અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/સુભાષ શાહ/ક્યાં બધે કહેતો ફરું ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ક્યાં બધે કહેતો ફરું ?

સુભાષ શાહ

કેમ છોડ્યું ગામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
કેમ બગડ્યું નામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
ગુમ થયેલી સોય માટે સૂર્ય લાવ્યો તે પછી,
કેમ સળગ્યું ઠામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
ના કશી લેવડ, કશી દેવડ કરી છે તે છતાં,
કેમ ખૂટ્યાં દામ, એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
છ કદમ તો આ ભર્યાં આંખો મીંચી, પણ સાતમે
કેમ ખોઈ હામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?
સાવ ઠંડી એ નજરથી રક્ત પણ થીજી ગયું,
એ કેમ કરતી આમ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?



આસ્વાદ: બિન્ધાસ્ત બેફિકરાઈનું પ્રકર્ષક પારાયણ – રાધેશ્યામ શર્મા

રચનાનું શીર્ષક ૮ (આઠ) વાંચી આશ્ચર્ય થાય પણ આ આંકડો કવિતા સાથે સંબંધાયેલો નથી. ‘કાલે સવાર નહીં પડે’ એ કાવ્યસંચયની કુલ ૩૧ (એકત્રીસ) કૃતિઓમાંનું એક આ અષ્ટમ્ સંતાન છે!

મનુષ્ય, સમાજ અને કુટુંબ વચ્ચે જીવતું-મરતું એક સામાજિક પ્રાણી તો છે જ, પણ આંતરિક આત્મલક્ષીપણામાં પોતાની સાચકલી જાતનું ઍસરશન–કમ–જસ્ટિફિકેશન કરતો રહે છે. એ આમ કરે તે, કહે તે યથાર્થ સ્થિતિ છે, હી ઇઝ નૉર્મલ. સમાજ એટલે સમસ્યાઓ, સવાલો; વ્યક્તિ આગળ પ્રશ્નાર્થચિહ્નો મૂકતું ટાઇમ મશીન! પ્રશ્નોના જવાબ જોઈએ કેમ કે બધાંની વચાળ રહી એણે જવાબદાર હોવાની પ્રતીતિ પાછી દર્શાવી આપવી પડે. અહીં સંવેદનપટુ સર્જકની અસ્મિતા, આઇડેન્ટિટી ઝળક્યા વિના રહે?

મધ્યમ બહરની આ ગઝલની પ્રથમ બે પંક્તિ(મત્લા)માં, એનો પ્રવક્તા નાયક, જાણે કોર્ટના પાંજરામાં ખડો રહી કાફકાની કોર્ટ–ટ્રાયલમાં કૅફિયત આપતો હોય છતાં બેફિકરો થઈ બોલે છે: ‘કેમ છોડ્યું ગામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું? કેમ બગડ્યું નામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?’

ગામ–ઠામ–નામની ટૅગ્‌ઝ. માણસની ઓલાદ પર, એની ચામડી પર ચીપકી રહે છે, એને ઊતરડી ફેંકી દેવાનું શહૂર કો’ક વિરલામાં ઝણઝણી ઊઠે. ગામ છોડ્યું નથી, કદાચ છોડવું પડ્યું; નામ બગડ્યું નથી પરંતુ નરી સામાજિકતાની અસહ્ય સાચવણી કરવા જતાં સાંપડેલી નિષ્ફળતાનું પરિણામ હશે.

નાયક–કવિએ બદનામ થવાની, બદ–ગામ બનવાની અવદશા અગાઉ વહોરી હતી માટે તો નિખાલસ કબૂલાત પણ કરેલી:

વર્ષો પહેલાં એક વખત બદનામ થયેલો
ગઝલ લખીને પાછી મેં શરૂઆત કરી

સુભાષની આ બેત મને અમેરિકન લેખક ઈર્વિંગ વૉલેસના એક વેધક નિરીક્ષણ તરફ દોરી જાય છે:

To be one’s self, and unafraid, whether right or wrong, is more admirable than the easy cowardice of surrender to conformity.

કૃતિનો રદીફ ‘એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?’ પ્રત્યેક શેરની શિરામાં બેતમા અદાથી રેલાતો અનુભવાશે.

બીજો શેર બોટી લીધો મેં. કેમ? એ ફરી વાંચીશું તો કાવ્યજ્ઞોને બહુ સમજાવવું નહીં પડે.

ગુમ થયેલી સોય માટે સૂર્ય લાવ્યો તે પછી,
કેમ સળગ્યું ઠામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું?

મિસ્ટ્રિક્સને પ્રિય એક પેરેબલ છે. એક બાઈ સાંધતી’તી ને સોય ઘરના અંધારામાં સરકી ગઈ, પણ અજવાસ હતો નહીં તેથી એ ઘર બહાર સૂરજના પ્રકાશમાં સોય ગોતવા લાગી હતી!

આ પંક્તિમાં ઘણાને ખ્યાલ ના આવે પણ સમજનેવાલે કો ઈશારા કાફી હૈ કે પ્રોમિથિયસ પણ મનુષ્યલોક માટે મશાલચી બની દેવો સામે થઈ ગુનો કરી બેઠેલો. ‘ક્રાઇમ ઍન્ડ પનિશમેન્ટ’ – દૉસ્તોયેવ્સ્કીની થીમ માયથોલોજીના પાત્રમાં વિભિન્ન સ્થિતિએ ઝબકી ગયેલી…

અહીં તો ગજબનો ‘વિરોધ’ – કૉન્ટ્રાક્ટ છે. ક્યાં ઝીણકી સોય અને તેય ગુમનમ–ઠામ અને ક્યાં આફતાબે આલમ સૂર્ય! બિન્ધાસ્ત બેવકૂફી પાકી ખરી, ગુમ થયેલી સોય કાજે ઘરમાં સૂર્ય ઉપાડી લાવવાની તૌહીનનો અંજામ પણ જોઈ લો, ‘કેમ સળગ્યું ઠામ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું? ‘મેરી ભી ચુપ, તેરી ભી ચુપ’ (‘ફરું’ શબ્દ આવતાં નિરંજન ભગતની બેફિકરાઈનો દારૂગોળો ભરેલી કડી જહનમાં ઝળકી ગઈ:

હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?

નામ બગડ્યું. ઠામ સળગ્યું. રહ્યાં દામનું થયું? તો વાંચો ત્રીજો શેર: ‘ના કશી લેવડ, કશી દેવડ કરી છે તે છતાં,

કેમ ખૂટ્યાં દામ એ હું ક્યાં બધે કહેતો ફરું?’ સદૂગત કવિ મનહર મોદીએ આના અનુલક્ષમાં લખેલું: ‘સુભાષ, તારો પણ જવાબ નથી; લેવડ-દેવડના બે ટુકડા તારી પાસે કોણે કરાવ્યા? તારા શાયર દિમાગે જ ને? તું ભલે ના કહે, અમે સમજી ગયા કે તારાં દામ કેમ ખૂટ્યાં?’ (પૃ. ૩૬)

‘નામ ગુમ જાયેગા, ચહેરા યે બદલ જાયેગા, / તેરી આવાજ હી પહેચાન હૈ’ એમ ગુલઝારસાહેબની ગીતછટાથી કહેવું પડે. ગામ–નામ–ઠામની ઓળખે વિદાય લીધી તોય હિંમતે મર્દા તો મદદે ના–ખુદા કરીને કડી ઘડી: ‘છ કદમ તો આ ભર્યા આંખો મીંચી, પણ સાતમે, / કેમ ખોઈ હામ…’ અભિમન્યુ કદાચ સાતમે કોઠે જ ફસાયો. એણે હામ ખોઈ નહોતી કે ખોઈ હતી એ તો વેદવ્યાસ જાણે પણ અહીં તો હામ હિંમતને જાળવવા કોઈ હિકમત કારગર નથી નીવડી.

વા–ર–તામાં પૂંછડિયે ડંખ ભાવકને મારે છે તેમ અહીંયાં મક્તામાં ગઝલકર્તાનો, નાયકની ઓથે ફ્રિઝ શૉટ અને ફ્રોઝન રોમાન્સ પણ ભાવકોને તો ઉત્તેજિત કરે:

સાવ ઠંડી એ નજરથી રક્ત પણ થીજી ગયું,
એ કેમ કરતી આમ એ હું ક્યાં બધે ક્‌હેતો ફરું

સંગ્રહની ‘ત્વ’ રચના વિશે લાભશંકર ઠાકરે ‘રે મૂવમેન્ટ’ની યાદ કરાવતાં સમાપન કર્યું તે પ્રસ્તુત સંદર્ભમાં આસ્વાદ્ય છે:

‘લા. અને સુ. ઊભા છે.
ધે ડુ નૉટ મૂવ…’

(પૃ. ૧૧૨)

પણ આ લખનારની તો સવાર સુધરી ગઈ! (રચનાને રસ્તે)