અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/પ્રિયકાન્ત મણિયાર/એ લોકો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એ લોકો

પ્રિયકાન્ત મણિયાર

એ લોકો પ્હેલાં કાપડના તાકા ભરી રાખે છે
પછી જ્યારે ઉઘાડો માણસ ફાટી જાય છે ત્યારે
વાર વાર વેચે છે.
એ લોકો પ્હેલાં ધાન્યના કોથળા ભરી સીવી રાખે છે
પછી જ્યારે માણસ સડી જાય ત્યારે
કિલો કિલો વેચે છે.
એ લોકો પ્હેલાં ઔષધની શીશીઓ
સંઘરી રાખે છે
અને માણસ જ્યારે ફૂટી જાય છે ત્યારે
થોડી થોડી રેડે છે.
તે તે લોકો છે જ નહીં,
એ તો છે નોટોને ખાઈ ઊછરતી ઊધઈ
બીજું એને ભાવતું નથી.
મારે કવિ થવું જ નથી,
ભારે અસર કરનારી જંતુનાશક દવા થાઉં તો બસ!

(આ નભ ઝૂક્યું, પૃ. ૨૧૨-૨૧૩)