અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પુરુરાજ જોષી/કાળું પતંગિયું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કાળું પતંગિયું

પુરુરાજ જોષી

હમણાં હમણાંનું
રોજ રાત્રે
જગત જંપી ગયું હોય અને
હું મારી જાત સાથે સંવાદ સાધતો હોઉં
એ સમયે
એક પતંગિયું
ક્યાંકથી આવતુંકને
બેસે છે મારા હાથ પર,
ખભા પર,
મસ્તક પર...
એનો અવાજ
હું સાંભાળી શકતો નથી
પણ લાગે છે કે
એ મને કશુંક કહી રહ્યું હોય છે.
આ રેશમી, કાળું, નાજુક પતંગિયું
શું કહેતું હશે મને?
શા માટે એ રોજ રાત્રે આવીને
આટલા વ્હાલથી સ્પર્શતું હશે મને?
પણ
એ આવતું હશે ક્યાંથી?
બારી-બારણાં તો
સમી સાંજનાં ભીડી દીધાં હોય છે.
બારી-બારણાંની
કોઈક તિરાડમાંથી આવતું હશે?
કે પછી
દિવસે ઘરના કોઈક અંધારા ખૂણે
સંતાઈ રહેતું હશે?
અને રાતના એકાંતમાં
થોડી વાર પછી
હું એને ખોળું છું —
ક્યાં ગયું હશે એ?
ઘરના કોઈ ખૂણે, ક્યાંય
એના સગડ મળતા નથી.
છેવટે
એને વિસારે પાડી
કામમાં ગૂંથાઉં છું
ત્યાં
અચાનક
મારી ભીતર
મસૃણ
કશુંક
થરકતું લાગે છે...