આત્મપરિચય/પરિશિષ્ટ/ સુરેશભાઈનો શૈશવકાળ - ભૂપેન્દ્ર ઉપાધ્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
સુરેશભાઈનો શૈશવકાળ

ભૂપેન્દ્ર ઉપાધ્યાય

સુરેશભાઈને એમના બાળપણમાં સૌ બાબુ કહેતા, નાનેરાઓ મોટાભાઈ કહેતા. એમનો જન્મ મોસાળ સુરત જિલ્લાના વાલોડમાં થયો. પિતા મુંબઈમાં રેલવેની નોકરીમાં હતા. પિતામહ ગાયકવાડી રાજ્યના કિલ્લે સોનગઢની બહુલક્ષી શાળામાં ‘હેડમાસ્ટર’ હતા. સુરેશભાઈનું પ્રાથમિક શિક્ષણ સોનગઢમાં, માધ્યમિક શિક્ષણ નવસારીમાં તથા કોલેજ શિક્ષણ મુંબઈમાં થયું. એમ.એ. થયા પછી થોડા મહિના મુંબઈમાં સરકારી નોકરી કર્યા બાદ કરાંચી કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા. દેશના ભાગલા પડતાં આણંદ પાસે, તેવામાં શરૂ થયેલી વલ્લભ વિદ્યાનગરની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે થોડાંક વર્ષો કાર્ય કરી વડોદરા યુનિવસિર્ટીમાં ગુજરાતીના અધ્યાપક તરીકે જોડાયા ને ત્યાંથી જ નિવૃત્ત થયા. વડોદરા નિવાસ ચાલુ રહ્યો. સુરેશભાઈના પિતા મુંબઈ હોવાથી એમનું શિક્ષણ પ્રગતિશીલ મહાનગર, મુંબઈમાં થાય એ સ્વાભાવિક હતું પરંતુ એમનું પ્રાથમિક શિક્ષણ પછાત ગણાતા નાનકડા ગામ સોનગઢમાં દાદાની છત્રછાયામાં થયું. આ માટે બે-ત્રણ કારણો હતાં. એક તો મુંબઈ જેવા શહેરમાં શાળાએ જવા આવવાનું જોખમ. મુંબઈના વાતાવરણ અને શાળામાં મળતા સંસ્કાર અને શિક્ષણ વિશે આશંકા. સોનગઢમાં દાદાજી શિક્ષક હોવાથી ભણતર ઉપર પૂરું ધ્યાન આપી શકે એ લાભ પણ ખરો. આ ઉપરાંત એક ત્રીજું કારણ પણ હતું. સુરેશભાઈનાં એક ફોઈ બે વર્ષના પુત્રને મૂકી મૃત્યુ પામ્યાં હતાં. એ બાળકનો ઉછેર સોનગઢમાં થતો હતો. સુરેશભાઈ કરતાં એ એકાદ મહિના નાનો હતો. એને સોબત મળી રહે અને બંને ભાઈઓ સાથે રહીને ભણે એ દૃષ્ટિએ સુરેશભાઈ પિતામહને ત્યાં સોનગઢ આવ્યા. બંને ભાઈઓ સાથે રમતા, ફરતા ને ગામ પરગામ જવાનું થાય ત્યારે સાથે જ જતા. ‘બાબુ-ભાણા’ના સંયુક્ત નામે તેમનો ઉલ્લેખ થતો. પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં બંને ગંગાધરા અને નવસારીની શાળામાં ભણ્યા. મેટ્રિક થયા પછી સુરેશભાઈ મુંબઈ પિતાને ત્યાં ગયા ને એલફિન્સ્ટન કોલેજમાંથી ગુજરાતી અને સંસ્કૃત વિષય લઈ પહેલા વર્ગમાં બી.એ. અને એ જ વિષયમાં બીજા વર્ગમાં એમ.એ. થયા. બીજા ભાઈ સુરતની કોલેજમાં એ જ વિષયો સાથે બી.એ.ના પહેલા વર્ગમાં અને એમ.એ.ના બીજા વર્ગમાં પાસ થયા. મુંબઈમાં ભણનાર સુરેશભાઈએ મુંબઈ બહાર ગુજરાતીના અધ્યાપક તરીકે આજીવન કાર્ય કર્યું તો સુરતમાં ભણેલા ભાઈએ મુંબઈની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. કોલેજશિક્ષણ દરમિયાન જુદા પડ્યા પછી બંનેને હળવા-મળવાનું ઓછું થતું. છતાં સ્નેહસંબંધ જળવાઈ રહેતો. સોનગઢનું બાળપણ માતાપિતા સાથે ન હોવા છતાં સુખ, સુવિધા, શાંતિ અને આનંદમય હતું. બસો છાત્રોની બોર્ડિંગના વિશાળ પરિસરમાં મધ્યભાગે હેડમાસ્ટરનું મોકળાશવાળું નિવાસસ્થાન હતું. સાથે મનોહર ઉદ્યાન હતું. ગુલાબ, મોગરો, ચમેલી, બોગનવેલ ને રાતરાણીનાં પુષ્પછોડો અને લતાઓ હતાં. ત્યાં લીમડા અને ચંદનવૃક્ષોની ઘટાઓ ફેલાયેલી રહેતી. કિલ્લાની નજીક આવેલા આ પરિસર ઉપર સંધ્યાકાળે કિલ્લાનો બહોળો પડછાયો પડતો. ઘર મોકળાશવાળું હતું પરંતુ રહેનારાની સંખ્યા ઓછી હતી. દાદાજીનાં મૂંગાં-બ્હેરાં બહેન અને આ બે બાળકો. કદી કદી ફોઈઓ ને માતાપિતા આવી રહી જતા. માતામહી ફોઈના મૃત્યુ પછી બે મહિનામાં મૃત્યુ પામ્યા હતા. વળી દાદાજીના નાના પુત્ર, પુત્રવધૂ, પૌત્રી, પત્ની, પુત્રી, જમાઈ વગેરે સ્વજનોનાં થોડે થોડે ગાળે અવસાન થતાં ગમગીની વ્યાપેલી રહેતી. દાદાજી મોટી સંસ્થાના સંચાલનમાં વ્યસ્ત રહેતા છતાં આખું ગૃહતંત્ર વ્યવસ્થિત ગોઠવાયેલું હતું ને તેમની સતત નજર રહેતી. બ્હેરા-મૂંગા ફોઈ કાબેલ હતાં ને ઘરનું તંત્ર ચલાવતાં. બંને ભાઈઓના કાર્યક્રમ સરળતાથી ચાલ્યા કરતા. લડવા-ઝગડવાનું ન હતું. ઉપદેશ, ધમકી, ઠપકાનો અભાવ હતો. કોઈનો ઊંચો સાદ સંાભળવાનો ન હતો. બધી જરૂરિયાત પૂરી પાડતી. માંગવાની જરૂર પડતી નહિ. નોકર-ચાકરો પૂરતા હતા ને ઘરના માણસની જેમ વર્તતા. આ આનંદમય વાતાવરણમાં રાત પડતી. રાત્રે બંને ભાઈઓ એક ઓરડામાં સૂઈ જતા ને પાસેના વનમાં રહેતા વાઘ, કિલ્લાના બૂરજ ઉપરથી ત્રાડ નાંખતા સાંભળતા. કદીક ભય પામતા, પરંતુ અહીં સયાજીરાવ મહારાજાની આણ પ્રવર્તે છે; વાઘ અંદર આવી શકે જ નહિ એવી ધરપત રાખી નિરાંતે વાતો કરતા કરતા નિદ્રાધીન થતા. શાળામાં સુરેશભાઈ હોંશિયાર ગણાતા, મોટે ભાગે પહેલો નંબર રાખતા. ‘હેડમાસ્ટર’ને ત્યાંના હોવાથી ગામના મોટેરાઓમાં અને વિદ્યાર્થીઓમાં બંને આદરપાત્ર ગણાતા. સુરેશભાઈ શાળાના મેળાવડામાં ગીત ગાતા, ‘સંવાદ’માં અભિનય કરતા, તે વખણાતા. દાદા સોનગઢના પુસ્તકાલયના મુખ્ય સંચાલક હોવાથી પત્રો, પત્રિકાઓે, પુસ્તકોની ખૂબ સગવડ હતી. સુરેશભાઈ ખૂબ વાંચતા. તેમની તેજસ્વિતાથી બધા અંજાતા ને દાદાના પરિચિતો કહેતા કે ‘સુરેશને તમે આઈ.સી.એસ. થવા લંડન મોકલજો.’ સુરેશભાઈ પ્રૌઢ શિક્ષણની પ્રવૃત્તિમાં તથા ફરતા પુસ્તકાલયની પ્રવૃત્તિમાં ભાગ લેતા. આવી જાહેરપ્રવૃત્તિ સોનગઢ છોડ્યા પછી અટકી ગઈ ને પાછળથી સુરેશભાઈએ રસ લીધો હોવાનું જણાતું નથી. શાળાની સાથે સુથારી, વણાટ, ખેતીકામ શીખવાના વિભાગો હતા. એ વિભાગો વિદ્યાર્થીને તાલીમ આપવા માટે હતા છતાં બંને ભાઈઓ એનોલાભ લેતા. દાદા સાથે સરકારી ફાર્મ પર જતા. સોનગઢ છોડ્યા પછી એ તાલીમ છૂટી ગઈ ને તેમાં રસ લેવાનું પણ બન્યું નહીં. દાદાજી છંદમાં કાવ્યો રચતા. વિષય મોટે ભાગે રામાયણ મહાભારતના પ્રસંગોનો રહેતો. દાદાજી એક કડી રચતા ને સુરેશભાઈને આગળ કડી રચવાનું પ્રોત્સાહન આપતા. પછી તો નવસારીમાં સુરેશભાઈ, કાવ્યો, નિબંધો લખતા. દાદા બધું વાંચતા અને રાજી થતા. પરંતુ એક વાર દાદા ગુસ્સે થયા હોય એમ લાગ્યું. એમણે તમાચો મારવા હાથ ઉગામ્યો. આની પાછળ શું કારણ હોઈ શકે? એક તો આનંદ પ્રગટ કરવાનો એ એક પ્રકાર હતો. બીજું કારણ એ હતું કે સુરેશભાઈના નાનાકાકા બી.એ. થયેલા હતા, ને કેળવણી ખાતામાં નાની વયે અધિકારી બન્યા હતા. તેમણે એક નવલકથા ઉપરાંત ઘણું લખ્યું હતું. તેમનું નાની વયે, ૨૮મે વર્ષે અવસાન થયું. સુરેશભાઈ પણ એવા તેજસ્વી હતા. તેમને આવું કોઈ દુર્ભાગ્ય નડે નહિ એવી ચંતાિ દાદાને હતી. સુરેશભાઈએ ત્યાર પછી સાહિત્યક્ષેત્રે જે અર્પણ કર્યું તે જોવા દાદાજી રહ્યા ન હતા. સોનગઢમાં પારિવારિક જીવન મર્યાદિત હતું. માતાપિતાની અનુપસ્થિતિમાં એકાકીપણું લાગતું ને એકબીજાના સાથમાં અને બહોળા મિત્રમંડળને કારણે સહ્ય બનતું . તદ્દન નજીકની અનેક ઓરડીઓમાં તેમાંના કેટલાક સમવયસ્ક અને સહપાઠી હતા. તેમની સાથે ફરવાનું કે રમવાનું થતું. તેઓ તેમના તળપ્રદેશની કથાઓ કહેતા ને લોકગીતો સંભળાવતા. તેમની સાથે ભળવામાં બાધ ન હતો. તેમનું જીવન શિસ્તવાળું હોવાને કારણે હંમેશ તેમનો સાથ મળે એમ બનતું નહિ. ગામના સજ્જનો દાદાને કહેતા કે ‘બાબુ-ભાણા’ને રાનીપરજ વચ્ચે નહિ પરંતુ ગામના ઊંચા વર્ણના છોકરાઓ સાથે દોસ્તી બાંધવા દો. દાદા એને બહુ મહત્ત્વ આપતા નહિ ને કહેતા કે આ રાનીપરજ છાત્રો શિસ્તમાં હોવાથી બીડી પીતા નથી ને કહેતા કે ગાળો બોલતા નથી. આ બંને ગામના ઉચ્ચ વર્ણના છોકરાઓ પાસે આ બધું નહીં જ શીખે એની ખાત્રી છે? ને એમ કશી રોકટોક વગર મિત્રોની સોબત મળતી રહી. સોનગઢ ગામના બે મુખ્ય વિભાગ હતા. જૂનું ગામ ને નવું ગામ. બંનેની વચ્ચે ‘બોર્ડિંગ’ હતી. પાસે સૈયદ મિયાંનું ઘર હતું. તે સમવયસ્ક અને સહપાઠી હતોેે. તે સોનગઢના વનપ્રદેશો અને ખંડેરોનો ભોમિયો હતો. ખંડેરો અને કિલ્લા સાથે સંકળાયેલી વાતોનો એની પાસે ભંડાર હતો. સુરેશભાઈનો એ ગાઢ મિત્ર બની રહ્યો. સુરેશભાઈને સોનગઢનાં વનોમાં ને ખંડેરોમાં એણે ફેરવ્યા ને જાતજાતની અદ્ભુત કથાઓ સંભળાવી. મિત્રો સાથે તે તેમને જંગલોમાં લઈ જતો ને જાતજાતનાં વૃક્ષો અને તેની ખાસિયતોનો પરિચય કરાવતો. આ ખરીખોટી વાતોનો સુરેશભાઈ પર સારો પ્રભાવ પડ્યો. સોનગઢ, વનરાજિ અને પ્રકૃતિના જે ઉલ્લેખો સુરેશભાઈના વર્ષો પછી લખાયેલા નિબંધોમાં મળે છે તેમાં સૈયદ મિયાનો ફાળો મહત્ત્વનો ગણાય. સોનગઢ છોડ્યા પછી તેમના રાહ જુદા પડી ગયા. પછી ભાગ્યે જ મળવાનું થતું. સુરેશભાઈ ઉચ્ચ શિક્ષણ લઈ સાહિત્યકાર પ્રોફેસર બન્યા ને સૈયદ મિયા છ ચોપડાં ભણી નાની એવી સરકારી નોકરીમાં જોડાઈ ગયા. આ કારણે અંતર પડી ગયું ને સંપર્ક નહિવત્ થઈ ગયો. સોનગઢની બોર્ડિંગના મેદાનની સામે સરકારી ઇમારત હતી. તેમાં સરકારી કચેરીઓ બેસતી. પરંતુ ગાયકવાડ મહારાજા કે યુવરાજ પ્રતાપસંહિ સોનગઢના જંગલમાં શિકારે આવતા ત્યારે તે ઇમારત રાજમહેલ બની રહેતી. યુવરાજ સાથે હાથી, ઘોડાનો રસાલો આવતો. એ દરબારી ઠઠેરો જોવા સુરેશભાઈ અને મિત્રો મેદાનમાં બેસી રહેતા. યુવરાજ શિકાર કરી આવે ત્યારે મૃત વાઘ કે મગર જોવા બધા ભેગા થતા. તેમના રસાલામાં એક હાથી હતો જેના પર બેસી યુવરાજની મંડળી શિકારે જતી. હાથીને જોઈ સુરેશભાઈએ કહ્યું કે ‘આપણને હાથી ઉપર બેસાડી સહેલ કરવા લઈ જાય તો કેવી મઝા આવે?’ યુવરાજના કર્મચારીએ આ સાંભળ્યું ને યુવરાજને વાત કહી. યુવરાજે ત્યાં ઉપસ્થિત બાળકોને હાથી ઉપર ફેરવવાનું કહ્યું : બધાને વારાફરતી હાથી ઉપર બેસાડી અર્ધો માઈલ જેટલું ફેરવ્યા. યુવરાજ કે હાથી કરતાં સુરેશભાઈને વધારે શાબાશી મળી! એક ધોરણ પૂરું થતાં નવા ધોરણનાં પુસ્તકો આવતા — દાદાજી તેના ઉપર ‘બ્રાઉન પેપર’નાં પૂઠાં ચઢાવી આપતા. કોરા કાગળની નોટ બનાવતા તેના ઉપર પણ બ્રાઉન કલરનું પૂઠું લગાવતા. સુરેશભાઈને આ ‘બ્રાઉન કલર’ વિશે મમતા બંધાઈ. તેમનાં એકબે પુસ્તકો અને ‘એતદ્’નાં આવરણો ‘બ્રાઉનપેપર’નાં રાખ્યા હતા. દાદાજી આસ્તિક હતા પરંતુ જડ વિધિનિયમો કે કર્મકાંડને સ્થાન ન હતું. સુરેશભાઈ ગીતા કે ‘વિષ્ણુસહસ્ર’નો પાઠ કરતા પરંતુ સોનગઢ પછી તે ક્રમ જળવાઈ રહ્યો નહિ. પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં આગળના શિક્ષણ માટે મુંબઈ જઈ શકાય એમ હતું. મુંબઈમાં જગા નાની. ત્રણ બહેનો અને બે ભાઈઓનો સમાવેશ થાય એમ ન હતું. વળી ત્યાં અંગ્રેજી ચોપડીથી શરૂ કરવું પડે એમ હતું. એક વર્ષમાં અંગ્રેજી ત્રણ ચોપડી કરી અંગ્રેજી ચોથામાં દાખલ થવાની સગવડ વડોદરા રાજ્યમાં હતી. બંને ભાઈઓએ એક વર્ષમાં એ અભ્યાસ પૂરો કર્યો. ચોથા ધોરણમાં દાખલ થવા પાસેના વ્યારાની શાળામાં જવાનું હતું. ત્યાં ચોથા ધોરણને યોગ્ય છે કે કેમ તેની પરીક્ષા લેવામાં આવી પરંતુ બંનેને એ પ્રવેશ માટે અયોગ્ય ઠરાવી દાદા ઉપર એ પ્રકારનો પત્ર હાથોહાથ આપવા માટે આવ્યો. સોનગઢ જતાં રસ્તામાં એ પત્ર વાંચતા તેઓ સ્તબ્ધ થઈ ગયા. સુરેશભાઈએ કહ્યું : ‘આ તદ્દન ખોટું છે, આપણને બધું આવડ્યું હતું.’ સુરેશભાઈએ પત્ર તરત જ ફાડી નાંખ્યો. સુરેશભાઈ સ્વમાની હતા. ખોટું ચલાવી લેતા ન હતા. એ જ જુસ્સામાં દાદાજીને વાત કરી ને તેમણે એ વાત સ્વીકારી. પછી થોડેક દૂરની ગંગાધરા હાઈસ્કૂલમાં ચોથા ધોરણમાં દાખલ કરવા મોકલ્યા. યોગ્ય જણાતાં બંનેને ચોથા ધોરણમાં દાખલ કર્યા. પાસેના બારડોલીમાં બીજા ફોઈને ત્યાં રહી બંને રેલવે ટ્રેઈનમાં ગંગાધરા આવ-જા કરતા. ત્યાં સુરેશભાઈની ગણના હોંશિયાર વિદ્યાર્થીમાં થઈ. વાર્ષિક પરીક્ષામાં પહેલો નંબર મેળવ્યો. આ વાત વ્યારાના હેડમાસ્તરને જણાવવા માટે દાદાજીએ પ્રોત્સાહન આપ્યું નહીં. ગંગાધરામાં એક વર્ષ અભ્યાસ કર્યો પરંતુ તે દરમિયાન ‘રસકુંજ’ નામનું હસ્તલિખિત પત્ર શરૂ કરાવ્યું ને તેની બધી જવાબદારી લીધી. આ પ્રવૃત્તિ પછીના વર્ષમાં ‘ફાલ્ગુની’, ‘સુધાસંઘપત્રિકા’, ‘વાણી’, ‘મનીષા’, ‘ક્ષિતિજ’, ‘ઊહાપોહ’, ‘એતદ્’ જેવા શિષ્ટમાન્ય પત્રોનાં પ્રકાશનો દ્વારા વિકાસ પામી. ગંગાધરામાં ચોથું ધોરણ પૂરું થયું એટલામાં દાદાની બદલી નવસારી થઈ, એથી શિક્ષણનો પ્રશ્ન ઉકલી ગયો. મુંબઈ જવાનું રહ્યું નહિ. બંને ભાઈઓ નવસારી મેટ્રિક સુધી ભણ્યા. નવસારીમાં મદ્રેસા હાઈસ્કૂલમાં પાંચમા ધોરણમાં દાખલ થયા. બે ત્રણ મહિના પછી માસિક ફી ભરવામાં થોડુંક મોડું થવાથી વર્ગશિક્ષકે — જે કવિ કાંતના ભત્રીજા હોવાનું વારંવાર કહેતા — ફી ન ભરવા વિશે અઘટિત શબ્દો કહ્યા. દાદાની સંમતિથી આ વિશે હેડમાસ્તરને ફરિયાદ કરી ત્યાંથી દાખલો કઢાવી લીધો ને ગાંધીવાદી શિક્ષકોએ તે સમયે શરૂ કરેલી ‘નવસારી હાઈસ્કૂલ’માં દાખલ થયા. ને ત્યાંથી ‘મેટ્રિક’ થયા. નવસારી હાઈસ્કૂલમાં ‘વક્તૃત્વ સ્પર્ધા’માં તથા શાળાના સામયિક ‘અંકુર’માં એમણે અગ્રગણ્ય ભાગ લીધો. નવસારીમાં સુરેશભાઈને બંગાળી ભાષા તથા રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યના પરિચયમાં આવવાનું થયું. નવસારીના સાર્વજનિક પુસ્તકાલયમાં એ જતા ને પુસ્તકો વાંચતા. સ્વામી વિવેકાનંદના ગ્રંથોનો એમના ઉપર ત્યારે પ્રભાવ પડ્યો. પુસ્તકાલયમાં એમણે ટાગોરનાં ‘Gardner’ અને ‘Fruit gathering’ નામના કાવ્ય અનુવાદોને ‘Agriculture’ — ‘ખેતીવાડી’ વિષયમાં મૂકેલા જોઈ એ વિષે ગ્રંથપાલને કહ્યું. ગ્રંથપાલમાં ખેલદીલી ઓછી એટલે એમણે કહ્યું : ‘કાલથી આવો ને બધાં પુસ્તકોનું વર્ગીકરણ તમારી અક્કલ પ્રમાણે કરી આપો ને પછી આ મારી ખુરશી ઉપર બેસી જાવ.’ આ એમનાથી સહન થયું નહિ. ગ્રંથપાલ તરફ આદરથી જોવાનું તેમને માટે પછી બન્યું નહિ. નવસારીમાં ખરીદી કરવાનું રહેતું પરંતુ સુરેશભાઈને એમાં રુચિ ન હતી. જીવનભર એ વૃત્તિ જળવાઈ રહી. સુરેશભાઈ ઉપર એમના પિતાનો પ્રભાવ જણાતો નથી, પિતા સાથે રહેતા થયા ત્યારે તેઓ કોલેજમાં હતા, હોંશિયાર ગણાઈ ચૂક્યા હતા એટલે પિતા-પુત્ર વચ્ચેના પ્રેમસંબંધમાં આદરનો ભાવ ભળ્યોેે હતો. પિતા જ્ઞાતિપ્રવૃત્તિમાં ભાગ લેતા પરંતુ સુરેશભાઈએ રસ લીધો નહિ. નવસારી હાઈસ્કૂલમાંથી મેટ્રિક થયા પછી સુરેશભાઈ માતાપિતાને ત્યાં મુંબઈ પહોંચ્યા ને એલફિન્સ્ટન કોલેજમાંથી એમ. એ. થયા. ગુજરાતીના અધ્યાપક થયા તેમજ ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે મહત્ત્વનું કાર્ય કર્યું. સોનગઢ જેવા પછાત વિસ્તારમાં, મુખ્યત્વે રાનીપરજ છાત્રોની વચ્ચે રહેનાર આ ભાઈઓનો ‘બોર્ડિંગિયાં’ ‘રાનીપરજ’ જેવો ઉલ્લેખ થતો આ કારણે જ્ઞાતિના ગામો કે સ્વજનો એમની બાલ્યાવસ્થામાં ઉપહાસ કરી લેતા. પરંતુ એમણે જે સિદ્ધિ અને વિદ્વત્તા પ્રાપ્ત કર્યા તેથી પછીથી આદરપાત્ર બન્યા. વડોદરા નિવાસ પછી જૂના સંબંધો તથા કૌટુંબિક સંબંધો ઓછા થયા ને એ રમ્ય ભૂતકાળ સ્મૃતિની વસ્તુ બની રહી.