અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ન્હાનાલાલ દ. કવિ/વીરની વિદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
વીરની વિદા

ન્હાનાલાલ દ. કવિ

મારા કેસરભીના કન્થ હો!
         સિધાવો જી રણવાટ.

આભ ધ્રૂજે, ધરણી ધમધમે, રાજ!
         ઘેરા ઘોરે શંખનાદ.
દુંદુભિ બોલે મહારાજનાં હો,
         સામંતના જયવાદ :
મારા કેસરભીના કન્થ હો!

આંગણ રણધ્વજ રોપિયો હો!
         કુંજર ડોલે દ્વાર :
બન્દીજનોની બિરદાવલિ હો
         ગાજે ગઢ મોઝાર :
મારા કેસરભીના કન્થ હો!

પુર પડે, દેશ ડૂલતા, હો!
         ડગમગતી મ્હોલાત :
કીર્તિ કેરી કારમી, રાજ!
         એક અખંડિત ભાત :
મ્હારા કેસરભીના કન્થ હો!

નાથ, ચડો રણઘોડલે રે,
         હું ઘેર રહી ગૂંથીશ :
બખ્તર વજ્રની સાંકળી હો!
         ભર રણમાં પાઠવીશ :
મ્હારા કેસરભીના કન્થ હો!

સંગ લેશો તો સાજ સજું, હો!
         માથે ધરું રણમ્હોડ :
ખડ્ગને માંડવ ખેલવાં,
         મારે રણલીલાના કોડ!
મારા કેસરભીના કન્થ હો!

આવતાં ઝીલીશ બાણને, હો!
         ઢાલે વાળીશ ઘાવ :
ઢાલ ફૂટ્યે, મારા ઉરમાં રાજ!
         ઝીલીશ દુશ્મનદાવ :
મારા કેસરભીના કન્થ હો!

એક વાટ રણવાસની રે,
         બીજી સિંહાસન વાટ :
ત્રીજી વાટ શોણિતની સરિતે
         હો! શૂરના સ્નાનનો ઘાટ :
મારા કેસરભીના કન્થ હો!

જયકલગીએ વળજો, પ્રીતમ,
         ભીંજશું ફાગે ચીર :
નહીં તો વીરને આશ્રમ મળશું
         હો! સુરગંગાને તીર :
મારા કેસરભીના કન્થ હો!

રાજમુગટ! રણરાજવી હો!
         રણઘેલા રણધીર :
અધીરો ઘોડલો થનગને, નાથ!
         વાધો, રણે મહાવીર!
મારા કેસરભીના કન્થ હો!
         સિધાવો જી રણવાટ!

(કેટલાંક કાવ્યો, ભા. ૨, ત્રીજી આ. ૧૯૯૬, પૃ. ૫૮-૬૦)



આસ્વાદ - સુરેશ હ. જોષી

ને બીજી તે ‘કાઠિયાણીનું ગીત’માંની કાઠિયાણી. આ કાવ્યમાં નાયિકાનો કેસરભીનો કંથ હજુ તો રણાંગણમાં જવાનો છે; પણ એ કાઠિયાણીનો સાવજશૂરો કંથ તો રણાંગણમાં જ છે. વિપ્રલમ્ભ શૃંગારને વીર રસથી શબલિત કરીને આટલો આસ્વાદ્ય બનાવી મૂકતું બીજું કોઈ કાવ્ય ભાગ્યે જ મળી આવશે. એ કાઠિયાણીને હાથે પણ હેમત્રિશૂળ છે.

આ જવાંમર્દી ને સમર્પણની ભાવના મધ્યકાલીન રાજપુત યુગના પરિવેશમાં મૂકીને બિરદાવવાનું આપણા કવિઓ અને વાર્તાકારોને ગમ્યું છે. બ.ક. ઠાકોરને પણ મહાકાવ્ય રચવાનો પ્રયત્ન કરવાનું મન થયું, ત્યારે આમ જ રાજપૂત યુવકને રણાંગણમાં વદાય કરી દીધો. મુનશી અને ધૂમકેતુની ભાવનાસૃષ્ટિ તો આજે આપણને સૌને પરિચિત છે. જવાંમર્દી ને સમર્પણની ભાવના આજેય આપણામાં છે. પણ જમાને જમાને એના આવિષ્કારના પ્રકારો બદલાતા રહે છે. છેક અભિમન્યુ-ઉત્તરાને યાદ કરીને આપણા કવિએ નવોઢા ઉત્તરા પાસે ગવડાવ્યું હતું જ ને કે,

મને જુદ્ધે ચઢવાના કોડ રે બાળારાજા રે!

નાનાલાલની આ નાયિકા પણ એ ઉત્તરાની જ સગોત્ર લાગે છે. ગૃહજીવનની અધિષ્ઠાત્રી નારી, અનેક પુરુષાર્થો આચરવાને ઘરની સીમા ઓળંગીને બહાર નીકળી જતા પુરુષને પોતાના આગવા આકર્ષણબળે ફરી ઘરમાં લાવીને, પોતાને અધીન કરીને રાખે ને એ રીતે વિજયી પુરુષ ઉપર પણ પોતાનો વિજય ફરી ફરી સિદ્ધ કરવામાં નારીજીવનની સાર્થકતા જુએ, એ તો બહુ જાણીતી વસ્તુ છે. પણ શૃંગાર એ અંગત રીતે માણવાનો રસ છે જ્યારે વીરને પ્રકટ થવાને માટે વ્યાપક ફલકની અપેક્ષા રહે છે. વીરની આ વ્યાપકતાને સ્વીકારીને કાવ્યની નાયિકા આપણો આદર જીતી લે છે.

યુદ્ધની ભયાનકતાની ને વીરોનાં પરાક્રમોની વાત અતિશયોક્તિ રૂપે એણે ઘરમાં બેઠાં બેઠાં સાંભળી છે. આજે એ યુદ્ધ આંગણે આવીને ઊભું છે. કાવ્યની શરૂઆતથી જ વદાયની કરુણતા ઉપર વીરત્વના ઉત્સાહનો વિજય પ્રકટ થાય છે. નાયકનાયિકા પરણ્યાં ત્યારે જે સમારોહ રચાયેલો તેની જ યાદ આપે એવું વર્ણન કવિએ નાયિકા પાસે કરાવ્યું છે. ને એ રીતે પોતાને જેનો પ્રત્યક્ષ અનુભવ નથી તેવા વીરનું પોતાને સુપરિચિત એવા શૃંગારની પરિભાષામાં વર્ણન કરવાથી વીરની આસ્વાદ્યતામાં નવી જ છટા ભળે છે.

શરૂઆતનું સમ્બોધન જ કાવ્યની ભાવભૂમિકા પળવારમાં રચી દે છે. ‘કેસરભીના કંથ’થી જે કહેવાયું તે એને મળતા સંસ્કૃત શબ્દોથી ન કહેવાયું હોત. ખપી જવાની તમન્નાને કેસરી રંગ સાથે અધ્યાસથી જોડીને, ‘ભીના’ શબ્દ ઉમેરીને એથી તરબતર થઈ ગયાનો, રગેરગમાં એ તમન્ના વ્યાપી ગયાની ઉત્કટતાનો અર્થ કવિએ સમર્થ રીતે પ્રકટ કર્યો છે. એની સાથે જ કદાચ નાયિકાના મનમાં એ જ કંથ સાથે હોળી રમતાં કેસરથી એનાં ચીર ભીંજવ્યાની સ્મૃતિ પણ સંકળાયેલી હશે. આમ વીરમાં સૂક્ષ્મ રીતે ભળતી શૃંગારની છાંટ શરૂથી જ આપણને દેખાય છે.

ઘરમાં બેઠાં બેઠાં દૂર ચાલતા કલ્પનાથી જોયેલા યુદ્ધનું વર્ણન નાયિકા કરે છે ત્યારે એમાં સહજ જ અતિશયોક્તિ આવી જાય છે. પણ એનો વીર પતિ કાંઈ જેવા તેવા યુદ્ધમાં ઝૂઝવા થોડો જ જતો હશે! એ યુદ્ધ તો એવું ભીષણ કે એમાં ‘આભ ધ્રૂજે, ધરણી ધમધમે’ છે. પતિ માટેના પ્રેમે જ આ અતિશયોક્તિ કરાવી છે, ને તેથી આપણને પણ એ ગમે છે. એની પછીની પંક્તિમાં તો આપણે તરત ઘરનાં બારણાં સુધી આવી પહોંચીને, યુદ્ધને માટેના પ્રયાણના ઉત્સાહભર્યા સમારોહમાં જોડાઈ જઈએ છીએ. એ સમારોહનું લગ્નમણ્ડપના જેવું વર્ણન નાયિકા પાસે કરાવીને, માત્ર બે જ પંક્તિમાં વીર રસને અનુકૂળ ભૂમિકા કવિ સરજી આપે છે:

આંગણ રણધ્વજ રોપિયા રાજ!
કુંજર ડોલે દ્વાર,
બન્દીજનોની બિરદાવલી હો!
ગાજે ગઢ મોઝાર.

અપદ્યાગદ્યમાં આડમ્બરી વિસ્તાર કરીને શબ્દાળુતામાં સરી પડનાર નાનાલાલ ધારે ત્યારે સંક્ષેપમાં ઘણું સિદ્ધ કરી શકે છે, એની કાંઈ ના થોડી જ કહેવાશે!

પછીની બે પંક્તિઓમાં પણ નાયિકા યુદ્ધની દિશામાં, ઘરની બહાર મીટ માંડીને કલ્પનાથી જોતી જોતી વીરત્વનો મહિમા ભાવાવેશથી ઉચ્ચારે છે. કેટલાંય યુદ્ધો થયાં ને થશે, કેટલાંય નગરો ભાંગ્યાં ને દેશ સુધ્ધાં ડૂલી ગયા. પણ આ બધાં ખંડેરની વચ્ચે અખણ્ડિત એવી એક વસ્તુ છે ને તે વીરના વીરત્વનો મહિમા. એ કારમી કીતિર્ની ભાત અખણ્ડ છે. એ કારમી છે કારણ કે એને માથા સાટે પામવાની હોય છે.

ને અત્યન્ત ઉચિત રીતે, આ વીરની અખણ્ડ કીતિર્ની વાત આવતાંની સાથે જ એની દૃષ્ટિ હવે એના કંથ પર આવીને ઠરે છે. ને પછીની પંક્તિઓ એના કંથને સીધી સમ્બોધેલી છે: ‘નાથ! ચઢો રણઘોડલે…’

પ્રિયતમ રણક્ષેત્રમાં જાય ને પોતે ઘરમાં રહે તો વિયોગ તો થવાનો જ. આ વિયોગ જાણે થવાનો જ નથી એમ પોતાને અને પોતાના પ્રિયતમને મનાવવાનો એ સૌથી પ્રથમ પ્રયત્ન કરે છે. જો પ્રિયતમ યુદ્ધમાં ઝૂઝશે તો એ પણ ઘરમાં બેઠી બેઠી વજ્રની સાંકળીથી બખતર ગૂંથશે. આ કાર્યની એકતા વિયોગને દૂર કરશે. પોતાના પતિને માટેનો એનો પ્રેમ એ જ રક્ષાકવચ જેવો છે, તે આ બખતર ગૂંથવાની વાત કહીને સૂચવી દીધું છે.

પણ એટલેથી એનું મન માનતું નથી. આથી પેલી ઉત્તરાની જેમ આ નાયિકા પણ પ્રિયતમની સાથે યુદ્ધક્ષેત્રમાં જવાની અનુજ્ઞા માગે છે ને એ કહેવામાં એ કેવી તો ઉત્સાહઘેલી બની જાય છે! એને ખરેખર પોતાનો લગ્નદિવસ યાદ આવી જાય છે ને તરત જ સ્ત્રીસહજ રીતે એ શણગારની વાત યાદ કરે છે.

સંગ લિયો તો સાજ સજું રાજ!
માથે ધરું રણમોડ,
ખડ્ગને માંડવ ખેલવા હો!
મારે રણલીલાના કોડ.

પ્રણયલીલા તો સાથે રહીને માણી છે તો હવે પતિના સહચારમાં રણલીલા માણવાના કોડ પણ શા માટે અધૂરા રહે? ને કોડ પૂરા કરે તે કંથ. આ પંક્તિમાં ‘ખડ્ગને માંડવ’ એ અત્યન્ત સમર્થ શબ્દપ્રયોગ છે. એથી પેલો ‘લગ્નમણ્ડપ’ તો સૂચવાય જ છે પણ સાથે સાથે યુદ્ધની ભીષણતા ને વીરત્વનો ઉત્સાહ પણ પ્રકટ થાય છે.

યુદ્ધમાં પણ એ સહચારિણી બનીને રહેશે. યુદ્ધ શા માટે છે, દુશ્મનો કેવા દુષ્ટ છે એ બધી જંજાળમાં આ પિયુઘેલી નારીને પડવું નથી. ચારે બાજુના યુદ્ધના ઘમસાણ વચ્ચે એની દૃષ્ટિનું કેન્દ્ર તો છે એનો કંથ. એના તરફ તાકેલાં તીર એ પોતાના હાથમાં ઝાલી લેશે, ઢાલથી ઘા પાછા વાળશે ને ઢાલ નહિ રહે તો પોતે ઢાલ રૂપ બનીને ખપી જશે. પતિપ્રેમની આ કેવી બુલંદ ઉચ્ચારણા છે! યુદ્ધના તુમુલ ધ્વનિને ભેદીને આપણા કાનમાં તો આ પ્રેમની બુલંદ ઘોષણાના પડઘા જ ગાજ્યા કરે છે:

આવતાં ઝાલીશ બાણને રાજ!
ઢાલે વાળીશ ઘાવ,
ઢાલ ફૂટ્યે મારા ઉરમાં હો!
ઝીલીશ દુશ્મનદાવ.

ને પછી ક્ષાત્ર ધર્મની સંક્ષિપ્ત પણ સચોટ વ્યાખ્યા એ આપી દે છે. સોરઠી દુહાની વેધક સચોટતા આ પંક્તિમાં છે. અત્યન્ત ગર્વપૂર્વક નાયિકા અહીં કહી દે છે કે ક્ષત્રિયની પહેલી વાટ તો રણવાસની, અન્ત:પુરની જ. પછી બાહુપાશમાંથી મુક્તિ મળે ત્યારે પ્રિયતમના ખોળાનું આસન છોડીને સિંહાસન પર બેસવાનું. ને જ્યારે યુદ્ધ આવે ત્યારે તો શોણિતની સરિતા જે ‘શૂરાનો સ્નાનઘાટ’ છે એમાં ઝંપલાવવાનું. યુદ્ધને ‘શૂરાનો સ્નાનઘાટ’ નાનાલાલ જ કહી શકે. આવા કેટલાક સુભગ શબ્દપ્રયોગ માટે ગુજરાતી ભાષા નાનાલાલની સદા ઋણી રહેશે.

પ્રિયતમના વીરત્વમાં નાયિકાને પૂરેપૂરી શ્રદ્ધા છે. આથી એ વિજયલક્ષ્મીને વરીને જયકલગીએ પાછો વળશે જ એમ એ માને છે; ને ત્યારે ફરીથી હોળી ખેલવાના, ફાગથી ચીર ભીંજવવાના એને કોડ છે. પણ તે પહેલાં શોણિતથી હોળી ખેલી લેવાની છે ને કદાચ યુદ્ધમાં જ જો એ ખપી જાય, તો વિયોગ તો રહેવાનો જ નથી, ને ત્યારે ઘડીનો પણ વિલમ્બ કર્યા વિના નાયિકા સ્વર્ગમાં વીરોના આશ્રમમાં પતિને જઈ મળશે:

નહીં તો વીરને આશ્રમ મળશું હો!
સુરગંગાને તીર.

પૂરી સ્વસ્થતાથી અને દૃઢ નિશ્ચયથી ઉચ્ચારાયેલી આ ઉક્તિનું બળ વરતાયા વગર રહેતું નથી.

રણાંગણમાં જવાની ઘડી આવી ગઈ છે, હવે ઝાઝું બોલવાકરવાનો અવકાશ નથી; છેલ્લી બે પંક્તિમાં આથી સહેજ આવેગથી સ્ખલિત અને કંઈક અસમ્બદ્ધ એવી વાણી નાયિકા ઉચ્ચારે છે. અહીં કવિ ‘ર’કારની રમઝટ મચાવે છે ને અધીરા થનગનતા ઘોડાનું છેલ્લું ચિત્ર આપણી સમક્ષ આંકીને કાવ્ય પૂરું કરે છે:

રાજમુગટ! રણરાજવી રાજ!
રણઘેલા! રણધીર!
અધીરો ઘોડલો થનગને નાથ!
વાધો રણે મહાવીર.

નાનાલાલ લોકગત (horizontal)ભાવોને સારી રીતે પ્રકટ કરી શકે છે. આ કાવ્યની ભાવના એ લોકસિદ્ધ ભાવના છે ને આ કાવ્યની નાયિકા તે લોકસિદ્ધ પાત્ર છે. અપદ્યાગદ્ય કે છન્દોબદ્ધ રચનાને બદલે લોકગીતોના પ્રચલિત ઢાળમાં તળપદી ભાષામાં આવા ભાવોને આલેખવાનું કવિને વધારે ફાવે છે. કવિએ તળપદી ભાષાની શક્તિ અજબ રીતે ખપમાં લીધી છે. એની મીઠાશને એ બરાબર પારખે છે. માતા જેમ બાળક નજરાઈ ન જાય તે માટે વહાલનાં ટપકાં કરે છે તેમ નાનાલાલ પણ શબ્દોને વહાલનાં ટપકાં કરીને જાણે વધારે પોતીકા બનાવી લે છે. ‘કાન્ત’ શબ્દ આપણાથી જરા છેટો પડી જાય છે, ‘કંથ’ વધારે પોતીકો લાગે છે. આવો હૃદ્ય વિવેક કાવ્યને વધુ આસ્વાદ્ય બનાવે છે.

સમર્પણની ભાવનાના આવિષ્કારનો પ્રકાર બદલાયો હોવા છતાં મધ્યકાલીન રાજપુત પરિવેશમાં રજૂ થતી આ ભાવના કવિના વિશિષ્ટ રચનાકૌશલના બળે આજેય એટલી જ આસ્વાદ્ય બની રહે છે.

‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’