અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રદ્યુમ્ન તન્ના/ઘટા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ઘટા

પ્રદ્યુમ્ન તન્ના


માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા
ને તરતી તરલ છાંયમાં તળે
વચવચાળે ઊભરે પરે
તેજના ચટાપટા!
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા.

એટલી નીચી લોલ લળે કાંઈ એટલું ઢળતી જાતી
સાવ અડોઅડ ઊગતા બગની ચાંચ રહે ટકરાતી!
ને ચોગમ તૂટી લડ્યથી સર્યાં
મોતન શાં બુંદ જાય રે ઝર્યાં
લળખ લળખ થતાં!
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા.

આજે કશું નહીં થીર કે મૂગું, કલરવ કૂવા-કાંઠે
હાલકદોલક હેલ્યને બેડે જળ ચડ્યાં શીય વાતે!
ને દૂરના જાંબુલ વંનથી ભીના
લાવતાં આંહીં સૂરને ઝીણા
પવન આવતા જતા!
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા.

સાંકડી આવી શેરી, વચે થઈ સરીએ તે કઈ પેરે?
એક પરે એક ઢળતા ઝરૂખ લોલુપ થઈને હેરે;
આ અંગ ચોંટ્યા ને ઊડતાં સખી
જળ શું ભીનાં ઓઢણ થકી
જોવન થતાં છતાં!
માથે લળૂંબઝળૂંબ લળૂંબઝળૂંબ સરતી સાવનઘટા...



આસ્વાદ: ચાતકને ચાખવું ગમે, તેવું ચોખ્ખું વર્ષાગીત – ઉદયન ઠક્કર

જીવનનો ઉત્તરકાળ જેમણે ઇટાલીમાં વિતાવ્યો એવા પ્રદ્યુમ્ન તન્નાનું આ વર્ષાગીત છે. વાદળીઓ માથે થઈને સરતી જાય છે. ‘સરતી’, ‘તરતી’, અને ‘લળૂંબ ઝળૂંબ લળૂંબ ઝળૂંબ’ શબ્દપ્રયોગો જુઓ. આ ફોટોગ્રાફી નથી, વીડિયોગ્રાફી છે. પ્રથમ ત્રણ પંક્તિ પર ‘ળ’કારનાં છ છાંટણાં કરી, કવિએ જળ વહેવાનો સ્વર જાણે ઝીલ્યો છે. ‘તળે, વચવચાળે, માથે’ — કવિએ સાવનઘટાનું પગથી માથા સુધીનું ચિત્ર દોર્યું છે. ‘તરલ’ યાને ચંચળ. ઉપર સરે વાદળી, નીચે તરે છાયા, તેજના ચટાપટા ચીતરાતા જાય.

વાદળીની જોડજોડે ઊડતા બગલાઓનું લઘુચિત્ર (મિનિએચર પેઇન્ટિંગ) તમે જોયું હશે. બગલાની ચાંચ ટકરાવાથી મોતીની માળ તૂટે અને લળખ લળખ થતાં બુંદ ઝરે. કૂવા–કાંઠે શેનો કલરવ છે? પનિહારીનો? કે વાતે ચડેલા પાણીનો? કવિ કહેતા નથી, જળને બોલવા દે છે. જળ બેડાં પર ચડ્યાં છે અને વાતેય ચડ્યાં છે. ‘જાંબુલ’ એટલે જાંબલી અથવા તો જાંબુનું. કવિ ભાવકની પંચેન્દ્રિયને પંચામૃત ચખાડે છે — ‘જાંબલી’ (દૃષ્ટિ), ‘જાંબુ’ (સ્વાદ), ‘પવન’ (ગંધ), ‘ભીનાં’ (સ્પર્શ) અને, ‘ઝીણા સૂર’ (શ્રુતિ) કાવ્ય સૌ ઇન્દ્રિયોથી માણી શકાય તેવું — સેન્સુયસ બને છે.

છેક છેલ્લા બંધમાં આવીએ ત્યારે સમજાય છે કે આ ગીત એક યુવતીની ઉક્તિ છે. ‘લોલુપ ઝરૂખ’ કહી કવિ ‘વિષયલોલુપ આંખો’ ભણી સંકેત કરે છે. ભીની ઓઢણી અરધી ચોંટેલી હોય અને અરધી ઊડતી હોય એવી ઊડું ઊડું થતી ક્ષણને કવિએ આબાદ ઝીલી છે. યુવતીનું અંગ ઉઘાડું નથી, તો ઢંકાયેલું પણ નથી. ઢાંકી ઢાંકી પ્રકટ કરવું કાર્ય એ છે કલાનું.

કવિની શબ્દપસંદગી જુઓ — મોતી નહીં પણ મોતન, સ્થિર નહીં પણ થીર, હાલકડોલક નહીં પણ હાલકદોલક, વન નહીં પણ વંન, જળથી નહીં પણ જળ સું, જોબન નહીં પણ જોવન. કાવ્યપદાવલિ લલિત, કોમળ અને તળપદી છે.

પ્રદ્યુમ્ન ગ્રાફિક ડિઝાઇનર અને ફોટોગ્રાફર હતા. સિનેમાની ભાષામાં વાત કરીએ તો બગલાની ચાંચ વાદળી સાથે ટકરાવાથી બુંદ ઝરે એ થયો ‘લૉંગ શૉટ’, કૂવાકાંઠે હાલકદોલક હેલ્યને બેડે જળ વાતે ચડે એ થયો ‘મિડ શૉટ’ અને ભીનાં ઓઢણ અંગને ચોંટે એ થયો ‘ક્લોઝ-અપ.’

વર્ષાગીતો તો ઘણાંયે લખાય છે, પરંતુ આવું કાવ્ય જવલ્લે રચાય છે.

(‘આમંત્રણ’)



આસ્વાદ: કૅમેરાની આંખે કંડારેલું કાવ્ય – વિનોદ જોશી

ચિત્રકળા અને તસવીરકળાનો સમન્વય કાવ્યકળામાં નિપજાવતું આ એક રમણીય ગીત છે. કાવ્યની ભાષા સ્વયં એવું સૌંદર્ય ધરાવે છે. કે કાવ્યનો વિષય આપોઆપ તેની સુંદરતામાં ખૂલવા લાગે છે. ઘણી વાર લયનો હિલ્લોળ જ એટલો માદક અને ઊર્મિપ્રચુર હોય કે ભાવકને કોઈ અપૂર્વ ડોલનનો અનુભવ થવા લાગે. અહીં એવું બહુ સ્વાભાવિક રીતે બને છે અને તેથી જ આ કાવ્ય નૈસર્ગિક સૌંદર્યનો આવિર્ભાવ જન્માવે છે. કાવ્યના પ્રારંભે જ આવતી ‘લળુંબ ઝળુંબ’ની દ્વિરુક્તિ કર્ણેન્દ્રિયને સજાગ કરી દે છે શ્રાવણી વાદળોની મંદ મંદ ગતિ તો ખરી જ પણ તેમનું ઘડી ઉપર ઘડી નીચે આવવું-જવું આ કવિને એટલું તો પ્રભાવિત કરી જાય છે કે તેને માટે સહજ સુયોગ્ય લયની પસંદગી થઈ જાય છે. સરકતાં વાદળોની પછવાડેથી સૂર્યનાં કિરણો આવે છે અને તે કવિ ઊભા છે તે સ્થાને જાણે તેજના ચટાપટા ચીતરી જાય છે. એક અપૂર્વ કલ્પન રચી કવિ આ તેજને પણ ‘વચવચાળે ઊભરે પરે’ એમ કહી લયમાં હિલ્લોળે છે ત્યારે કોઈ ચિત્રકારે કે તસવીરકારે આ દૃશ્ય તરફ મીટ માંડી હોય તેમ લાગે છે.

આ ‘સાવન ઘટા’ સાવ નીચી આવીને લળે—ઢળે છે. કેટલું લળે- ઢળે છે એ પ્રશ્નનો જવાબ કવિ વળી પાછું એક સૌંદર્યાત્મક કલ્પન રચીને આપે છે. તેઓ કહે છે:

‘સાવ અડોઅડ ઊડતા બગની ચાંચ રહે ટકરાતી.’

પરસ્પરની ચાંચ ટકરાય એ જ આ પ્રકારના વાતાવરણમાં અનુકૂળ એવી પ્રતિક્રિયા ગણાય. અને કવિ તે બરાબર સમજે છે. આ ભોળાં, ધવલ અને શાંત પંખી બે મનુષ્યની પરસ્પર નિકટતાનો લાક્ષણિક નિર્દેશ પણ કરી જાય છે. વળી આ નિકટતાનું પરિણામ પણ કેવું રમ્ય આવે છે! દોર તૂટી જતાં ચારે બાજુથી મોતી શા બિંદુ ‘લળખ લળખ’ ઝરી ગયાં. શ્રાવણી વરસાદનાં ફોરાં આકાશમાંથી ખરવાનું ચિત્રાત્મક નિરીક્ષણ ચિત્તને પ્રસન્ન કરી દે છે. લોકભાષાની દ્વિરુક્તિઓ કાવ્યના લયને કેવી મીનાકારી બક્ષે છે તે અહીં જોઈ શકાશે. આપણને દેખાય છે કે કવિ હવે સીમમાંથી ગામના પાદર લગી આવી પહોંચ્યા છે. કૂવા કાંઠેથી સંભળાતા કલરવની દિશામાં કાન સક્રિય બને છે. આ કલરવ કંઈ પંખીઓનો નથી. એ તો પનિહારીઓનો છે. કલરવ જેવો શબ્દ પ્રયોજી કવિ કોલાહલથી આ ધ્વનિ કેવો જુદો છે, એટલું જ નહીં, કેવો ગમતીલો છે તેવું પણ જાણે સૂચવી રહે છે. કશું સ્થિર નથી, કશું અશબ્દ નથી એવી જીવંતતા વચ્ચે પનિહારીની હેલ્યમાં રહેતા પાણીની પણ હાલકડોલક થતાં વાતે વળગ્યાં હોય તેવી સુરમ્ય કલ્પના કવિ કરે છે. અને તેમાં ઉમેરે છે કે દૂરથી કોઈ સૂરને લઈને અહીં ઝીણો પવન પણ આવ-જા કરે છે. કોઈ આહ્લાદક દૃશ્યાવલિઓ રચી કવિ આપણને સહજ રીતે એમાં જાણે એક પ્રેક્ષક તરીકે બેસાડી દે છે. હવે કવિનો પ્રવેશ ગામમાં થાય છે પણ સાથે જ પેલી પનિહારીઓ પણ પ્રવેશતી દેખાય છે. શેરી સાંકડી છે, વચ્ચેથી સરી જઈને નીકળી શકાય તેમ નથી. એટલું જ નહીં, આસપાસનાં ઘરની મેડીઓ પણ જાણે કે ઝળૂંબીને આ પનિહારીઓને વિશેષ ભાવથી જોઈ રહી છે. અહીં મેડીઓમાં બેઠેલી આંખોનો અર્થ તરત સમજાઈ જશે. શું જોઈ રહી છે એ આંખો? કવિએ બહુ સુંદર એવું ચિત્ર અહીં સર્જ્યું છે. શ્રાવણી ઘટા ધીમી ફરફર વરસી રહી છે તેમાં આ યૌવનાઓ આછી શી ભીંજાઈ હોવાને કારણે એમને અંગે વળગેલી ઓઢણીઓ એમના યૌવનને પ્રગટ કરતી ઊડે પણ છે અને ભીનાશને કારણે ચોંટે પણ છે. એક ગતિશીલ રમણીય એવું દૃશ્યકલ્પન અહીં આપણને સાંપડે છે. કાવ્યના આરંભથી જ કવિ નિસર્ગની પરિવર્તિત થતી છટાઓને આલેખતા રહ્યા છે અને છેક સુધી એમણે આ સંચારનું સાતત્ય જાળવી રાખ્યું છે. બીજી રીતે જો જોઈએ તો પ્રકૃતિનાં તત્ત્વોથી પ્રારંભાઈ મનુષ્ય લગી વિસ્તરતી નૈસર્ગિક રમણીયતા અહીં ભારોભાર છલકાય છે. શ્રાવણનો વરસાદ ધીંગો નથી હોતો. તેનું સ્વરૂપ શાંત અને ધીરગંભીર હોય છે. તે સ્વસ્થ હોય છે. તેની તરલતા, લયલીનતા અને મૃદુમંજુલતા કોઈને પણ મુગ્ધ કરે તેવાં હોય છે. અહીં વાત તો શ્રાવણી ઘટાની માંડી છે. પણ તે સૂક્ષ્મસ્તરે મનુષ્યપ્રકૃતિની વાત પણ બની રહે છે. ‘વચવચાળે ઊભરે રે તેજના ચટાપટા' જેવી જીવનની ગતિનું લાક્ષણિક અર્થઘટન પણ તેમાંથી નીપજી શકે. સૌથી આનંદપ્રદ તો આ ગીતનો લય છે. તેની રમતિયાળ ભાતમાં ભાષા આપોઆ૫ ગોઠવાતી આવે છે. જ્યાં ગોઠવાઈ ન શકે ત્યાં એ પોતાનો ઘાટ પોતે જ પકડી લે છે અને ગોઠવાઈ જાય છે. કોઈ તસવીરકાર કૅમેરા લઈને નીકળી પડ્યો હોય કે કોઈ ચિતારાના હાથમાં રંગ અને પીંછી આવી ગયાં હોય પછી એ જે કંઈ કલાકસબ દાખવે એવું કંઈક આ કવિએ આ કાવ્યમાં કર્યું છે. એ વાંચતાં આંખો જે કંઈ જોઈ રહી હોય તેમાં ઘણું બધું ઉમેરાઈ જાય છે. આંખો તો બધાંને હોય છે પણ દૃષ્ટિ ક્યાં બધાંને મળી હોય છે? અહીં કવિ એ દૃષ્ટિ ઉઘાડી આપવાનું કામ ભાષાની મદદથી કરે છે. કવિતામાં ભાષાની આંખે કેટકેટલું જોઈ શકાય છે, નહીં?