આત્મપરિચય/જીવન વિષયક સમ્યક્ દૃષ્ટિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જીવન વિષયક સમ્યક્ દૃષ્ટિ

(૧૯૪૨ની આઝાદીની લડતમાં એલ્ફિન્સ્ટન કાલેજમાં જૂનિયર બી.એ.નો અભ્યાસ પડતો મૂકી લડતમાં થોડું કામ કરી-રચનાત્મક કામ કરવા હું મારે ગામ ગયો. ત્યાંથી મારા મિત્ર સુરેશ જોષી સાથે હું પત્રવ્યવહાર કરતો ત્યારે જે પત્રો તેમના તરફથી મળેલા તે મેં આજ સુધી સાચવી રાખ્યા છે. એ પત્રોએ જીવનમાં સત્યમ્-શિવમ્-સુન્દરમ્‌નું મને દર્શન કરાવ્યું છે. કાલેજમાં એ દિવસોમાં અમે મળતા ત્યારે ફુરસદની પળોમાં લાયબ્રેરીમાં બેસી ટાગોર કે રાધાકૃષ્ણન યા વિવેકાનંદનાં ફિલસૂફીભર્યાં પુસ્તકો વાંચતા. સુરેશભાઈ-(એટલે કે વડોદરાની આર્ટ્સ કાલેજના અધ્યાપક શ્રી સુરેશ જોષી) એ અમને આ પુસ્તકોમાં અને જીવનદર્શનના વિષયમાં રસ લેતા કરેલા. આમ છતાં સુરેશભાઈ જેટલી આ ગહન વિષયમાં અમારી ચાંચ ડૂબતી નહિ. આજે આ પત્ર છાપવાનો ઉદ્દેશ એ છે કે આજના કોલેજના વિદ્યાર્થીઓ પણ આ પત્રમાંથી પ્રેરણા મેળવે-જીવનમાં પણ અનેક ઝંઝાવાતો આપણે અનુભવીએ છીએ ત્યારે આ પત્રો ચિત્તમાં સંપૂર્ણ પ્રકાશ નહિ તો પ્રકાશનું એકાદ કિરણ તો જરૂર-જરૂર આપી જાય છે અને સુરેશભાઈનાં પત્રો ચિત્તને અત્યંત પ્રસન્નતા પણ આપે જ છે. વાચકોને પણ આપી જશે એવી અપેક્ષા સાથે — ચીમનલાલ જે. શાહ)

"But while we wander blindly, in our hearts,
Beyond our knowing, a new light is born,
And a new aching for the beautiful
And the old dream which, though we cease to dream
Continues ever seeking a response
In the sweet twilight of ephemeral things”
Harindranath


પ્રિય ભાઈ, પત્ર મળ્યો. તારો રોષ અને અકળાટ-બંને જાણ્યાં. પરિસ્થિતિ એ આપણા વર્તનની દિશાનું અંતિમ નિર્ણાયક તત્ત્વ નથી. સુંવાળી સેજ પર સૂઈને સ્વપ્નાં સેવ્યા કરવાનું તો સૌ કોઈને ગમે. પણ ચારે બાજુથી ઘેરી લેતી દ્વેષ તથા વેરઝેરની ઝાળમાંથી રસ્તો કાઢી હસતે મુખે ઇષ્ટને પ્રાપ્ત કરવું એમાં જ આપણી ખરી કસોટી છે. આપણી પ્રત્યે કરડી નજરે જોનારા દુનિયામાં હોય એ સંભવિત છે પણ એમના પ્રત્યે જો આપણે પણ એવું જ વર્તન રાખીએ તો એથી આપણું ચિત્ત અસ્વસ્થ થઈ જશે. કારણ કે આપણામાં રહેલું શુભ તત્ત્વ સાવ અપ્રસ્તુત નથી. અને એથી અશુભની સહેજ સરખી છાયા આપણા આત્માને કલેશકારક બની રહે છે. કસોટીની પળે દિલને મૂંઝાવા દઈએ તો અંતે એ દ્વિધાવૃત્તિના વમળમાં ચક્કર ખાઈને જડ જેવું બની જશે. સાચા પુરુષાર્થીએ તે difficultiesને — મુશ્કેલીઓને opportunitiesમાં — તક પ્રાપ્તિઓમાં — ફેરવી નાખવી જોઈએ. કુટુંબકલેશ તો લગભગ બધે જ છે. એમાં આપણે એકાદ બાજુનો બચાવ કરવા ઉત્સાહિત થઈ જઈએ તો એના જુસ્સામાં શુભાશુભના ખ્યાલને વિસારી દઈ નર્યા આવેશથી જ દોરાઈ જઈએ એવો પૂરેપૂરો સંભવ છે. માટે હું તો ઇચ્છું કે એવી પરિસ્થિતિ ઊભી થાય ને કદાચ એમાં આપણા વ્યાવહારિક કહેવાતા હિતનો કે હક્કનો સવાલ હોય તોયે એની પ્રત્યે ઉદાસીનતા — indifference — સેવવી એ જ વધુ યોગ્ય છે. સ્વસ્થ મન એ પહેલી આવશ્યકતા છે. નદીનાં ડહોળાયેલાં પાણી કાંઠા પરની વનશ્રીની શોભા પ્રતિબિંબિત કરી શકે નહિ. અનંત સૌંદર્યની છાયા માત્ર આપણી દ્વારા પ્રતિબિંબિત થવા દેવી હોય તો આપણાં સંવિતનાં — consciousnessનાં — પાણી સ્થિર રાખવાં જોઈએ. વ્યાવહારિક હિત કે હેતુ કરતાં આત્યંતિક હેતુ — absolute aim —નું જ વધારે મહત્ત્વ છે. આવી પરિસ્થિતિમાં આપણે આપણા અહમ્‌ની મહત્તાને જોખમમાં મુકાયેલી માની લઈએ છીએ ને પછી એની મહત્તા ફરી સ્થાપવાના આવેશમાં સ્વત્વનો સાચો ખ્યાલ જ ભૂલી જઈએ છીએ. Non attachment — અનાસક્તિ — એ જ એક સાચી નીતિ છે. જુદા જુદા પરસ્પર વિરોધી એવા હિત કે હેતુના તંતુની જાળમાં અહમ્‌ને જાણી જોઈને ગૂંચવી શા માટે નાખવું? અને વળી આપણે જે આપણા માટે સારું ગણીને ઝંખતા હોઈએ છીએ અને જે ન મળતાં પરિસ્થિતિનો કે અન્ય વ્યક્તિનો વાંક કાઢીને રોષે ભરાઈ જઈએ છીએ તે શું ખરેખર જ સારું હોય છે? એની આપણને સંપૂર્ણ ખાત્રી થઈ હોય છે? માટે આતુરતાથી ઇચ્છેલું, ઝંખેલું ન મળતાં અકળાઈ ન જતાં નિષ્ફળતાનાં કારણોની તટસ્થ તપાસ કરીને એની સિદ્ધિ એક આવશ્યક અનિવાર્ય પરિણામરૂપ બની રહે એવા પ્રયત્નો દિલની સચ્ચાઈથી ‘ગશથી કરવા જોઈએ. કેટલીક વાર પૂર્વગ્રહથી મન અત્યંત દૂષિત થઈ જાય છે. અમુક પરિસ્થિતિ અનિષ્ટ છે એમ માની લેવાથી કે અમુક વ્યકિત સાથે આપણો જોગ ખાવાનો જ નથી એમ માની લેવાથી આપણે અપૂર્વ સિદ્ધિની શક્યતાને જાણી જોઈને દૂર હડસેલવા જેવું જ કરી બેસીએ છીએ. દરેક વ્યકિતમાં કાંઈક અપૂર્વ એવું રહેલું હોય છે. દોષના આવરણમાંથી એ અપૂર્વને જોઈ લેવું ને એને આસક્તિથી પોતાનું કરી લેવું, ધીમે ધીમે એ દોષની મલિન છાયાને પણ સૌંદર્યની પ્રભામાં ફેરવી નાંખવી ને અંતે શુભના નિર્વિકલ્પ વાતાવરણમાં નિર્મળ પ્રફુલ્લતા અનુભવવી એ એક ચિત્તની અદ્ભુત તેમ જ અતિ ઇષ્ટ અવસ્થા છે. એ અવસ્થાના અનુભવને માટે આપણે પણ અમુક પ્રકારની યોગ્યતા પ્રાપ્ત કરવાની રહે છે, એ યોગ્યતા પ્રાપ્ત કર્યા વિના એની પ્રાપ્તિને માટે આતુર બની બેસવું એ નાનું બાળક આકાશમાંના ચંદ્રને હાથમાં પકડીને રમવાની હઠ કરે તેના જેવું છે. આજ સુધીમાં તને પત્ર ઘણા લખ્યા છે, દિલમાં જે સૂઝી આવ્યું તે સન્નિષ્ઠાથી તને કહ્યું છે, પણ કહેવા સાંભળવાની અવસ્થા હવે ચાલી જવી જોઈએ. હવે સ્વપ્નની, તરંગની પોચી ‘રતી છોડીને સિદ્ધિનાં ઉત્તુંગ શિખરો સર કરવાની પ્રબળ તમન્ના તારામાં જાગી ઊઠે તેની હું બહુ જ આતુરતાથી રાહ જોઉં છું. જે દિવસે હું તને કમર કસીને સિદ્ધિની પ્રાપ્તિને માટે ઉત્સુક થયેલો જોઈશ તે દિવસે મને અત્યંત સંતોષ થશે. ઘડી ઘડીએ મૂંઝાઈ જવું, થાકીને બેસી પડવું એ હવે સહી લેવું ન જોઈએ-ને તે યે અવશ બનીને સહી લેવું એ તો કોઈ રીતે ઠીક નથી. આપણા સંઘનો આદર્શ યથાતમ સિદ્ધ કરનાર ચાર જુવાન મળી રહેશે તો આજનું મારું સ્વપ્ન સિદ્ધિમાં પલટાઈ જશે. પણ એને માટે ઘણી સારી ધીરજ રાખવી પડશે. અધીરાઈ રાખવાથી કાર્ય સરવાનું નથી એ તો હું સારી પેઠે સમજું છું. એમ છતાં પણ ‘આજ પછી કાલ તો ઊગવાની જ છે ને?’ એમ માનીને નિશ્ચંતિ રહેવું એને હું ઠીક માનતો નથી. વર્તમાનની એક એક ક્ષણ ધ્યેયના કૈલાસ શિખરે પહોંચાડનાર સોપાનરૂપ બની જવી જોઈએ. શંકાકુશંકાના તરંગવમળમાં કે પ્રમાદમાં એ અમૂલ્ય ક્ષણને વેડફી નાખવાનું દુ:સાહસ કોઈ કરે તો તેને હું સહી શકતો નથી. ‘સાધના’ વાંચતાં પણ તને કંટાળો આવતો હતો. ‘The Religion of Man' વાંચતાંયે તને એવું જ થાય છે. એનો અર્થ એ થયો કે હજુ તારું મન એ આનંદને પોતાનો કરીને માણવાને ઉત્સાહિત થયું નથી. સૌંદર્યદર્શનની એકાદ અનોખી પળ, તુના શાશ્વત ગુંજનનો આછો શો પડઘો કે રહસ્યના સ્ફોટનની અપૂર્વ સન્ધિ જ્યારે જીવનમાં વણનોતરી આવી ચઢે છે ત્યારે આપણે આપણી ઈન્દ્રિયોએ ખડા કરેલાં વ્યાવહારિક વિશ્વમાં ગળાબૂડ ડૂબી ગયા હોઈએ છીએ. પરિણામે એ દર્શન, એ આછું ગુંજન ને એ રહસ્યસ્ફોટન કમલ પરથી સરતા તુષારબિંદુની જેમ આપણને સ્પર્શ્યા વિના જ ચિત્ત પરથી સરી પડે છે. આમ ને આમ આખું જીવન પણ કદાચ ચાલ્યું જાય. માટે vision એવી ક્ષણોને છટકી જવા ન દેવી જોઈએ. રવિબાબુએ ‘સા‘ના’માં ને એમનાં બીજાં પુસ્તકોમાં એમનાં જીવનમાં અનુભવેલી એવી દર્શનની-અમૂલ્ય અનુભવની-પળો વર્ણવી છે. એનું વાચન ને મનન આપણને પણ એવી ક્ષણોનો અનોખો અનુભવ લેવાને ઉત્સુક કરે છે. આ માટે હું રવિબાબુનાં પુસ્તકો વાંચવાનો ખાસ આગ્રહ રાખું છું. પત્ર લખજે-મોકળે દિલે લખજે. હં- સુરેશનાં સ્નેહવંદન.

પ્રિય રસિક, સૌ.કળાબેન, જયન્ત, નીતિન, ભરત ગીતા તથા અન્ય મિત્રો, હજી મારા પર દિલ્હીથી અધિકૃત સમાચાર આવ્યા નથી. હું એની આતુરતાથી રાહ પણ જોતો નથી. મારો નિર્ણય તો, એક ક્ષણની દ્વિધા વિના, મેં કરી જ લીધો હતો. સદ્ભાગ્યે એમાં પ્રણવ, કલ્લોલ ઋચા તથા સૌ.ઉષાબેનની પહેલેથી જ સમ્મતિ હતી. ભારતી તથા પંચાલનું વલણ પણ એવું જ હતું. આ પારિતોષિક મારી જીવનરીતિ સાથે સુસંગત નથી. એ આપવાની રીત, એના નિર્ણયની પદ્ધતિ, એમાં અગ્રસ્થાને બિરાજતી વ્યક્તિઓનું પૂર્વગ્રહપ્રેરિત અસાહિત્યિક દૃષ્ટિબિન્દુ,-આ બધું એનાથી વિમુખ કરવાને પૂરતું છે. હું આ કે તે વ્યક્તિનો દોષ જોતો નથી. સંસ્થાકીય પારિતોષિકોની આવી જ દશા થાય. નિયમો કરે ખરા, પણ વ્યક્તિવિશેષને ધ્યાનમાં રાખીને, કશા ઉચાટ વિના તોડેય ખરા. જેમની ચારિત્ર્યશુદ્ધિ માટે આપણે માન સેવતા હતા એવાઓએ પણ પોતાની નબળી કૃતિ માટે આપેલું પારિતોષક, કશા સંકોચ વિના સ્વીકારી લીધું. વળી સાહિત્યિક આબોહવા પર પ્રભાવ પાડનારી કૃતિઓને આપણા ભીરુ મુરબ્બીઓએ આવકારી નહિ. સર્જકતાનું ગૌરવ ભાગ્યે જ થયું. વીસ વરસના છોકરડા ઉમાશંકરની કૃતિ‘વિશ્વશાન્તિ’ને નરસિંહરાવ જેવા, જુદી જ સાહિત્યિક આબોહવામાં જીવનારા, દુરારાધ્ય ગણાતા વિવેચક ઉમળકાથી આવકારે એ પણ્ડિતયુગમાં બન્યું. ત્યાર પછીના ગાળામાં એવું કેમ ન બન્યું? રાવજી, શેખ, મધુ- આ કોઈ તરફ કેમ દૃષ્ટિ ગઈ નહિ? આ પારિતોષિકથી પોતે સ્વીકૃતિ કે માન્યતા આપી રહ્યા છે એવી મુરબ્બીવટ જ કેમ દેખાતી રહી? આથી ખોટાં મૂલ્યો ચલણી બન્યાં. જો હું આ પારિતોષિક સ્વીકારું તો આ બધાંને હું પણ સમ્મતિની મહોર મારી દઉં એવું જ ગણાય. મને મોડું મળ્યું એનો રોષ છે તેથી ત્રાગું કરીને સ્વીકારતો નથી એવી ગેરસમજ ન થાય એ માટે આ લખું છું. હરીન્દ્રે જે લાગણી ‘પ્રવાસી’માં બતાવી કે હર્ષદે જે ઉત્સાહથી ઉચિત પ્રસિદ્ધિ આપવાનો ઉદ્યમ કર્યો તે મને, ઊંડે ઊંડે, મતભેદ છતાં કેવા સૌહાર્દથી આપણે સહુ સમ્પૃક્ત છીએ તેની પ્રતીતિ કરાવે છે. આથી હું કૃતાર્થતા અનુભવું છું. તારો આનન્દ એ તો આ પારિતોષિકથી પણ બહુમૂલ્ય પ્રાપ્તિ છે એ મારે કહેવાની જરૂર નહિ હોય. મારે આ ક્ષણે કશો આક્રોશ પ્રકટ કરવાનો નથી. ‘અપિ ચ’, ‘છિન્નપત્ર’, ‘ન તત્ર સૂર્યો ભાતિ‘, ‘મરણોત્તર’, ‘ઇતરા’, ‘તથાપિ’ — લખાયાં એ ગાળામાં હું તમારા સૌથી, જુદા જ ભાવજગતમાં, છૂટો પડી ગયો હોઉં એવી લાગણી મને પીડતી રહી. કેટલીક વેદના એવી હોય છે કે અનુભવવા જેટલા આપણે ભાગ્યશાળી ન હોઈએ તો જીવનના ઘણા અંશોથી આપણે દૂર જ રહી જઈએ છીએ. અંગત ભૂમિકા પર થતી વેદના જો ત્યાં જ શમી જાય તો પરિણામ અનાશ્વાસનીય ગ્લાનિમાં આવે. સદ્ભાગ્યે આ વેદનાએ મને આંગળી ઝાલીને આગળ દોર્યો. એ સમયનું એકલવાયાપણું મને લાંબા ગાળા સુધી પજવતું રહ્યું. ધીમે ધીમે ચિત્ત સમાધાનની સ્થિતિ તરફ સરતું રહ્યું પણ એ જડતાનો જ છદ્મવેશ તો નહિ હોય ને એ વિશે હું સચિન્ત રહ્યો. ક્ષમા કરજો હું થોડો વાચાળ બની જાઉં છું! મારી કૃતિઓ મને exorcise કરવા પૂરતા જ ખપની રહી હોત તો એનું મૂલ્ય મારે માટે પણ એક ઉપચાર લેખે જ રહ્યું હોત. હું પ્રામાણિકપણે માનું છું કે ‘ચિન્તયામિ મનસા’ આ પારિતોષિકને પાત્ર નથી. થોડાંક નિમિત્તો ઊભાં થતાં કરેલું સૈદ્ધાન્તિક ચિન્તન છે. ‘ઇદમ્ સર્વમ્’, ‘અહોબત’ કે ‘જનાન્તિકે’ની પંકિતનું એ નથી. હવે પછી પ્રકટ થનાર ‘ભાવયામિ’ને પણ મેં એને પાત્ર ગણ્યું હોત. આમ છતાં કોઈ કૃતિની સાર્થકતા તે એ અમુકતમુક પારિતોષિકને પાત્ર ઠરે છે એમાં થોડી જ છે! મને એ દિવસો યાદ આવે છે : તું પાટણ જૈન મણ્ડળના મકાનમાં રહેતો ત્યારે હું નવી લખાતી વાર્તાઓ સૌ પ્રથમ તને સંભળાવતો હતો. એ નિમિત્તે જે ઘનિષ્ટતા અનુભવેલી એ જ મારે મન તો મોટી પ્રાપ્તિ હતી. આજે પણ તમને સૌનેે જે આનન્દ થયો તે જ મારે મન તો મોટી પ્રાપ્તિ છે. પણ એને માટે આવાં કશા નિમિત્તનીય જરૂર હતી ખરી? ધીમે ધીમે મારી દશા મહાભારતના કર્ણ જેવી થતી ગઈ. જે ધનુષમાંથી બાણ તાકવાનું હતું તેની પણછ જ જાણે કતરાઈ ગઈ. ‘ક્ષિતિજ’નો સુવર્ણસમય દૂર દૂરની ઝાંખી સ્મૃતિ બની રહ્યો. અપમાન, હાંસી, વિડમ્બના સહેવામાં હું એકલો પડી ગયો. અધૂરામાં પૂરું દમ પીડતો રહ્યો. એમાં હવે લોહીનું ઊંચું દબાણ ઉમેરાયું. કોઈ રીતેય, આ બધાંને નિમિત્તે, સહાનુભૂતિ કે દયા ઉઘરાવવી નહિ એવા સ્વમાનને જાળવવાનું ઘણી વાર કપરું બની ગયું. મારી ગણના Kill joyમાં થવા લાગી. આમાંથી મુક્ત થવાનો મારી પાસે એક જ માર્ગ હતો : મારા વ્યક્તિત્વની બિનંગતતા તરફ અગ્રસર થતા રહેવું, આ કે તે મળે એવી આશા લાલસાથી સમજપૂર્વક દૂર સરતા રહેવું જેને જીવનકાર્ય ગણું છે તે યત્કિંચિત કર્યે જવું. આમ છતાં હું પણ આખરે તો ઘણી સામાન્યતાઓનો બનેલો છું. પ્રિય વ્યક્તિ તરફથી મળેલું દુઃખ પણ વ્હાલું લાગવા માંડે છે. અનાયાસે મારી તરફ વહી આવતી સુખદતાને સંઘરી રાખવાનું મન થાય છે. થોડીક નિર્બળતાઓ પણ આપણે માટે કેવો આચાર બની રહેતી હોય છે! આ બધા સમય દરમ્યાન જ્યાંથી વેદનાનાં પૂર આવ્યાં ત્યાંથી જ આધાર પણ મળી રહ્યો. એ તો અંગત ભૂમિકા પરની વાત થઈ. ઈત્યલમ્! અત્યારે લોહીના ઊંચા દબાણને કારણે લગભગ નજરકેદની સ્થિતિમાં જીવું છું. ઘણું કામ થઈ શકતું નથી. ‘એતદ્’માં ‘અત્રતત્ર’ લખી શકતો નથી. માર્ક્સવાદી વિવેચનના અભિગમ વિશે લખવાનું વિલમ્બમાં પડતું જાય છે. મને આનો રંજ છે. કાફકાના શતાબ્દી વર્ષમાં હું એને વિશે કશું કહી શક્યો નથી. ‘મેટામોર્ફોસિસ’નો અનુવાદ અને અભ્યાસ રજૂ કરવાનો સંકલ્પ છે તે જૂન પહેલાં તો કરવું જ જોઈએ. આમ છતાં હું સુખમાં જ છું. રસેલિયાના રાતા ફૂલના ફુવારામા સક્કરખોરને વિહરતો જોઉં છું. મિત્સુનો કિલકિલાટ મને ભાષાના ઉદ્દગમ સ્થાને લઈ જાય છે. સંગીત સાંભળું છું. અનિદ્રાની પળોમાં કોઈ અજાણ્યા નરકનાં દ્વાર પણ ઠોકી આવું છું. સુરેશ

વડોદરા : તા.૧૧-૧-૮૪ પ્રિય બાબુભાઈ, માથે છાપરું મળ્યું એટલે ભયો ભયો. તમે અનાસક્ત જીવ છો, વળી અત્યારની સ્થિતિમાં પૂરી સ્વતન્ત્રતા ભોગવો છો. આ ગાળો તમારે માટે વ્યક્તિત્વને નવો વળાંક આપીને ઘડવાનો છે. અનુચિત અભિનિવેશ કે આવેગને વશ થવું નહિ. સાહિત્યપ્રીતિ અને વિદ્યાપ્રીતિ વધારતા રહેશો. અસ્તિત્વવાદીઓ કહે છે તે સાચું છે : વિકલ્પોમાંથી પસંદગી આપણે જ કરવાની છે. બીજાને તો ઠીક પણ આપણે આપણને પોતાને અન્યાય ન કરી બેસીએ તે તો જોવાનું જ. પહેલા જ પત્રમાં ઉપદેશ આપવા બેઠો. મને ખબર છે કે ઉપદેશ આપનારા વડીલો પ્રત્યે અણગમો થતો હોય છે. છતાં, અણગમો વહોરી લઈને પણ, બે વાત લાગણીને કારણે કહેવી હતી. અભ્યાસરત રહેશો. મુંબઈની આજુબાજુ વરસોવા, વજ્રેશ્વરી, તુલસીવિહાર સરોવરો, એલિફન્ટાની ગુફા, કેનેરીની ગુફા — આ બધાં સ્થળો રમ્ય છે. ફરવા નીકળી જવું. તમે ફરીથી કવિતા કરતા થઈ જશો. હાન્ડકેની નવલકથા મોકલી તેથી ખૂબ આનંદ થયો. ત્યાંથી ખરીદવા જેવાં પુસ્તકોની વીગત મોકલતા રહેશો. મારી યુજીસીની ગ્રાંટમાંથી લઈ શકીશ. એ માટે મારાં પુસ્તકોના તમારી સંતરામપુરની કોલેજ તરફથી મળેલા રૂ.૧૫૦ જ મને મોકલશો, પુસ્તકો નહિ. એને માટે ડબલ વાઉચર અને એવાતેવા વિધિ કરવા પડે. દિવાળીમાં જરૂર આવજો. આપણું તો એક જ કુટુમ્બ છે. થોડી ચડભડ થાય, કોઈ વાર રોષ પણ થાય તેમ છતાં પ્રેમ જ સર્વોપરિ છે એવું નિશ્ચિત માનજો. ભરત આ બાજુ આવવાનો હતો તેનું શું થયું? તમે બધાં ખૂબ યાદ આવો છો. મહિનો માસ તબિયત ખરાબ રહી. હજી થોડું વેઠવાનું બાકી છે. બધાંને સ્નેહસ્મરણ. સુરેશ