આત્માની માતૃભાષા/22

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રકૃતિસૌંદર્યની દિવ્ય અનુભૂતિનું ગાન

રમેશ એમ. ત્રિવેદી

નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા

પેલી આછા ધૂમસ મહીંથી શૃંગમાલા જણાય,
નામી નીચાં તટતરુ ચૂમે મંદ વારિતરંગ,
વ્યોમે ખીલ્યા જલઉર ઝીલે અભ્રના શુભ્ર રંગ;
સૂતું તોયે સરઉદરમાં ચિત્ર કાંઈ વણાય.
વીચીમાલા સુભગ હસતી જ્યાં લસે પૂર્ણ ચંદ;
શીળી મીઠી અનિલલહરી વૃક્ષની વલ્લરીમાં
સૂતી'તી તે ઢળતી જલસેજે મૂકે ગાત્ર ધીમાં,
સંકોરીને પરિમલ મૃદુ પલ્લવપ્રાન્ત મંદ.

ત્યાં તો જાણે જલવિધુ તણા ચારુ સંયોગમાંથી
હ્ય્ત્તંત્રીને કુસુમકુમળી સ્પર્શતી અંગુલિ કો.
અર્ધાં મીંચ્યાં નયન નમતાં ગાન આ આવ્યું ક્યાંથી?
એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.
એવે અંત:શ્રુતિપટ પરે ધન્ય એ મંત્ર રેલે:
સૌન્દર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે.
માઉન્ટ આબુ, ઑક્ટોબર ૧૯૨૮

‘નખી સરોવર ઉપર શરત્પૂર્ણિમા’ કિશોરવયના કવિ ઉમાશંકર જોશીની સર્વપ્રથમ કાવ્યરચના છે. ૧૯૨૮માં તેમણે સત્તર વર્ષની વયે એની રચના કરી છે. છ વર્ષ પછી તેમના પ્રગટ થયેલા ‘ગંગોત્રી’ કાવ્યસંગ્રહના આરંભે આ સૉનેટરચનાની અંતિમ પંક્તિ ‘સૌંદર્યો પી, ઉરઝરણ ગાશે પછી આપમેળે', સૌ પ્રથમ વાર જોવા મળે છે. આ પંક્તિ સાથેનું સમગ્ર સૉનેટ પછીથી ૧૯૩૯માં ‘નિશીથ’ નામના કાવ્યસંગ્રહમાં ગ્રંથસ્થ થયેલું આપણને પ્રાપ્ત થાય છે. કૉલેજના પ્રથમ વર્ષમાં કવિ અભ્યાસ કરતા હતા ત્યારે તેમણે કરેલો આબુનો પ્રવાસ, પ્રવાસ દરમિયાન મન ભરીને માણેલી પ્રકૃતિ અને તેના સૌંદર્યપાનથી ઉલ્લસિત કવિચિત્તના સહજ ઉદ્ગારો ભાવની પરાકાષ્ઠા રૂપે સૉનેટની અંતિમ પંક્તિમાં ઝિલાયા છે. પછીથી કવિની જીવનભર ચાલેલી કાવ્યસર્જનની પ્રવૃત્તિના ‘માણેકથંભ’ રૂપે જાણે એ સોહે છે. કવિને થયેલી સૌંદર્યની અનુભૂતિ એમની કવિતાનો ઉદ્ભવદ્રોત છે, એવી આપણને પ્રતીતિ થાય છે. સાથેસાથે, એ પંક્તિમાં આવતો ‘આપમેળે’ શબ્દ કશીક ચોક્કસ પ્રકારની અભિવ્યક્તિને સંકેતે છે. પ્રકૃતિસત્ત્વનું ગાન અન્-આયાસ, તત્ક્ષણ નીકળી આવેલા ઉદ્ગાર રૂપે અને તેથી જ એ ધન્ય ક્ષણને, ‘મંત્ર’ રૂપે — કાવ્યદીક્ષા રૂપે મહિમા ધારણ કરે છે. સૌ પ્રથમ સૌંદર્યનું આકંઠ પાન અને ‘પછી’ સહજ પ્રદ્રવતી કવિતા. સૌંદર્યનું પાન કરતાં-કરતાં કાવ્યસર્જનની પ્રેરણા એ દીક્ષા-મંત્ર છે. પૂરા છ દાયકા સુધી ચાલેલી, કવિની કાવ્યસર્જનની પ્રવૃત્તિનો પહેલો પડાવ આ કાવ્ય છે; તો ‘સાસણ ગીરમાં સિંહમય રાત્રિ’ એમની કાવ્યસર્જનની પ્રવૃત્તિનો અંતિમ પડાવ છે. અર્બુદગિરિ અને સાસણ ગીરના અરણ્યનાં બે વિરાટ પૃષ્ઠો વચ્ચે કવિનો શબ્દ યુગચેતનાને ઝીલતો ઝીલતો ‘વિશાળ કાવ્યલોકમાં, માનવ હોવાના અપરંપાર આશ્ચર્યલોકમાં’ ઘૂમી વળ્યો છે. ગુર્જરી ગિરા એનાથી સમૃદ્ધ બની છે અને ગુજરાતી કવિતા ગૌરવાન્વિત થઈ છે. એ સાચું છે કે કવિમાં સૌંદર્યને નિહાળવાની અને પૂરેપૂરું પામવાની એટલે કે આત્મસાત્ કરવાની દૃષ્ટિ અને શક્તિ હોય તો જ કવિતામાં સૌંદર્ય સર્જી શકાય. કવિએ પોતે એક સ્થળે કહ્યું છે: ‘દેનાર તો દે નયનો જ માત્ર, શું દેખવું તે કથવા ન પાત્ર?’ કવિના ચિત્તપ્રદેશમાં આવો સંવાદ ચાલતો સહેજે કલ્પી શકાય છે. આ ભાષાકવિએ પોતાનાં સ્થૂળ ચક્ષુઓ વડે પ્રકૃતિ અને તેના સૌંદર્યને નિહાળ્યું છે, અખિલાઈમાં નિહાળ્યું છે. હૃદયના ભાવોથી અ-ક્ષત સૌંદર્યને પામ્યા છે અને પછીથી તેને વાણીનું સ્વરૂપ આપ્યું છે. આમ, તેમણે કવિધર્મ સુપેરે નિભાવ્યો છે. પ્રકૃતિ પાસેથી સુંદરતાનું પાન કરવાની દીક્ષા મેળવીને કવિના ઉરઝરણને વ્યક્ત થવાની જીવનભર જે તક સાંપડી તે, આ કવિએ રચેલા આ સર્વપ્રથમ કાવ્યનો, સૉનેટકાવ્યનો આસ્વાદ હવે માણીએ. મંદાક્રાન્તા છંદમાં રચાયેલું આ પેટ્રાર્કન પદ્ધતિનું સૉનેટ છે. કાવ્યનો આરંભ પ્રથમ અષ્ટકમાં ‘પેલી’ એવી નાટ્યાત્મક ઉક્તિથી થાય છે; બીજા ષટ્કમાં પણ આરંભે ‘ત્યાં તો’ એવા દૃશ્યાત્મક શબ્દચિત્ર થકી કવિને જે કહેવું છે તેને પ્રત્યક્ષતામાં ઢાળી આપવામાં ઉપકારક બને છે, એમ સમજાય છે. અષ્ટકમાં આબુને માથે આવેલા નખી સરોવર પર ઊગતી શરદપૂર્ણિમા અને સાથે પ્રકૃતિનાં સઘળાં તત્ત્વો — ધુમ્મસ, ગિરિશિખરો, વૃક્ષો, ઝરણાં, પુષ્પો, વેલીઓ, જળભરેલા સરોવર ઉપરનું આકાશ, અનિલલહરી, ચંદ્રમા વગેરે તત્સમ પદાવલીમાં કૈંક ચિત્ર ‘વણાય’ છે, તે કવિના દૃષ્ટિફલકમાં સરસ રીતે ઝિલાઈ સજીવ શબ્દરૂપ પામ્યાં છે. પ્રકૃતિસુંદરીનું આ બાહ્ય-સ્થૂળ ચિત્ર પણ સુભગ બન્યું છે. એ સમગ્ર અનુભવ કૈંક અંશે ઊર્ધ્વતાનો અહેસાસ કરાવે છે. પ્રથમ અષ્ટક અહીં વિરામ પામે છે. સૉનેટના બીજા વિભાગ ષટક્માં કવિચેતના પ્રકૃતિના આવા અનુપમ સૌંદર્યને નિહાળી ઝંકૃત થઈ ઊઠેલી નિરૂપાઈ છે. ‘જલ’ અને ‘વિધુ'ના ‘ચારુ સંયોગ'થી ‘કો’ પુષ્પસમ કોમળ અંગુલિનો સ્પર્શ થતાં જ કવિની હૃદયવીણાના તાર રણઝણી ઊઠે છે. આ રોમાંચનો ભાવ સૌૈંદર્યાવલોકનના અંતે જન્મેલો સહજ ભાવ છે. અહીં ‘કો’ શબ્દ ભાવકને દિવ્ય રહસ્યમયતા તરફ અનુમાન કરવા તરફ દોરી જાય છે. પ્રકૃતિનાં સઘળાં તત્ત્વોએ કવિના ચિત્ત ઉપર ઊંડો પ્રભાવ દાખવ્યો છે. સૌંદર્યપાન વેળાની આવી મદીલી અવસ્થામાં સ્વાભાવિક રીતે જ નયન ‘અધમીચ્યાં’ — ઢળેલાં છે અને ત્યાર પછી ‘દિવ્યસ્વરો’ શ્રુતિગોચર થતા અનુભવાય છે. તેનું વિસ્મય ‘ગાન આ આવ્ય્ું ક્યાંથી?’ એની સમજ કવિને પ્રાપ્ત થાય છે: ‘એકાન્તોમાં પ્રકૃતિ કવતી મંજુ શબ્દાવલિ કો.’ આ અનુભવ વિસ્મયસભર આનંદનો, પ્રસન્નતાનો બની રહે છે. ગિરિકરાડોમાં ક્યાંક ક્યાંક દડી પડતાં ઝરણાંનો, આ શરદપૂનમની શાંત એકાંત અવસ્થામાં સંભળાતો ધ્વનિ કવિને કલ્પના કરવા પ્રેરે છે. જે મંજુલ ધ્વનિ સંભળાતો હતો તે હવે શબ્દાવલિમાં ફેરવાઈ જાય છે અને કવિના કાને — અંત:શ્રુતિપટ પર (इन्वर्ड इयर!) રેલાય છે. અહીં સાંભળવાની ક્રિયા ‘રેલે’ શબ્દથી પ્રવહમાન તથા વ્યાપી વળવાની અવસ્થામાં અનુભવાય છે. એને — એ ધ્વનિને — એ શબ્દોને કવિ ‘ધન્ય એ મંત્ર’ એવા પદથી ઓળખાવે છે. કવિચેતના પૂર્ણ જાગ્રત થઈ ઊઠેલી જોઈ શકાશે. કવિતાની આ સર્જનક્ષણ જાણે કૂંપળ ફૂટ્યાની વેળા છે, ગાન પ્રગટવાની આનંદક્ષણ છે. કવિ સમક્ષ મંત્રસ્વરૂપે એ ક્ષણ જન્મે છે. ‘કોઈક’ કહી રહ્યું ન હોય જાણે કે, સુંદરતાનું તું આકંઠ પાન કર, ગાન ‘આપમેળે', પ્રગટશે; અ-રવમાંથી રવ તરફ, નિ:શબ્દતામાંથી શબ્દ તરફ, પ્રશાંતિમાંથી નાદ તરફ આપમેળે ગતિ થશે. પ્રકૃતિસુંદરી તરફથી કવિને સાંપડેલો આ દીક્ષામંત્ર, દિવ્યપ્રસાદ છે. કૃતકૃત્યતાની એ ક્ષણ છે. એ દીક્ષામંત્ર ઘૂંટાઈને આવ્યો છે એ વાત ‘પછી’ શબ્દથી સ્પષ્ટ થાય છે. એ મંત્રની શ્રદ્ધા ઉપર તો આખું કવિચૈતન્ય અસ્તિત્વ ધરાવે છે. તેથી જ કવિની આ પ્રથમ રચનાને તેમની જીવનભરની કાવ્યસર્જનની પ્રવૃત્તિનો ‘માણેકથંભ’ માનવા મન પ્રેરાય છે.