આત્માની માતૃભાષા/35

From Ekatra Wiki
Jump to navigation Jump to search


અંતરપટ ખોલતી વસંત

પ્રફુલ્લ રાવલ

પંચમી આવી વસંતની

કોકિલ, પંચમ બોલ બોલો
કે પંચમી આવી વસંતની.
દખ્ખણના વાયરાનાં આ શાં અડપલાં!
ઊઘડ્યાં લતાઓનાં યૌવનનાં સપનાં,
લાગ્યો જ્યાં એક વાયુઝોલો —
કે પંચમી આવી વસંતની.
મંજરી, મત્ત થઈ ડોલો
કે પંચમી આવી વસંતની.
આંબે આંબે હસે રસની કટોરીઓ,
ગાતા ભમતા ભૃંગ પ્રેમ તણી હોરીઓ.
આછો મકરંદ મંદ ઢોળો
કે પંચમી આવી વસંતની.
આતમ, અંતરપટ ખોલો
કે પંચમી આવી વસંતની.
ચેતના આ આવી ખખડાવે છે બારણાં,
હેતે વધાવી એને લો રે ઓવારણાં.
ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો!
કે પંચમી આવી વસંતની.
અમદાવાદ, ૧૬-૧-૧૯૪૯


પ્રકૃતિને રમણીયતર બનાવતી વસંતઋતુ મનુષ્યના — સર્જકના ચિત્તને સદૈવ આનંદિત કરવા સાથે ક્યારેક પ્રિયજનના વિયોગે-વિરહે વિક્ષુબ્ધ પણ કરતી હોય છે. આ આનંદ અને વિક્ષુવધી સર્જકને એના ભીતરીભાવને અભિવ્યક્ત કરવા પ્રેરે છે અને એના પરિણામે કૃતિ સર્જાય છે. આ સર્જનથી સર્જક જાણે વિમુક્ત થયાનો ભાવ અનુભવે છે. આમ તો આ વિમુક્તિ એ સર્જકનો આનંદ-અવસર છે. સ્મરણની ઉજાણી છે. ક્યારેક સર્જકનો આ અવસર નિજાનંદમાંથી સર્વાનંદ પરિવર્તિત થાય છે. અને પરિણામે એ કૃતિ સર્જકના નિજભાવની રહેવા સાથે પ્રત્યેક ભાવની બની રહે છે. પ્રકૃતિ પ્રત્યે સર્જકને આકર્ષે છે અને સર્જક માટે એ ઉદ્દીપનવિભાવ બની રહે છે, તેથી સર્જક સર્જનમાં પ્રણયાનુભૂતિ ગૂંથે છે. એ અનુભૂતિ જેટલી સર્જકની હોય છે તેટલી ક્યારેક ભાવક પોતાની હોવાનું અનુભવે છે. એમાં સ્વનું આરોપણ કરે છે. પરિણામે ભાવક આહ્લાદિત થાય છે. આથી એને વારંવાર એ કૃતિ વાગોળવાનું મન થાય છે. ઉમાશંકર જોશીએ પ્રકૃતિને પડછે વિવિધ ભાવોનું ગાન કર્યું છે. એમની અનેક રચનાઓમાં પ્રણયભાવ હોય છે. એમની કાવ્યધારાનું એક વહેણ ગીતનું છે અને એમનાં ગીતો ગુજરાતી ગીતકવિતાની સંપદા છે. આ ગીતસંપદામાં ‘પંચમી આવી વસંતની’નું સ્થાન વિશિષ્ટ છે, કારણ કે એ પારંપરિક વસંતવર્ણનના દાયરામાં રહીને પણ સાવ જુદી રીતે રચાયું છે. કોકિલ-લતા, ભૃંગ-મંજરી, આતમ-ચેતના જેવા ઉદ્દીપનવિભાવ દ્વારા કવિએ શૃંગારિક ભાવને કલાત્મક રીતે વણ્યો છે. એમાં પરોક્ષ દ્વારા પ્રત્યક્ષનો નાદ છે. આજથી એકસઠ વર્ષ પૂર્વે રચાયેલ આ ગીતમાં દેખીતી રીતે કવિએ વસંતાગમને પ્રકૃતિમાં જે ઉલ્લાસ વર્તાય છે એનું દર્શન કરાવ્યું છે. અલબત્ત, છે તો એ ઉદ્દીપનવિભાવ જ. પ્રકૃતિનો આધાર લઈને પ્રણયાનુભૂતિને જ વ્યક્ત કરી છે. પરંતુ કવિની સંયતા કહો કે કળાચાતુરી એ છે કે કવિ જાણે સહેતુક બહાર ઊભા રહીને ઋતુપતિ-ઋતુરાજ વસંતને વધાવવાનું ઇજન આપે છે. વસંત-આગમનનો કવિહૈયે અપાર આનંદ છે અને કવિ કોકિલને ‘પંચમ બોલ’ બોલવા કહે છે. બન્યું છે એવું કે વસંતનો એક વાયુઝોલો લાગતાં લતાઓના ‘યૌવનનાં સપનાં’ ઊઘડ્યાં છે. વસંતસ્પર્શનો આ મહિમા છે. અહીં ભાવકર્તૃક ક્રિયાપદ ‘લાગતાં’ દ્વારા સ્પર્શનો નિર્દેશ છે તો સંબંધનો પણ નિર્દેશ છે. એમાં લાગણીનો ભાવ નિહિત છે. વળી ‘યૌવનનાં સપનાં’ એ બે પદો પ્રણયના જ દ્યોતક છે. યુવાની અને સ્વપ્ન એકબીજાંનાં પૂરક છે. કવિ ભલે લતાઓના યૌવનનાં સપનાંની વાત કરે, પરંતુ એ તો પ્રતીકાત્મક છે. મૂળ તો કવિના પોતાના સપનાંની જિકર છે. યુવાનીનો સંદર્ભ છે. દખ્ખણના વાયરાનાં અડપલાંની એ અસર છે. ‘શાં’ જેવા અનિશ્ચિત વિશેષણથી કવિએ વસંતસ્પર્શે પ્રકૃતિમાં જે પરિવર્તન આવ્યું છે તેનું વિસ્મય વ્યક્ત કર્યું છે અને કવિહૃદયમાં જે ઉલ્લાસ વ્યાપી વળ્યો છે તે વ્યક્ત કરવા કવિ કોકિલને ‘પંચમ બોલ’ ઉદ્ગારવા સૂચવે છે. ના, ઉદ્ગારવા પ્રેરે છે. આમ તો પોતાના આનંદમાં સમભાગી કરવાનું આ ઇજન છે. એમાં વસંતના આગમનનો હર્ષોલ્લાસ છે. કવિને ખબર છે કે વસંતાગમનનું રમ્ય અભિવાદન તો કોકિલ જ કરી શકશે — એના મધુર ટહુકાર દ્વારા. અને એ અભિવાદનના ઉદ્ગારે વસંતના આગમનનો સંદેશ બધે પ્રસરશે. જે પ્રસરાવવાની કવિને અભીપ્સા છે. પછી વાતાવરણ વસંતમય બની રહેશે. ‘વસંતવિલાસ'ના કવિએ તો ઉલ્લાસિત સ્વરમાં કહ્યું છે: त्रिभुवनि जयजयकार पिया इव करंई अपार.’ પણ અહીં ઉમાશંકર જોશી કોકિલને નિમંત્રે છે. જેને ટહુકવાનું છે તેને કવિ જાણે ટહુકવાનું સ્મરણ કરાવે છે! કવિ ત્યાં અટક્યા નથી. કોકિલ પછી કવિ મંજરીને મત્ત થઈને ડોલવાનું કહે છે. ડોલનમાં આનંદની અભિવ્યક્તિ નિહિત છે. વસંત પ્રવેશતાં આંબે આંબે આમ્ર-કેરીઓ ઝૂલી રહી છે. કેરીને ‘રસની કટોરીઓ’ કહેવામાં કવિનો શૃંગાર છતો થાય છે. કવિએ રસની કટોરીઓને હસતી કલ્પી છે. સજીવારોપણ અલંકારના વિનિયોગે કવિ એના ઉલ્લાસને ચીંધે છે. એના આ ઉલ્લાસનું રહસ્ય છે વસંતનું આગમન — વસંતની ચોમેર ફેલાયેલી સુવાસ. આવી રમણીયતા વચ્ચે ભ્રમરની ઉપસ્થિતિ ન હોય એવું બને ખરું! એ જ તો ઉદ્દીપક છે. એનો ગુંજારવ વાતાવરણમાં વ્યાપ્ત છે જે મનુષ્યના ચિત્તને પ્રફુલ્લિત કરીને પ્રિયજનની સ્મૃતિથી ભરી દે છે. ભ્રમરનો તો ધર્મ જ છે ભમવાનો ને ગુંજવાનો — अलि मकरंदिहि मुहरिया. આ ‘ભમવા’ ભૃંગ ‘પ્રેમ તણી હોરીઓ’ ગાય છે અને ત્યારે ‘આછો મકરંદ મંદ ઢોળો’ એવું કહેવા પાછળનો કવિનો આશય એ વાતાવરણની અસર વ્યાપક રહે અને માનવ માત્ર એનું પાન કરે તે છે. ‘કટોરીઓ’ અને ‘હોરીઓ'નો પ્રાસ તો ગીતના લયને ઉપકારક નીવડ્યો છે. મનહર વસંતના પ્રસારનું આ ચિત્ર વળી ‘વસંતવિલાસ’નું સ્મરણ કરાવે છે — महमत्था सवि सहकार અને (बहकइ मलयसमीर). બે કડીમાં વસંતના આગમનથી પક્ષી-પ્રકૃતિમાં જે પ્રસન્નતા વ્યાપી વળી છે તે નિરૂપ્યા પછી કવિ કહે છે — ‘આતમ, અંતરપટ ખોલો.’ ભીતર જે પટ છે તેનાથી જોવાનું જોવાતું નથી — દેખાતું નથી. એ અંતરપટ ખૂલે તો જ પામવાનું પામી શકાય. ચેતના તો બારણાં ખખડાવી રહી છે અને કવિ એને ‘હેતે વધાવી’ લઈને ‘ઓવારણાં’ લેવાનું સૂચવે છે. પરંતુ માનવજાત જાણે પ્રકૃતિથી વિમુખ થઈ ગઈ છે. અથવા અંતરપટ આડે એને કશું જ પરખાતું નથી. ‘ઝૂલે શો સૃષ્ટિનો હિંડોળો’ દ્વારા કવિ પ્રકૃતિની રમ્યલીલાનો નિર્દેશ કરે છે. પરંતુ મોટી વાત તો આત્મા જાગવાની છે. ખુદ મનુષ્યને જાગવાનું છે અને ત્યારે કવિનું કોકિલને ‘પંચમ બોલ’ ઉદ્ગારવાનું કહેણ સમજાય છે! અપાર સાંસારિક ગતિ-વિધિ વચ્ચે ક્યાંક મધુર ટહુકો સંભળાય તો જ મનુષ્ય સળવળશે અને તો જ અંતરપટ ખૂલશે. બાકી તો ઋતુઓ આવશે ને જશે. માણસ તો ત્યાંનો ત્યાં જ રહેશે. માનવજાત માટેની કવિની આ નિસબત કોકિલને ‘પંચમ બોલ’ બોલવાના કહેણમાં જ વ્યક્ત થઈ છે. ‘કોકિલ’ જેવું પારંપરિક પ્રતીક લઈને પણ કવિતા દ્વારા જે સિદ્ધ કર્યું છે તે ઉમાશંકર જોશીની કવિપ્રતિભાની દ્યુતિ છે. પરંપરિત ભાવવિશ્વથી નૂતન અર્થદ્યુતિ એ કવિનું કર્મ છે. પ્રકૃતિના પડછે કવિએ શુષ્ક થતી જતી માનવજાતનું દર્શન કરાવ્યું છે. ‘અંતરપટ’ એ જ જાણે આજે માનવજાતનું વાસ્તવ છે. અલબત્ત, અંતરપટ પ્રણયભાવને પણ નિર્દેશે છે જ અને કોકિલનો ટહુકાર એ જાણે તમસ્માંથી અજવાસમાં આવવાની આલેબલ છે તો પ્રણયની પણ આલબેલ છે