અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ભાનુપ્રસાદ પંડ્યા/તલાશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
તલાશ

ભાનુપ્રસાદ પંડ્યા

છોગાં ફરકાવતા
અવસરના અસવારોએ,
ઉડાડેલી ખેપટ,
ભરચક કોઠાર પર ભમતા
ધનેરુંની વૈભવ ગતિમાં
રહેલું સ્વામિત્વ
સાપની કાચળીમાં
થીજેલા ફુત્કારી રોમાંચ,
મિત્ર મિલનવેળા
બે હથેળીઓ વચ્ચે રહી ગયેલું
પોલાણ,
સ્નેહી બની જવાનો
ક્યાંક શિષ્ટાચાર કરેલો
મરણિયો ઉચ્ચારણિયો પ્રયાસ,
શ્વાસોની સળીઓ વચ્ચે
સેવાતાં આકાંક્ષાઓના ઇંડા
અને કોઈ મિષ્ટ ફળમાં
સળવળતી કોતરતી
ઇયળપણાની સલામતીની
આસપાસ રઝળે છે ક્યાંક
મારા સુખની તલાશ.



આસ્વાદ: મરણિયા પ્રયાસનાં સબળ કલ્પનો – રાધેશ્યામ શર્મા

સમગ્ર રચના વાંચી રહેતાં ભાવકને ખ્યાલ આવે કે તલાશનો આવાસ ક્યાં ક્યાં છે? તલાશ કોની? એમ પૂછીએ તો કૃતિના અંતે નાયક કહે છે તેમ, ‘મારા સુખની તલાશ’.

સુખની શોધ, સુખની તલાશ સ્વયં જ્યારે ‘રઝળતી હોય ત્યારે જણાય કે સુખનું સોનું હજુ અપ્રાપ્ત રહ્યું છે! તલાશ નિરાશ કરે ત્યારે? થાય કે એ અન્નવિહોણી હશે. બશીર બદ્રનો શેઅર છે:

મૈં ઉદાસ રાસ્તા હૂં શામકા
મુઝે આહટોં કી તલાશ હૈ

કાવ્યનાયકને ‘તલાશ’માં આહટો–અણસાર આવ્યા એની અભિવ્યક્તિ સૂક્ષ્મ દૃષ્ટિશીલ કવિએ વિવિધ તેમજ વિભિન્ન ભાવકલ્પનોમાં કરી છે.

પ્રસ્તુત ઇમેજિક જેટલી સશક્ત છે એટલી તીવ્ર વેદનક્ષમ છે. કવિના કલ્પનાઉડ્ડયન (Flight of imagination)નો વ્યસ્ત ક્રમમાં ગ્રાફ રસપ્રદ છે.

આરંભે–ચલચિત્રસદૃશ કલ્પન અવતર્યું, છોગાં ફરકાવતા અવસરના અસવારોએ ઉડાડેલી ખેપટ!

આવા ‘આઉટડોર શૂટિંગ’ બાદ કલ્પના ‘ઇનડોર’ પ્રવેશી કૅમેરાનેત્રનો સૂક્ષ્મ પરિચય આપે છે:

ભરચક કોઠાર પર ભમતા ધનેરું વૈભવ ગતિમાં રહેલું સ્વામિત્વ વિરોધ નોંધો. ક્યાં અવસરના (અશ્વ) છોગાંધારક અસવારોની ખેપટ અને ક્યાં ધનેડું! દાણામાં સડો કોહવાટ પેદા કરતું ધનેડું! ઓક્યું હોય તેમ એની ‘વૈભવ ગતિમાં રહેલું સ્વામિત્વ’ નાયક અનુભવે છે.

સાપની કાંચળીનો કવિઓ દ્વારા આધુનિકકાળમાં ભરપેટ ઉપ–યોગ લેવાયો, પણ અહીં કાંચળીમાં ‘થીજેલા કુત્કારી રોમાંચ’ દ્વારા ઇશત્ યૌનવૃત્તિની સંગતમાં શ્રુતિગોચર કલ્પનાનો સરસ સ્પર્શ છે.

મિત્રમિલનવેળાનો નાયકનો હસ્તધૂનની અનુભવ સઘન કે સાચો નથી. ત્યાં બે હથેળીઓ વચ્ચેનું ‘પોલાણ’ રહી ગયું છે.

આવી ‘ઍમ્પ્ટિનેસ’ સંબંધના ખાલીપણાની ખબર આપે છે. પોલાણ ‘રહી ગયું છે’.

આવી ‘ઍમ્પ્ટિનેસ’ સંબંધના ખાલીપણાની ખબર આપે છે. પોલાણ ‘રહી ગયું છે’ એ મૈત્રીમાં અવશિષ્ટ અન્ચર સંકેત છે.

મૈત્રીની આવી સ્થિતિ પછી સ્નેહની કઈ ગતિ? શિષ્ટાચારમાં નિબંધ સ્નેહનું રૂપ ‘પરણિયો ઉચ્ચારણિયો પ્રસાદ સમું કૃત્રિમ છે.

શરૂઆતમાં ‘અવસરના અસવારો’માં અનુપ્રાસ જેવો પ્રયોગ અને ‘મરણિયો ઉચ્ચારણિયો’ લાગે, પણ એની સાભિપ્રાયતા ઓછી નથી. સ્નેહી બની જવા સ્નેહપાત્ર સમક્ષ મરણિયો પ્રયાસ પણ જ્યારે ‘ઉચ્ચારણિયો’ અર્થાત્ બોલકો બની જાય એ દશા કરુણ નથી?

‘શ્વાસની સળીઓ વચ્ચે સેવાતાં આકાંક્ષાઓનાં ઈંડાં’માં નાયકચિત્ત પંખીના માળા સર્જન સાથે ‘આકાંક્ષાઓના ઈંડા’ને સંકલિત કરે છે. આ સામાન્યની જોડાજોડ કૃતિની અસામાન્ય અને અન્ય કલ્પનોથી કંઈક અસમાન–પાંચ પંક્તિઓ–આસ્વાદ છે.

અને કોઈ મિષ્ટ ફળમાં
સળવળતી કોતરતી
ઇયળપણાની સલામતીની
આસપાસ રઝળે છે ક્યાંક
મારા સુખની તલાશ

‘ધનેરુ વૈભવ ગતિ’ સાથે સુમેળમાં ઇયળપણાની સલામતીને જોઈએ તો એકનું ‘સ્વામિત્વ’ અને અન્ય ઇયળનું સળવળતું, મિષ્ટફળ કોતરવું ‘વિસર્જનકર્મ’ અજીબોગરીબ કૉન્ટ્રાસ્ટ રચે છે.

‘જનરલ સિર્મનિક્સ’ના પુરસ્કર્તા કોર્ઝિલ્સ્કી કહે છે તેમ અનુભવને લઈને ભાષા પાસે પહોંચવાને બદલે ભાષા પાસે અનુભવ લેવા પહોંચવાનું – કવિકર્મ વધુ મહત્ત્વનું છે.

કવિશ્રી ભાનુપ્રસાદ પંડ્યાની કૃતિ આવી દિશાનો સમુચિત સંકેત આપી શકી છે. પ્રસ્તુત સંદર્ભમાં ૧૬૮૦માં અવસાન પામેલા એક કવિને સ્મરીએ:

Than old age, and experience, hand in hands/lead him to death, and make him understand/Actor a search so painful and so long/That all his life he has been in wrong. (A satire against mankind’, 25)

— JOHAN WILMOT, Earl of Roingter

સુખની ‘તલાશ’ પણ એટલી જ કષ્ટદાયક અને પ્રલમ્બ નથી? પરંતુ એની અભિવ્યક્તિ પ્રસન્ન કરે છે.

(રચનાને રસ્તે)