અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિરંજન ભગત/આષાઢ આયો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
આષાઢ આયો

નિરંજન ભગત

         રે આજ આષાઢ આયો,
મેં નેણનાં નીરમાં મનનો તે માઢ ગાયો!

         દૂરને દખ્ખણ મીટ માંડીને
                  મોરલે નાંખી ટ્હેલ,
         વાદળી સાગરસેજ છાંડીને
                  વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો!

         મેઘવીણાને કોમલ તારે
                  મેલ્યાં વીજલ નૂર,
         મેહુલાએ ત્યાં જલની ધારે
                  રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને રંગ રંગઉમંગ ન માયો!

         જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
                  સંસાર મ્હાલ્યો સંગ,
         અલકાથી હું દૂર, તે સાલ્યો
                  મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો!

         આપણે રે પ્રિય, સામસામે તીર,
                  ક્યારેય નહીં મિલાપ;
         ગાે જીવનજમુનાનાં નીર
                  વિરહનો જ વિલાપ?
રે આયો આષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો!
         બિરહમાં બાઢ લાયો!
         એ આજ આષાઢ આયો!

(‘છંદોલય’, બીજી. આ. ૧૯૯૭, પૃ. ૧૨૦-૧૨૧)