અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભગવતીકુમાર શર્મા/સૉનેટદ્વય : ૧. પિતૃકંઠે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


સૉનેટદ્વય : ૧. પિતૃકંઠે

ભગવતીકુમાર શર્મા

જૂની સૂકી હવડ કશી આ ગંધ ફેલાઈ ઊઠી
જ્યાં ચર્રાઈ કડક ઊઘડી ભૂખરી કાષ્ઠપેટી!
પીળાં આડાં બરડ સઘળાં પૃષ્ઠ તૂટ્યાં ખૂણેથી
પોથીઓમાં હજી શ્વરી રહ્યા કાળની કંડિકાશાં.
પીંછું કોઈ મયૂરનું નર્યું રંગઝાંયેથી રિક્ત,
પોથીમાંથી સરસરી રહે પાંદડું પીપળાનું
જાળીવાળું, કુસુમ કણિકા, છાંટણાં કંકુકેરાં,
પૃષ્ઠે પૃષ્ઠે કર-સ્પરશથી ડાઘ આછા પડેલા
ભેદી લાંબો પટ સમયનો વર્તમાને પ્રવેશી
સર્જી લેતાં પળ-વિપળમાં સૃષ્ટિ લીલી સ્મૃતિની.
થંભી’તી જે જરઠ પશુ શા મૃત્યુના થોર-સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલમ્બ ને ઓશિયાળી
ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની
વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.
(છંદો છે પાંદડાં જેનાં, ૧૪-૭-૧૯૭૭)




આસ્વાદ: આત્મતપનની શુદ્ધ અભિવ્યક્તિ – રાધેશ્યામ શર્મા

શુદ્ધ સર્જકનું પિતૃતર્પણ’ કેવું અંતર્મુખ, પ્રભાવક અને પ્રકાશક હોઈ શકે એનું ઉત્તમ ઉદાહરણ તે ભગવતીકુમાર શર્માની ‘સૉનેટદ્વય’ કાવ્યકૃતિ આપણી સામે છે.

સૉનેટની ચૌદ પંક્તિ અને છંદોલયની વિશિષ્ટ ભંગિમાઓમાં મને રુચિ નથી. આ ક્ષણે એટલું જ કહી શકું કે છંદબંધ અને પોતીકી મુદ્રાવાળા લય વગર કાવ્યની પ્રકારગત આકૃતિ આમ ન બની આવી હોત. પ્રથમ સૉનેટ ‘પિતૃકંઠે’માં દસ પંક્તિ અને ચાર પંક્તિગુચ્છ, બીજા સૉનેટ ‘ફરીથી’માં આઠ પંક્તિનું ગુચ્છ અને છ પંક્તિ એમ કરી ચૌદ પંક્તિની સંરચના કર્તાને અનુકૂળ રહી છે.

શીર્ષક ‘પિતૃકંઠે’, પ્રથમ સૉનેટની અંતિમ પંક્તિમાં રિપીટ થયું છે, ‘વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે’. પહેલી અને ચૌદમી પંક્તિ વચ્ચે કાવ્યનાયકની ચેતનાનાં જે સૂક્ષ્મ સંકુલ સ્થિત્યંતરો છે તે વિવિધ ભાવકલ્પનો બલકે ભાવનાકેન્દ્રો છે. આવો જ અનુબંધ, ચોથી પંક્તિ ‘પોથીઓમાં હજી શ્વસી રહ્યાં કાળની કંડિકા શાં’ અને તેરમી પંક્તિ ‘ગુંજી ઊઠી અમુખર ઋચા સામવેદી સ્વરોની વચ્ચે મુખર છે. અવાંતર પંક્તિઓ સામવેદના સ્વરોનું, પિતૃકંઠેથી પુત્રનાયકના સંવેદનક્ષેત્રમાં રોપાયેલું ગહન ગુંજન છે. કહ્યા વગર સહજ રીતિએ ભાવક, નાયક સાથે અનુગુંજનમાં તાદાત્મ્યપૂર્વક સંકળાઈ જાય એમાં કવિકૌશલ્યનો વિજય છે.

કૃતિનો પ્રારંભ જ પ્રકર્ષક છે. જૂની સૂકી હવડ ગંધ, ‘ચર્રાઈ કડડ ઊઘડી’ જેવી ધ્વનિપ્રધાન ક્રિયા સાથે ‘ભૂખરી કાષ્ઠપેટી’નું તથા પીળાં આડાં બરડ ખૂણે તૂટ્યાં ‘પૃષ્ઠ’નું પ્રત્યક્ષીકરણ, મહાકાળની ક્ષયંકરી લીલા બરાબર પ્રકટ કરે છે. ‘પોથીઓમાં હજી શ્વસી રહ્યાં (પૃષ્ઠ) કાળની કંડિકા શા.’ (કંડિકાનો અર્થ અત્રે વેદઋચાઓનો સમૂહ લેવાનો છે.)

પાંચમી–છઠ્ઠી પંક્તિ, રંગલુપ્ત મોરપિચ્છને જાળીજર્જર પીપળાના પાંદડા સાથે ‘સરસરી રહે’ જેવા ક્રિયાવર્ણનથી સંકલિત કરીને ઉત્તમ ગતિપ્રવર્તક ‘ઇમેજ’ સિદ્ધ થઈ છે. ચોખા–ચંદન–પુષ્પ અને મનુજના કરસ્પર્શથી પડેલા ડાઘ, બીજા સૉનેટમાં નાયકચિત્ત પર છપાઈ દૃઢ થયેલા અપરાધડાઘની સમર્થ પૂર્વભૂમિકા જેવા પ્રતીત થશે. અવડ જરઠ જગતમાં લીલી સ્મૃતિ, વ્યતીતને સાંપ્રતમાં ઘડીપળ પ્રકટાવે છે ત્યાં તો –

થંભી‘તી જે જરઠ પશુ શા મૃત્યુના થોર–સ્પર્શે
સંકોરાઈ કણસતી નિરાલંબ ને ઓશિયાળી

જેવીક પંક્તિઓ સુજ્ઞ કવિતારસિકને સ્તબ્ધ કરી દે એવી વણધારી ઝપટમાં જરૂર તાણી જાય. લીલી સ્મૃતિને સંકોરાઈ, કણસતી, નિરાલંબ ને ઓશિયાળી જેવાં ક્રિયાપદો–વિશેષણોમાં મઢી મેલોડ્રામૅટિક અતિશયોક્તિઓમાં પડ્યા વગર થૉરિયા મૃત્યુની પાશવતાને મૂર્ત કરવાનું ભાષાકર્મ અવિસ્મરણીય ગણાય. ઋચાને કવિ ‘અમુખર’ કહે છે તે ગુંજનની વ્યંજનાને ધાર કાઢી આપવા પર્યાપ્ત છે.

બીજા સૉનેટ ‘ફરીથી’ને પ્રથમ સૉનેટની છેલ્લી કડી સાથે આરંભથી સાંધી છે. ‘વર્ષો પૂર્વે રણકી ઊઠતી જે હતી પિતૃકંઠે.’ ઋચાને સૂર્યો શી ઝળહળ અને નાદબ્રહ્મ ઘડી છે છતાં નાયકને કોણ જાણે ઋચાઓ પીળી પોથીઓમાં ‘વ્યરથ’ આયુ ગાળતી જણાય છે! ‘અઢળક નિયૉની ઝગારા’ છતાં, મંત્રભીની સરસ્વતી–શારદા લુપ્ત થવા સાથે પિતાજીનું સર્વસ્વ ક્યાં ગુમરાહ, ગુમનામ થયું તે આ પુત્ર ફંફોસવા છતાં બાહ્યાંતરે પામી શકતો નથી. વારસો વિંધ્ય રહ્યો, જતન કરી વહન ના કર્યો પુત્રે, એમાં કોનો દોષ? પિતા પ્રત્યેની આમાં ઉપેક્ષા માનવી! પ્રગાઢ પ્રમાદ કહેવો? કે પછી પરમ પૂજ્યારાધ્ય પિતાશ્રીની ગરવી ગરિમા પ્રત્યે અજ્ઞાત ચિત્તમાં પડેલી પ્રગ્રન્થિબદ્ધ સૂક્ષ્મ અસૂયા કલ્પવી?! ગમે તે એક કે એકત્રિત કારણે, ‘આપી દીધી કઠણ હૃદયે કોઈને કાષ્ઠપેટી’…અને મબલખ વૈભવી (‘વૈભવી’ નહિ દૈવી) વારસો ખોયો. અંગત સાહચર્ય અનુસાર મહંમદ રફીસાહેબનો બુલંદ કંઠ આજે પંદરમી ઑગસ્ટ હોવાથી ગુંજી રહ્યો છે. ‘અપને હી હાથોં સે હમને અપના બાપુ ખોયા’… પ્રથમ સૉનેટમાં પરાકાષ્ઠા આવતી જ નથી એનો નંગ બીજા સૉનેટના સચોટ અંતમાં અનુભવાશે.

જાણે દીધા જનક જ ફરીથી સ્કંધ પે ઊંચકીને,
ભીની આંખે ભળાવ્યા ભડભડ બળતા અગ્નિઅંકે ફરીથી

પ્રથમ સૉનેટમાં ‘પિતૃકંઠે’ના આવર્તનની જેમ બીજા સૉનેટનું શીર્ષક છેલ્લી પંક્તિના છેવાડે ‘ફરીથી’ મૂકી ભાવવર્તુળ ઉપરાંત ભવચક્ર પણ પૂરું કર્યું છે. પ્રશ્ન એટલો જ રહે છે અભિધાસ્તરે કે કાષ્ઠપેટી આપી દેવાની પ્રકટ, સ્પષ્ટ વ્યાવહારિક મજબૂરી નહોતી તો ‘કઠણ’ હૈયે પણ કાષ્ઠપેટી કેમ આપી?! ‘નહોતી આપવી’ એમ સાદો સીધો આદેશ (દ્વિધાગ્રસ્ત) ઋજુ સર્જકને ના અપાય. નાયકની જટિલતાને એ જાણે જ નહીં, જીવતાં જીરવે પણ ખરા! વિવેચન ચુકાદા આપવા જડ્જ ના બને. સર્જકના સંઘર્ષણને પણ જોગવવું રહ્યું.

ભગવતીકુમારની આ કૃતિ વાંચી અમેરિકન સર્જક ટેનેસી વિલિયમ્સનું એક વિધાન અત્યંત પ્રસ્તુત છે.

I learned that the heart of man, his body and his brain, are forged in a white–hot furnace for purpose of conflict. That struggle for me is Creation.

આવું આત્મતપન સર્જકનું પણ છે.

(રચનાને રસ્તે)