અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/હરીશ મીનાશ્રુ/પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પદપ્રાંજલિ ૩૪ (સાધો, એ શું મદિરા...)

હરીશ મીનાશ્રુ

સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જઈ રુદરાખે

નભ આલિંગન લિયે નિરંતર
તો ય વિહગ બૈરાગી
ભગવામાં યે ભરત ભરીને
સોહે તે અનુરાગી

એક અજાયબ મુફલિસ દેખ્યો જેને લેખાં લાખે

તુલાવિધિ મુરશિદની કરવા
મળે જો એક તરાજુ
સવા વાલ થઈ પડખેના
પલ્લામાં હું જ બિરાજુ

ના ઊકલે એ કોઈ ઉખાણે, ના પરખાય પલાખે