અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/મેં કવિતા લખવાની શરૂઆત કરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મેં કવિતા લખવાની શરૂઆત કરી

લાભશંકર ઠાકર

કપાયેલી પાંખોવાળું કબૂતર
ક્યારનુંય
શેરીમાં ફફડ્યા કરે છે.
વન્ધ્યાના ગર્ભાશયની
રિક્તતા
શેરીમાં થરક્યા કરે છે.
શેરીના ખાબોચિયામાં
આજે ફરી
શતસહસ્ર જંતુઓ જન્મ પામ્યાં.
પાંડુ વર્ણનો એક વૃદ્ધ
પશ્ચિમ ભણી ડગ ભરતાં
શેરીની વિષમ ભૂમિમાં
ઠેસ ખાઈને પડી ગયો.
તેમ છતાં
એક પતંગિયું
મારી ખરબચડી કાળી દીવાલો પર
બેઠું ન બેઠું...
અને
મેં કવિતા લખવાની શરૂઆત કરી.



આસ્વાદ: ‘મેં કવિતા લખવાની શરૂઆત કરી’ — રચનાબંધનો ચમત્કાર —  ચન્દ્રકાન્ત ટોપીવાળા

‘ઇન્ડિયન એક્સપ્રેસ’ (૨૪-૧-૨૦૧૬)ની રવિવાર-પૂતિર્માં સૌમ્ય લાખાણીએ લીધેલી મુલાકાતમાં ફિલ્મ-દિગ્દર્શક અભિષેક કપૂર કહે છે કે ‘નવી ફિલ્મનો અર્થ છે તમે નવી વ્યક્તિ છો’ (A new movie means you are a new person’) અને પછી ભારપૂર્વક ઉમેરે છે કે I do not want to have a signature કોઈ પણ સર્જક માટે આ લાલબત્તી છે. લાભશંકર ઠાકર માટે એમ કહી શકાય કે આ શરત તેઓ નભાવી શક્યા નથી. કોઈ એક કિનારા પર તેઓ સ્થિર રહ્યા; કોઈ અન્ય કિનારા પર પોતાની જાતને તેઓ નાંગરી શક્યા નહીં. પ્રારંભમાં જે એમનો કેટલોક વિશેષ રહ્યો તે વિશેષ જ પછીથી એમની રચનાઓમાં શેષ રહ્યો. એમની રચનાઓમાં અટકી ગયેલા કાવ્યનું સંલક્ષણ (stuck poem sydrome) જોવાય છે. એટલે કે લાભશંકર પૂર્વકાવ્યપિંડથી અલગ કોઈ નવો કાવ્યપિંડ પછી જન્માવી શક્યા નથી. એમની પ્રારંભની ‘વહી જતી રમ્ય ઘોષા’ની પારંપરિક છાંદસ રચનાઓ પછી એમણે જે ‘તડકો’ કે ‘અવાજને ખોદી શકાતો નથી’થી તર્કમુક્ત સાહચર્યપદ્ધતિનો વિનિયોગ કર્યો એ જ પછીથી રચનાપ્રક્રિયાને આગળ ધરતો રચનાના અંતિમ પરિણામની ઓછી ખેવના સાથે આગળ ને આગળ વધતો રહ્યો. એમ કહી શકાય કે મોટાભાગની એમની રચનાઓ કાવ્ય કરતાં કાવ્યના ડોળિયાં વધુ છે. પરિણામે લાભશંકર સહેલાઈથી ગળે ન ઊતરે એવા કવિ (unpalatable) બન્યા. કદાચ એ કારણે લાભશંકર હોવા જોઈએ એના કરતાં વધુ સમર્થ સાહિત્યકાર (literary heavy weight) ગણાયા.

રચના કરતાં રચનાપ્રક્રિયા પર ભાર મૂકતી એમની ‘મારા નામને દરવાજે’ કાવ્યસંગ્રહની એક રચના ‘મેં કવિતા લખવાની શરૂઆત કરી’ને અહીં સઘન તપાસ માટે હાથ ધરી છે. આધુનિકતાવાદી કાળની આ અછાંદસ રચના જે રીતે પાંચ સળ(folds)માં ખૂલેલી છે અને એ પાંચ સળનો જે રીતે પરસ્પરનો સંબંધ રચાયો છે, એમાં સાતત્ય છે અને વૈયક્તિકતા પણ છે; અને એ બધાંને જોડતી અંતે પાછી કોઈ કવિચેતનાની ઉપસ્થિતિ છે. ગિલે દેલ્યૂઝે (Gilles Deleuze) લાઇબનિત્ઝ (Leibnitz)માંથી ઉપાડેલી સંજ્ઞા ‘સળ’ (fold)નું અહીં વપરાયેલી ‘સળ’ સંજ્ઞા સાથે અનુસંધાન છે. ૧૭મી સદીની યુરોપિય સંસ્કૃતિની બેરોક શૈલી (Baroqe)નાં મૂતિર્શિલ્પોમાં પ્રગટ સળો, સાતત્ય અને વૈયક્તિકતાનું સંયોજન નિર્દેશે છે. બરાબર એવું જ સંયોજન લાભશંકરની આ રચનામાં પાંચ સળો વચ્ચે જોવાય છે.

વળી, આ પાંચ સળમાં બહારનાં દૃશ્યો છે અને દૃશ્યોમાં નકારાત્મકતા છે : કપાયેલી પાંખવાળું કબૂતર, થરકતી રિક્તતા, ખાબોચિયાનાં જંતુઓ, મરણાસન્ન વૃદ્ધનું પતન અને ખરબચડી કાળી દીવાલ. — આમ જુઓ તો આ દૃશ્યોને એકબીજા સાથે કોઈ સંબંધ નથી. હા, એ બધાં શેરીદૃશ્યો છે પણ આ બધાં દૃશ્યોને જોતી કવિચેતના સાથે એનો સંબંધ છે. આ કવિચેતના અવરોધો વચ્ચે પાંગરી રહી છે. ‘તેમ છતાં’ જેવો વાક્યખંડ એ રીતે આ રચનાનો મર્મઅંશ છે. કવિતાના જન્મ પહેલાં, જન્મ વચ્ચે અને જન્મ સામે કેટલાય અંતરાયો છે. અહીં ‘તેમ છતાં’ જેવો વાક્યખંડ પહેલા ચાર સળ વાક્યસંકેતોને કવિતાના રચનામાર્ગના આંતરસંકેતોમાં પલટી નાખે છે. રચનાબંધનો આ ચમત્કાર છે. પાછો વાક્યસંકેતોની હૂબહૂ ઇન્દ્રિયગત તાદૃશતાનો પણ અહીં મહિમા છે.

પહેલા બે વળનો સમાંતર વાક્યલય રચનાપ્રવેશનું આકર્ષણ બને છે :

‘કપાયેલી પાંખોવાળું કબૂતર ક્યારનુંય શેરીમાં ફફડ્યા કરે છે. વન્ધ્યાના ગર્ભાશયની રિક્તતા શેરીમાં થરક્યા કરે છે.’

કપાયેલી પાંખનું કબૂતર કદાચ છેક વાલ્મીકિના કૌંચવધને પણ જઈને સ્પર્શી શકે તેમ છે. પહેલા વળમાં મૂર્તનું સામીપ્ય અને બીજા વળમાં અમૂર્તની મૂર્તતા અસરકારક છે. ત્રીજા વળમાં ‘આજે ફરી’ વાક્યખંડમાં પુનરાવૃત્ત થયા કરતો અકળાવનારો close upનો અનુભવ છે : ‘ખાબોચિયામાં’ ‘શતસહસ્ર જંતુઓ જન્મ’ પામ્યાં છે. ચોથા વળમાં ‘વૃદ્ધ પડી ગયો’ના દૃશ્યને વિશેષણ અને ક્રિયાવિશેષણોની ફ્રેમમાં ગોઠવી ધ્યાનપાત્ર બનાવ્યું છે. આ ચાર બહારનાં શેરી-દૃશ્યો છે? કે પછી કવિના ચિત્તની ભાવદશાઓ છે? કપાયેલા કબૂતર દ્વારા ગતિરોધનો સંકેત સ્પષ્ટ છે; અંદરથી કોઈ ગતિને કાપી રહ્યું છે. ‘ગર્ભાશય’ સર્જનસ્થળ છે પણ તે વંધ્ય છે અને તેથી રિક્ત છે પણ રિક્તતા સતત અનુભવ આપ્યા કરે છે. (યાદ કરો એલિયટનું The Waste land.) અંદરની ખાબોચિયા જેવી સંકુચિત સીમાઓમાં ક્ષુદ્ર અને ક્ષુલ્લક કશુંક જન્મ્યા કરે છે, નિરર્થક જાય છે. ‘ગર્ભાશય’ રિક્તતા પછી ‘શતસહસ્ર જંતુઓનો જન્મ’ એક વ્યર્થતાની નજીક મૂકે છે. અને છેલ્લો નિષ્ફળતાનો મૃત્યુ જેવો (Deathlike) અનુભવ છે ‘પાંડુ વર્ણ’, વૃદ્ધનો કે કવિતાનો? પશ્ચિમ ભણી ડગ માંડતો વૃદ્ધ કે અસ્ત ગતિની મરણાસન્ન કવિતા? વિષમભૂમિ અને ઠેશ કે વાંધાઓ અને ગોથાં? આમ કુલ આ ચાર સળ (Folds)માં શેરીનું સાતત્ય છે અને રજૂઆતમાં નકારાત્મક ભૂમિકાઓની અલગ અલગ વૈયક્તિકતા છે.

આ બધા અવરોધો છતાં અને નકારાત્મક દૃશ્યો છતાં હવે નકારાત્મક (ખરબચડી કાળી દીવાલો) ફ્રેમ વચ્ચે પહેલી વાર પતંગિયું દાખલ થયું છે. અગાઉના બધા જ સંદર્ભોને આવરી લેતો આ નાજુક સંદર્ભ બલિષ્ઠ પ્રતીક સાબિત થાય છે. કબૂતરના ગતિરોધ સામે, થરકતી રિક્તતા સામે, ક્ષુલ્લક જંતુઓ સામે, વૃદ્ધના ‘પાંડુ વર્ણ’ની સામે તેમજ ખરબચડી કાળી દીવાલોની સામે પતંગિયું મુકાયું છે. પતંગિયું, આ બધાનો પ્રાણપ્રદ પ્રતિકાર છે. આવા પ્રાણપ્રદ પ્રતિકારનો આંતરિક આવિષ્કાર જ કવિને ‘કવિતા લખવાની શરૂઆત’ કરવા તરફ લઈ જાય છે.

કોઈ કવિના આંતર-અવરોધો વચ્ચે અલપઝલપ ઊતરી આવતા મનના કોઈ ચંચળ સંવેદનનો વેગ આ રચનામાં ધ્વનિત થતો ઝિલાયો છે. આધુનિકતાવાદી કાળની આ રચનામાં શરૂના ચાર સળમાં સંવેદાયેલા ચાર અલગ અલગ પ્રત્યક્ષો (perceptions) અને છેલ્લે પાંચમા સળમાં આવતો ખરબચડી કાળી દીવાલો પરના પતંગિયાનો પ્રત્યક્ષ — આ સર્વને કવિતા લખવાની શરૂઆત કરતી કવિચેતના સર્જનપ્રક્રિયાના આંતરિક સંદર્ભમાં બાંધી લે છે. પહેલા ચાર સળની ચિત્રપ્રસ્તુતિઓ (pictoridal presentation) અને પાંચમા સળનો પતંગિયાનો કાળી ખરબચડી દીવાલ પરનો Closeup — લેખનની પ્રક્રિયા સાથે સંકળાતા એક બલિષ્ઠ અર્થ (Strong meaning) ઊભો કરે છે. એવું પણ કહી શકાય કે અહીં લખવાની શરૂઆત કરતો કવિ પોતે શોષેલા બહારના જીવનને સુયોજિત કરવા તરફ વળી રહ્યો છે. અહીં કવિતા દ્વારા કવિતાની લખવાની પ્રક્રિયાને વ્યંજિત કરતો પ્રયાસ આ રચનાને અધિકાવ્ય (Metapoem) તરીકે ઓળખાવવા આપણને પ્રેરે તો એ ઉચિત છે. (‘પરબ, લાભશંકર ઠાકરઃ કાવ્યાસ્વાદ વિશેષાંક, જૂન-જુલાઈ 2016’)