અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/ `જલન' માતરી/પ્રથમથી જ રિવાજ છે

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રથમથી જ રિવાજ છે

`જલન' માતરી

સુખ જેવું જગમાં કંઈ નથી જો છે તો આ જ છે,
સુખ એ અમારા દુઃખનો ગુલાબી મિજાજ છે.
હું જો અનુકરણ ન કરું તો કરુંયે શું?
અહીંયાં મરી જવાનો પ્રથમથી જ રિવાજ છે.
અસ્તિત્વ તારું આસ્થાનું નામ છે ખુદા,
એ વહેમ છે તો વહેમનો તો ક્યાં ઇલાજ છે?
દુનિયાના લોક હાથ પગ ના મૂકવા દિયે,
ને તું કહે સમસ્ત જગત મારે કાજ છે.
ઊઠ-બેસ વિણ, અજાન વિણ, પળમાં પતી જશે,
મસ્જિદમાં આખરી આ ‘જલન’ની નમાઝ છે.