ખલુડીબાઈ નીકળ્યાં રે લોલ.
કરાને ટોડલે રમતાં કબૂતરાં
ચણવા તે ચૂપચાપ આવિયાં રે લોલ.
ખાસી ખોબોક ચણ ખવાણી ત્યાં તો
મેંડી હરાઈ ગાય આવી રે લોલ.

ડોશીનો દીકરો પોઢ્યો પલેગમાં,
હરાઈ ગાય કોણ હાંકે રે લોલ?
હાથમાંનો રોટલો કરતો ટપાકા
દાણા ખવાતા ન જાણ્યા રે લોલ.

રામા રાવળનો ટીપૂડો કૂતરો
ડોશીનો દેવ જાણે આવ્યો રે લોલ.
ઊભી પૂંછડીએ બાઉવાઉ બોલિયો
ડોશી ત્યાં દોડતી આવી રે લોલ.
આગળિયો લઈને હાંફળી ને ફાંફળી
મેંડીને મારવા લાગી રે લોલ.

ચૂલા કને તાકી રહી’તી મીનીબાઈ
રોટલો લઈને ચપ ચાલી રે લોલ,
નજરે પડી, ને ઝપ ટીપૂડો કૂદિયો,
ડોશીની નોકરી ફળી રે લોલ.

છેલ્લુંય ઢેબરું તાણી ગ્યો કૂતરો,
દયણું પાશેર માંડ બાકી રે લોલ.
‘એ રે પાશેર કણ પંખીડાં કાજે
મારી પછાડે નખાવજો રે લોલ.
કોઠી ભાંગીને એના ચૂલા તે માંડજો.
કરજો વેચીને ઘર, કાયટું રે લોલ.’


આસ્વાદ: લોકસંસ્કારની સહજતાનું મેળવણ: ‘દળણાના દાણા’ — મનોહર ત્રિવેદી