અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયદેવ શુક્લ/સ્મરણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સ્મરણ

જયદેવ શુક્લ

ધૂળથી છવાયેલા
ને
કાટથી વસાયેલા કાતરિયામાં
અચાનક રણકી ઊઠ્યો
રત્નજડિત ને રત્નખચિત ચરુ!
દાદીમાની નેહભીની આંખ વિનાનાં
ઝાંખ વળેલાં ચશ્માં
તાકી રહ્યાં.

પિતાજીના ચન્દનવરણા ટીપણામાં સચવાયેલાં
ઘડી, પળ, પ્રહર, ચોઘડિયાં, નક્ષત્રો
ખરી પડ્યાં
ને ખર્યું
આશકાનું ભસ્માંકિત બીલીપત્ર.
માએ બનાવી આપેલો
ગાભાનો દડો
દડી પડ્યો હાથમાંથી.

પોથીનાં ફાટી ગયેલાં સોનેરી પૃષ્ઠો પરથી
મંત્રો આમ્રમંજરીની જેમ રણક્યા.

તૂટેલા અરીસામાં સચવાયેલો
બાળકનો અશ્રુભીનો ચહેરો
તાકી રહ્યો અપલક.
તપખીરની ડબ્બીમાં દબાયેલી છીંકો
એકસામટી જાગી.

વાચનમાળામાં સાચવીને મૂકેલો
સોનામહોર જેવો તડકો
વળગી પડ્યો.

તાંબાનાં આચમની, પવાલું ને ત્રભાણમાં
રણકતો ને રેલાતો
સંધ્યાવંદનનો સંકલ્પ
હોઠ પર ફરફર્યો વર્ષો પછી.
સિગારેટનાં ખોખાંની ચાંદીના ચન્દ્રમાંથી
હરણ કૂદ્યું….
ફાળ ભરતું દોડ્યું…
ફાળ ભરતા હરણની ખરીમાંથી
રત્નો ખરતાં રહ્યાં…
બોદું બોદું હસતી કોડી
તાકી રહી નિ :સહાય…



આસ્વાદ: સર્જકનાં સુવર્ણમંડિત સ્મૃતિસ્તૂપો… – રાધેશ્યામ શર્મા

પૂર્વજલક્ષી કૃતિની પ્રક્રિયા સાથે સાથે કોહવાટના–ડિકેના વ્યાપક પ્રવેશને કળાત્મક રીતિએ વ્યક્ત કરતાં વિરલ કાવ્યોમાં ‘સ્મરણ’ અવિસ્મરણીય.

સ્મરણ શબ્દમાં દૂરવર્તી સંકેત, મરણ શરણ થયેલાં સ્વજનોને ઊંડળમાં લેવાનો પ્રયોગ ડોકાય.

કાવ્યનો પ્રારમ્ભ, ક્ષીણ થતી જતી વાસ્તવિકતાનો પ્રગાઢ અહેસાસ કરાવે છે:

‘ધૂળથી છવાયેલા / ને / કાટથી વસાયેલા કાતરિયામાં / અચાનક રણકી ઊઠ્યો / રત્નજડિત ને રત્નખચિત ચરુ!’

ધૂળ–કાટના પરિવેશમાં આકસ્મિકપણે અચાનક રત્નજડિત ને રત્નખચિત ચરુ રણકી ઊઠે છે – કાવ્યનાયકના બિન-અંગત કથનમાં.

‘ને’ શબ્દનાં આવર્તન જુઓ: ધૂળ અને કાટને ભારપૂર્વક ‘ને’ સાંકળે છે.

રત્નજડિત તથા રણખચિત શબ્દ વચ્ચે પણ ‘ને’નું વજન અનુભવાશે. કાટથી વસાયેલા, એટલે કે કહોવાટાયેલ કાટથી તાળાબંધ થયેલ કાતરિયા પર કવિનો કૅમેરા ફર્યો છે.

‘કાતરિયામાં’નું કાતરિયુંનો અર્થ તો ઉત્તર ગુજરાતમાં પ્રચલિત છે ‘લાકડાનું એક બેધારું અસ્ત્ર’, સાર્થ જોડણીકોશ પ્રમાણે છેક છાપરાની નીચેનો નીચો મેડો…આવા શબ્દો પણ અત્યારના માહોલમાં લુપ્ત થવા માંડ્યા છે.

આવા કાતરિયામાં રણકી ઊઠેલ ચરુ કાંઈ રત્નજડિત કે રત્નખચિત હોઈ શકે?!

ભાવક જેવો ચરુમાં ડોકિયું કરવા જાય તો શું ભળાય? ‘દાદીમાની નેહભીની આંખ ઝાંખપ ભર્યાં ચશ્માં – જે તાકી રહ્યાં છે. ઝાંખપભર્યાં ચશ્માં પદાર્થ છે, દાદીમા નથી, નેહભીની આંખ તો ક્યાંથી હોય?’

પિતાશ્રીને પરિલક્ષિત, પ્રત્યક્ષ રૂપે રજૂ કર્યા હોત તો રચના ધારી ઊંચાઈએ ના જાત.

જેઓને પરોક્ષ પ્રિય માન્યા છે, અહીં ‘પિતૃદેવો ભવ’ મંત્રનો રણકાર પર્ણપતનની રીતિએ પામીએ છીએ: ચન્દનવરણા ટીપણામાં સચવાયેલાં ઘડી, પળ, પ્રહર, ચોઘડિયાં, નક્ષત્રો ખરી પડ્યાં ને ખર્યું –

‘આશકાનું ભસ્માંકિત બીલીપત્ર’

આ ભાવક તો મનના ગભારામાં ગુંજવા લાગ્યો, ત્ર્યંબકમ્ યજામહે…

ટીપણું સુવર્ણ સમું ચન્દનવરણું પણ એની સાથે જ જોડાયું છે જાણે ચિતાભસ્માંકિત આશકાનું બીલીપત્ર.

કાવ્યનાયક નહીં કહી શકે ‘મેરી પાસ માઁ હૈ’ ક્રીડનક દડો જે માતાએ બનાવી આપેલો તે ભલે ગાભાનો હતોપણ આ ઘડીએ હાથમાંથી દડી પડ્યો!’

(સત્યજિત રેના ‘પથેર પાંચાલી’માં લોટો દડી જવાનું દૃશ્ય અલપઝલપ પલકારામાં ઝબૂકી ઊડી ગયું!)

‘માતૃ દેવો ભવ’ આરાધના બાદ પુનઃ પિતાજી જર્જરિત પોથી સ્વરૂપે સોનેરી પૃષ્ઠો પરના મંત્રોચ્ચારમાં રણક્યા ‘આમ્રમંજરીની જેમ’.

દાદીમા, પિતાજી, માવિહોણું બાળક જાણે અ–નાથ થઈ ચૂક્યું. તે અપલક સ્તબ્ધ થઈ રહ્યું. તૂટેલો અરીસો શિશુના હૃદયભંજનનું પ્રતીક લાગે. પંક્તિની માવજત સ્ફટીકઘન: ‘તૂટેલા અરીસામાં સચવાયેલો બાળકનો અશ્રુભીનો ચહેરો તાકી રહ્યો અપલક.’

(ગોદાર્દનો ‘ફોર હન્ડ્રેડ બ્લોઝ’નો ફ્રીજ થયેલો શિશુ હીરો ડોકિયું કરી ગયો, હાલપૂરતો)

ફરી પાછો વારો આવ્યો, દાદીમાનો–આ ઑડિયો વિઝુઅલ લસરકામાં: ‘તપખીરની ડબ્બીમાં દબાયેલી છીંકો એકસામટી જાગી.’

રત્ન-ચંદન–સુવર્ણ–સોનામહોર વ્યતીતરાગ, નૉસ્ટેલ્જિઆના પ્રચ્છન્ન પ્રમાણ છે. કવિ–નાયકનું ફિક્સેશન પણ ગમી જાય: ‘વાચનમાળામાં સાચવીને મૂકેલો સોનામહોર જેવો તડકો વળગી પડ્યો.’ (કહો કે દડો દડી પડ્યો ને તડકો વળગી પડ્યો!)

રત્ન–સુવર્ણનો રણકાર રેલાઈને તાંબાનાં પાત્રો સુધી પ્રસર્યો છે: ‘તાંબાનાં આચમની, પવાલું ને ત્રભાણમાં રણકતો ન રેલાતો / (સંરચનામાં પૂરી કૃતિ ખાતેના ‘ને’ ગણી જોવા). ‘સન્ધ્યાવન્દનનો સંકલ્પ / હોઠ પર ફરક્યો વર્ષો પછી.’ – પંક્તિનો મર્મ શો? પિતૃચેતના–વર્ષો પછી નાયકના હોઠ પર ફરફરાટ દ્વારા પ્રાણમૂર્તિની પ્રતિષ્ઠામાં પરિણમી!

માતૃપિતૃ કથાપુરાણની પૂર્ણાહુતિ એક અજીબોગરીબ વિસ્મય વળાંકથી સંપન્ન થઈ છે.

નાયકના (કે પિતાના?!) ‘સિગારેટના ખોખાંની ચાંદીના ચન્દ્રમાંથી હરણ કૂદ્યું.’ પૌરાણિક સંનિવેશમાંથી મારેલો લૉન્ગજમ્પ ભાવકને પણ ફાળ ભરી દોડવાનું મન કરે ત્યાં તો વર્ણન ‘હરણની ખરીમાંથી રત્નો’ ખરતાં દર્શાવે છે.

આરમ્ભે રત્નજડિત–ખચિત ચરુનો રણકાર ને ઝણકાર, કૃતિના અન્તે સક્યુલર વર્તુળાકાર સર્જે છે જરૂર, પરન્તુ એવો વિનિયોગ ટ્રૅજિક સ્ટ્રોક તરીકે કરવાનું કૌશલ્ય અનોખું છે:

બોદું બોદું હસતી કોડી તાકી રહી નિઃસહાય.

સુવર્ણા રણકાર ઊડી ગયા, કોડી હસે છે પણ બોદું બોદું અને હવે પૂર્વવત્ અપલક તાકી રહે છે તોય તે સમગ્ર પરિસ્થિતિ વચ્ચે નિતાન્ત નિઃસહાય છે.

ક્ષયિષ્ણુ વાસ્તવને કાવ્ય–આકૃતિમાં ભલે ફ્રેમ કર્યું, પરંતુ સર્જક જયદેવ શુક્લે કવિતાનો આનન્દ સિદ્ધ કરી કોહવાટ સામે યુદ્ધ માંડ્યું છે.

બ્રિટીશ લેખક બ્રીઆન અલડીસ્સનું નિરીક્ષણ યથાર્થ છે:

‘ઑલ આર્ટ ઇઝ અ ફાઇટ અગેન્સ્ટ ડિકે.’ (રચનાને રસ્તે)