અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર પટેલ/મસોતું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મસોતું

રાજેન્દ્ર પટેલ

મૂળે મસોતું મેલું
છતાં, રાખે સઘળું ચોખ્ખું,
એક આ, સામે પડ્યું હાંફે
બીજું અદૃશ્યપણે
સમયનો ગર્ભ થઈ નાચે.
પાણી અને સમય
તેની કાયા ધુવે કાયમ
મસોતું રહે મસોતું.
ડાઘ પીને
દર્પણને ચળકતું રાખે
નેઇમપ્લેટને ઝગારા મારતી કરે
ચશ્માં પારદર્શક બનાવે
તે છે તો, બધું શુદ્ધ છે.
કોઈ પણ વસ્તુ
છેવટે મસોતું બની જતી હોય છે
કાળક્રમે તે ક્ષીણ થાય
પણ મસોતાની જેમ
કાયમ મલક્યા કરે
ઘણી વાર મસોતાનું મેલુંઘેલું મોં
ચહેરા જેવું લાગતું હોય છે
અને અમાસની રાત્રિ જેમ
તેની હજાર ભુજાઓ ફેલાવી
અજ્ઞાત અંધારી ગર્તામાં
છતાં અવાજનાં અજાણ્યાં વલયો ઘડતું
સમયના લસરકા સહેતુ
તે ચૂપચાપ પડ્યું હોય છે
અજાણ્યા નક્ષત્રની જેમ.
સઘળું ડુબાડતું હોય છે.
મસોતું ગઈ કાલ અને આવતી કાલનું
આંસુ બની
હમેશાં
આસપાસનું વાતાવરણ
હળહળતું રાખતું હોય છે.



આસ્વાદ: ‘અજાણ્યા નક્ષત્ર’ નિરૂપતું શબ્દકર્મ – રાધેશ્યામ શર્મા

સુંદરમ્–ઉમાશંકરના રચનાકાળમાં પણ માખી, ચુસાયેલો ગોટલો, જાજરૂ જેવા વિષયો પર કવિતા થઈ છે. એ પરમ્પરાના અનુસન્ધાને આજની અનુ–આધુનિક આબોહવામાં પણ મસોતું વિશે કાવ્ય રચાય છે. કદાચ આધુનિકોત્તર સમય તો આ જાતના વસ્તુવિષયોની માવજત માટે અધિક અનુકૂળ ગણાય. દમિત દલિત વર્ણવર્ગોનો અવાજ હવે જરૂરી મુખરપણે ભેરીનાદ સમો સંભળાઈ રહ્યો છે ત્યારે આવી વસ્તુ અભિવ્યક્તિ–વિષય કેમ ના બને?

લગભગ સાત સ્તબકમાં વહેંચાયેલા આ ગદ્યકાવ્ય પર કર્તાની પ્રતિભાનું પોતું કઈ કઈ દૃષ્ટિથી ફરી વળ્યું છે તે જોવું રસપ્રદ છે.

મસોતું’નો પ્રારમ્ભ એની વ્યાખ્યાથી સંભળ્યો છે. ‘મૂળે મસોતું મેલું’માં વસ્તુની રૂપપ્રકૃતિ અને ‘છતાં રાખે સઘળું ચોખ્ખું’માં એની કાર્યદિશા ચીંધાઈ છે.

પરંતુ બીજો સ્તબક મસોતામાં જીવારોપણ કરી (‘એક આ, સામે પડ્યું હાંફે…’) દૃશ્યપણાને અંડોળી રહસ્યમય અદૃશ્યત્વમાં દોરી જાય છે. સામે, પ્રત્યક્ષ જે છે તે એક મસોતું પણ બીજું બૅકગ્રાઉન્ડમાં, અથવા અન્ડરગ્રાઉન્ડમાં કેવુંક છે?’

બીજું અદૃશ્યપણે
સમયનો ગર્ભ થઈ નાચે

જે એક મસોતું સામે પડ્યું છે એની નિયતિમાં તે બિચારું ઢોરકામ કરી કરી હાંફે છે, જ્યારે બીજું મસોતું કાળ–અર્ક સમા–સમયનો ગર્ભ થઈ નાચી રહ્યું છે. ‘સમયનો ગર્ભ’ કેવા સંદેશસંકેત આપે છે? કે પહેલા દૃશ્ય મસોતાના પ્રારબ્ધમાં ભલે તનતોડ સેવાઓ આપી હાંફવાનું લખાયું હોય પણ સમયના ગર્ભસ્થ મસોતાને ભાગ્યમાં – કદાચ હાંફવા કરતાં નાચવાનું આવવાની વકી છે. પહેલું બાપડું ‘હાંફે’ છે તે જોઈ-જાણી બીજું અદૃશ્યમાં ‘નાચે’ છે ત્યાં ઈર્ષાહર્ષ કરતાં ભવિષ્યની આડકતરી સૂચવાઈ છે. આટલા સૂચન પછી મસોતા ઉપર પાણી અને સમયની સનાતન પ્રક્રિયા દર્શાવી મસોતાનું મસોતાપણું અ–પરિહાર્ય તથ્ય લેખે મુકાયું છે. અહીં પદાવલિમાં ‘કાયમ’ શબ્દનો વિનિયોગ પાણી–સમય–ને એટલો જ મસોતાને પણ લાગુ પડે છે: ‘પાણી અને સમય તેની કાયા ધુવે કાયમ મસોતું રહે મસોતું.’

ડાઘ પીને દર્પણને ચળકતું રાખે, નેઇમપ્લેટને ઝગારા મારતી કરે, ચશ્માંને પારદર્શક બનાવે એવા મસોતાને કર્તાએ – જાણે કે દેવતાઓ માટે હલાહલ વિષપાન કરતાં નીલકંઠની કક્ષાએ મૂકી આપ્યું: (‘જોકે ચશ્માંને મસોતાથી કોઈ લૂછતું નથી અને ચશ્માં પારદર્શક તો હોય છે, માત્ર સ્વચ્છ લૂગડાથી લૂછતાં તે ચોખ્ખા બને છે.)

ચોથો સ્તબક મસોતાની વ્યાપક રેન્જ નિર્દેશે છેઃ કોઈ પણ વસ્તુ છેવટે મસોતું બની જતી હોય છે. મસોતું વસ્તુઓને ઘસીઘસીને શુદ્ધ તો કરે પણ એની હારોહાર કાળક્રમે ક્ષીણ થઈ જાતે ઘસાઈ જાય છે. પછી ‘પણ’ શબ્દ મૂકી પ્રલયની સામે, મરણની સામે મસોતાની મલકવાની ક્રિયા મૂકી ચેતનાનો પ્રસ્પંદ પ્રકટ કર્યો છે: ‘પણ મસોતાની જેમ કાયમ મલક્યા કરે.’

નોંધપાત્ર વિગત એ કે બીજા સ્તબકમાં ‘કાયમ’નો બેધારો વિનિયોગ થયેલો એનો આ ચોથા સ્તબકમાં ફરી ઉપયોગ લેવાયો છે.

કાવ્યનાયકને મસોતાનું મેલુંઘેલું મોં ચહેરા જેવું વરતાય છે. એ ચહેરાને અમાસની રાત્રિની ઉપમા આપી, તેની હજાર હજાર ભુજાઓ અજ્ઞાત અંધારી ગર્તામાં સઘળું ડુબાડતું બતાવ્યું છે. કૃતિના આરમ્ભે, મસોતું જે ‘સઘળું’ ચોખ્ખું રાખતું હતું તે સઘળાને હવે તે અજ્ઞાત ગર્તામાં સઘળું ડુબાડીને જ જંપે છે. જાણીતી પંક્તિ સાંભરે છે: ‘જે પોષતું તે મારતું…’ સર્જન–સંવર્ધનની સાથે જ વિસર્જનની વર્તુળાકાર ગતિનું વર્ણન નિમ્ન સામાન્ય વિષયને લોકોત્તર આયામ અર્પે.

‘છતાં અવાજનાં અજાણ્યાં વલયો ઘડતું સમયના લસરકા સહેતું તે ચૂપચાપ પડ્યું હોય છે’, એવી સ્થિતિ પછીની ઉપમા Un–known Constellationને સ્પર્શ છે: ‘અજાણ્યા નક્ષત્રની જેમ.’ પાંચમા સ્તબકમાં પણ ‘અજ્ઞાત’નો ઉલ્લેખ અંધારી ગર્તાના સંદર્ભે થયો હતો એનાથી ઉપર ઉઠાવીને મસોતાને ગગનગામી ‘અજાણ્યા’ નક્ષત્રની કક્ષાએ કર્તાએ મૂકી ઉન્નયન (Sublimation) સાધ્યું છે. ‘અજાણ્યા’નો બબ્બે વાર ઉપયોગ છઠ્ઠા સ્તબકમાં પુનરાવર્તન જેવો જરીક કઠે છે પણ મસોતા જેવી નિમ્ન પ્રાકૃત વસ્તુને અવાજના અજ્ઞાત ચક્રને ઘડતું દર્શાવી અજાણ્યા નક્ષત્રની જેમ તે સમયના લસરકા સહેતું ચૂપચાપ પડ્યું હોવાની મુદ્રાસ્થિતિ લક્ષ્યાર્થ છે.

નક્ષત્રનો ઝળહળાટ, કૃતિની પૂર્ણાહુતિ વેળા ટ્રૅજિક ટોનની સંગતે મસોતામાં પરોવી આપવામાં રાજેન્દ્ર કુશળ પુરવાર થયા છે:

મસોતું ગઈ કાલ અને આવતી કાલનું
આંસુ બની
હમેશાં
આસપાસનું વાતાવરણ
ઝળહળતું રાખતું હોય છે.

ભૂતકાળ અને ભવિષ્યને સાંકળી મસોતાને અશ્રુપદ અર્પવા સાથે તે પાછું વાતાવરણ ઝળહળતું રાખે એમાં એક પ્રકારની વ્યાપક વિધિવક્રતા વરતાય. આંસુથી ઝળહળાટ, આંસુથી જન્મેલાં ઝળઝળિયાંની જ નીપજ વધુ લાગે છે! (રચનાને રસ્તે)