અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/બે મંજીરાં

From Ekatra Wiki
Jump to navigation Jump to search


બે મંજીરાં

ભગવતીકુમાર શર્મા

મારે રુદિયે બે મંજીરાં:
એક જૂનાગઢનો મહેતો, બીજી મેવાડની મીરાં...
કૃષ્ણકૃષ્ણના રસબસ રણકે
પડે પરમ પડછન્દા:
એક મંજીરે સૂરજ ઝળહળ,
બીજે અમિયલ ચન્દા.
શ્વાસશ્વાસમાં નામસ્મરણના સરસર વહત સમીરા...
રાસ ચગ્યો ને હૈડાહોંશે
હાથની કીધી મશાલ;
વિષનો પ્યાલો હોઠ પામીને
નરદમ બન્યો નિહાલ.
હરિનાં જન તો ગહનગભીરાં, જ્યમ જમુનાનાં નીરાં....
મારે રુદિયે બે મંજીરાં.
(ઝળહળ, ૨૪-૮-૧૯૮૭)






ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: દક્ષેશ ધ્રુવ







ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: દક્ષેશ ધ્રુવ • સ્વર: પુરુષોત્તમ ઉપાધ્યાય







ભગવતીકુમાર શર્મા • મારે રુદિયે બે મંજીરાં: એક જૂનાગઢનો મહેતો • સ્વરનિયોજન: ક્ષેમુ દિવેટિયા • સ્વર: વિભા દેસાઇ