અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/મનોજ ખંડેરિયા/રસ્તા વસંતના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


રસ્તા વસંતના

મનોજ ખંડેરિયા

આ ડાળ ડાળ જાણે કે રસ્તા વસંતના
ફૂલો એ બીજું કૈં નથી, પગલાં વસંતનાં.

મલયાનિલોની પીંછી ને રંગો ફૂલોના લૈ
દોરી રહ્યું છે કોણ આ નકશા વસંતના.

આ એક તારા અંગે ને બીજો ચમન મહીં
જાણે કે બે પડી ગયા ફાંટા વસંતના.

મ્હેકી રહી છે મંજરી એકેક આંસુમાં
મ્હોર્યા છે આજ આંખમાં આંબા વસંતના.

ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના.

ફાંટુ ભરીને સોનું સૂરજનું ભરો હવે
પાછા ફરી ન આવશે તડકા વસંતના.
(અચાનક, પૃ. ૨૭)



આસ્વાદ: નજાકતના નકશા— જગદીશ જોષી

ખ્યાલ છે ત્યાં સુધી ઉમાશંકરે જ ક્યાંક લખ્યું છે કે કવિ તરીકેની માણસની ઇયત્તા શી છે તેનો ખ્યાલ તેનાં ઋતુકાવ્યો પરથી પણ મેળવી શકાય. સામાન્ય રીતે ઋતુકાવ્યમાં ચીલાચાલુ વર્ણન આવે. કોઈ નવો કવિ પરંપરાના આ ચીલાને ચાતરીને એક નવી કેડી આડબીડ જઈને પાડે તો મંજિલ ઉપર પહોંચવાની તેની તરેહનો ખ્યાલ આવે છે.

મનોજની કથનની રીત પણ કેવી નોખી છે! વસંતને જોવા માટે એક નવી જ આંખ આપણને પ્રથમ પંક્તિમાં મળે છે. (મનોજ અને વસંતનો સંંબંધ આમ પણ સનાતન છે!) વૃક્ષની આ ડાળ એ જ ખરેખર વસંતની પગદંડી છે. વસંત ચાલે અને જે પગલાં પડે છે એ જ આ ફૂલો. જે દૃશ્ય છે એની પાછળ રહેલા અદૃશ્યને મ્હોરાવવામાં જ તો કવિની કુશળતા છે. આંખ સુગંધિત થઈ જાય એવો આ શેરનો મિજાજ છે.

આપણી ગુજરાતી કવિતામાં થોડાક સમય પહેલાં ‘કોણ?’નાં કાવ્યો assembly line ઉપર ઉત્પન્ન થતાં હતાં. પણ, ખૂણામાંથી અણચિંતવી કોઈ કૂંપળ ફૂટી ઊઠે અને આપણને એક મોકળાશનો અનુભવ થાય એમ અહીં બીજા શેરમાં ‘કોણ?’નો વિસ્મય સુખદ છે. આ બ્રહ્માંડના વિશાળ ફલક ઉપર ખુદ બ્રહ્મા પણ જો નકશો દોરવા ધારે તો કદાચ એમણે પવનની પીંછી અને ફૂલોના રંગ જ કામે લગાડવાં પડે. મલયાનિલની પીંછીરૂપ કલ્પના એટલી આકર્ષક છે કે કહેવાનું મન થાય કે કવિ પણ સર્જક છે અને તેથી એને યુદ્ધ માટેના નકશાનાં logisticsમાં રસ ન હોય, પણ એને તો પ્રકૃતિના world atlasમાંથી ક્યારેક સાંપડતા વસંતના નકશાનો જ નશો હોય.

એવી પણ કેટલીક મૂંઝવણો હોય છે કે જે ન ઊકલે તો વધુ આનંદ મળે. એક નાજુક અતિશયોક્તિથી કવિએ વસંતને બે ફાંટામાં વહેંચી નાખી છે: એક તારામાં અને બીજી આ ચમનમાં! The road not taken રહસ્યમય અચરજ હજી જીવતું છે. વધુ કંકુ તારી પાનીમાંથી કે ચમનની પાનીમાંથી ઝરશે એ તો કોણ… કદાચ કવિ જ કહી શકશે!

હળવાં પગલાં માંડતી વસંતની આ રાહમાં વચ્ચે વચ્ચે ક્યાંક પાનખરનો રાફડો પણ નજરે ચડે છે. ખુશબોદાર વસંતલ સ્મિતની વચ્ચે આંસુમાં નાહતી મંજરીને ઉપસાવી છે એમાં અંતે તો જીવનની જ સમતુલા જળવાઈ છે.

ચમન મેં રહકે વિરાના મેરા દિલ હોતા જાતા હૈ |
ખુશી મેં આજકલ કુછ ગમ ભી શામિલ હોતા જાતા હૈ ||

યાદનાં અબીલગુલાલ ઊડે છે તેમાં વસંત સાથે સંકળાયેલી હોળીનો ઉલ્લાસ છે જ છે; સ્મૃતિની શુચિતા છે જ. પણ પ્રિય વ્યક્તિ આસપાસ નથી માટે તો ‘યાદ’નો પાલવ પકડવો પડે છે. પ્રિય વ્યક્તિ જો વસંત છે, તો એ બેરહમ વ્યક્તિની યાદ કદાચ વસંતના (કમોસમી?) છાંટા છે.

ગમે તેવી સુખદ હોય પણ આ ક્ષણ સરી તો જવાની જ છે: વસંતનો પીળચટ્ટો, ઉષ્માભર્યો મુલાયમ તડકો હવે ફરી પાછો ક્યારેય કદાચ ન મળે એનું શાયરને સતત ભાન છે. એટલે તો તેઓ કહે છે કે સુખના સૂરજરૂપી સોનું આજે મળ્યું છે તો એ ભરાય એટલું ફાટફાટ ફાંટમાં ભરી લો, ધરબી ધરબીને ભરી લો. પણ આ સંચય કરી લેવાની વાતમાં જ કેટલી બધી વેદના છે! આ ક્ષણની લાક્ષણિક ક્ષણભંગુરતા જ કેવી કરુણ છે! કચકચાવીને બાંધેલી ગાંઠમાં જ અડધો આનંદ અમળાઈ જતો હોય છે. પણ સુખના તડકાને સંવેદનની શીશીમાં ભરી તો રાખો: જીવનમાં ક્યારેક ક્યારેક આંખને ખૂણે એ ચમકી ઊઠે તોપણ એ સદ્‌નસીબ જેવુંતેવું નથી.

‘અચાનક’ના આ કવિને કંઠે ગીત અને ગઝલની તો વસંત બેઠી છે, મનોજનો એક બીજો શેર પણ માણવા જેવો છે:

ક્ષણોને તોડવા બેસું તો વરસોનાં વરસ લાગે,
બુકાની છોડવા બેસું તો વરસોનાં વરસ લાગે.

(‘એકાંતની સભા'માંથી)