અહો બત કિમ્ આશ્ચર્યમ્/અર્પણ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અર્પણ

સુરેશ જોષી

ટકી રહેવું, કાલજયી થવું એટલે શું? દરેક કળાકારને આવી છૂપી કે પ્રગટ મહત્ત્વાકાંક્ષા રહી હોય છે. એ ભવિષ્યના પર પોતાની છાપ આંકી દેવા ઇચ્છે છે. પણ ભવિષ્યની પેઢી આપણી કૃતિનું પરિવર્તન કરી નાખે છે. આપણે એને જે રૂપે જાળવી રાખવા ઇચ્છતા હતા એ રૂપે એ રહેતી નથી. આપણી સાથેનો એનો સમ્બન્ધ છૂટી જાય છે, પછી મમત્વનું સૂત્ર છેદાઈ જાય છે. એને ‘મારી અમરતા’ કહેવાનો કશો અર્થ રહેતો નથી. જે કૃતિ આવાં પરિવર્તન પામીને ટકી રહે તે જ કાલજયી કહેવાય. આવાં રૂપાન્તરોની શક્તિ એણે પોતાનામાં એના સર્જકથી પણ અણજાણપણે પ્રગટાવી હતી માટે એ ટકી રહે છે. તેથી જ એનાં અનેક મર્મઘટનો શક્ય બની રહે છે. આથી એના સર્જકોથી સ્વતન્ત્રપણે નિપજી આવે છે. એ તો એની પછીની પેઢીનું સહૃદયોનું અર્પણ હોય છે. તબક્કો બદલાય, રાષ્ટ્રનો મિજાજ બદલાય તેમ એનું મૂલ્ય વધતું જાય છે.

‘સર્જકની લોકપ્રિયતા’ નિબન્ધનો એક ખણ્ડ

સાહિત્ય અને કળાના સાચા સહૃદય

મહેન્દ્ર ભગતને