અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સાહિલ પરમાર /આપણી સમજણને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આપણી સમજણને

સાહિલ પરમાર

આપણી સમજણને લૂણો હોય છે,
શબ્દ ક્યાં ક્યારેય ઊણો હોય છે?

હો ક્ષણો દેખાવમાં જળવત્ ભલે,
ભીતરે ધગધગતો ધૂણો હોય છે;

મૃગજળો પાસેથી સાંભળવા મળ્યું,
રણને પણ એક ભીનો ખૂણો હોય છે;

છો નર્યો પથ્થરિયો ચહેરો લઈ ફરે,
આદમી ભીતરથી કૂણો હોય છે;

મન મીરાંની જેવું ‘સાહિલ’, જોઈએ,
સાહ્યબો સહુનો સલૂણો હોય છે.



આસ્વાદ: સમજણપૂર્વક સમજણની સમીક્ષા – વિનોદ જોશી

સમજણ હોવી એટલે શું તેમાં કોઈ ગણિત હોતાં નથી. કોઈ વાર કોઈ જ્ઞાની ખરા વખતે મૂઢમતિ બની જાય છે, તો કોઈ વાર કોઈ મૂર્ખનો અભિપ્રાય પણ તારી દે છે. સમજણ જેવું આમ તો પહેલેથી કશું હોતું નથી. કહેવાય છે કે સમજણ વય સાથે વિકસે છે. પણ તેમાંય અર્ધસત્ય છે. છેવટે તો સમજણની સમીક્ષા સમજણને કામે લગાડ્યા પછી જ થતી હોય છે.

અહીં આપણા આ કવિ પ્રારંભે જ સમજણ વિશેનું એક વિધાન કરે છે. સમજણને લૂણો લાગ્યાનું એમનું નિરીક્ષણ સત્યથી નજીકનું છે. તે એટલા માટે કે વળતી પંક્તિમાં એમણે શબ્દ ક્યારેય ઊણો કે અધૂરો નહીં હોવાનું ખાતરીપૂર્વક ઉચ્ચાર્યું છે. શબ્દ એ સમજણને વ્યક્ત કરવાનું એક માધ્યમ છે. કવિનું તારતમ્ય એ છે કે ખામી શબ્દમાં નથી હોતી, સમજણમાં હોય છે. રાજેન્દ્ર શુક્લની ગઝલનો એક શે'ર છે :

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,

આ સમજ, આ અણસમજ એ ખુદ જ સરજતું હોય છે.'

આપણી ભાષાના મધ્યકાળના કવિ રાજેએ લખ્યું છેઃ

‘મનનું કારણ કોઈ ન જાણે 
કોહને કહીએ માંડી રે!’

સમજણ ખુદ એવો પેચીદો મામલો છે કે તેને વિશે શબ્દ તો શું બીજા કોઈ ઉપચાર ક્યારેય અંતિમ નિદાન કરી શકે નહીં. કવિએ અહીં લૂણો' શબ્દ પ્રયોજી ધીરે ધીરે ખવાતી જતી દીવાલના સંદર્ભમાં સમજણની થતી ક્ષીણતાનો લાક્ષણિક નિર્દેશ કર્યો છે. જળવત્ ક્ષણોની વાત અત્યંત કાવ્યાત્મક છે. ક્ષણના પ્રત્યેક ઘાટ એ જેમાં ગોઠવાય છે તે પરિસ્થિતિ પ્રમાણેના હોય છે. પાણી પણ પાત્ર પ્રમાણે આકાર ધારણ કરી લે છે. પાણી અને પાત્ર જેવો ક્ષણ અને સ્થિતિનો સંબંધ છે. ક્ષણનું આ સ્વરૂપ સમાધાનકારી સ્વરૂપ છે. ક્ષણ પોતાના ક્ષણત્વને પરિસ્થિતિના ઘાટે ઘડી લે છે. લાગે છે તો એવું કે એ અનુકૂળ થઈ ગઈ, જળવત્ અનુકૂળ થઈ ગઈઃ પરંતુ આ મોટો ભ્રમ હોય છે. અનુકૂલન સાધવા જતાં જે દાબ સહેવો પડ્યો હોય છે તે એટલો તો દાહક હોય છે કે બહાર ન દેખાય છતાં તેને અવગણી શકાય તેવું હોતું નથી. એક ભ્રામક સત્યનો કવિ અહીં પર્દાફાશ કરે છે. અહીં આગને બદલે ધૂણો શબ્દ પ્રયોજયો છે તે સાભિપ્રાય છે. ધૂણો આગને પણ દબાવી દઈને પ્રગટતો હોય છે.

મૃગજળના મુખે રણમાં પણ કોઈ ભીની જગ્યા હોવાનું કહેતા કવિ એક અપૂર્વ એવું અર્થસૌંદર્ય નિપજાવે છે. એક તો એ કે મૃગજળ પોતે જ ભ્રમણા છે અને ભીનાશનો સામો છેડો છે. વળી, રણ જેવી નિર્જન અને નિર્જળ સ્થિતિ વિશે તેનો હકારાત્મક ઉદ્ગાર કવિએ આલેખ્યો છે. જે નિસ્બત વિનાનું હોય છે તે હંમેશાં બિનવિવાદાસ્પદ હોય છે. મૃગજળને અને ભીનાશને કોઈ નિસ્બત નથી. અહીં મૃગજળના મુખે થતા ઉદ્ગાર રૂપે રણમાં રહેલી કિંચિત્ ભીનાશનો સંકેત જે રીતે કવિએ સામર્થ્યપૂર્વક પ્રતીતિકર બનાવ્યો છે તેમાં ઊંચું કવિકર્મ પરખાઈ આવે છે. અહીં કૈલાસ પંડિતનો એક શે'ર યાદ આવે છેઃ

‘મૃગજળનું માન રાખવા પાછો ફર્યો છું હું,

નહીંતર તો ઘાટ ઘાટના પાણી પીધાં છે મેં.’

અહીં આપણા આ કવિએ તો રણ વિશેનું બયાન કરાવી મૃગજળનું માન ઓર વધારી દીધું છે. સૌથી અકળ જો કંઈ હોય તો તે માણસનો ચહેરો છે, હજી સુધી અસલ ચહેરા સાથે આખી જિંદગી જીવી ગયેલો કોઈ માણસ થયો નથી. માણસ નામે સંજ્ઞાનો એ અધિકાર ત્યારે જ બને છે જ્યારે એને પોતાના ચહેરા પર મહોરાં પ્રતીત થવા લાગે છે. આ પણ સમજણનો જ એક ભાગ છે. કેવળ દંભ એ જ મહોરું નથી. સંબંધો, પરિસ્થિતિઓ કે માણસ ખુદ પોતાની સાથે વર્તતો હોય તે સંદર્ભમાં પણ અનેકરૂપે ચહેરો ગોઠવતા રહેવાનું દરેકને ફાળે વત્તું-ઓછું આવ્યું જ હોય છે. અહીં કવિ પથ્થરિયા ચહેરાનો હવાલો આપી એવા ચહેરાવાળો માણસ પણ અંદરથી કૂણો હોવાના સંભવને ચીંધી આપે છે. હજારો-લાખોનો સંહાર કરી વિજયના ઉન્માદમાં મત્ત બનેલો સમ્રાટ અશોક કલિંગની રણભૂમિમાં જ પોચો પડી ગયાનો દાખલો છે. ઊભા ઘાસની જેમ માણસોને વાઢી નાખનાર સરમુખત્યાર હિટલરે પોતે આપઘાત કરી લીધાની વાત પણ છે. હકીકત તો એ છે કે જેવો દેખાય છે તેવો માણસ, હોય પણ ખરો, ન પણ હોય. છતાં તેનામાં માણસની કુમાશ તો કોઈ ખૂણે પડેલી જ હશે. એ ક્યારે પ્રગટે તે કહેવાય નહીં. એ ન પણ પ્રગટે. કવિ એટલે જ મનને મીરાંના મન જેવું સ્વચ્છ અને પારદર્શી બનાવી દેવાનું જાણે પરોક્ષ રીતે સૂચવી રહે છે. એને મન કાળો રંગ પણ સૌંદર્યનું પ્રતીક હતો. ‘કરના ફકીરી તબ ક્યા દિલગીરી?’ એ તેનો હૃદયમંત્ર હતો. ‘સદા મગન મેં રહેના જી’ એ તેની શીખ હતી. એને માટે કૃષ્ણ કાળો હતો છતાં સલૂણો હતો. જેનું મને મીરાં શું હોય તેને માટે પોતાનું પ્રિયપાત્ર સૌથી સુંદર હોય છે. ‘બીજો મારી નજરે ના'વે રે' એવી જાહેરાતમાં જ એકાધિકારની ખુમારી વ્યક્ત થઈ જાય છે. જે પોતાનું છે તેને કોણ પરહરે? સહુ સહુનો સાહ્યબો તેથી જ સહુ સહુને સલૂણો લાગતો હોય છે. પણ એને માટે મીરાંનું મન જોઈએ. ‘શ્યામ રંગ સમીપે ન જાવું’ એમ રટતી રટતી ગોપી કંઈ અમસ્તી જ ‘રે શિર સાટે નટવરને વરીએ’ એમ કૃષ્ણ માટે નહીં કહેતી હોય!