આત્માની માતૃભાષા/42

From Ekatra Wiki
Jump to navigation Jump to search


આયુર્માર્ગના દ્વિભેટે

ધીરેન્દ્ર મહેતા

ગયાં વર્ષો —

ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!
ગયાં સ્વપ્નોલ્લાસે, મૃદુ કરુણહાસે વિરમિયાં!
ગ્રહ્યો આયુર્માર્ગ સ્મિતમય, કદી તો ભયભર્યો;
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો!
ઉરે ભારેલો જે પ્રણયભર, ના જંપ ક્ષણ દે,
સ્ફુર્યો કાર્યે કાવ્યે, જગમધુરપો પી પદપદે
રચી સૌહાર્દોનો મધુપુટ અવિશ્રાંત વિલસ્યો.
અહો હૈયું! જેણે જીવતર તણો પંથ જ રસ્યો.

ન કે ના'વ્યાં માર્ગે વિષ, વિષમ ઑથાર, અદયા
અસત્ સંયોગોની; પણ સહુય સંજીવન થયાં.
બન્યા કો સંકેતે કુસુમ સમ તે કંટક ઘણા,
તિરસ્કારોમાંયે કહીંથી પ્રગટી ગૂઢ કરુણા.
પડે દૃષ્ટે, ડૂબે કદીક શિવનાં શૃંગ અરુણાં:
રહ્યો ઝંખી, ને ના ખબર વરસો કેમ જ ગયાં!
અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩


રહ્યાં વર્ષો તેમાં —

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે; વીલે મુખ ફર રખે, સાત ડગનું
કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.
— અહો નાનારંગી અજબ દુનિયા! શે સમજવી?
તને ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી;
અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી!
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.—
મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;
નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે;
જનોત્કર્ષે-હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.
—બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું:
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.
અમદાવાદ, ૨૧-૭-૧૯૫૨૫૩

‘વસંતવર્ષા'માં સંગૃહીત આ સૉનેટરચનાઓ એક જ દિવસે રચાઈ છે અને સહૃદયો દ્વારા બે સ્વતંત્ર સૉનેટ તરીકે તેમજ સૉનેટયુગ્મ તરીકે, એમ બેય રીતે ઉલ્લેખાઈ છે. સંગ્રહમાં એ અલગ-અલગ છપાઈ છે, એમ અલગ-અલગ વાંચતાં બંને કૃતિઓ સ્વયંસંપૂર્ણ જણાય છે તેમ એકસાથે વાંચતાં તેમાં ભાવસાતત્ય પણ અનુભવાય છે. બંને કાવ્યોનાં શીર્ષકો પણ જાણે એ ભાવસાતત્યનાં દ્યોતક બની રહે છે. આ લક્ષણ પણ આ કૃતિઓની વિશિષ્ટતા ગણી શકાય. જાણે કે કવિ કે કાવ્યનાયકની કેફિયત રૂપે રજૂ થતી આ રચનાઓ સ્વગતોક્તિ રૂપે આપણને સંભળાય છે. આયુષ્યમાર્ગના દ્વિભેટે કવિ ઊભા છે: એક માર્ગ વીતી ચૂકેલાં વર્ષોનો છે, બીજો હવે આવનારાં વર્ષોનો — ‘ગયાં વર્ષો’ — ‘રહ્યાં વર્ષો’. ગયાં વર્ષોની તો શી વાત કરવી — ‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં!’ કલ્પના અને આનંદના રંગે રંગાયેલાં એ વર્ષો… કોમળ લાગણીઓ, હર્ષશોકના અનુભવોમાં જ એ સમય પૂરો થઈ ગયો. કેવા કેવા અનુભવ થયા — કોઈ સુખદ, કોઈ ભયપ્રદ. નિદ્રાલોકના પ્રવાસ જેવો નિરંકુશ એ પ્રવાસ અવશપણે થતો રહ્યો… આ સર્વ અનુભવમાં સર્વોત્કટ અને બેચેન કરી નાખનારો અનુભવ પ્રણયનો. જીવનયાત્રા દરમિયાન ડગલે ને પગલે સ્નેહપૂર્ણ મૈત્રીનો મધુર અનુભવ થતો રહ્યો. હૃદયના કોમળ ભાવોએ જ તો જીવનપંથને રસમય બનાવી દીધો. એ ભાવો જ પાછાં મારાં જીવનકાર્યો અને કવિતામાં પ્રગટ થતાં રહ્યાં. અષ્ટક પછી અહીં કવિએ જેને ‘કથયિતવ્યમાં પોતામાં જ વંકવોળામણું લાવણ્ય’ કહ્યું છે તે તાદૃશ થાય છે: આ સ્નેહ અને સૌહાર્દના પ્રતાપે જ જીવનમાં સહજક્રમે આવેલા વિષમકટુદુરિત પ્રસંગો પણ સદ્ય બન્યા. એમાં રહેલું વિધાયક બળ કામ કરી ગયું અને દેખીતા વિપરીત અને વિષમ અનુભવોમાં નિહિત ગૂઢ કલ્યાણકારી તત્ત્વ આવિષ્કૃત થતું રહ્યું. એ તત્ત્વની ઝંખનામાં ને ઝંખનામાં ’ —ના ખબર વરસો કેમ જ ગયાં!’ ઠીક, હવે? ‘રહ્યાં વર્ષો તેમાં?’ એવી જિજ્ઞાસા પછીના સૉનેટનું સંધાન કરી આપી શકે તેમ છે. અને ન કરવું હોય તો પ્રથમ પંક્તિના ભાવાનુવર્તન સાથે પૂરું થતું અને ગયાં વર્ષો કેમ ગયાં તેની કથની સહજોદ્ગાર રૂપે કહેતું આ કાવ્ય સ્વતંત્ર સ્વાયત્ત સૉનેટ તરીકે પણ આસ્વાદી શકાય છે. પરંતુ કવિએ પોતે કહ્યું છે: ‘ઘણુંખરું કોઈ વિચારઅણુ, ચિંતનકણ સૉનેટમાં મૂર્ત કરવાનો આશય હોય છે. અલબત્ત, એ ચિંતનકણ ઊર્મિપ્રણિત તો હોવો જ જોઈએ,’ (‘શૈલી અને સ્વરૂપ,’ ૧૬૪)

આ સૉનેટમાં કંઈક પરિપક્વ થયેલી સ્વસ્થ દૃષ્ટિએ કરેલું વીતી ગયેલા મુગ્ધ વયના જીવનનું દર્શન છે. એ દૃષ્ટિ હવે પછીના જીવનને કઈ રીતે જીવવા ચાહે છે? આયુર્માર્ગે જે ‘વિષ, વિષમ ઓથાર, અદયા અસત્ સંયોગોની’ મળ્યાં એથી રખેને પોતે વીલે મુખ ફરતો થઈ જાય. એથી એ જાતને એક સત્ય સમજાવે છે: “નથી તારે માટે થઈ જ નિરમી ‘દુષ્ટ’ દુનિયા.” એ સમજાયા પછી — ‘હું'ને વિસારીને મધુર સખ્ય રચી લેવાથી જ જગતનું માધુર્ય અને સૌંદર્ય પામી શકાશે. દુનિયાને નહિ, જાતને પલટવાની જરૂર છે. જનસમૂહનાં ઉત્થાન-પતનને સૃષ્ટિનાં સંચલનો રૂપે, પરમઋતની લીલા રૂપે જોવાનાં છે. પ્રથમ સૉનેટમાં હૃદયમાં ભારેલા, તેને વ્યાકુળ કરતા જે પ્રેમતત્ત્વનો નિર્દેશ થયો તેનું અહીં વ્યાપક સ્વરૂપ જોવા મળે છે. આ પ્રેમતત્ત્વ પૃથ્વીનું અમૃત છે, સૃષ્ટિનું સ્વારસ્ય છે. ત્રણે લોકને ધરવા લાયક પ્રસાદ છે. આથી જ કવિ કહે છે: ‘મળ્યાં વર્ષો તેમાં અમૃત લઈ આવ્યો અવનિનું.’ ગયાં રહ્યાં મળ્યાં, આ ત્રણ ક્રિયાપદોથી કવિએ આ સૉનેટયુગ્મને સુબદ્ધ કરેલું છે. આ એમની ભાષાસૂઝનું પરિચાયક દૃષ્ટાન્ત છે. મનુષ્યજીવનના સારસર્વસ્વને સૂચિત કરતી આ અર્થગર્ભ પંક્તિ નર્યા ચિંતનકણને રજૂ કરતી નથી, એમાં ઊર્મિનો ધબકાર અનુભવાય છે. વસ્તુત: ચિંતન અને સંવેદનની સમરસતાયુક્ત પરિણતિની આ પરાકોટિ છે. આ કાવ્યમાં શરૂઆતથી ઊર્મિપ્રવણ સમજણનો સ્વર સંભળાય છે. એમાં ષટ્કમાં ઊર્મિનો ઉછાળ આવે છે. બંને કાવ્યમાં પ્રયોજાયેલા શિખરિણીમાં અહીં છંદોલયના તરંગેતરંગે ઊર્મિ હિલ્લોલે છે. સૉનેટની દૃષ્ટિએ જોઈએ તો આ બંને પેટ્રાર્કશાઈ રચનાઓમાં પ્રથમ સૉનેટમાં કખખક કખખક અને ગઘઙ કે ગઘઘગગઘ એવી રૂઢ પ્રાસરચનાને બદલે અષ્ટકમાં શેક્સપિયરશાઈ પ્રકારની કક ખખ ગગ ઘઘ અને ષટ્કમાં કક, ખખ એવી પ્રાસગૂંથણી કરી છે પરંતુ કવિએ કહ્યું છે તેમ ‘પેટ્રાર્કશાઈ પ્રકારમાં સૉનેટની ૧૩ અને ૧૪મી લીટીના પ્રાસ એક જ હોઈ શકે નહિ’ એ ‘સૌથી મહત્ત્વની વાત’ જાળવી છે. ૧૩મીનો પ્રાસ ૧૨મી લીટી સાથે મળે છે પરંતુ ૧૩મી અને ૧૪મી લીટીની વાત કરીએ તો ૧૪મીનો ૧૩મી સાથે સ્વરને લક્ષમાં લઈએ તો જ મળતો જણાશે. બીજા સૉનેટની પ્રાસયોજનામાં થોડો ફેરફાર કરેલો છે: કક ખખ પછી ગઙ ઘઘ એવી પ્રાસસંકલના કરેલી છે અને ૧૩ અને ૧૪મી લીટીમાં એક જ પ્રાસની યોજના કરી નથી, છતાં સ્વર વર્ણના પ્રાસ તો જાળવ્યા છે. અહીં કવિનાં આ વચનો ધ્યાનમાં લેવાં જેવાં છે: ‘પશ્ચિમની પ્રાસરચના, સૉનેટ માટે યોજાઈ છે તે, શ્રવણ કરતાં આંખનો વિષય વિશેષ તો લાગે છે… આપણી ભાષામાં પશ્ચિમના જેવા અટપટા પ્રાસ મેળવવા એ અનિવાર્ય નથી છતાં આ બાબતમાં પ્રયોગોને અવકાશ છે.’ (‘શૈલી અને સ્વરૂપ', ૧૪)