અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/એસ. એસ. રાહી/કાગળ નનામો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાગળ નનામો

એસ. એસ. રાહી

હૃદયમાં છે બે-ચાર ઝળહળતાં નામો,
એ મારી નજરમાં છે બસ તીર્થધામો.

શું ઊભા છે રસ્તા ઉપર આયનાઓ,
નહિ તો મને કાં મળું રોજ સામો.

લખી લ્યો પ્રથમ એમાં સરનામું મારું,
ભલે હાથમાં હોય કાગળ નનામો.

પ્રણયમાં હૃદય હાથમાં કેમ રહેશે?
આ ઊગતા પ્રલયને તમે જલદી ડામો.

જુઓ બંદગી પણ અધૂરી રહી ગઈ,
નથી પૂર્ણ થાતાં ઘણાં શુભ કામો.