અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નલિન રાવળ/સિંહ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સિંહ

નલિન રાવળ

તારક તગી અંધાર ઘૂંટી રાત્રિનું આકાશ
         એની
         આંખમાં આબદ્ધ
તીખી સ્થિર બે તેજે ચમકતી કીકીઓમાં ઘૂમતું નક્ષત્રમંડળ
         આભ પ્હોળાં વેગીલાં વર્તુળ
લેતો ઘુર્ઘુરાટી ઘૂંટતો એ આવતો અ વકાશ-વનની બ્હાર
                  ઊભો
         યાળ ઊછળે સાત સાગર પાર
વીંઝી કાય વહ્‌નિઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી
                  કૂદ્યો
તોતિંગ નગરો પ્હાડ જંગલ ત્રાડ પર તોળી
છલંગે ખલ્ક જંગી સોંસરું વીંધી
ત્વરામાં ત્રાડતો ઊંડા ગહન અકાશ-વનમાં લુપ્ત
         તગંતાં રક્તમાં મારા
                  તગંતાં
સિંહ પગલાં... સિંહ પગલાં... સિંહ પગલાં...



આસ્વાદ: – હસિત બૂચ

ઓજસ્વી સુરેખા વર્ણનકલા અને એથી પણ વધુ બળભર્યું સૌંદર્યશીલ સુવિકસિત કલ્પન, આ રચના એ પ્રકારે મનમાં દૃઢ છાપ સર્જે એમ છે. આ સિંહ, શીર્ષકથી ઠેઠ છેલ્લી લીટી લગી છવાયો છે; છતાં એની ચિત્રણાની વીગતે વીગતે જે અર્થ-સંકેત, દ્યોતન છે, તે કૃતિના વાતાવરણનું વૈશિષ્ટ્ય બને છે. ભાવક એ સૂચકતા સુવાંગ પ્રતીત કરે છે. એમાં જો વર્ણનનો શબ્દે શબ્દ સહાયક થાય છે. ‘તારક તગી’–‘અંધારઘૂંટી’–આભ પહોળાં જેવા સમાસ-પ્રયોગો અને ‘સિંહ પગલાં… સિંહ પગલાં… સિંહ પગલાં’ શી પુનરાવર્તનયોજના પ્રભાવકર નીવડે છે, તો દાદાલદા બીજના હરિગીતની અર્થભાવપોષક અભ્યસ્ત–પરંપરિત માવજત પણ ખાસ્સી મદદરૂપ નીવડે છે. એ જ રીતે અનાયાસવત્ વર્ણલીલા ચિત્રાંકનને ઉઠાવ અર્પીને વધુમાં લયની ગતિને ય ઠસ્સો આપતાં વાતાવરણને તાદૃશ કરી આપે છે. આમ કવિકર્મ સમગ્રપણે રચનાને સુશ્લિષ્ટ દૃઢતા આપી કલ્પન સિંહની ઊંડી કોઈ સાંકેતિકતાને કળાવ્યા કરે છે.

આરંભાતા દૃશ્યની તાદૃશતા જીવંત ઉપાડ લાવે છેઃ તારાઓથી તગતી, અંધારે ઘુંટાયેલી રાત્રિનું આકાશ ‘એની આંખમાં આબધ્ધ’, એ ચિત્રમાં ‘આબધ્ધ’ પ્રયોગ સાર્થક પૂરેપૂરો કહેવાય.

‘તીખી સ્થિર’ એવી ચમકતી એની એ કીકીઓમાં નક્ષત્રમંડળ ઘૂમતું વર્ણવી કવિ ઉપાડની છબીને ઘૂંટે છે. કવિતામાં વર્ણનની ઘેરાશ ઉપકારક, તે અહીં સ્પષ્ટ થાય એમ છે, આ આંખો-કીકીઓમાં આખું રાત્રિપ્રકાશ અને નક્ષત્રમંડળ ઝીલતો સિંહ ‘અવકાશ-વનની બ્હાર’ આવતો વર્ણવાય, ‘ઘૂર્ઘુરાટી ઘૂંટતો’ પ્રત્યક્ષ કરાય, ‘આભાહોળાં વેગીલાં વર્તુળ લેતો’ આલેખાય, એમાં વર્ણનપ્રભુત્વ જ નહિ, કશુંક વધુ ભવ્યોદાત્ત પણ કળાયા કરે છે. આમ આવતો, અવકાશવનની બહાર નીસરતો સિંહ, ‘ઊભો’–એ એક જ શબ્દ ભારે સુરેખ પ્રબલ થયો છે. એની યાળ ‘સાત સાગર પાર’ ઊછળે છે. સ્પષ્ટ પમાતું રહે છે, કે સિંહનું કલ્પન તો ઇંગિતે જ છે, કાંઈક તેજોમય-બળઐશ્વર્યસજ્જ ચૈતન્યભરપૂર અનંતવ્યાપી તત્ત્વ, કોઈ પરમ સ્ફૂર્તિશીલ ભવ્ય તત્ત્વ. એ ય યાદ આવી જાય, કે ઉમાશંકરરચિત ‘નિશીથ’ સમું વસ્તુ, છતાં કલ્પન ભિન્ન નવું અને તેથી વાતાવરણ-વર્ણનભૂ પણ ભિન્ન, નૂતન અહીં સફળ અભિવ્યક્તિ વર્યું છે. વિરાટ તત્ત્વને સિંહરૂપે કલ્પીને કવિકર્મ અહીં વીગતે વીગતે વિકસ્યું છે. ‘નિશીથ’થી લયલીલા અને રચનાતરીકો પણ અહીં નોખાં રહે છે.

‘ઊભો’ અને બીજી જ ક્ષણે જાણે, ‘કૂદ્યો’; તે, ‘વીંઝી કાય વહિનઝાળ જેવી, ન્હોરથી અંધાર ઊતરડી.’ આખું ચિત્ર શબ્દમાંના પ્રાણને ધબકાવતું થયું. વહિન-અગ્નિની ઝાળ જેવી કાયા. ‘અંધાર.’ ‘ઘૂંટી’ રાતના અંધકારને ન્હોર વડે ઊતરડીને ‘કૂદ્યો’ એ સિંહ, સહજ આપણી નૃસિંહાવતારની વિભાવનાનું સ્મરણ પ્રેરીને કાવ્યના નાવીન્યને ભાવકચિત્ત પર દૃઢ સ્થાપે છે. ‘તોતિંગ નગરો, પ્હાડ, જંગલ’ આ સિંહની ત્રાડ પર તોળાયાનું આલેખન કાવ્યની વર્ણનરીતિની સબળતા, સજીવતામાં પૂર્તિ કરનારું થયું લાગશે. સમગ્ર સંસ્કૃતિ-પ્રકૃતિને પ્રચંડ ત્રાડ પર તોળાતો, ‘ખલ્ક જંગી’ સોંસરું વીંધીને ઝડપથી ‘ઊંડા’ ગહન અવકાશ-વનમાં’ અદૃશ્ય લુપ્ત થતો સિંહ! વિરાટ અકળ તત્ત્વની આવી તીવ્ર ગોચરતા યા આવી તાદૃશ માનસિક અનુભૂતિ કંઈ લાંબી હોઈ શકે નહિ; એ તો ઝડપથી અનુભવમાં અંકાઈ-છપાઈને એવી જ ઝડપે સરી જતી હોય છે. એમાં જ એની ચરિતાર્થતા કે સચ્ચાઈ યા ગહરાઈ હોય છે. વસ્તુતઃ એ સરી ગયાનો તો આભાસ હોય છે. એ ઊંડે મુદ્રાઈ જાય છે. એ મુદ્રા કલા-કાવ્યરૂપે યત્કિંચિત્ પણ પ્રત્યક્ષ રહે, ત્યાં અન્યનું યે સુભાગ્ય.

આ રચના ભાવકનું એવું સુભાગ્ય નીવડે છે. તેથી જ, ‘તગતાં રક્તમાં મારા/તરંતાં/સિંહપગલાં… સિંહપગલાં… સિંહપગલાં…’ની ધમક અને ઝળક ભાવકના મનોજગતમાં યે જીવંત થઈ ઊઠે છે અને સંભારતાં તાજી રહે છે. છેલ્લી લીટી યથાર્થ એ સંસ્કારવીચિની સતતતાને ચિત્રિત કરી લે છે. રચનાનો વેગ, ચિત્રવૈભવ, લયમિજાજ, ધ્વનિ, સળંગ પોતાની ઘન અને સુભગ છટા દાખવીને, સમગ્ર અપીલને જમાવે છે. ‘ત્વરામાં’નું સ્થાન, ‘ઊંડા ગહન એ’ યોજના, ‘ત્રાડ’–‘ત્રાડતો’ની લખાવટ સમી કંઈક શિથિલ રચનાવીગતો ખયાલે ય ન ચડે એવી આ કૃતિની સમગ્ર પ્રભાવક અપીલ છે. (‘ક્ષણો ચિરંજીવી'માંથી)