અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રાજેન્દ્ર શુક્લ/વ્યાકુલકથા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


વ્યાકુલકથા

રાજેન્દ્ર શુક્લ

આ બધું અંગત કશું કોનું થવા વ્યાકુલ બને,
આટલું ઉત્સુક બને નભ ને હવા વ્યાકુલ બને!

આગમનની કોઈ એંધાણી નથી ક્યાંયે છતાં—
કોણ જાણે કેમ આજે નેજવાં વ્યાકુલ બને!

વેદનાની વાતનો આ તો હજી આરંભ છે,
દર્દ પૂરું ઊઘડે જો તો દવા વ્યાકુલ બને!

શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!

શ્વાસ વર્ણવજો તમે વ્યાકુલકથા એવી રીતે,
એક ક્ષણમાં એ સ્વયં અહીં આવવા વ્યાકુલ બને!

ઓ પ્રતીક્ષાની પરાકાષ્ઠા, અડકજો એવું કે—
કંકણા, મંજુસ્વના, નૂપુરરવા વ્યાકુલ બને!
(૨૯ જાન્યુ. ૧૯૯૦)