અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ગુલામમોહમ્મદ શેખ/પિત્તળની ચામડીનો બોદો રણકાર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પિત્તળની ચામડીનો બોદો રણકાર

ગુલામમોહમ્મદ શેખ

પિત્તળની ચામડીનો બોદો રણકાર
ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને
આગિયાના ધોળા પડછાયા છંછેડે છે.
વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ
ઉપર લીમડાનાં પાનમાં પેસી તેને ગલી કરે છે.
રાત હળવે હળવે
દિવસોનાં શ્વેત શબોને રંગે છે,
પણ ચામડીનાં છિદ્રો પુરાતાં નથી,
ઊલટાનાં પર્વત-ઝરણાંની જેમ ઝમ્યા કરે છે.
મોતના પવનો
રસ્તાની ચિરાડોમાં પ્રેમની બાષ્પથી લચી પડી, ઓગળે છે.
ટાવરના કાંટા પર સમયની અવળસવળ જાંઘો ઘસાય છે.
કૂતરાં ભસે છે.
નદીની રેતીમાં સૂતેલા લોકો પર
ઊંઘની કબરો ચણાય છે.
બાવળની કાંટ્યમાં
મરતા મકોડાના ખોળિયામાંથી નીકળી
હિજરાતો હિજરાતો
કોઈ પેગમ્બરનો જીવ પાછો વળે છે.
કૂતરાં ભસ્યા કરે છે.
(અથવા, પૃ. ૩૮)



આસ્વાદ: – સુરેશ હ. જોષી

આ કાવ્યને કશું શીર્ષક નથી. શીર્ષક વિનાનું આ કાવ્ય, જેનું મસ્તક છેદાઈ ગયું છે એવા કબન્ધની જેમ, ઊભું છે. કાવ્ય પૂરું વાંચ્યા પછી આપણે પ્રશ્ન પૂછીશું: આ કાવ્યનું શીર્ષક કેમ છેદાઈ ગયું છે? પણ શીર્ષકનો અભાવ જ કેટલાકને કાવ્યાસ્વાદમાં વિઘ્નકર થઈ પડે છે. નવીનતા એટલે નર્યાં નખરાં કે અટકચાળાં એમ માની સૂગ કેળવનાર આ શીર્ષકના અભાવને આવું જ અટકચાળું ગણી લેવા તૈયાર થઈ જાય તે સ્વાભાવિક છે. પણ આ કાવ્યને લાગેવળગે ત્યાં સુધી, કાવ્યની રચનામાં રહેલી ગમ્ભીરતા આવા કોઈ આરોપનો છેદ ઉડાડી દે છે. કવિનું કશુંય નહીં ચાલ્યું હોય ત્યારે જ એમણે શીર્ષક નહીં આપ્યું હોય એમેયે બને.

સંસ્કૃત કાવ્યસાહિત્યના સંસ્કાર જેમણે ઝીલ્યા છે, તેમના ચિત્તમાં ચૈત્રની રાત્રિના ઉલ્લેખની સાથે શૃંગારના કાંઈ કેટલાય સંસ્કારો જાગશે. અહીં ચૈત્રની રાત્રિનો જ ઉલ્લેખ તો છે, શૃંગારનું સૂચન પણ પ્રથમ ખણ્ડમાં છે. પણ પ્રથમ પ્રણયની ઉન્માદાવસ્થાને વટાવી ગયેલી પેલી સંસ્કૃત કાવ્યની નાયિકાને પણ વિહ્વળ બનાવી મૂકનારી આ ચૈત્રક્ષપા નથી, એ જાણતાં આપણને વાર નથી લાગતી. આપણા કવિ ‘સ્તન’, ‘કામરત’, ‘યુગલ’ શબ્દો વાપરે છે, બાનીમાં સંસ્કૃતભાષાથી આ ઇશારો ઉપજાવ્યો છે, તેમ છતાં કવિનો આશય તો એવા અલંકારશાસ્ત્રની પોથીમાંના શૃંગારની વિડમ્બના કરવાનો જ છે, તે તો પહેલી છ લીટી વાંચતાં સ્પષ્ટ થઈ જાય છે.

આવી ચૈત્રની રાતે રેવા જેવી કોઈ નદીને કાંઠેના એકાન્તમાં કૌમારહર વર સાથે શૃંગાર માણવાને ચિત્ત ઉત્કણ્ઠિત થઈ ઊઠે એવો રોમેન્ટિક આવેગ અહીં નથી જ નથી. શૃંગાર આખરે તો ઉત્કટ એવા સ્પર્શસુખમાં પરિણમે છે. પણ સ્પર્શસુખના અનિવાર્ય માધ્યમરૂપ ત્વચા કેવી છે? એમાં હર્ષના રોમાંચ જાગે છે? પ્રિયના સ્પર્શથી એ રણઝણી ઊઠે છે? શૃંગારના પરમ્પરાગત વ્યભિચારીસંચારી ભાવો અહીં સાવ ગેરહાજર છે. કવિએ તો પહેલી જ પંક્તિમાં ‘પિત્તળ તે ખોટું’ એ લોકોક્તિના ધ્વનિને અહીં લેખે લગાડીને ‘રણકાર’ આગળ ‘બોદો’ એવું વિશેષણ ઉમેરી, કોઈ પણ પ્રકારના રોમાંચ કે રણઝણાટ માટે કશો અવકાશ રાખ્યો નથી. પહેલી જ છ પંક્તિઓ આટલું તો સ્પષ્ટ જ કરી દે છે કે આ કાવ્યની સગોત્રતા સંસ્કૃત કવિતા સાથે નહીં પણ બોદલેરની કવિતા સાથે છે.

મેં બોદલેરની વાત કરી. આ કાવ્ય વાંચતાં કોણ જાણે શાથી બોદલેરના જ ભણકારા વાગ્યા કરે છે. બોદલેરની કાવ્યસૃષ્ટિમાંથી ‘spleen’, ‘ennui’, ‘triste mise’ સંજ્ઞાઓ અને એ સંજ્ઞાઓથી ઉદ્ભવતું વિશિષ્ટ વાતાવરણ આપણને યાદ આવે છે. મૃત્યુને માટેની રતિ અને સ્વૈર યૌનસમ્બન્ધ રોમેન્ટિક કવિતાનાં લક્ષણો ગણાવાય છે. એ બંનેનો ઉલ્લેખ અહીં છે, પણ કવિનું વલણ કે કવિની ભાવદશા રોમેન્ટિક કવિથી સાવ જુદા પ્રકારની છે. બોદલેરે પોતાની પ્રેયસીને માટે લખેલી કવિતામાં એ પ્રેયસીનું વર્ણન કરતાં કહ્યું છે:

Statue with eyes of jet. towering angel with head of brass.

આપણા કવિ, એમણે યોજેલાં કલ્પનો દ્વારા મરણ અને યૌનસમ્બન્ધ એ બે એકબીજાના પર્યાય બની રહે એવું વાતાવરણ રચે છે. સ્પર્શસુખ આપનારી ચામડી તો સાવ મરી ગયેલી છે. એનો બોદો રણકાર ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે એમ કવિ કહે છે ત્યારે સહેજ સરખા રોમેન્ટિક અભિનિવેશની છાયા આવીને ચાલી જાય છે. કવિએ ભાવનો આવેગ અત્યન્ત સંયત રાખ્યો છે. ક્યાંય કોઈ લાગણીથી લદબદ ને ભેજવાળો શબ્દ નથી, એને બદલે નિર્મમ તાટસ્થ્યનું ધારદાર કકરાપણું (crispness) જ અનુભવાય છે. આથી જ, અપવાદ રૂપ બની રહેતી, આ બીજી પંક્તિ તરફ આપણું ધ્યાન જાય છે. આ વેગને સંયત રાખવા માટે elliptical સ્વરૂપની રચનાપદ્ધતિ કવિએ અપનાવી છે. કવિનો આશય (જો કોઈ હોય તો) કલ્પનોના સંયોજનમાં જ વ્યંજિત થાય છે. ત્રીજી પંક્તિમાં ખજૂરાહોના સમ્ભોગશિલ્પનો નિર્દેશ, અને તેય ખણ્ડિત સ્તનોનો, અત્યન્ત સાભિપ્રાય ઉલ્લેખ કરે છે. એ ખણ્ડિત સ્તનો કામશાસ્ત્રે નિર્દેશેલા ‘કુચમર્દન’ની સ્મૃતિને જગાડે છે પણ તરત જ કવિ આપણને કહી દે છે કે એને ‘છંછેડનાર’ તો માત્ર આગિયાના ધોળા પડછાયાઓ જ છે. આગિયાઓમાં દ્યુતિનું સાતત્ય નથી, અધિકારનું તીવ્ર ભાન કરાવવા કોઈ તેજ(!)ની ચૂંટી રહીરહીને ખણ્યા કરતું હોય એવું લાગે છે. અહીં તો એ તેજનો સીધો સ્પર્શ પણ નથી, માત્ર એના પડછાયા (ને તે પણ ‘ધોળા’)નો જ ઉલ્લેખ છે. ‘ધોળા’માં નિષ્પ્રાણતા, પાણ્ડુતાનું સૂચન છે. એથી કામાવેગમાં જે ઉત્તેજના હોય છે તેનો સબળ વિરોધ રજૂ થાય છે. કજળી જવા આવેલી રતિનો આ રીતે ઉલ્લેખ કરી, કવિ આ રતિનું સન્ધાન મરણ જોડે કરવાને, મરણ અને સ્મશાન જોડે સંકળાયેલા ‘શૃગાલ’નો ઉલ્લેખ કરે છે, સમ્ભોગશિલ્પ પછી યુગલનો ઉલ્લેખ કરે છે. સમ્ભોગશિલ્પ પછી યુગલનો ઉલ્લેખ થયો પણ તે ‘શૃગાલયુગલ’ની (કોઈ અવાવરુ, જીર્ણ ખંડિયેર રૂપ) વાવને પગથિયે ચાલી રહેલી કામક્રીડા માત્ર ‘શ્વાસનું દ્વંદ્વ’માં પરિણમે છે. એમાં રતિસુખ કરતાં પરિશ્રમના પર જ કવિ વધારે ભાર મૂકે છે. આથી ‘દ્વંદ્વ’ શબ્દ પણ દ્વંદ્વયુદ્ધના જ સંસ્કારો જગાડે છે. આથી સુખ ‘(ગલી’) થતું હોય તો લીમડાનાં પાંદડાંને!

આમ પહેલી છ પંક્તિનાં કલ્પનોની યોજના આપણે જોઈ. પેલી ‘ચૈત્રક્ષપા’થી આ છ પંક્તિમાં છ પગલાં ભરતાં જ આપણે કેટલા દૂર નીકળી ગયા! બીજા ખણ્ડમાં પ્રથમ ખણ્ડમાં મૂકેલું મરણનું સૂચન કવિ વિકસાવે છે. અહીં કલ્પનોમાં એક પ્રકારની વિશૃંખલતા કવિ અણઘડ છે માટે નથી આવી ગઈ, રોમેન્ટિક ભાવાવેશના પ્રતિકાર રૂપે કવિ સહેતુક આવી યોજના કરે છે.

આગલા ખણ્ડમાંના ‘ધોળા’ પડછાયાની કવિ અહીં વિસ્તૃતિ સાધે છે. એ પડછાયો દિવસોનાં સફેદ શબોમાં ફેરવાઈ જાય છે. રાત્રિ એને ‘હળવે હળવે’ (ભયંકર નિસ્તબ્ધતાથી) રંગે છે, પણ રાત્રિનો વિપુલ અન્ધકાર પણ એ શબોનાં છિદ્રોને પૂરી શકતો નથી. એ છિદ્રો ઝમ્યાં કરે છે. શબોનું આ ઝમવું બીભત્સનો નવા જ સ્વરૂપનો આસ્વાદ કરાવે છે. પર્વતનાં ઝરણાંના ઝમવા સાથે આ ઝમવાને સરખાવીને કવિ એક વિશાળ ભૂમિકાનું સૂચન કરે છે. એ પછી ‘મોતના પવનો’ની વાત એટલી વિશૃંખલ લાગતી નથી. ‘પવન’નું બહુવચન પણ આ વિશાળતાના સંસ્કારને દૃઢ કરે છે. આ ખણ્ડના અન્તમાં વળી મરણ અને પ્રેમને કવિ સાંકળી લે છે. પ્રેમ રહ્યો છે કેવળ બાષ્પ રૂપે, બાષ્પ એ ભ્રાન્તિનો પણ પર્યાય છે જ. આ બાષ્પ જાણે પોતાની સમૃદ્ધિના ભારથી મરણને પણ ‘લચી’ પડવાની હદે લઈ જાય છે! ‘લચી પડવું’ જ ફળના ભારથી ઝૂલી જતી આંબાની ડાળનું ચિત્ર ખડું કરે છે. આ ચિત્ર વિરોધને તીવ્ર બનાવવાને જ કવિએ યોજ્યું. લચી પડતા મોતના પવનો આખરે તો રસ્તાની ચિરાડોમાં ઓગળી જાય છે. કવિએ યોજેલી વિશાળતાનો પણ આખરે તો ચિરાડોમાં ઓગળી જવા રૂપે જ અંજામ આવ્યો! ‘ચિરાડ’ને મૃત્યુ સાથે સમ્બન્ધ છે. આની સાથે જ મરણની નિષ્ફળ વન્ધ્યતા ભારે તીવ્રતાથી કવિએ જોડાજોડ મૂકી દીધી છે. ટાવરના કાંટા પર સમયની ઘસાતી જાંઘનું ચિત્ર એની સાથે અનેક અર્થર્ચ્છાયાઓને ઉદ્દીપ્ત કરે છે. ટાવર એ જાણે ઊંચો કરેલો વધસ્તમ્ભ ન હોય એમ એના કાંટા – શૂળ – શૂળી આપોઆપ સૂચવે જ છે. આટલું કહીને તરત જ કવિ સમય જે નિ:સંગ છે, એકલો છે તે જાંઘ ઘસીને સજાતીય (homosexual) મૈથુન કરે છે તેનું ચિત્ર ઉપસાવે છે. આવું મૈથુન, અને તેનો કર્તા તે સમય પોતે, એમ કહીને મરણની સંવેદનાને કવિ નવી ધાર કાઢી આપે છે. અહીં બોદલેરની સૃષ્ટિનાં હવાપાણીનો પૂરેપૂરો પ્રભાવ વરતાય છે.

અત્યન્ત સંયમથી લખેલી આ કવિતામાંથી પણ કવિએ થોડીક બાદબાકી કરી હોત તો ઠીક થાય એવું આપણને લાગે છે. ત્રીજા ખણ્ડની પ્રથમ બે પંક્તિઓ ભાવને ઘેરો કરી ઘૂંટવાનો બિનજરૂરી પ્રયત્ન છે, ને કાવ્યમાં સહેજ ખૂંચે છે. આમ કહેવાનું એક બીજું પણ કારણ છે. ‘ટાવરના કાંટા’ અને ‘બાવળની કાંટ્ય’ની વચ્ચે જે સ્વાભાવિક સન્ધાન આપણા મનમાં થાય છે તેમાં આ પંક્તિઓ અન્તરાય રૂપ બની રહે છે. કાવ્ય પોતે જ કવિની પાસેથી આવા સૂક્ષ્મ વિવેકની અપેક્ષા રાખવા આપણને પ્રેરે છે.

કાવ્યના ખણ્ડોની રચનામાં, અસમ્પ્રજ્ઞાત રીતે, ઉત્કટતાનો વળ ચઢતો જતો હોય એવી યોજના દેખાશે. અહીં તુચ્છ અને મહત્નું પ્રબળ સંઘટ્ટન પરાકાષ્ઠાએ પહોંચે છે. શૂળી પર ચઢેલા ઇસુ અને બાવળના ઝરડામાં પરોવાઈ ગયેલા મકોડા વચ્ચેનું સૂચિત સાદૃશ્ય ભારે પ્રબળ અસર ઉપજાવે છે. આ એક કલ્પનથી બોદલેરની સૃષ્ટિનો કટુ વિષાદ ‘ennui’ અને ‘triste mise’re’ મૂર્ત થઈ ઊઠે છે. ભગવાનના પુનરવતારની વન્ધ્યતા સમર્થ રીતે આ કલ્પનથી મૂર્ત થાય છે. પેગંબરને વાસ કરવાને માટે કાંટ્યમાં ભરાયેલા મકોડાની ખોળ સિવાય બીજું કશું હવે રહ્યું નથી! ત્યાંથીય પેગંબરનો જીવ હવે તો હિજરાતો હિજરાતો પાછો ફરે છે. આ હિજરાવું એ જ કાવ્યના વાતાવરણમાં ઓતપ્રોત થઈને રહેલું વ્યાપક તત્ત્વ છે.

છેલ્લા બે ખણ્ડમાં કવિએ ભજનમાં આવતા ધુ્રવપદની જેમ ‘કૂતરાં ભસે છે’ એ પંક્તિ ટેકની જેમ મૂકી છે. આથી વિડમ્બના વધુ ઉત્કટ બને છે. ભગવાનનો દૂત વદાય લેતો હોય ત્યારે એની પાછળ આજે વિલાપ કરનાર કોણ રહ્યું છે!

શરૂઆતમાં કાવ્ય વાંચ્યું, ત્યારે એના ખણ્ડો વચ્ચે જે યદૃચ્છ યોજના દેખાતી હતી તે હવે નહીં લાગે. રૂપરચનાને જે શિસ્તની અપેક્ષા છે તે કવિએ પૂરેપૂરી જાળવી છે. એ યોજનાની રચના જો વધારે પડતી ખુલ્લી હોત તો કાવ્યનાં હાડપાંસળાં ઉઘાડાં પડી ગયાં હોત, એમાં સૌષ્ઠવ ન આવ્યું હોત. ભાવાવેગના ઉદ્ગારોનો ભેજ એને સાવ પોચું ન બનાવી દે તેની પણ કવિએ પૂરી કાળજી રાખી છે.

બોદલેર ગૌરવપૂર્ણ વિષયને અનુરૂપ ઉદાત્ત શૈલીમાં જાણીકરીને ‘ીહહેૈ’ના ભાવની કવિતા રચતો. આ કથયિતવ્ય અને રચનાશૈલી વચ્ચેની વિસંવાદિતા એની વિડમ્બનાને વધુ તીવ્ર બનાવવામાં ઉપકારક થઈ પડતી. આપણા કવિએ સંસ્કૃત વૃત્ત કે માત્રામેળ છન્દોરચનાનો આશ્રય લીધો નથી. સીધાં વિધાન કરવામાં જે અન્વય વપરાતો હોય તેવા અન્વય સાથે ઝાઝાં અડપલાં કર્યા વિના ગદ્યને અહીં પ્રયોજ્યું છે. આમ ગદ્યની ભંગીને જાણીકરીને સ્વીકારીને છન્દના ઉપયોગ માત્રને કારણે આવી જતી આભાસી ‘કવિતાઈ’ પણ કવિએ ટાળી છે. આમ કરવાથી છન્દ જે કાંઈ સાધી આપે તે જાણીકરીને જતું કરી એ બધું ગદ્ય પાસેથી જ કઢાવવાનો કવિએ પ્રયત્ન કર્યો છે. આ ગદ્યરીતિના ઉપયોગમાં ભયસ્થાનો ઘણાં છે: વાગાડમ્બર, શબ્દાળુતા, કાવ્ય રૂપે પરિણમે નહીં એવી સામગ્રીને કાવ્યમાં ઘસડી આણવાનો લોભ – નાનાલાલે આ ભયસ્થાનો તરફ આંગળી ચીંધી જ છે. ગદ્યરીતિને નવા સામર્થ્યથી પ્રયોજવાનો સમય હવે આવી લાગ્યો છે.

આ કાવ્યનું શીર્ષક હોઈ શકે? કાવ્યનો ‘વિષય’ એક વિશિષ્ટ પ્રકારનું વાતાવરણ છે. વાતાવરણ જેવું અગ્રાહ્ય ને છતાં જીવનપ્રદ બીજું શું હોઈ શકે? પણ એને મૂર્ત કરવું અઘરું છે. કાવ્યરચનાના આ તબક્કે કવિ કાવ્યનિમિર્તિની નવી નવી શક્યતાઓ ચકાસી જોવા રચના કરે એ ઘણું સારું ચિહ્ન છે. ગુલામમોહમ્મદ શેખ બે માધ્યમને સફળતાથી વાપરનાર સવ્યસાચી કળાકાર છે. એઓ ચિત્રકાર છે. આથી ચિત્રકાર જે રીતે રંગ અને રેખા પ્રયોજે, તે રીતે ભાષાને પ્રયોજવાનું એમનું વલણ આપણી કાવ્યરચનાની રીતિઓમાં એક મહત્ત્વનું પ્રદાન કરશે. કાવ્ય એટલે ભાષાઓની નવી નવી શક્તિઓનો આવિષ્કાર – આ દૃષ્ટિ જેમ જેમ વિકસતી જશે તેમ તેમ આપણું કાવ્યસાહિત્ય નવી દિશામાં પગલાં માંડીને આજ સુધીમાં નહીં મેળવેલી સમૃદ્ધિની એંધાણી આપશે. લલિત કળાઓ અને સાહિત્ય વચ્ચેનો સમ્પર્ક વધુ ઘનિષ્ઠ થશે તો એ બંનેને એકસરખો ઉપકારક નીવડશે અને આપણી રસાનુભૂતિનાં પરિમાણો પણ વિસ્તરશે. (ગુજરાતી કવિતાનો આસ્વાદ)